Opinion Magazine
Number of visits: 9483407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેર બુક્સમાં રસ લેનારા પણ રેર

દીપક મહેતા|Opinion - Opinion|29 April 2014

આ કોલમમાં  અવારનવાર ‘જૂનાં’ ગુજરાતી પુસ્તકો વિષે વાત થતી હોય છે અથવા તેમાંથી ઉતારા કે ચિત્રો અપાતાં હોય છે. એના અનુસંધાનમાં થોડા દિવસ પહેલાં એક વાચકમિત્રે ફોન પર પૂછ્યુ ં: ‘પુસ્તક જૂનું છે કે નહીં, તે કઈ રીતે નક્કી કરાય?’ પહેલી વાત તો એ કે આપણે ત્યાં ‘રેર બુક્સ’ માટે કોઈ સારો શબ્દ પ્રચલિત થયો નથી. કોઈ પણ સેકન્ડ હેન્ડ બુક તે રેર બુક નહીં. કોઈ પણ પુસ્તક આજે બજારમાં મળતું ન હોય એટલે તે રેર બુક ન બની જાય. એ આઉટ ઑફ પ્રિન્ટ બુક છે. બે-પાંચ મહિને કે વર્ષે ફરી છપાય પણ ખરું. મરાઠીમાં ૧૮૬૭ પહેલાં છપાયેલાં પુસ્તકો માટે ‘દોલા મુદ્રિત’ નામ રૂઢ થયું છે. ‘દોલા’ એટલે પારણું. મરાઠી મુદ્રણના બાલ્યકાળનાં પુસ્તકો તે ‘દોલા મુદ્રિત.’ તે પછી છપાયેલાં અને આજે રેર ગણાય તેવાં પુસ્તકો માટે ત્યાં ‘દુર્મિળ’ (દુર્લભ) શબ્દ વપરાય છે. આપણે આ બંને સંજ્ઞા અપનાવવા જેવી છે. પણ અપનાવી નથી, કારણ રેર બુક્સનું મહત્ત્વ જ આપણી નજરમાં વસ્યું નથી. 

કોઈ પુસ્તક ‘રેર’ છે કે નહીં તે નક્કી કરવા માટેનું પહેલું ધોરણ એ કે તે ક્યારે છપાયું છે તે જોવું. સાધારણ રીતે પચાસ વર્ષ કરતાં વધુ જૂનું પુસ્તક હોય તો તે રેર ગણાવાને પાત્ર ઠરે, નહીંતર નહીં. અલબત્ત, આમાં અપવાદ હોઈ શકે. બીજી વાત એ છે કે એ પુસ્તકની કેટલી નકલો આજે ઉપલબ્ધ છે તે જોવું. પુસ્તક ભલે બજારમાં મળતું ન હોય, પણ ગુજરાતી પૂરતી વાત કરીએ તો મુંબઈ-ગુજરાતનાં ઘણાં પુસ્તકાલયોમાં જો તેની નકલ હોય તો તે પુસ્તક રેર ન ગણાય. અલબત્ત, આપણે ત્યાં પુસ્તકાલયોનું યુનિયન કેટલોગ છે નહીં, અને મોટે ભાગે ક્યારે ય થશે પણ નહીં, એટલે આ જાણવું લગભગ અશક્ય છે.

અમદાવાદની કોઈ લાઇબ્રેરીમાંથી અમને ફલાણું પુસ્તક જોવા ન મળ્યું એમ કોઈ વિવેચક-સંશોધકે લખ્યું હોય પણ એ પુસ્તકની બે-ત્રણ નકલ મુંબઈની એક જ લાઇબ્રેરીમાં હોય એવું બન્યું છે. એટલે આ ધોરણ ગુજરાતી પૂરતું ઝાઝું કામ આવે તેમ નથી. કોઈ પુસ્તક થોડે થોડે વખતે ફરી ફરી છપાતું રહેતું હોય તો ય તેની પહેલી આવૃત્તિ તો ‘રેર’ જ ગણાય. જેમ કે ‘સરસ્વતીચન્દ્ર’ એક યા બીજા કારણસર સતત છપાતી રહેલી નવલકથા છે, પણ તેના પહેલા ભાગની ૧૮૮૭માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિ અત્યંત રેર ગણાય, કારણ ભાગ્યે જ કોઈ પુસ્તકાલયમાં એ સચવાઈ છે. આનું એક કારણ આપણાં ઘણાં ખરાં પુસ્તકાલયોની એક કુટેવ. કોઈ પુસ્તકની નવી આવૃત્તિ ખરીદાય ત્યારે તેની અગાઉની આવૃત્તિ પસ્તીમાં જાય!

કનૈયાલાલ મુનશી કે રમણલાલ દેસાઈની નવલકથાઓની પહેલી આવૃત્તિમાં રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, કનુ દેસાઈ જેવા જાણીતા ચિત્રકારોનાં ચિત્રો છપાતાં. પછીની આવૃત્તિઓમાંથી તે કાઢી નખાયાં. એટલે એવાં પુસ્તકોની પહેલી આવૃત્તિની સચિત્ર નકલ પણ રેર ગણાય. પુસ્તક જૂનું હોય, તેના પર લેખકની સહી હોય, કે કોઈ જાણીતી વ્યક્તિને તે ભેટ અપાયું હોય કે બીજા કોઈ અભ્યાસીએ તેમાં માર્જિનલ નૉટ્સ લખી હોય તો તેથી પણ તે નકલ રેર બની શકે. સરકારે કે ધર્મસત્તાએ કોઈ પુસ્તક પર પ્રતિબંધ મૂકી નકલો જપ્ત કરી હોય કે કોઈ કુદરતી આફતમાં ઘણીખરી નકલો નાશ પામી હોય કે ક્યારેક લેખક-પ્રકાશકે પોતે નકલો પાછી ખેંચી લીધી હોય તો પણ બચી ગયેલી નકલો અત્યંત રેર ગણાય.



ટી ટેસ્ટર કે વાઈન ટેસ્ટર જેમ ચાંગળું ચાખીને તરત ચા કે વાઈનની ગુણવત્તા નક્કી કરી શકે છે તેમ રેર બુક્સના નિષ્ણાત પુસ્તક હાથમાં લઈ, સૂંઘી (હા, સૂંઘીને), ઉથલાવી, નક્કી કરી શકે છે કે આ પુસ્તક રેર છે કે નહીં. ગુજરાતીમાં રેર બુક્સની લે-વેચ અલાયદા વ્યવસાયરૂપે વિક્સી જ નથી, છતાં દેશમાં અને દુનિયામાં પણ રેર બુક્સ ડિલર તરીકે વ્યાપક ખ્યાતિ ધરાવનાર એક ગુજરાતી જ હતા – અમદાવાદમાં એલિસ બ્રિજને તળિયે એક વખત આવેલી હતી તે ન્યુ ઓર્ડર બુક કંપનીના માલિક દિનકર ત્રિવેદી. ગુજરાતી ઉપરાંત બીજી ભાષાઓનાં રેર પુસ્તકોનો તેમની પાસે જબરો ભંડાર – માત્ર દુકાનમાં જ નહીં, બંગલાના બેઝમેન્ટમાં પણ. જેવા પુસ્તકોના પરખંદા એવા જ ગ્રાહકોના પણ પરખંદા. ગ્રાહકને અમુક પુસ્તક શા માટે જોઈએ છીએ (વેપારી ભાષામાં તેને કેટલી ગરજ છે) અને તે કેટલી કિંમત આપી શકે તેમ છે એનો અંદાજ તેમને જોતાંવેંત આવી જતો અને તે પ્રમાણે તેને કિંમત કહેતા. અભ્યાસી સાચો છે પણ તેની પાસે પૈસાના ફાંફા છે એમ લાગે તો પુસ્તક વાંચીને પાછું આપી જજો એમ પણ કહે કે ક્યારેક ભેટ પણ આપી દે. 



તેમની સરખામણીમાં બહુ નાને પાયે, પણ રેર બુક્સનો વ્યવસાય કરનાર મુંબઈમાં હતા કીકા સ્ટ્રીટમાં રહેતા ચંદુલાલ શાહ અને પ્રિન્સેસ સ્ટ્રીટની એક દુકાનમાં નોકરી કરવાની સાથોસાથ રેર બુક્સનું કામ પણ કરતા બચુભાઈ. કોકિલ એન્ડ કંપની અને ન્યુ એન્ડ સેકન્ડહેન્ડ બુક શોપમાંથી પણ ઘણીવાર ગુજરાતી રેર બુક્સ મળી આવતી. આજે મુંબઈમાં રેર બુક્સ અંગે સૌથી વધુ જાણકારી અને અનુભવ ધરાવતું કોઈ હોય તો તે છે મરાઠીના વિદ્વાન અભ્યાસી, પત્રકાર ડૉ. અરુણ ટીકેકર. તેમનો રેર બુક્સનો અંગત સંગ્રહ વધતાં જતાં એટલો મોટો થઈ ગયો કે થોડાં વરસ પહેલાં તેમાંનો મોટો ભાગ તેમણે મુંબઈ યુનિવર્સિટી લાયબ્રેરીને ભેટ આપી દીધો.

આપણે ત્યાં રેર બુક્સમાં રસ લેનારા પણ રેર છે એટલે … જવા દો. આવા તો કેટલા હાયબળાપા કરવા?

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, ફોકસ : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014

Loading

29 April 2014 admin
← Wow ! It Disappeared !
Worshipping Gods in the times of Elections →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved