Opinion Magazine
Number of visits: 9482559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પડદા પાછળનું ગુજરાત’

રમણ વાઘેલા|Samantar Gujarat - Samantar|16 September 2019

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો અને સાંપ્રદાયિક દંગા અંગે ટીકાટિપ્પણ અને મોટા પાયે ચર્ચા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં ભારતની છબી ખાસ્સી એવી ખરડાઈ હતી, તેમ છતાં ગુજરાતમાં આ દુર્ઘટના ઘટી એ પ્રદેશની ભાષામાં પુસ્તક અનુદિત થતાં ખાસ્સો એવો વખત વીતી ગયો. એના કારણમાં જઈએ તો આ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવા કોઈ તૈયાર થયું નહોતું, તો વળી કોઈ પ્રકાશકે આ પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત કરવા હિંમત દાખવી નહોતી, કહો કે તૈયારી દર્શાવી ન હતી. ખેર, ‘દેર આયે, દુરસ્ત આયે’ એ ન્યાયે દુર્ઘટના ઘટ્યાનાં ૧૭ વર્ષ બાદ પુસ્તક ગુજરાતીમાં પ્રગટ થાય છે, એ સાયેશ કમ નથી.

આ અનુદિત પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય આપતાં કહી શકાય કે ગોધરા રેલવે-સ્ટેશન પરની દુર્ઘટના પછી ગુજરાતનાં અનેક શહેરો-વિસ્તારો-ભાગોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળવાનું મુખ્ય કારણ સરકારના પોલીસતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાનાં પાલનમાં દાખવવામાં આવેલ ગંભીર પ્રકારની બેદરકારી હતું. આ પુસ્તકમાં બે જૂથો વચ્ચેનાં કોમી તોફાનો અને તે પછી પોલીસની સરિયામ બેદરકારી પર ઢાંકપિછોડો કરવા અને નિર્મમ હત્યાકાંડના અપરાધીઓને બચાવવા માટે કરવામાં આવેલ સરકારના આયોજનબદ્ધ (!) પ્રયત્નોનો લેખકે એક પોલીસ – અધિકારીની હેસિયતથી પર્દાફાશ કર્યો છે. કોમી રમખાણો દરમિયાન ઉચ્ચ પોલીસ – અધિકારીની રૂએ લેખકે રજૂ કરેલા અહેવાલો અને તે પછી કોમી તોફાનોની તપાસ કરવા સારુ સરકારે નિયુક્ત કરેલાં તસાસપંચ સમક્ષ એમણે રાજકારણીઓ, પોલીસતંત્ર અને નોકરશાહોની નિમ્ન કક્ષાની ભૂમિકાનો કરેલો પર્દાફાશ આ પુસ્તકની મુખ્ય બાબતો છે. સર્વોચ્ચ અદાલતના આદેશથી રચાયેલ ખાસ તપાસ(એસ.આઈ.ટી.)ની કામગીરીને લેખકે બહુ જ નજીકથી અને બારીકાઈથી નિહાળી અને અંતે લેખક એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે એસ.આઈ.ટી.એ ગુનેગારોને તેમનાં અમાનુષી દુષ્કૃત્યો બદલ સજા કરવાને બદલે ગુનેગારોના બચાવપક્ષે રહીને વકીલ તરીકેની ભૂમિકા ભજવી હોય, એવી છાપ પડે છે. ગુજરાતનાં કોમી રમખાણો અને તે પછીની શાસકોની નોકરશાહોની ઉદ્દંડ રીતિ-નીતિનું નજરે જોનાર સાક્ષી તરીકે લેખકે આ પુસ્તક પોતાના અંતરાત્માના બોજને હળવો કરવા માટે લખ્યું છે.

લેખક પ્રાક્કથનમાં જણાવે છે કે, ‘એક પોલીસ-અધિકારી અને નાગરિક તરીકે મેં જે કાંઈ અનુભવ્યું, ફેબ્રુઆરી ૨૦૦૨ દરમિયાન ગોધરામાં ઘટેલી ઘટના બાદ સિલસિલાબંધ વિષમ પ્રસંગોના સાક્ષી બનવાનું થયું, તે સઘળું આ પુસ્તકમાં કશું ય ગોપનીય રાખ્યા વિના વર્ણવાયું છે.’ પ્રાક્કથનમાં લેખક આગળ નોંધે છે કે “રાજકારણીઓએ ગુજરાતને હિન્દુત્વની પ્રયોગશાળા તરીકે પસંદ કરી હિન્દુત્વના જુદાજુદા ચહેરાને રાજકીય સ્વરૂપ આપ્યું. ગોધરામાં ટ્રેન સળગાવી મૂકવાની ઘટના પછી રાજ્ય સરકારે લઘુમતી વિરોધી તોફાનોને છૂટો દોર ન આપતાં, કાબૂમાં લીધાં હોય, તો સંઘપરિવાર (સાચા અર્થમાં) હિંદુ હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યો હોત! … લઘુમતી વિરોધી હિંસાનાં હૃદયદ્રાવક દૃશ્યો એક વ્યક્તિ તરીકે અને ફરજના ભાગ રૂપે પણ જોઈને મેં નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર સાચી માહિતી ઉપર ઢાંકપિછોડો કરી રહી છે તથા ભા.જ.પ.ની રાહત-છાવણીના સંચાલકો દ્વારા આચરવામાં આવેલ હિંસા બાદ ઊભી થયેલી અંધાધૂંધી તથા હિંસક બનાવો સરવાળે તો હિંદુ કોમનું સ્વયંસ્ફુરિત અસંગઠિત પ્રત્યાઘાતી પગલું હોઈ, એનો પર્દાફાશ કરવો જોઈએ. ગોધરાના આ રક્તરંજિત બનાવ બાદ ઇન્ટેલિજન્સ વિભાગના અધિક ડી.જી.પી. તરીકે એપ્રિલ ૨૦૦૨માં મને આ કામગીરી સોંપાઈ તેને હું દૈવી નિયોગશક્તિ સમાન ગણું છું, તેણે મને વહીવટી સત્તાધીશોને ખુલ્લા પાડવાની તક આપી.”

આ પુસ્તકમાં કુલ ૧૭ પ્રકરણો અને બે પરિશિષ્ટ મૂકવામાં આવેલાં છે. પ્રત્યેક પ્રકરણના પ્રારંભમાં વિવિધ ધર્મગ્રંથોનાં અવતરણ મૂકવામાં આવેલ છે, જેમાં ભગવદ્‌ગીતા, ચારેય વેદ, તિરુક્કુરલ (તિરુવલ્લુવર રચિત), કુરાન, બાઇબલ, ધમ્મપદ, નીતિસાર, નીતિશતક વગેરેના પ્રકરણનાં વિષયને અનુરૂપ અવતરણોનો સમાવેશ થાય છે. સત્ય, ન્યાયપ્રિયતા, સદાચાર, સદ્‌વિચાર, સત્યનો અસત્ય પર વિજય, રાજાનાં કર્તવ્યો, ન્યાયાધીશોની સત્ય અને ન્યાયપરાયણતા એવાં ઉદાત્ત લક્ષણોને અવતરણોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પ્રારંભના પ્રકરણમાં લેખકે એ બાબતની જિકર કરી છે કે જ્યારે જ્યારે સામૂહિક ગુનાઓના ગુનેગારોને રાજકારણીઓ અને સરકારી અધિકારીઓનો સહયોગ મળે છે, ત્યારે જાહેરશિસ્તમાં વિપેક્ષ વાસ્તવિક બની જાય છે. દિલ્હીમાં ૧૯૮૪માં નરસંહાર અને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલ દુષ્કર્મો સહિતના નરસંહારનો સંદર્ભ આપી એ વાતને પ્રતિપાદિત કરી છે કે પોલીસ સહિત અમલદારશાહી, ઐયાશી વહીવટકર્તાઓ દ્વારા રાજકારણીઓની ચાપલૂસી, માન-અકરામ મેળવવા માટે અને કારકિર્દીમાં પદોન્નતિ મેળવવા માટે કાનૂની પ્રતિબદ્ધતાનો છડેચોક ભંગ જેવી બાબતો સાવ સામાન્ય બની ગઈ છે. ૧૯૭૦ સુધી રાજનૈતિક લાભ અને ચૂંટણીજંગમાં વિજય પ્રાપ્ત કરવા સારુ ના તો ધનબળ કે ના તો બાહુબળની કોઈ ભૂમિકા હતી, ના તો સામાજિક-આર્થિક ક્ષેત્રે વિઘટનકારી શક્તિઓનો કોઈ હસ્તક્ષેપ હતો. ત્યારના નેતાઓ બલિદાન, સેવા, દેશભક્તિ અને સમર્પણની ભાવનાવાળા હતા, જેના કારણે મોટા ભાગના નેતાઓ અને કાર્યકરોને સાચું માર્ગદર્શન મળતું હતું, પરંતુ ૧૯૭૫ની કટોકટી બાદ પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ. સાંપ્રત રાજકારણની વાત કરીએ તો કશું કહેવાપણું જ રહ્યું નથી!

રાજકારણીઓએ અને પોલીસે પ્રિવેન્ટિવ ડિટેન્શન કાયદાનો પોતાના હિતમાં દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું, પરિણામે ‘દુશ્મનો’ વિરુદ્ધ ગુનાઓના બનાવટી દસ્તાવેજો ઊભા કરનાર અમલદારશાહી અને પોલીસો નિમણૂક-પદોન્નતિ અને નિવૃત્તિ બાદ મલાઈદાર જગ્યાઓ જેવા લાભ મેળવી શક્યા હતા. સરવાળે આ પ્રકરણમાં ૨૦૦૨માં ગુજરાતનાં રમખાણોની પશ્ચાદ્‌ભૂમિકા સહિત લેખકે ક્રમબદ્ધ ઘટનાઓ આલેખી સંઘ, ભા.જ.પે. અને સરકારની દોંગાઈ દર્શાવી છે. ‘વ્યથા અને નિરાશાભર્યા દિવસો’એ શીર્ષક હેઠળના પ્રકરણમાં લેખકે ભારત સરકારના ગૃહમંત્રાલય હેઠળના આઈ.બી.માં ૧૩ વર્ષ દરમિયાન ફરજો બજાવ્યા બાદ ૨૦૦૦માં ગુજરાત આવી પોલીસતંત્રમાં વ્યાપેલ સડો-બદીઓ જોઈ એટલી વ્યથા અને નિરાશા અનુભવે છે કે ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને રાજનૈતિક હસ્તક્ષેપે તંત્ર પર એવી તો પકડ જમાવી દીધી છે કે ન્યાય અને નૈતિક મૂલ્યોનો સદંતર હ્રાસ થઈ ચૂક્યો છે. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨માં હથિયારધારી એકમના વધારાના પોલીસ મહાનિર્દેશકની રૂએ ફરજો બજાવતી વખતે એસ.આર.પી.ના પોલીસ-કમાન્ડરને લેખિત સૂચના પાઠવ્યા છતાં નરોડા પાટિયા પાસે સૈજપુર-બોઘામાં આવેલ એસ.આર.પી. કૅમ્પમાં આશરો મેળવવા ઇચ્છતા લઘુમતી કોમના ૫૦૦ લોકોને કંપની-કમાન્ડર (આઈ.પી.એસ.) લઘુમતી કોમનો હોવા છતાં આશરો મળતો નથી, પરિણામે ૯૬ લોકો લઘુમતી કોમના આક્રોશનો શિકાર બની જાન ગુમાવી દે છે. આ આખાયે પ્રકરણમાં માનવતાની મશાલચી તરીકે લેખકે પરિતાપ વેઠવાનો વારો આવ્યો. વાચકના હૃદયને કંપાવી મૂકે છે!

આ તબક્કે એ બાબત ખાસ નોંધવી રહી કે તત્કાલીન મુખ્યમંત્રીએ ગોધરાથી પરત આવ્યા બાદ ૨૭ ફેબ્રુઆરીએ પોતાના સરકારી નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી, જે બેઠકમાં તત્કાલીન મુખ્યમંત્રીએ અધિકારીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે “સામાન્ય રીતે સાંપ્રદાયિક તોફાનોમાં પોલીસ હંમેશાં લગભગ પ્રમાણસર રીતે હિન્દુઓ અને મુસલમાનો વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ હવે એમ બનશે નહીં. હિંદુઓને બેરોકટોક પોતાનો આક્રોશ-ગુસ્સો પ્રગટ કરવા દેવો જોઈએ.” આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ, ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશક સહિત અમદાવાદ પોલીસ-કમિશનર હાજર હોવા છતાં, આ બધા અધિકારીઓમાંથી કોઈએ પણ તત્કાલીન મુખ્યમંત્રીના આ ગેરકાયદેસર હુકમ સામે વિરોધ નોંધાવ્યો નહીં. તત્કાલીન પોલીસ મહાનિર્દેશકે લેખક સમક્ષ ખેદ વ્યક્ત કરતાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તત્કાલીન મુખ્યમંત્રીના આ મૌખિક હુકમોને કારણે હિંસક સાંપ્રદાયિક તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં અડચણ પેદા થઈ રહી હતી.

‘ઈશ્વરદત્ત અવસર’ પ્રકરણમાં લેખકને ૯ એપ્રિલ, ૨૦૦૨માં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડાનો હવાલો સોંપવામાં આવતાં, લેખક ૨૪ એપ્રિલ, ૨૦૦૨ના રોજ ‘અમદાવાદમાં વર્તમાન સાંપ્રદાયિક પરિસ્થિતિ બાબતે એક વિશ્લેષણાત્મક અહેવાલ’ સરકારમાં રજૂ કરે છે, જેમાં તેઓને સાંપ્રદાયિક પરિસ્થિતિનાં અલગ અલગ જે ખતરનાક ચિત્રો જોવા મળે છે, તે પરત્વે એટલે કે સ્ફોટક સ્થિતિ પર નિયંત્રણ લાવવા કયાં પગલાં ભરવાં જોઈએ – તેની વિગતો નોંધાયેલી જોવા મળે છે. પરંતુ સખેદ કહેવું જોઈએ કે લેખકનાં સૂચનોનો અમલ કરવાની વાત તો દૂર રહી, પણ તેના પર ધ્યાન આપવાનું સુધ્ધાં સરકારે જરૂરી ગણ્યું નહીં. રાષ્ટ્રીય માનવ-અધિકાર આયોગ તથા અન્ય માનવ-અધિકારની જિકર કરતા કાર્યકર્તાઓએ હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી, તે પછી સુપ્રીમ કોર્ટે પોતાના જુદા-જુદા આદેશો દ્વારા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના સુચારુ સંચાલન માટે જુદા-જુદા આદેશો આપ્યા. જેમાં બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર પ્રકરણની તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો, બેસ્ટ બૅકરી પ્રકરણ તથા બિલ્કીસબાનો પ્રકરણની સુનાવણી મહારાષ્ટ્રમાં તબદીલ કરવાનો, તોફાનો સાથે સંકળાયેલી ૨,૦૦૦ જેટલી બાબતોની પુનઃતપાસ કરવાનો, નરોડા પાટિયા-ગુલબર્ગ સોસાયટી-સરદારપુરા-એવી નવ મુખ્ય ઘટનાઓ સારું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવાનો, ફેઇક એન્કાઉન્ટરની તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો-એવા હુકમોનો સમાવેશ થાય છે.

સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકેનો હવાલો મળતાં લેખક આશાઓ અનુભવે છે : ‘મેં આ જવાબદારીને ઈશ્વરકૃપા ગણી, કારણ કે એણે મને એવી તક પૂરી પાડી કે જેથી સરકાર અને સ્થાનિક રાજકારણીઓનાં આયોજન અને લઘુમતી વિરોધી હિંસાના કારોબાર અંગેનાં સત્યોનો પર્દાફાશ કરી શકું!’

૯ ઑગસ્ટ, ૨૦૦૨ના રોજ તે સમયના ચૂંટણી-કમિશનર જે.એમ. લિંગદોહ રાજ્યની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ, મહેસૂલ તથા ગૃહવિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહે છે, ત્યારે જે.એમ. લિંગદોહ રાજ્ય સરકારના અહેવાલનો સ્વીકાર નહીં કરતાં ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે લેખકના અહેવાલનો સ્વીકાર કરી, રાજ્ય સરકારની રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી તાબડતોડ કરવાની મંશાને નકારી દે છે. એક તબક્કે રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ સુબ્બારાવ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકેના લેખકના અહેવાલનું પિષ્ટપેષણ કરી, અહેવાલને નકારવાનો પ્રયાસ કરે છે, ત્યારે જે.એમ. લિંગદોહ મુખ્ય સચિવને ધમકાવતાં પ્રશ્ન કરે છે કે ‘શું આપ અધિક-પોલીસ મહાનિર્દેશક (ગુપ્ત બાબતો) શ્રીકુમારના દુભાષિયા છો ?’ શું તેમને અનુવાદકની જરૂર છે?’ ‘દુષ્પ્રચાર પર સત્યનો વિજય’ શીર્ષક હેઠળના પ્રકરણ-૪માં રાજ્ય સરકારના દુષ્પ્રચાર સામે કાર્યનિષ્ઠ અને સત્યપથના પ્રવાસી એવા લેખકનો વિજય થાય છે, અથથી ઇતિ અહીં વાંચવા-સમજવા મળે છે.

સત્યના પક્ષે રહેનાર અધિકારી એવા લેખકને સરકારની ખફગીનો ડગલે ને પગલે ભોગ બનવું પડે છે. અને સરકાર સામે કાનૂની સંઘર્ષમાં ઊતરવું પડે છે. આમ છતાં શ્રીકુમાર કહે છે કે ‘જ્યારે સરકારે મને હેરાન કરવામાં પાછીપાની કરીને જોયું નથી, ત્યારે મેં ક્યારે ય એવી લાગણી અનુભવી નથી કે હું સમાજથી વિખૂટો પડી ગયો છું. એની સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે સમાજના ઉચ્ચ વર્ગો તરફથી ક્યારે ય પણ મોદીસરકારની વિરુદ્ધના મારા વલણનું સમર્થન કરવામાં આવ્યું હોય!’ પ્રકરણ-૫નો મુખ્ય મુદ્દો ઘણાં બધાં ઉત્પીડન અને કાનૂની સંઘર્ષની ભીતરનો આ છે.

પ્રકરણ-૬ ‘ન્યાયપંચની ઉદાસીનતા’માં લેખકે સરકારે ૨૦૦૨નાં તોફાનો સંબંધે નિયુક્ત કરેલાં ન્યાયપંચોની ઉદાસીનતા કહો કે દોંગાઈને ખુલ્લી પાડી છે. જસ્ટિસ નાણાવટીપંચ સમક્ષ લેખકે ઉચ્ચ અધિકારી તરીકે રજૂ કરેલા અહેવાલો, સોગંદનામાની સાથાસોથ સરકારપક્ષેથી ઉચ્ચાધિકારીઓ તરફથી રજૂ થયેલ સોગંધનામાઓમાં સત્યથી વેગળી બાબતોની રજૂઆતો-વગેરેની વાચકની આંખ ઉઘાડી નાખે એવી હકીકતો આ પ્રકરણમાં વાંચવા મળે છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે જે સુપ્રીમ કોર્ટના આદેશો બાદ રચવામાં આવેલી, તેની કામગીરી કયા પ્રકારની હતી, તેની તપસીલ ‘સત્ય પર ઢાંકપિછોડો કરવાની પેરવી’માં લેખકે રજૂ કરી છે. ક્યારેક એવું લાગે કે ખાસ તપાસદળે સત્યાન્વેષણની કાર્યવાહી કરવાની છે કે પછી રાજ્ય સરકારની આડોડાઈનો બચાવ કરવાનો છે? એસ.આઈ.ટી.ના વડા ડૉ. રાઘવન ગુજરાતના સામૂહિક હત્યાકાંડ માટે જવાબદાર લોકોને આ ષડ્‌યંત્રમાંથી મુક્તિ અને નિર્દોષ હોવાનાં પ્રમાણપત્ર આપવામાં આજ સુધી સફળ રહ્યા છે.’ આ વિધાન વાંચ્યા પછી વાચકે આપમેળે નિષ્કર્ષ પર આવવાનું રહે છે!

લઘુમતી કોમ પ્રત્યેના પૂર્વગ્રહને કારણે તથા ભા.જ.પ. અને તેની ભગિની સંસ્થાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે કારણે તત્કાલીન મુખ્યમંત્રીથી માંડી રાજ્યના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજતા મુખ્યસચિવ તરફથી જેનો અમલ કાયદેસર થઈ શકે નહીં, તેવા આદેશોનું પાલન નહીં કરવા માટે લેખક એક ઉચ્ચાધિકારી તરીકે માનવ-અધિકારના હિમાયતી તરીકે અડગ અને અડીખમ રહ્યા, એ ફરજપરસ્તી અને કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ‘આદેશોના અવગણના પ્રકરણમાં સમયાંતરે સરકાર તરફથી થતી પેરવીઓને નિષ્ફળ બનાવવામાં, નિયમાનુસાર કાર્યવાહી કરવામાં પડતી અડચણોની પરવા કર્યા વિના ફરજનિષ્ઠ અધિકારી તરીકે માનવતાના પ્રહરી બની રહેવાની લેખકની ધખના કેન્દ્રસ્થાને રહેલી છે.

સંક્ષિપ્તમાં કહીએ તો ૨૦૦૨માં રમખાણોની ભીતરમાં રાજ્ય સરકાર અને શાસકોની લઘુમતી કોમ પ્રત્યેની મંશાને પાર પાડવા સારું કયા-કયા પ્રકારના માનવતાવિરોધી હથકંડા અપનાવવામાં આવ્યા, તેનો આબેહૂબ ચિતાર ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ સ્વરૂપે હિંમતપૂર્વક લેખક તરફથી આલેખવામાં આવ્યો છે, તેની સજ્જડ પ્રતીતિ પુસ્તકના પાને-પાને અનુભવવા મળે છે. આ પુસ્તક પ્રગટ નહોતું થયું અને લેખકનો પરિચય પણ નહોતો થયો, એ પૂર્વે ફરજના ભાગ રૂપે ૨૦૦૨ની ઘટનાની હકીકત  જાણવાની તાલાવેલી સાથે સચિવશ્રી કક્ષાની તત્કાલીન અધિકારી કે જેઓ પુસ્તકપ્રેમી હોવા ઉપરાંત સૌજન્યશીલ સ્વભાવ ધરાવતા હતા – તેઓને મેં પ્રશ્ન પૂછ્યો કે, ‘૨૦૦૨માંના ગુજરાતના બનાવો સમયે આપ ગૃહવિભાગમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા, તેમ છતાં આપની નિગેહબાની પોલીસતંત્ર રાજ્યમાં શાંતિ સ્થાપવામાં કેમ નિષ્ફળ નીવડ્યું?’ એ અધિકારીનો જવાબ ડિપ્લોમેટિક હતો, ‘આ બાબતે હું કશું કહી શકું નહીં.’ મારી આગળ મૌન રહ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

આટલી નાનકડી વ્યક્તિગત કેફિયતને બાજુ પર મૂકીએ તો ‘નિરીક્ષક’ વિચારપત્રના તંત્રી, વિચારક અને કર્મશીલ પ્રકાશ ન. શાહે ‘સાચના સિપાહીની સોબતમાં’ – એ શીર્ષક હેઠળ જે પ્રસ્તાવના લખી છે, તેમાં આખાયે પુસ્તકનો સાર અને નિર્ભય પોલીસ અધિકારીની છબી સુવાંગપણે નીપજી આવે છે. આશ્ચર્યની બાબત એ છે કે ગુજરાતમાં ૨૦૦૨માં રમખાણો વખતે માનવતાના પ્રહરી બની રહેનાર આ લેખકની રાજ્યબહાર અને દેશબહાર પુરસ્કાર અને સન્માનથી કદર થઈ છે, પણ ઘરઆંગણે ‘ઘરકી મૂર્ગી દાલ બરાબર’ જેવી સ્થિતિ છે.

‘સતનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ – એ પ્રચલિત પંક્તિ સાથે શ્રીકુમાર સાહેબને સલામ અને મારી કલમને વિરામ!

પ્લૉટ ૬૫૨/૨, સિદ્ધા ર્થપાર્ક, સેક્ટર ૮, ગાંધીનગર-૩૮૨ ૦૦૭

————————————-

આ પુસ્તક ક્રૉસવર્ડ બુકસ્ટૉલ, એસ.જી. રોડ, અમદાવાદ તથા સેક્યુલર લોકશાહી આંદોલન, નર્મદ-મેઘાણી લાઇબ્રેરી, નટરાજ રેલવે-ક્રૉસિંગ, મીઠાખળી, અમદાવાદ પાસેથી પ્રાપ્ત થઈ શકશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 08-10

Loading

16 September 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 11
‘સ્ટૅચ્યૂ ઑફ યુનિટી’ મુલાકાત →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved