Opinion Magazine
Number of visits: 9546074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વન નેશન, વન ઇલેક્શન’…નો હેતુ ‘વન નેશન, વન સિલેક્શન’નો તો નથીને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 September 2023

રવીન્દ્ર પારેખ

થોડે થોડે વખતે ‘વન નેશન …’ને લગતાં સૂત્રો આ દેશ, આદેશની રીતે આપતો રહે છે. જેમ કે, ‘વન નેશન, વન રેશનકાર્ડ’, ‘વન નેશન, વન પેન્શન’, ‘વન નેશન, વન લૉ’, ‘વન નેશન, વન ટેક્સ’, ‘વન નેશન, વન કોનસ્ટિટ્યુશન’… જેવાં અનેક સૂત્રો ટોચથી તળિયાં સુધી વહેતાં રહે છે, એમાં કેટલાંક જ અમલમાં આવે છે. એનો ઇરાદો તો સારો જ હોય છે, પણ મોટે ભાગનાં સૂત્રો પ્રચારને લગતાં કે ધાક જમાવવા કે છાપ પાડવા આવે છે ને તે ભાગ્યે જ વ્યવહારુ હોય છે. એમાં ભક્ત મંડળી તો સંકીર્તન કરતી રહે છે, પણ જે સમજે છે એને ‘વન નેશન, વન ટેન્શન’ ન રહેતાં, ટેન્શન અનેકગણાં વધી જાય છે ને સમજુને અનુભૂતિ તો છેતરાયાની જ થાય છે. જ્યારે જી.એસ.ટી. લાગુ થયેલો ત્યારે એક જ ટેક્સ લાગુ થશે એવી જાહેરાતો મોટે ઉપાડે થયેલી, પણ અત્યારે એ એક ટેક્સ તો લાગુ થયો જ છે, ઉપરાંત, બીજા ટેક્સની અસરોમાંથી પણ આ દેશ મુક્ત થઈ શક્યો નથી, પરિણામે ચીજવસ્તુઓ તો મોંઘી થાય જ છે, પણ પેકિંગમાંથી માલમસાલો પણ ઘટતો આવે છે. બિસ્કિટ, તેલ જેવામાં વજન એકસ્ટ્રા પણ મળે છે, પણ સરવાળે તો અનુભવ છેતરાવામાં જ આવે છે. મોટા ઉપાડે સૂત્રોની જાહેરાતો થાય છે, પણ તે લાગુ થાય ત્યારે કે લાગુ ન થાય ત્યારે પણ, જે સમજે છે એને સરકારનો ઇરાદો પ્રમાણિક ઓછો જ લાગે છે. મોટે ભાગનાં સૂત્રો થોડા વખતમાં હવા થવા લાગે છે ને નવું સૂત્ર આવે ત્યારે આગલું સૂત્ર ભૂંસાવા પર હોય છે.

અત્યારે ‘વન નેશન, વન ઇલેશન’નું સૂત્ર વહેતું થયું છે ને તેની સારી એવી ચર્ચા પણ છે, પણ સરકાર તે લાગુ કરવામાં અને વિપક્ષ તે લાગુ ન કરવામાં ‘એડી ચોટીનું જોર’ લગાવે એમ બને. જો કે, તટસ્થતાથી જોનારને આ સૂત્ર વ્યવહારુ ઓછું જ લાગે છે. બધું ‘વન, વન’ કે ‘એક, એક’ કરવાની વાત આકર્ષક છે, પણ લાગે છે એવું કે ‘એક દેશ, એક પક્ષ’ના પ્રભાવને બદલે ‘વન નેશન, વન અપોઝિશન’વધુ પ્રભાવક જણાય છે. છેલ્લે મુંબઈ ખાતે મળેલી વિપક્ષોની બેઠકોએ તથા વિપક્ષી એકતાના પ્રયત્નોને કારણે ભા.જ.પ.ની સરકાર ચિંતામાં પડી છે અને અજંપાને કારણે રોજ જ કૈં ને કૈં ગતકડું કરતી રહે છે. એમાંનું એક તે ‘વન નેશન, વન ઇલેશન’ છે. એને માટે સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. એમાં જે અન્ય કાર્યો થવાનાં છે તેમાંનું એક ‘વન નેશન, વન ઇલેશન’ છે. એ કઇ હદે શક્ય છે એની શક્યતા તપાસવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કાઁગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સહિત સાત સન્માનનીય સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રના કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ પણ એમાં ખાસ નિમંત્રિત છે. આ સમિતિ જુદા જુદા પક્ષોથી માંડીને સામાન્ય જનતાનો આ અંગે અભિપ્રાય મેળવશે. એ પછી એક ડ્રાફ્ટ, સમિતિ તૈયાર કરશે અને એનો પછી કાયદો ઘડવા સરકાર સંસદમાં બિલ લાવશે. જો કે, અધીર રંજને આ સમિતિમાં રહેવા બાબતે અસંમતિ દર્શાવી છે તે પણ સૂચક છે.

‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે શું એવો પ્રશ્ન ઘણાંને છે, પણ એનો સાદો અર્થ એ છે કે ચૂંટણીઓ દર પાંચ વર્ષે જ થશે, એ પહેલાં નહીં થાય. આ સૂત્ર પોકારવા પાછળનો સરકારનો મુખ્ય તર્ક ખર્ચ બચાવવાનો છે ને એમાં ઘણું તથ્ય પણ છે. એ ય ખરું કે દેશમાં ક્યાંકને ક્યાંક તો ચૂંટણી ચાલ્યા જ કરતી હોય છે. વડા પ્રધાન પોતે ‘વન નેશન, વન ઇલેક્શન’ની હિમાયત કરી ચૂક્યા છે ને ખર્ચ બચાવવાની વાત તેમણે પણ કરી છે. લોકસભાની પહેલી ચૂંટણી 1951-‘52માં યોજાયેલી ત્યારે 11 કરોડનો ખર્ચ થયેલો, જ્યારે 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીનો ખર્ચ 60 હજાર કરોડ થયેલો. સરકારનું માનવું છે કે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો ઘણો સમય અને ખર્ચ બચે. એ રકમ અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાય, વિકાસનાં કામો પર વધુ ધ્યાન આપી શકાય. એ પણ ખરું કે જુદે જુદે સમયે ચૂંટણી આવતાં, આચારસંહિતા પણ અલગ અલગ સમયે લાગુ થાય છે, એટલે પણ ઘણાં કાર્યો અટકી પડે છે. બીજું, ઇલેક્શન જાહેર થતાં જે તે પ્રદેશમાં બહારના અધિકારીઓની નિમણૂક થાય છે, એટલે એ જ્યાંથી આવે છે, તે વિસ્તારનાં કામો પણ ખોરંભે ચડે છે. જો કે, ખર્ચ બચાવવા સરકાર ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રયત્ન કરે એ ગળે એટલે ઊતરે એમ નથી, કારણ સરકાર પોતે જ જો એકનાં એક મોઢાં બતાવતી જાહેરખબરો બંધ કરે તો પણ વર્ષે અબજો રૂપિયા બચે એમ છે, પણ એનું બજેટ ઘટતું નથી. એ સ્થિતિમાં ખર્ચ બચાવવાની વાત મશ્કરી જેવી લાગે છે. એની સામે વિપક્ષો ભાગ્યે જ ‘વન નેશન, વન ઇલેશન’ માટે તૈયાર થાય એ પણ ખરું.

ઇલેક્શનની આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો એક જ પક્ષને 77 ટકા મત મળે એવું એક તારણ છે. જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે 6 મહિનાનું અંતર રાખવામાં આવે તો 77 ટકાને બદલે 61 ટકા મત એક જ પક્ષમાં પડે. એ જ રીતે જો બે ચૂંટણીઓ વચ્ચેનું અંતર વધે તો એક જ પક્ષમાં મત પડવાની ટકાવારી ઘટતી આવે. આ વાત ભા.જ.પ.ની કેન્દ્ર સરકાર ન વિચારે એવું તો બને નહીં. જો વિપક્ષો આ ગણિત સમજે તો તે એકસાથે ચૂંટણીઓ કરાવવા ભાગ્યે જ તૈયાર થાય. નિયમોમાં ફેરફાર કરીને લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવી તો શકાય, પણ તે લોકતંત્રની વિરુદ્ધ હશે એવો મત વિપક્ષોનો છે. કોઈક સંજોગોમાં કોઈ પક્ષનો બહુમત ખતમ થઈ જાય તો ત્યાં પાંચ વર્ષ પહેલાં પણ ચૂંટણી યોજી શકાય, પણ ‘વન નેશન, વન ઇલેક્શન’ લાગુ થાય તો એમ કરવાનું શક્ય ન રહે. બીજું, એક તબક્કે કેન્દ્ર સરકારે લોકસભા અને હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણીઓ સાથે કરાવવાની કોશિશો કરેલી, પણ એ રાજ્યોમાં ભા.જ.પ.ની સરકાર હતી, છતાં કોઈ રાજ્ય સમય પહેલાં પોતાની વિધાનસભા ભંગ કરવા તૈયાર ન હતું. જો આમ વિધાનસભા ભંગ થાય ને નવી ચૂંટણી આવી પડે તો જે નવો ખર્ચ આવી પડે તે, ખર્ચ બચાવવાની વાતનો છેદ ઉરાડે. બંધારણમાં ફેરફાર થાય તો 2024માં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવી તો શકાય, પણ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, ગોવા, જેવાં રાજ્યોમાં મુદ્દતથી ઘણી વહેલી, સરકારો બરખાસ્ત કરવી પડે અને કરેલો ખર્ચ ફરી કરવા જેવું જ થાય. લોકસભાની 543 અને વિધાનસભાની 4,126 બેઠકો માટે ચૂંટણીઓ યોજવાની થાય. એમાં ઘણી વિધાનસભા આવતે વર્ષે મુદ્દત પૂરી કરવાની હોય તો તેને પણ ભંગ કરવી પડે. જે ખર્ચ પાછળથી કરવાનો છે તે વહેલો આવી પડે. તો, કેટલીકનો કાર્યકાળ લંબાવવો પણ પડે. કેટલાંક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું પડે, જે સામાન્ય સંજોગોમાં જરૂરી ન ગણાય. જ્યાં હમણાં જ સરકારો બની હોય, જે ભા.જ.પ.ની હોય તો પણ, તરત જ વિદાય થવા તૈયાર નહીં થાય. આવો આફરો વડા પ્રધાનને અનેક રીતે ને અનેક પ્રસંગે વારંવાર ચડે છે, એમાં કોઈકને કોઈક રીતે પ્રજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો હેતુ મુખ્યત્વે હોય છે, એ સિવાય બીજી વાતો ગૌણ ગણવાની રહે.

ખર્ચ બચાવવાની વાત કહીને મધ્યમવર્ગીય લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકાય એવું લાગતાં વડા પ્રધાને ખર્ચનો મુદ્દો આગળ કર્યો, પણ જે સંજોગો ઊભા થાય એમાં ખર્ચ કેટલો બચે તે વિચારવાનું રહે. 2019ની લોકસભા વખતે 91 કરોડ મતદાતાઓ હતા, જે હવે 101 કરોડ જેટલા હશે. આટલા મતદારો માટે એક સાથે ચૂંટણીની વ્યવસ્થાઓ કરવાનું કેટલું શક્ય છે તેનો પણ વિચાર કરવો પડે. હવે જો ભા.જ.પ.માં જ આ મુદ્દે મતભેદ હોય તો વિપક્ષો એક સાથે ચૂંટણી યોજવા સંમત થાય એવી શક્યતાઓ ઓછી જ રહે.

આમ તો એકસાથે ચૂંટણીઓ યોજવાની વાત 1983થી ચાલે છે. એ પછી 1999માં કાયદાપંચે વળી આ વિચાર વહેતો મૂકેલો, 2015ની સંસદની સ્થાયી સમિતિને પણ આ વિચાર ગમેલો ને 2018માં કાયદાપંચે લોકોનો અભિપ્રાય પણ માંગેલો, પણ સર્વસંમતિના અભાવમાં વાત આગળ ગઈ નથી. એક વાત બહુ સ્પષ્ટ છે કે એક સાથે ચૂંટણી યોજવાનો વિચાર હાલની કેન્દ્ર સરકારને આવ્યો છે, તે પણ વિપક્ષો એક થઈ રહ્યા હોય ત્યારે, તો તે વિપક્ષોના હિતમાં વિચારે એવું તો કેમ બને? ભા.જ.પ. સરકાર લાભ વિના લોટે નહીં ને એમાં વિપક્ષોએ લોટે જવું પડે તો તે અચૂક લોટે એમાં શંકા નહીં. વિપક્ષોએ જો સામનો કરવાનું નક્કી કર્યું જ હોય તો તેમને માટે આ છેલ્લી તક છે. અહીં વિપક્ષની ફેવરની કે શાસકોની ટીકાની કોઈ સ્વપ્ને ય કલ્પના ન કરે, કારણ ચિંતા અહીં લોકશાહીની છે અને એ જે પાણીએ ચડતી હોય એ પાણીએ ચડાવવાની જ વાત મુખ્ય છે, કારણ લોકશાહીને વિકલ્પે પણ, ભારતને તો લોકશાહી જ ખપે છે, એવું ખરું કે કેમ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2023

Loading

4 September 2023 Vipool Kalyani
← ગદ્યસ્વામીના પુન:પ્રકાશનનો આનંદોત્સવ 
શ્રાવણની વિવિધ મહેક →

Search by

Opinion

  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • કાન્તનું મંથન : ધર્મ, કવિતા અને સત્યની અનંત ખોજ
  • નફરત એ રાજકીય હિન્દુત્વનો શ્વાસ છે !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved