Opinion Magazine
Number of visits: 9448568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થીજી ગયેલા સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી

ગુણવંત શાહ|Opinion - Opinion|8 August 2014

થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી.

કોઈ માને કે ન માને, પરંતુ કવિતા બે પ્રકારની હોય છે : જીવતી કવિતા અને મરેલી કવિતા. જીવતી કવિતા એટલે એવી કવિતા, જે વાચનારને ઝંકૃત કરે. મરેલી કવિતા એટલે એવી કવિતા, જે વાંચનારને ઊર્મિ‌ની એક લહેરખી પણ ન પહોંચાડે. મરેલી કવિતાને ગુજરાતી પાઠયપુસ્તકોમાં સહેલાઈથી સ્થાન મળે છે. એ જ વાત મરેલા ગદ્યને પણ લાગુ પડે છે. પાઠયપુસ્તકની રચનામાં નિર્જીવ સાહિ‌ત્યકાર હોવું, એ પૂર્વશરત ગણાય.

આ તર્ક આગળ ચલાવીએ તો સાહિ‌ત્યકારો પણ બે પ્રકારના હોય છે : ચેતનવંતા અને થીજી ગયેલા. કેટલાક સાહિ‌ત્યકારો તો બ. ક. ઠાકોર સુધી આવીને ત્યાં જ અટકી ગયા છે. આવા કેટલાક સાહિ‌ત્યકારોનું વિશ્વદર્શન ગુજરાતની સરહદ વટાવી શકતું નથી.

ઉમદા અપવાદો જરૂર છે. આ વાત ન સમજાય તો ગુજરાતી સાહિ‌ત્ય પરિષદના અધિવેશનમાં જઈ પહોંચવું તા. ૨૧-૧૨-૨૦૦૭ને દિવસે ગાંધીનગરમાં પરિષદનું ૪૪મું અધિવેશન અતિથિવિશેષ તરીકે મારા પ્રવચનથી શરૂ થયેલું. ત્યાં યજમાન હતા સહસ્ત્રબાહુ એવા કૃષ્ણકાંત જહા. તેઓ યોગ્ય રીતે વક્તાને જાળવી જાણે છે. આદરણીય મોરારિબાપુની કથામાં સૌથી મહત્ત્વનું સ્થાન કોનું? બાપુ સિવાય બીજા કોનું? કોઈ પણ પ્રવચનમાં મુખ્ય વક્તા કરતાં ય મહત્ત્વનું સ્થાન અન્ય કોઈનું ન જ હોઈ શકે. જે આયોજકો આટલું ય ન સમજે, તેઓ પોતાના માનવસંબંધો જાળવવા માટે વક્તાને વાપરે છે અને મંચ પર ૬-૭ ખુરસીઓ અન્ય (ખપ લાગે તેવા) અર્ધ મૂર્ખો માટે ગોઠવે છે.

થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આ વાત ન ખૂંચે કારણ કે તેઓ ત્યાં કોઈ પણ જાતના પુરસ્કાર વિના પહેરેલે કપડે થોડાક વહેલા ગોઠવાઈ ગયા હોય છે. સસ્તું ભાડું અને સાહિ‌ત્યજગતની યાત્રા ગાંધીનગરના અધિવેશનમાં જતી વખતે મનોમન સંકલ્પ કર્યો હતો કે બધી જ બેઠકોમાં બધો સમય બેસવું અને જ્ઞાનવૃદ્ધિ કરવી. બીજે દિવસે એક બેઠક બે કલાક ચાલી તેમાં પ્રથમ વક્તાએ જ પ્રથમ કલાક (પ્લસ) વેડફી માર્યો. વચ્ચે વચ્ચે એ ગુનેગાર વિદ્વાને અધ્યક્ષને કહ્યું : 'સમય થાય ત્યારે મને રોકજો.’ બીજા બે વક્તાઓની આંખોમાં ખીલે બાંધેલી ગાયની આંખોમાં હોય એવી લાચારી હતી. અધ્યક્ષ બે વાર બોલ્યા, પ્રારંભે અને અંતે. ટૂંકમાં પેલા બે દયનીય-માનનીય-શ્રવણીય વક્તાઓને ભાગે ૧૦-૧૦ મિનિટ માંડ આવી પ્રથમ ગુનેગાર વક્તાનું પ્રવચન લંબાયે ગયું, લંબાયે ગયું અને કંટાળાના વેરાન રણમાં જઇને લુપ્ત થયું બેઠકના (ગુનેગાર) અધ્યક્ષ અવિદ્વાન ન હતા, પરંતુ સામે ટેબલ પર પડેલી ઘડિયાળના પ્રખર શત્રુ હતા.

સભામાં કેટલાં ય યુવક-યુવતીઓ બેઠાં હતાં. તેઓને મારે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરવી છે : આવા થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી. જો તમને ક્યાંક સ્મિતથી શોભતો અને છિદ્રાન્વેષણની પરપીડનવૃત્તિથી મુક્ત એવા મહાન વિવેચક મળી જાય તો એમને વંદન કરજો. આ તક વારંવાર નહીં મળે. ચીમળાઈ ગયેલી પર્સનાલિટી ધરાવનાર વિવેચક લોકોને શા માટે ગમે? અંગત અનુભવ કહું? મારા પર વાચકો અને ભાવકો(fans)ના પત્રો અને ટેલિફોન આવે તેમાં સૌથી મોટો હિ‌સ્સો સૌરાષ્ટ્રનો જ કેમ હોય છે? મને આ પ્રશ્નનો જવાબ જડયો છે.

સૌરાષ્ટ્રના લોકો પ્રમાણમાં વધારે responsive (પ્રતિસાદપ્રિય) છે કારણ કે સૌરાષ્ટ્ર ખરા અર્થમાં 'હૃદયપ્રદેશ’ છે. આવો હૃદયપ્રદેશ દુનિયામાં કદાચ એક જ છે : સ્કોટલેન્ડ. સૌરાષ્ટ્ર તરફથી આપણને 'જીવતા’ કવિઓ મળ્યા : કલાપી, મેઘાણી, બોટાદકર, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, અનિલ જોષી, જવાહર બક્ષી (જૂનાગઢના મૂળ) વિનોદ જોશી ઇત્યાદિ ઇત્યાદિ. સૌરાષ્ટ્રની ધરતીના કણકણમાં પડેલી સહજ સહૃદયતા અને અઢળક ઊર્મિ‌શીલતાનો હું કેટલો મોટો પ્રશંસક છું એનો ખરો ખ્યાલ કેવળ મને જ છે. મેઘાણીભાઈ બીજે ક્યાં પાકે? કલાપી ૨૬ વર્ષની ઉંમરે ગયા બાકી તો …

આવું લખતી વખતે મારું મન એકાએક વારાણસી પહોંચી ગયું ત્યાંના સાહિ‌ત્યકાર સદ્દગત ભારતેન્દુ હરિશ્ચંદ્ર ૩૪ વર્ષની નાની ઉંમરે ૧૮૮પમાં મૃત્યુ પામ્યા. તેઓ નાની ઉંમરે પણ ગદ્યમાં, પદ્યમાં અને નાટયલેખનમાં અમૂલ્ય વારસો છોડતા ગયા. તેઓ બ્રાહ્મણ નહીં અગ્રવાલ વણિક હતા. (આ ચોખવટ એટલા માટે કરવી પડી કે એમની અટક બ્રાહ્મણની હોય એવી છાપ પડે છે.) વર્ષો પહેલાં એમણે માતૃભાષાની હિ‌માયત માટે એક કવિતા લખી હતી. કેવું પીડાકારક? બરાબર યાદ છે. આપણા પ્રિય હાસ્ય અભિનેતા જ્હોની વોકરે એક વાર ટીવી પર કહેલું : 'અબ સમાચારમેં હિ‌ન્દી સુનીએ.’ માતૃભાષાના પ્રચાર માટે પણ ગુજરાતમાં વંદનાયાત્રા કાઢવી પડે અંગ્રેજી તો ભણવું જ જોઈએ. હા, ગુજરાતીઓ સામે પ્રશ્ન એટલો જ કે 'ચામડી કરતાં ય વસ્ત્રનું મહત્ત્વ વધારે? હવે ભારતેન્દુ હરિશ્ચંદ્રની ૧૨૯ વર્ષ પહેલાં લખાયેલી પંક્તિઓનો અનુવાદ હિંમત હોય તો પાંચ ઊંડા શ્વાસ લઇને વાંચો :

પ્રગતિ પોતાની માતૃભાષામાં રહેલી છે.
બધી પ્રગતિનો પાયો માતૃભાષા છે.
તમારી પોતાની ભાષા
જાણ્યા વિના તો
હૃદયની પીડાનો કોઇ ઉપાય નથી.

(સબા નક્વીએ કરેલા અંગ્રેજી અનુવાદનો ગુજરાતી અનુવાદ)

માતૃભાષાના માધ્યમની અને ઉત્તમ કક્ષાના અંગ્રેજીની વકીલાત કરતો કરતો સ્મિત જાળવીને જીવતો હોઉં ત્યારે એક એવી આબોહવા ગુજરાતમાં તૈયાર થવાની છે, જેમાં પ્રાઇવેટ અને મોંઘીદાટ સ્કૂલોમાં પણ ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવાશે અને બાકીના બધા વિષયો માતૃભાષામાં ભણાવાશે. આવું સમાધાન જરૂરી છે. માનશો? પ્રાઇવેટ ભવ્ય નિશાળોમાં ગુજરાતી પણ ગુજરાતીમાં ભણાવાશે. લોકો સિન્થેટિક અને નિર્જીવ માધ્યમથી કંટાળશે. કંટાળામાં ક્રાંતિ આણવાની અપાર શક્યતા પડેલી છે. માણસ જ્યારે જ્યારે કંટાળે છે ત્યારે ત્યારે વિચારે છે અને ખૂબ કંટાળે ત્યારે ખૂબ વિચારે છે.

અખબારોની કોલમો પણ એ પ્રકારની હોય છે : જીવતી અને નિર્જીવ. ચંદ્રકાંત બક્ષીની કોલમ 'જીવતી’ કોલમના નમૂના જેવી હતી. તેઓ ઘરે દીકરી રિવા સાથે મળવા આવ્યા ત્યારે મીઠાઈનું મોટું બોક્સ લઇને આવેલા. ઝાંપા આગળ ઊભા રહીને મને કહ્યું : 'બોસ, આપણે બે જ વંચાઈએ છીએ’ મેં કહ્યું : 'બક્ષીબાબુ આવું તમે બીજા કોઈ લેખકને પણ કહ્યું નથી ને?’ અંગ્રેજીમાં જે કોલમ લેખકો મને ગમે તેની યાદી ટૂંકી છે : વિનોદ મહેતા, સબા નકવી, મરિયાના બાબર (પાકિસ્તાન), નિરજા ચૌધરી અને તવલીન સિંઘ. ખુશવંત સિંઘ મને ખૂબ ગમતા કારણ કે એમનાં લખાણોમાં મને નિખાલસતાના ફુવારાનો અનુભવ થતો. તેઓ સત્યવાદી ન હતા, નિખાલસતાવાદી જરૂર હતા.

વિનોદ મહેતાની શૈલીમાં એક મજેનું તુફાન જોવા મળે છે. તંત્રી પોતે જ પોતાને, 'સોનિયા ગાંધીનો ચમચો’ કહીને ફજેત કરે? એમણે સાચી વાત કહેવામાં સોનિયાજીની શરમ નથી રાખી એ પણ નોંધવું જોઈએ. વિનોદ મહેતા પોતે જ પોતાની જાતને 'સ્યૂડો સેક્યુલર’ કહીને ભાંડી શકે છે. વળી અંગત વાત કરવામાં કોઈ જ સંકોચ નહીં પ્રથમ પુરુષ એક વચનમાં લખવું એ જો ગુનો હોય, તો મહાત્મા ગાંધીની 'આત્મકથા’ પર પ્રતિબંધ મૂકવો પડે. મહાત્મા ગાંધીના ગદ્યમાં 'હું, મને, મારું’ કેટલી વાર આવે? જે મહાત્મા પોતાની જાતને પ્રજા સમક્ષ ખુલ્લી કરવા માગે તે બીજું શું કરે? શું જે સાહિ‌ત્યકારો 'અમે’ લખે કે પ્રથમ પુરુષ એકવચનથી ગભરાઈને બચતા રહે, તે બધા સાવ અહંકારમુક્ત થઈ જાય કે? મહાત્માની 'આત્મકથા’ તો આત્મવિકાસની વાર્તા છે. ખુશવંત સિંહ ઊઘડતા રહ્યા, ઊઘડતા રહ્યા અને લોકોનાં હૃદય સુધી પહોંચ્યા.

વિનોદ મહેતા તો પોતાના પાળેલા કૂતરા વિષે પણ “Outlook”માં નિરાંતે લખે છે. કૂતરાનું નામ શું? ‘Editor’ !થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આવી નિખાલસતા કદી પોસાય ખરી? એક સામયિકના તંત્રી ગણતરીપૂર્વક એર્વોડ સમારંભ ગોઠવે અને એમાં ગુજરાતી સાહિ‌ત્યકારોને પણ બોલાવે. એક જણે એમને પૂછ્યું : 'ફલાણા સાહિ‌ત્યકાર તમારું આમંત્રણ સ્વીકારીને દૂરથી આવશે ખરા? તંત્રીએ કહ્યું : 'હમણાં જ એક ફોન કરું, તો તેઓ ચંપલ પહેર્યા વિના અહીં વડોદરા દોડી આવે. બોલો ફોન કરું?’ મારે વારંવાર એક જ વાત કહેવી છે. સાહિ‌ત્યકારોને સસ્તા થવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને લવ-અફેરની માવજત કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ નારીની મુગ્ધતાનો ગેરલાભ લેવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને તગડો પુરસ્કાર લેવાનો અને પૂરતી સગવડ સાથે પ્રવચન કરવા માટે પ્રવાસ કરવાનો અધિકાર છે, પરંતુ પૂરતી તૈયારી કર્યા વિના, લઘરવઘર વસ્ત્રોમાં સભાસ્થળે જઈને ત્યાં ઉદારતાની ઉઘરાણી માટે યજમાનની ખોટી પ્રશંસા કરવાનો અધિકાર નથી. થીજી ગયેલા સાહિ‌ત્યકારોના પ્રવચનથી બચવું એ સુજ્ઞ શ્રોતાઓનો કર્ણસિદ્ધ અધિકાર છે. ગુજરાતીઓ ક્યારે જાગશે?’

પાઘડીનો વળ છેડે

વિનોદ મહેતાએ છેલ્લા અંકમાં છેલ્લે પાને જે 'દિલ્હી ડાયરી’ લખી તેમાં પ્રથમ આઠ લીટીમાં જ (માત્ર) પાંચ વાર ‘I’ આવે છે. પ્લીઝ ચેક. એ ‘I’ કોઇને ન કઠે તેવો નિર્મળ છે.

(“Outlook”, ૨૧ July ૨૦૧૪, પાન-૭૪)

Blog:http://gunvantshah.wordpress.com

સૌજન્ય : ‘સન્નડે પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 અૉગસ્ટ 2014

Loading

8 August 2014 admin
← માણસ (એક)વીસમી સદીનો, પુસ્તકો ઓગણીસમી સદીનાં
કોને કહીશું આજે ‘ક્વિટ ઈન્ડિયા’? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved