Opinion Magazine
Number of visits: 9449242
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઓપિનિયન’નો ત્રિવેણીસંગમ : ડાહ્યાભાઈ મિસ્ત્રી

'અદમ' ટંકારવી|Diaspora - Reviews|11 August 2021

‘એક ગુજરાતી દેશ અનેક’ ડાહ્યાભાઈ મિસ્ત્રીના ‘ઓપિનિયન’ વિચારપત્રમાં પ્રકાશિત લેખોનો સંચય છે. સંપાદન કેતન રુપેરાએ કર્યું છે.

પુસ્તકનાં 332 પૃષ્ઠોમાંથી પસાર થતાં પ્રતીતિ થાય છે કે, ડાહ્યાભાઈનો ‘ઓપિનિયન’ સાથેનો ત્રિવિધ નાતો હતો. જયન્ત પંડ્યાના ડાહ્યાભાઈ વિશેના પરિચયલેખમાં આ કથનને પુષ્ટિ મળે છે. જયન્તભાઈ કહે છે, ‘ઓપિનિયન માસિકમાં એમની હાજરી લેખક, વાચક, વિવેચક એમ ભિન્ન ભિન્ન રૂપે વરતાય છે.’ અહીં સંચયિત લેખોમાં ડાહ્યાભાઈનાં આ ત્રણેય રૂપો પ્રકટ થાય છે.

‘વૉરેશસ્‌’ વાચક તરીકે ડાહ્યાભાઈ પાસેથી ‘પૂર્વ આફ્રિકાનું હિંદવી પત્રકારત્વ’ વિશે માહિતીપ્રચુર લેખ મળે છે. એ જ રીતે તેઓ બ્રિટનના ગુજરાતી પત્રકારત્વના ત્રણેક દાયકાનું ‘સાગમટે સિંહાવલોકન’ કરે છે. બ્રિટનનાં ગુજરાતી સમાચારપત્રો, સામયિકો વિશેના તારતમ્યમાં કહે છે, ‘આ સાપ્તાહિકો એક મોટો વાચક વર્ગ ઊભો કરવામાં નિષ્ફળ ગયાં છે.’ આમાં અપવાદરૂપે આ લેખ લખાયો તેના બે વરસ અગાઉ શરૂ થયેલ ‘ઓપિનિયન’ વિશે કહે છે કે, ‘આ વિચારપત્રે સારું કાઠું કાઢ્યું છે.’ પત્રકારત્વના એક કર્તવ્ય અંગે એમણે નોંધ્યું કે, ‘વાચકો જન્મતા નથી; એ તૈયાર કરવાના હોય છે.’ સજગ વાચક તરીકે ‘ઓપિનિયન’ના ત્રીજા અંક(જૂન 1995)ના અગ્રલેખના પ્રતિભાવરૂપે લેખ આપ્યો, ‘ન મળ્યો કોઈ ગુજરાતી ને !’ આમ, 1995માં ‘ઓપિનિયને’ જે ચાનક ચઢાવી તે ઠેઠ 2017 સુધી અવિરત રહી, અને એના પરિપાક રૂપે મળે છે આ પુસ્તક. વાચક તરીકે ડાહ્યાભાઈ ‘કેઝુઅલ – ઉભડક નહીં. જયન્તભાઈ કહે છે કે, વાંચેલું ‘ગમ્યું હોય અથવા માહિતી આપનારું હોય તેનું કતરણ’ રાખે. પછી એનું વિવરણ ચાલ્યા કરે. જયન્તભાઈએ ડાહ્યાભાઈને ‘જ્ઞાનપિપાસુ’નું બિરુદ આપ્યું તે ઉચિત છે. આ સંચયનાં લખાણોમાં લેખક એ સંચિત જ્ઞાનની વાચકોને લહાણી કરે છે.

‘ઓપિનિયન’માં ડાહ્યાભાઈની બીજી હાજરી તે લેખક તરીકેની. આ લખાણોમાં ડાહ્યાભાઈની અભ્યાસી લેખક તરીકેની મુદ્રા પ્રકટે છે. લેખ વાંચતાં જે તે વિષયમાં એમના અવગાહનનો ખ્યાલ આવે છે. માહિતી પાકી, આંકડાઓમાં ચોક્સાઈ, સંદર્ભો અઘિકૃત. મૂળ લખાણનાં અવતરણો પણ પુષ્કળ. કેતન રુપેરા નોંધે છે કે, લખાણોમાં ‘અંગ્રેજી અવતરણોની માત્ર એટલી મોટી છે કે અડધાં ઉપરાંતનાં પાનાં’ એનાથી દીપી રહ્યાં છે. આ અવતરણો લટકણિયાં નથી, પ્રસ્થાપિત અને પ્રસ્તુત છે.

‘ઓપિનિયન’માં ડાહ્યાભાઈએ સાતત્યપૂર્વક જે લેખો લખ્યા તેને કેતન રુપેરા ‘લેખનયાત્રા’ કહે છે. આ લેખોનું વિષયવૈવિધ્ય નોંધપાત્ર છે, અને વિસ્મયજનક પણ. આ આશ્ચર્ય કેતનભાઈ OMGના ઉદ્દગારથી વ્યક્ત કરે છે, અને ઉમેરે છે, ‘શું રૅન્જ છે આ માણસની’ પછી આશ્ચર્યવિરામ ! સુજ્ઞ વાચકને આનો ખ્યાલ તો અનુક્રમણિકા અને લેખોના વિભાગો જોતાં વેંત આવી જશે. જયન્ત પંડ્યા આના પર મત્તું મારતાં કહે છે : ‘સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ બધામાં એમની ચાંચ ડૂબે.’ ડાહ્યાભાઈનાં લખાણોમાં જે તે વિષયની તલસ્પર્શી, તાત્ત્વિક ચર્ચા સરળ, સહજ શૈલીમાં થાય છે. નખશિખ ગુજરાતી ફાતિમા મીર માટે એ ‘સાંગોપાંગ ગુજરાતી’ શબ્દ પ્રયોજે છે.

‘ઓપિનિયન’ વિચારપત્ર અને ડાહ્યાભાઈ વિચારક − ચિંતનશીલ. એટલે ‘મેડ ફૉર ઈચ અધર’ જેવો ઘાટ. ડાહ્યાભાઈ માત્ર વિચારક નહીં, વિચારપ્રેરક પણ ખરા. લેખમાં મુદ્દો પ્રસ્તુત કરે, માહિતી આપે, છણાવટ કરે, પોતાનું દૃષ્ટિબિંદુ જણાવે અને પછી આગળ વિચારવા વાચકને વિવશ કરે. ઘટનાનું વિવરણ ચાલતું રહે એ જ એમની નેમ.

માત્ર વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જ નહીં, વિશ્વની અને માનવજાતની ભવિષ્યમાં શી વલે થઈ શકે તે વિશે વિચારવા પણ વાચકને પ્રેરે. ડાહ્યાભાઈની યુવાન દીકરી દીપિકા વહીવટીતંત્રમાં કામ કરતાં કરતાં જાતે જ યુદ્ધગ્રસ્ત બૉસ્નિયામાં પોતાની ભરતી કરી ત્યાં જાય છે. યુદ્ધના કારણે થતો નરસંહાર અને તારાજી જુએ છે, રડે છે, અને પિતાને પત્ર લખે છે કે, ‘આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી.’ પ્રત્યેક સંવેદનશીલ માતાપિતાની આ આંતરવ્યથા છે. આપણે જગતને માનવ માટે ગરિમા સાથે વસવા યોગ્ય − liveable રહેવા દીધું છે ખરું ? આવતીકાલે જે બાળકને આ જગતમાં જીવવાનું છે તેને આપણે કેવું જગત વારસામાં આપી જવાના છીએ ? આ હૃદયવિદારક પ્રશ્ન સંવેદનશીલ સર્જકો પૂછતા રહે છે. આવા નિષ્ઠુર જગતમાં ઊછરી રહેલ પુત્રને રમેશ પારેખ પૂછે છે :

બૉમ્બ વાવ્યા છે એણે તારા કૂણા મસ્તકમાં
હવે હવે ઉજ્જડ છે એ ધરતી, તું એમાં શું વાવીશ?

તું છે જિદ્દી, તો છે મુમકિન કે તું કાલે માગીશ
તો નવી દુનિયા, મારા પુત્ર, હું ક્યાંથી લાવીશ?

હાંજા ગગડાવી દે એવા આ પ્રશ્નો છે. આ વ્યથા વ્યક્ત કરતાં રાજેશ રેડ્ડી કહે છે :

મેરે દિલ કે કિસી કોનેમેં ઈક માસૂમ સા બચ્ચા
બડોં કી દેખકર દુનિયા બડા હોને સે ડરતા હૈ

આપણને વિચારતા કરી મૂકે એ આ પુસ્તકની ઉપલબ્ધિ. આવું સંતપર્ક વાચન આપણા સુધી પહોંચે એનું શ્રેય ત્રણ જણને : લેખક ડાહ્યાભાઈ મિસ્ત્રીને, પરામર્શક વિપુલ કલ્યાણીને અને સંપાદક / પ્રકાશક કેતન રુપેરાને.

200, Halliwell Road, BOLTON, Lancs., BL1 3QJ

Loading

11 August 2021 admin
← ગાંધી આશ્રમ પર થતો સરકારી કબજો અટકાવો
ન્યાય તોળનારા જ ન હોય તો કોની પાસે ન્યાય માંગશો? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved