Opinion Magazine
Number of visits: 9449493
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાગલ ફિલસૂફ નિત્શે

સુમન શાહ|Opinion - Opinion|29 November 2019

આ લેખ-શ્રેણીમાં ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ નિત્શેની 'વિલ ટુ પાવર' – ‘સત્તૈષણા' – વિભાવના વિશેનો એક મણકો રજૂ કરેલો. ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ એમની 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' વિભાવના વિશેનો મણકો રજૂ કરેલો. આજે નિત્શેકૃત “જરથુષ્ટ્ર ઍણી પૅરે બોલ્યા” વિશે તેમ જ એમની 'ઓવરમૅન'ની વિભાવના વિશેનો એક ઑર મણકો રજૂ કરું છું :

=== જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસનેય ઉછેરી શકે ===

જાણીતું છે કે જગવિખ્યાત ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ ફ્રૅડ્રિક નિત્શેએ એક ફિલોસૉફિકલ નૉવેલ લખેલી – ચિન્તનપ્રવણ નવલકથા, “Thus Spoke Zarathustra”. એને એમણે “A Book for All and None” કહી છે. હું એ સર્વ-જન અને ન-કોઇને માટેની નવલકથાને “ઍણી પૅરે બોલ્યા જરથુષ્ટ્ર” શીર્ષકથી ઓળખાવું છું. આમાં નવલકથા કેટલી, ચિન્તન કેટલું એની ચિન્તા ન કરવી. કેમ કે નિત્શેએ પણ એવી કશી ભાંજગડ નથી કરી.

સમગ્રમાં ત્રણ વાતો વણાઈને ખૂલી છે ને પછી વિસ્તરી છે : eternal recurrence of the same, એ – ને – એનું અન્તહીન પુનરાવર્તન : death of God. ઈશ્વરનું મૃત્યુ – એ રીતે જાણીતી થયેલી નિત્શેકૃત બોધકથા : અને, Overman અથવા Superman – એ નામે જાણીતી થયેલી એમની એક આગવી વિભાવના. આ ત્રણેય વાતો એમના અન્ય ગ્રન્થોમાં પણ ચર્ચાઈ છે.

હું સતત 'ઓવરમૅન' કહીશ કેમ કે 'સુપરમૅન' એટલે પેલો કૉમિક બુકવાળો – એવું ભળતું સમજી લેવાની ભૂલ થાય, થાય જ. લેખન દરમ્યાન કદાચ ક્રમે ક્રમે એનો ગુજરાતી પર્યાય પણ મળી આવશે.

ચાર ભાગમાં લખાયેલી આ કૃતિ 1883-થી 1885-માં સમ્પન્ન થયેલી અને 1883-થી 1891 દરમ્યાન પ્રગટ થયેલી. નિત્શેનો સમય છે, 1844 – 1900. ૫૬ વર્ષનું આયુષ્ય.

નિત્શેનો ઓવરમૅન :

જરથુષ્ટ્રને નવલનું મુખ્ય પાત્ર કહેવાયું છે. જરથુષ્ટ્ર ૩૦ વર્ષની ઉમ્મરે એકાન્તમાં ચાલી ગયા હોય છે. પર્વતની ગુફામાં આત્માને અને એકાન્તને માણતા હોય છે. ૧૦ વર્ષ વીતી જાય છે. એમને થાય છે – હવે મારે લોકોની વચ્ચે જવું જોઈએ. એમને મારે મારા ભર્યાભર્યા ડહાપણના સહભાગી બનાવવા જોઈએ. સાથે એમને મારે એ પણ દર્શાવવું જોઈએ કે ઓવરમૅન કેવો હોય.

લોક કને પ્હૉંચી જવા જરથુષ્ટ્ર અસ્ત પામતા સૂર્યની માફક પર્વત પરથી ‘છેક નીચે’ ઊતરતા જાય છે. રસ્તામાં એમને એક વૃદ્ધ વનવાસી સન્તનો ભેટો થાય છે. સન્ત જરથુષ્ટ્રને કહે છે કે – નીચે તો માણસોને એવા સહાયકની જરૂર છે જે એમનો જીવનબોજ હળવો કરી આપે. મેં એમને ઘણી બક્ષિશો આપી પણ એમને માફક ન આવી. એમને તો ભિક્ષા કે દાનદક્ષિણા ખપે છે. સન્ત કહે – હું માણસોને બહુ ચાહતો’તો પણ એમની મર્યાદાઓ જોઈને થાકી ગયો. હવે માત્ર ગૉડને, ઈશ્વરને, ચાહું છું.

સન્તથી છૂટા પડ્યા બાદ જરથુષ્ટ્રને થાય છે, આ ડોસાજીને સમાચાર મળ્યા નથી કે, ગૉડ ઇઝ ડેડ – ઈશ્વરનું તો મૃત્યુ થયું છે …

અવતરણ : ભાવાનુવાદ:

નિત્શે કહે છે : મૃત્યુ પામ્યા છે સર્વ ઈશ્વરો. જીવવાને હવે ઓવરમૅનની જરૂરત છે આપણને …

મોટ્રિલ કાઉ નામના ગામમાં જઈને જરથુષ્ટ્ર ઘોષણા કરે છે કે પૃથ્વીનો કશો પણ અર્થ હોય, તો તે છે ઓવરમૅન. માણસ તો પશુ અને ઓવરમૅન વચ્ચેનું દોરડું છે. એને હટાવવું જરૂરી છે. માનવસમાજે ઘડેલી નીતિમત્તા અને સર્વ ગ્રહો – પૂર્વગ્રહોથી મુક્ત જણ ઓવરમૅન છે. એ જણ પોતે જ પોતાના હેતુ રચે છે અને મૂલ્ય પણ આગવાં ઘડે છે.

એમણે કહ્યું – આગળનો માર્ગ ભયાનક છે પણ પરલોકની – સ્વર્ગની – લાલસાને કારણે એને છોડી ન દેવાય. લોકને કહ્યું કે – તમે આ જગતને અને આ જીવનને વફાદાર રહો. કહ્યું કે – તમારી જે નરી સાંસારિક સુખાકારી છે તેને ધિક્કારો. તર્કબુદ્ધિ ગુણવત્તાઓ ન્યાય અને દયાળુતાનો પણ તુચ્છકાર કરો. એથી ઓવરમેનનો માર્ગ મૉકળો થઈ જશે અને એ જ આ પૃથ્વીનો મહા અર્થ લેખાશે.

જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસને ય ઉછેરી શકે. જો કે છેલ્લા માણસો ય એવા જ હશે, ટોળામાંનાં પ્રાણીઓ. એ લોકો પણ સામાન્ય પ્રકારની મજાઓમાં અને વામણાઈમાં જ રાચતા હશે. દુનિયાની કોઈપણ વસ્તુ એઓને અતિશય કે ભયાનક લાગતી હશે.

જરથુષ્ટ્રને આવું બધું બોલતા ભાળીને લોકો હસવા માંડ્યા. કેમ કે લોક એટલે પ્રાણીઓનું ટોળું.

લોકોને ન તો જરથુષ્ટ્ર સમજાયા, ન તો એમને એમના ઓવરમૅનમાં રસ પડ્યો. એક માણસ અપવાદ હતો. નટદોર પર ચાલતો’તો. ચાલતાં ચાલતાં પડી ગયેલો. પણ પછી મરી ગયેલો. ત્યારે માર્કેટમાં ભેગા થઈ ગયેલા herdને – લોકટોળાને – જરથુષ્ટ્ર ખસેડી શકતા નથી. પોતાની એવી કમજોરીની વાતે દિલગીર થઈ જાય છે.

જરથુષ્ટ્રના પહેલા દિવસની સાંજ એમ જ પસાર થઈ ગઈ. સંકલ્પ કર્યો કે – હું ટોળાંઓને બદલવાની કોશિશ નહીં કરું. પણ એમાંથી જાતે રસપૂર્વક નીકળીને જે-જે વ્યક્તિઓ બહાર આવશે એમની જોડે બોલીશ, વાતો કરીશ.

(‘ઓવરમૅન’ વિશે વધુ હવે પછી)

= = =

(27 Nov 2019 : USA)

Loading

29 November 2019 admin
← ડિસેમ્બર ૧૯૯૨, ડિસેમ્બર ૨૦૧૯
નવજીવનનો વિકાસ ને ધર્મ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved