Opinion Magazine
Number of visits: 9447398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભવિષ્ય ઉજ્જવળ રાખવા ભૂતકાળ સાચવતું બ્રિટન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 August 2014

જેનો ઇતિહાસ મજબૂત નથી એની આવતીકાલ ઝળાહળાં ન હોઈ શકે એ સામ્રાજ્યવાદી વલણ ધરાવતા યુરોપિયનોએ બહુ પહેલાં જ સમજી લીધું. 

ઇંગ્લેન્ડના કેન્ટમાં આવેલું કેન્ટરબરી કથીડ્રલ જૂનામાં જૂનું ક્રીશ્ચ્યન ચર્ચ છે. એની ભવ્યતા શબ્દોમાં વર્ણવવી સહેલી નથી. સાંકડી, ચોખ્ખી ગલીઓમાંથી કથીડ્રલ તરફ આગળ વધીએ એ દરમિયાન કલ્પના પણ ન થઈ શકે સ્થાપત્યની કઈ ચમત્કૃિત જોવાની છે. બહારથી તેનું કદ આભા બનાવી દે, સમય સાથે સ્થાપત્યની શૈલી જે રીતે બદલાઈ એ દક્ષિણેથી જોતાં કળી શકાય છે, રોમનમાંથી ગોથિક શૈલીનું સ્થાપત્ય આબાદ રીતે ગોઠવાયું છે એ જોવાની મજા છે. જમણે ગોળાકાર કમાનો, કમાનોના સમૂહનાં બ્લાઇન્ડ આર્કેડ્ઝ અને કરકરી સપાટી છે જે રોમન સ્થાપત્યના નમૂના છે તો ડાબે ગોથિક શૈલીની ખૂબ ધારદાર કમાનો છે. વળી ચર્ચની છતના મધ્યભાગની ગોથિક નેવની રચના આ માળખાને જુદો જ ઓપ આપે છે. એક તરફ ઓર્ગન પ્લેયરના સ્વરો રેલાતા હોય સાથે સ્ટેઇન ગ્લાસીઝ પરની કલાકારીમાં દેખાતી કિંવદંતીઓ અને બાઇબલના પાત્રોના રંગ તમને કોઈ બીજી જ દુનિયામાં લઈ જાય છે. ધર્મમાં રહેલી શુદ્ધિની પરાકાષ્ઠા આ કથીડ્રલના માહોલમાં શ્વાસ લે છે. કોઇ બેન્ચ પર બેસી આ ઇમારતની ભવ્યતા નજરમાંથી સીધી હ્રદય સોંસરવી ઉતરી જાય એવી છે. માણસ હોવાની ક્ષુલ્લકતાનું ભાન થતા અહીં જરીકેય વાર નથી લાગતી. 597 એ.ડી.માં ખડા થયેલા કથીડ્રલ પર હુમલા પણ થયા અને ત્યાં આવેલી ડાયનેસ્ટીઝે પોતાને માફક આવે એ પ્રમાણે મૂળ ઇમારતમાં વધારા પણ કર્યા પણ આજે પણ ધર્મની પરાકાષ્ઠાના દ્રષ્ટાંતની માફક એ અડીખમ ઊભું છે. 1170માં અહીં સેઇન્ટ થોમસ બેકેટની હત્યા થઈ જે ચોસરની કેન્ટરબરી ટેલ્સનો ખાસ વિષય હતી, જેણે આ કથીડ્રલને સહેલાણીઓ માટેના અનેક આકર્ષણોમાંનું એક બનાવ્યું. 

ઇંગ્લેંન્ડની વાત જ નિરાળી છે, અહીં દરેક શહેરમાં ઇતિહાસ ધબકે છે. લંડનના વેસ્ટમિનીસ્ટર વિસ્તારમાં આવેલી પ્રાચીન ઇમારતનું સમારકામ થતું હતું તો ત્યાં આર્ટવર્ક્સવાળા ફસાડ્ઝ ઊભા કરી એ ભાગને ઢાંકી દેવાયા હતા. રસપ્રદ ગ્રાફિક્સ સાથે ત્યાં લખ્યું હતું, ‘સો પાસ્ટ કેન હેવ અ ફ્યુચર’.  વિશ્વના જોવા જેવા શહેરમાં ટોચના ગણાતા લંડનનું ટ્રફલગાર સ્ક્વેર હોય કે પિકાડેલી સર્કસ હોય કે પછી શોપિંગના મેગા સ્ટોર્સથી ધગધગતી ઓક્સફર્ડ સ્ટ્રીટ હોય બધા વિસ્તારોમાં ઇતિહાસ મઘમઘે છે. અહીં જેટલો ઇતિહાસ છે એનાથી અનેક ગણી એની જાળવણી છે.  ટાવર બ્રિજ વિસ્તારમાં બંધાઈ રહેલાં આધુનિક મકાનો આસપાસના કેસલ કે પાર્કમાં મુકાયેલા રોમન શિલ્પોને ઓવરપાવર નથી કરતા. આધુનિકીકરણથી લંડન જેવું શહેર બાકાત ન હોય તે સ્વભાવિક છે પણ કોંક્રિટ જંગલનો ઓળો શહેરના પ્રાચીન વારસાને ઢાંકી નથી દેતો, બલકે એની સાથે મેળ ખાય એ રીતે જ બધી કામગીરી કરવામાં આવે છે. આ પરિસ્થિતિ માત્ર લંડનમાં જ છે એમ નથી, પણ આસપાસના નાના ટાઉન્સમાં પણ હેરીટેજ પ્રત્યેનો અભિગમ કાબિલ-એ-તારીફ છે.

લંડનથી 118 માઇલ દૂર આવેલા બ્રિસ્ટોલ શહેરની તાસીર શૈક્ષણિક અને સાંસ્કૃિતક પાસામાં વણાયેલી છે.  1864માં ખુલ્લો મુકાયેલો ક્લિફ્ટન સસ્પેન્શન બ્રિજ, કથીડ્રલ, ટાઉન હોલ, લાઇબ્રેરીઝ, ફ્લોટિંગ હાર્બર જેવું કેટલું ય આ શહેરની ઓળખ છે. બેન્સ્કી જેવા અતિપ્રતિષ્ઠિત સ્ટ્રીટ આર્ટીસ્ટે બ્રિસ્ટોલથી શરૂઆત કરી હતી. આજે પણ બ્રિસ્ટોલની ગલીઓમાં ચાલતા માઇલ્ડ માઇલ્ડ વેસ્ટ અને ધ હેંગિંગ મેન જેવા ખૂબ જ પોપ્યુલર આર્ટવર્ક્સ નજરે ચઢે છે. યંગ જનરેશનના સહિયારા પ્રયાસથી ચાલતા કિનો કાફેની નજીકની સ્ટ્રીટમાં યંગ આર્ટિસ્ટને ગ્રાફિટી વોલ્સ પર પોતાનું આર્ટ વર્ક કરતાં જોવાની મજા જ જુદી છે. રાજા રામ મોહન રોયની નવ ફૂટ ઊંચી પ્રતિમા શહેરના ધમધમતા વિસ્તાર કોલેજ ગ્રીનમાં બ્રિસ્ટોલ કથીડ્રલની બહાર જ મુકાયેલી છે. નવાઈ લાગે એવી વાત છે પણ રાજા રોમ મોહન રોય 1833માં બ્રિસ્ટોલ પહોંચ્યા, માંડ એકાદ મહિના જેટલા સમયમાં એ ત્યાં ઘણાં અગ્રણીઓને મળ્યા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. ભારતમાં કોલકાતા સિવાય રાજા રામમોહન રોયના બાવલાં કે પ્રતિમાઓ શોધવા અઘરા પડે પણ બ્રિસ્ટોલના તેમના ટૂંકા નિવાસ છતાં અહીં શહેર આખામાં એમનાં પગલાં આજે આટલા વર્ષે પણ વર્તાય છે. અહીં તેમની એક જ પ્રતિમા નથી, કાઉન્સિલ હોલમાં તેમનું બસ્ટ છે. શહેરની બહાર જતાં બાથ શહેર જવાના રસ્તે રાજા રામ મોહન રોયનો ટોમ્બ પણ અહીં છે જેને વિલિયમ પ્રિન્સેપે 1843માં આકાર આપ્યો હતો.

તમે કલ્પી શકશો કે જે શહેરમાં એક પ્રગલભ્ભ ભારતીય નાગરિકની સ્મૃિતઓ આ હદે સચવાતી હોય ત્યાં એ શહેરમાં અને એ દેશમાં ઇતિહાસની મહત્તા કઈ હદ સુધી હશે. આ શહેરના મેયર આર્કિટેક્ટ છે અને શહેરના આર્કિટેક્ચરનું મૂળ સ્વરૂપ બદલાય નહીં અને છતાં નવા પરિમાણો તેમાં ઉમેરાય તે માટેની પહેલને દર્શાવતું વિસ્તૃત પ્રદર્શન પણ અહીં ચાલી રહ્યું હતું. આ પ્રદર્શનમાં શહેર અને ત્યાંના રહેવાસીઓ વચ્ચેનો સંવાદ સ્થાપિત કરવાની પ્રક્રિયા પર ફોકસ હતું. કયા એલિમેન્ટ શહેર ઘડી કાઢે છેના મુદ્દા પર આ પ્રદર્શન યોજાયું હતું. આવું કશું શું આપણા શહેરના મેયરો પાસેથી ઇચ્છી શકાય ખરું? બ્રિસ્ટોલથી પાછા લંડન ભણી જઈએ તો ખૂટે નહીં એટલું ભાથું છે. 

અહીં લોકોને પોતાના ઇતિહાસનો ગર્વ છે, વારસાને તેઓ ઘોળીને પી ગયા છે. અધધધ આર્ટ ગેલેરીઝ, વિશાળ મ્યુિઝયમ્સ, થેમ્સનો કાંઠો, ગ્લોબ થિયેટર, બિગ બેન, અંડર ગ્રાઉન્ડને મ્યુિઝકથી રણકાવતા કલાકારો, લંડન આઇમાંથી નજરે ચઢતો નજારો, સમરસેટ હાઉસમાં થતી ઇવેન્ટ્સ, બકિંગહામ પેલેસમાંથી છલકાતો રાજ વૈભવ, તોતિંગ શિપ્સ માટે ઉઘાડ બંધ થતો ટાવર બ્રિજ, સાઉથ બેંક્સ પર થતો ફેસ્ટિવલ ઓફ લવ, ઉત્સુક ટુરિસ્ટોનાં ધાડાં અને ડર્યા વગર તમારી સામે ચાલી આવતાં કબૂતરો બધું જ કોઈ પરીકથાથી ઓછું નથી. છતાં ય, આ એ શહેરની એ દેશની હકીકત છે. આ ઇતિહાસ, આ સમૃદ્ધ વારસા સાથે હાઇ હિલ્સ, શોર્ટ ડ્રેસિઝ, બ્લુ કલર્ડ હેર, આઇલાઇનરના ભપકામાં ચકળવકળ થતી આંખો, કોવેન્ટ ગાર્ડનનું માર્કેટ, ક્યારેક ક્યારેક રાહ જોવડાતી રૂપકડી ટ્યુબ્ઝ, સાયકલ પર સડસડાટ નીકળી જતા સાયકલસવારો, લાલચટક ડબલડેકર બસીઝ, રાતાં ટેલિફોન બુથ્સ, હેરી પોટરે ફેસમ કરી દીધેલી નાઇટ બસ અને કિંગક્રોસ સ્ટેશન બધું જ આપમેળે બંધબેસતું હોય એમ ગોઠવાઈ ગયું છે. કુદરતી સૌંદર્યને મામલે યુરોપિયન કન્ટ્રી સાઇડને કોઈ ન પહોંચી વળે. ડોવરની વ્હાઇટ ક્લિફ્સ હોય કે સ્કોટલેન્ડ હોય આ બધું જોતા ન ધરાઈએ એવાં સ્થળો છે. ડોવરની ક્લિફ્સ પર ઊભા ઊભા સામે કાંઠે દેખાતું ફ્રાંસ, ટેલ ઓફ ટૂ સિટીઝ જેવા સાહિત્ય સર્જનો અને ડોવર બિચ જેવી કવિતા યાદ કરાવી દે, એ ચોક્કસ.

આપણે ત્યાં ઘણીવાર મહેણું મારવામાં આવે છે કે અંગ્રેજો સોરી અને થેંક્યુ મુકતા ગયા પણ એ મેનર્સ ત્યાં ડગલેને પગલે જોવા મળે ત્યારે સમજાય કે આ બે શબ્દોનું મૂલ્ય શું છે. અંગ્રેજો બીજું ઘણું ય મુકતા ગયા છે પણ કદાચ આપણને ભ્રષ્ટ રાજકારણીઓની કુથલી કરવામાંથી સમય ન મળ્યો એ તરફ નજર કરવાનો. આપણું મુંબઈ શહેર જ્યારે પહેલવહેલું પ્લાન થયું ત્યારે લંડનની માફક એનો પ્લાન ઘડાયો હતો. આજે હકીકતનો ચહેરો બદલાઈ ગયો છે પણ ટાઉનમાં જઈએ ત્યારે વિક્ટોરિયન, ગોથિક શૈલીની ઇમારતોમાંથી લંડન તો ડોકિયું ચોક્કસ કરી લે છે. મુંબઈ પૂરતું જ આ સીમિત નથી પણ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રનાં જૂનાગઢ અને જામનગર જેવા શહેરોમાં ઇંગ્લેન્ડના બાથમાં આવેલા પ્રતિષ્ઠિત રોયલ ક્રેસન્ટ જેવા બાંધકામની છાપ જોવા મળે છે. પાટનગર દિલ્હી તો અંગ્રેજોના આયોજન પ્રમાણે બનેલું શહેર છે. આ વારસો તો આપણને સામ્રાજ્યવાદના સમયમાં મળ્યો હતો પણ આપણી પાસે આપનો પોતાનો પણ ખૂટે નહીં એટલો આગવો ઇતિહાસ છે. જે રીતે યુરોપિયન્સ પોતાના વારસા પ્રત્યે સજાગ છે એ અભિગમ આપણે ત્યાં જવલ્લે જ જોવા મળે છે.

યુરોપિયન સંસ્કૃિતમાં પોતાના ઇતિહાસ, સાહિત્ય, કલાકારો પ્રત્યેની સજાગતા અન્ય સંસ્કૃિતઓની સરખામણીએ ઘણી વહેલી આવી. આનું સીધું કારણ એ કે તેમણે ઘણાં પ્રદેશો સર કર્યા, એક્સપોઝરને નામે જે પણ કહી શકાય એ બધું જ તેમણે નાણી અને માણી લીધું. જેનો ઇતિહાસ મજબૂત નથી એની આવતીકાલ ઝળાહળાં ન હોઇ શકે એ સામ્રાજ્યવાદી વલણ ધરાવતા યુરોપિયનોએ બહુ પહેલાં જ સમજી લીધું.  યુરોપમાં પરદેશી સંસ્કૃિતઓ પણ આવી અને તેઓ પોતે જેને કોલોનાઈઝ કર્યા હતા એ રાષ્ટ્રોમાંથી પણ ઘણું લાવ્યા, આ બધાને અહીં વિકસવાનો મોકો મળ્યો, તેનું જતન થયું. યુરોપિયન રાષ્ટ્રો પરસ્પર એક સમાન અને વધુ સ્પષ્ટ ઓળખ કેળવવામાં અને સ્થાપિત કરવામાં કોઈ કચાશ નથી છોડતા અને હેરીટેજ, સાંસ્કૃિતક વારસો, ઇતિહાસમાં જળવાતી ગરિમા આ તમામ માટે સૌથી અગત્યનું કામ કરે છે. આ જ કારણોસર આજે પણ ટાઇટ અપર લિપ ધરાવતા બ્રિટશરો તેમના ભૂતકાળને સન્માને છે. તેઓ જાણે છે કે અમે જો આમ નહીં કરીએ તો બીજાઓ પણ તેને હળવાશથી લેશે અને રાષ્ટ્રવાદી બ્રિટીશરોને તો એ ક્યાંથી પોસાય. પોતાનું છે તો ગર્વ કરીએ અને સન્માન મેળવીએની ભાવનામાં લંડન અને અન્ય યુરોપિયન શહેરોમાં ઇતિહાસ ઉન્નત મસ્તકે ઊભો છે, અને માટે જ મૂળ કેલેડોનિયન મરક્યુરીએ લખેલા શબ્દોમાંથી જન્મેલો રૂઢિ પ્રયોગ, ‘ધી એમ્પાયર ઓન વિચ ધ સન નેવર સેટ્સ’ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

બાય ધ વે ઃ 

ગયા વર્ષે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરુને કહ્યું હતું કે બ્રિટીશરોએ તેમના ઇમ્પિરિયલ ભૂતકાળની માફી માગવાનું બંધ કરીને ભૂતકાળ પર ગર્વ લેવો જોઈએ. આને ભારતના સંદર્ભે કઈ હદે સરખાવી શકાય એ તો નથી ખબર પણ ભૂતકાળને બદલી નાખવા કૂદતા રાજકારણીઓ અથવા રાજકારણને રંગે રંગાયેલા તમામ શિક્ષણવિદે સમજવું કે ત્યાંના બુદ્ધિજીવી ભારતીયો કેમેરુનને મોદીથી જુદા નથી આંકતા. સાનમાં સમજવું, ટાઇટ અપર લિપ બ્રિટીશરોનો કટાક્ષ આકરો હોય છે પણ અવાસ્તવિક નથી હોતો.

e.mail : chirantana@gmail.com

Loading

16 August 2014 admin
← વિપુલ કલ્યાણી : બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના માજી મહામંત્રી સાથેની ખાસ મુલાકાત
કનૈયા લાલનો અવતાર, કનૈયાલાલ (મુનશી)ની કલમે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved