Opinion Magazine
Number of visits: 9448449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વર્ગની ચાવી

હરનિશ જાની|Opinion - Opinion|7 July 2014


હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.

દોઢસો વરસ પહેલાં, ગાલિબ સાહેબ આ ડહાપણની વાત કહી ગયા છે. વાત વિચારીએ તો ‘જન્નત’ છે કે નહીં. તેની પાકી ખાતરી કોઈની પાસે નથી. આજ સુધીમાં એકે હાલતા ચાલતા મનુષ્યએ સ્વર્ગ જોઈને પૃથ્વી પર આવીને સ્વર્ગની વાતો નથી કરી. હવે આ વાત આપણે ફેલાવીએ કે ‘ભાઈ, ઉપર સ્વર્ગ જેવું કાંઈ છે જ નહીં.’ તો? અને આપણી વાત લોકો માને તો ? આ પૃથ્વી પર કેટલી અરાજકતા ફેલાય ? તેની કલ્પના કરવી પણ અઘરી છે.

મારા બાલુકાકા રોજ સવારે ગામના વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરે છે. એમની બે ઈચ્છા છે. એક તો બીજીવાર પરણવું છે અને બીજી ઈચ્છા સ્વર્ગમાં જવું છે. મારે એમને કહેવું પડ્યું કે એક વાર પરણો તો ખરા! પછી આપોઆપ સ્વર્ગના વિચારો સૂઝશે. બીજી કાકી સારી હશે તો અહીં જ સ્વર્ગ ઉતારશે. અને નહીં હોય તો તમને સ્વર્ગમાં પહોંચવાની વ્યવસ્થા કરી આપશે.

આપણાંમાંના ઘણાં માને છે કે ભગવાન કે સ્વર્ગ–નરક જેવું કાંઈ નથી. ચાલો, આપણે તે માની લઈએ. અને કદાચ કોઈ ગેબી શક્તિ (ભગવાન?) આ પૃથ્વી પરથી બધાં દેવ-સ્થળો ગાયબ કરી દે તો ? મારા મિત્ર યોગેશભાઈ દર શનિવારે હનુમાનજીના મંદિરે ચાલતા દર્શન કરવા જાય છે. તે તો ગુંચવાઈ જાય કે સાલું, આ શનિવારે શું કરવાનું? અને તેનાથી પણ વધુ એમના પત્ની ગીતાબહેનનું સરદર્દ વધી જાય. જ્યારે યોગેશભાઈ મંદિરે જાય છે તે જ સમય ગીતાબહેનનો નિરાંતનો સમય હોય છે. હવે એ ઘેર રહે તો ? ભારતમાં મંદિરનો સૌથી વધુ ઉપયોગ કરતી હોય તો તે સ્ત્રીઓ છે. પત્નીની ભક્તિ કદાચ ફળે તો તેમને પણ સુખ મળવાનું જ છે. અને ભક્તિ ન ફળે તો ય ઘરમાં તેમની ગેરહાજરીની શાંતિ તો છે! એમ સમજીને કોઈ પણ ડાહ્યા પતિદેવો તેમને તેમ કરતાં રોકતા નથી. લાંબા લગ્ન જીવનનું રહસ્ય એ છે કે બન્ને જણે દિવસના અમુક કલાક છૂટાં રહેવું જોઈએ. શરૂઆતનાં વરસો એકમેકની સાથે ચોવીસ કલાક નિકટ રહ્યાં હોય છે. એટલે જ પાછલાં વરસોમાં થોડા છૂટાં રહેવાનું ગમે છે. અને એ ભગવાનની આ એક્ટિવિટીને કારણે જ શક્ય છે.

હવે બધાં મંદિરો જ ન હોય તો દેશની ઈકોનોમી પડી ભાંગે. ભારતનું આખું અર્થતંત્ર મંદિરો પર નિર્ભર છે. કાલે ઊઠીને કોઈ ડિક્ટેટર કે જે ભગવાનમાં ન માનતો હોય તેના હાથમાં સત્તા આવે અને કહે કે ‘બધાં મંદિરો દૂર કરો.’(એકલાં મંદિરો જ નહીં, પણ બધાં જ ધર્મના ધાર્મિક સ્થળો) તો અડધો દેશ બેકાર થઈ જાય. લાખો પૂજારીઓ અને કરોડો ભક્તો જાય કયાં? મંદિર એટલે ઈંટ ચૂનાનું બિલ્ડીંગ જ નહીં, પણ તેને લીધે તૈયાર થતાં બીજા સેંકડો  ધંધાઓ પણ ગણવાના.

વરસો પહેલાં અમે મોટા અંબાજી ગયા હતા અમદાવાદથી ત્યારે બે ટાઈમ બસ ઉપડતી હતી. અને રહેવા માટે માંડ પાંચ ધર્મશાળાઓ હતી. આજે ત્યાં મોટું શહેર વસી ગયું છે. ફાઈવ સ્ટાર હોટલો છે. મોટો હાઈ વે પણ બન્યો છે. નાનકડું મંદિર આજે મોટો મહેલ થઈ ગયું છે. આ બધું માતાજીના નામ પર થયું છે. અને એનો લાભ કોને મળ્યો ? માતાજીને ? ના એ પૈસા લોકોના જ ખીસ્સામાં આવ્યા. આમ લોકોની માતાજીમાં શ્રદ્ધાને કારણે થયું છે.

અમે વિજ્ઞાન અને કલાના પારણાં સમાન ઈટાલી ગયા હતા. અમારે જિસસ જોડે આમ જોઈએ તો કાંઈ  લેવા દેવા નહીં. પરંતુ ક્રિશ્ચિયનોનું વેટિકન સીટી જોવા ગયા. ત્યાં સેન્ટ પિટર્સ બેસેલિકામાં સેન્ટ પિટર્સનું બ્રોન્ઝનું સ્ટેચ્યુ છે. તેના હાથમા સ્વર્ગની ચાવી લટકે છે. રોજના હજારો લોકો તે સ્ટેચ્યુના ચરણ સ્પર્શ કરવા લાઈનોમાં ઊભા રહે છે. મારા પત્નીએ મને કહ્યું કે, ‘આપણે પણ લાઈનમાં ઊભા રહીએ.’ મેં કહ્યું કે, ‘પહેલે નંબર સેન્ટ પિટર્સ મને ઓળખે પણ નહીં. અને ભૂલે ચૂકે મને સ્વર્ગમાં જવા દે તો શું આ અજાણ્યા લોકો જોડે ત્યાં રહેવાનું ? રામભક્તોની લાઈનમાં ન ઊભો રહું !’ જે હોય તે પણ અમે ત્યાં સો, બસો ડોલર ખર્ચી આવ્યા. 

ત્યાં તેના પરિસરની બહાર ડઝનબંધી ટુરિસ્ટની બસો ઊભી હતી. અને ત્યાંની અસંખ્ય રેસ્ટોરાં માનવ મહેરામણના પૈસા ભેગા કરતી હતી. અને વેટિકનની ઈકોનોમી સુધારતી હતી. વેટિકનની બીજી તો કોઈ ઇન્કમ જ નથી. લોકો આ સ્વર્ગની ચાવીના ચક્કરમાં જ વેટિકનનું ચક્કર ફરતું રાખે છે. હવે સવાલ એ થાય કે એને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા ? આ લોકો આગળ હું ગેલેલિયો કે વિન્ચીની વાતો કરું તો કોઈ મને સાંભળે ખરા? ગાલિબ કહે છે તેમ સ્વર્ગ છે કે નહીં તે અગત્યનું નથી; પરંતુ તેના અસ્તિત્વનો વિચાર જ આ જગત માટે પુરતો છે. અને એ વિચાર જગતમાં લોકોને નીતિમય જીવન જીવવા પ્રેરે છે. (નીતિમય જીવન જીવવું કે નહીં તે વાતનો આધાર વ્યક્તિ પર નિર્ભર છે.) જગતના દરેક ધર્મમાં આ જ વિચાર પ્રવર્તે છે. મરણ પછી સ્વર્ગમાં જવું છે. અને સ્વર્ગમાં જવા સારા કૃત્યો કરવા જરૂરી છે. એટલે હજુ લોકોમાં કાંઈક માનવતા છે. દુનિયામાં ભગવાન છે કે નહીં તે જાણવું હોય તો કોઈ પણ હોસ્પિટલની મુલાકાત લો. પલંગે પલંગે ભક્તો ભગવાનનું રટણ કરે છે. જો ભગવાનનો વિચાર જ ન હોય તો દર્દીઓ શું બોલિવુડના હીરોનું નામ લેશે? દુ:ખમાં તેમની ઇશ્વરમાં શ્રદ્ધા જ રાહત આપે છે. કોઈ અપંગ બાળકના માતા પિતાને સમજાવી જો જો કે ભગવાન જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં.

સવાલ ઈકોનોમીનો છે. પછી તેને શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા. આપણી ઈકોનોમીમાં લોકો પોતાનું સોનું શિરડીમાં ચઢાવે છે. ત્યાં હજારો કિલોગ્રામ સોનું છે. તે આપણું જ છે. બીજા ધંધાઓ કરનારા પણ સોનું કમાય છે. વકિલો, ડૉક્ટરો, શિક્ષણ સંસ્થાઓ, સ્ટોક અને શેર બજારવાળા અને ખાસ તો પોલિટીશિયનો ક્યાં લોકોને નથી લૂંટતાં? અને તે લૂંટ સ્વિસ બેંકોમાં જમા કરાવાય છે. દરેક ધંધાઓ કરતાં મંદિરના ધંધા દેશની બેકારી દૂર કરવામાં મદદ કરે છે. અરે! બુટ ચંપલ સાચવવાનો પણ ધંધો તેને લીધે ખિલ્યો છે. અને એમાં મંદી તો હોય જ નહીં. કથાકારોનો પણ જબરદસ્ત ફાળો છે. કથા કાંઈ એમને એમ નથી થતી. એક કથા પાછળ લાખોનો ધુમાડો થાય છે. તે ધુમાડો લોકોના શ્વાસમાં જ જાય છે ને ! દેશમાં ક્રિકેટના કે કોલસાના કે મિલીટરીના કોંટ્રાકટોમાં કેટલા કરોડો ખવાય છે. તો એક કથાકાર કથા કરીને કમાય તેમાં શું ખોટું છે? કેટલીય ટીવી ચેનલોને આજે આ કથાકારો પોષે છે! કેટલાય પુસ્તક પ્રકાશનો ધાર્મિક પુસ્તકો છાપીને જીવંત રહે છે. કવિતાનાં પુસ્તકોથી તો બિચારો કવિ પણ નથી કમાતો.

ટૂંકમાં લોકોનો ઈશ્વરમાં અને સ્વર્ગમાં વિશ્વાસ એમનું જીવન સરળ બનાવી દે છે. અને એ ન હોય તો માનવ જીવનમાં મોટું વેક્યુમ સર્જાય. તે પુરવા માટે પોલિટીશિયનો અને બીજા ધંધાધારીઓ ઘુસી જાય. તેના કરતાં ભગવાન સારા. એકની એક માન્યતા, કોઈની શ્રદ્ધા અને તો કોઈની અંધશ્રદ્ધા પણ બની શકે છે. પરંતુ એક વાત સાચી છે કે તે દેશની ઈકોનોમી ટકાવવામાં એ માન્યતા ભાગ ભજવે છે. પછી તમે કે હું ભગવાનમાં માનીએ કે ન માનીએ તેથી આ હકીકત બદલાતી નથી.

ગાલિબ સાહેબની વાત સોએ સો ટકા સાચી છે કે જન્નત નથી. એ બધાંને ખબર છે. પણ જન્નતનો ખ્યાલ જગતને દોડતું રાખે છે.

[4th July 2014]

4, Pleasant drive, Yardville, NJ 08620. USA

e.mail. harnishjani5@gmail.com

Loading

7 July 2014 admin
← ‘Achhe Din’
‘શોર્ટ કટ’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved