Opinion Magazine
Number of visits: 9448629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજ સુધારક, પત્રકાર, કવિ મલબારી

દીપક મહેતા|Opinion - Opinion|29 April 2014

ત્રણ ત્રણ વખત મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિનું જ્યારે અવસાન થાય ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના નામદાર શહેનશાહ પાંચમા જ્યોર્જ અને રાણી ભારત ખાતેના વાઈસરોયને દિલસોજીનો તાર મોકલે અને તે તારમાં પેલી વ્યક્તિને ‘અમારા જૂના મિત્ર’ તરીકે ઓળખાવે અને તેમના મૃત્યુથી આખા હિન્દુસ્તાનને ખોટ પડી છે એમ જણાવે એવું બને ખરું? બને નહીં, હકીકતમાં બન્યું હતું.

એ વ્યક્તિ તે બેહેરામજી મેહેરવાનજી મલબારી, ૧૯મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ. ૧૮૫૩માં મે મહિનાની ૧૮મી તારીખે એમનો જન્મ. પિતાનું નામ ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં સાધારણ કલાર્ક તરીકે નોકરી કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં તો પિતા બેહસ્તનશીન થયા. માતા ભીખીબાઈ અને બેહેરામજી અનાથ થઈ ગયાં. હવે વડોદરામાં રહેવું અશક્ય હતું. અનેક વિટંબણાઓ વેઠીને વડોદરાથી ચાલતાં ચાલતાં વીસ દિવસે દીકરાને લઈને ભીખીબાઈ સુરત પહોંચ્યાં, પિતાને ઘરે. કોઈ વાહનમાં મુસાફરી કરી શકાય એટલા પૈસાય ગાંઠે નહીં એટલે પગપાળા પ્રવાસ. પિતાએ વિધવા દીકરીને અને તેના પોરિયાને પ્રેમથી આવકાર્યાં.

આશરો મળતાં મા-દીકરાને ‘હાશ’ થઈ. પણ એ હાશકારો પૂરા ચોવીસ કલાક પણ ન ટક્યો. તેઓ સુરત પહોંચ્યાં તે રાતે જ પિતાનું ઘર, તેમની બધી મિલકત, આગમાં બળીને ખાખ થઈ ગયાં. છતાં પિતાએ આશરો તો આપ્યો જ. પણ ભીખીબાઈને થયું કે પિતાને માથે હવે ભારરૂપ ન થવાય. બાળક બેહેરામજીનો ઉછેર સારી રીતે કરવાનો હેતુ પણ ખરો. એટલે થોડા વખત પછી ભીખીબાઈએ મેહેરવાનજી નાનાભાઈ મલબારી સાથે બીજાં લગ્ન કરી લીધાં અને એટલે બેહેરામજી ધનજીભાઈ મહેતા મટી બેહેરામજી મેહેરવાનજી મલબારી બન્યા.

પણ ઓરમાન પિતાને આંગળિયાત બેહેરામજી માટે કશી મમતા નહીં. દુકાનમાં નોકરની જેમ કામ કરાવે. સુરતમાં મલબારીના ઘર પાછળ જ નરભેરામ મહેતાજીની ધૂડી નિશાળ હતી તેમાં બેહેરામજીએ ભણતર શરૂ કર્યું. પછી પારસી પંચાયતની સ્કૂલમાં દાખલ થયાં. પછી સર જમશેદજી એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ. ભણવાનું તો ઠીક પણ બેહેરામજીને સંગીતનો જબરો શોખ. જાણીતા ઉસ્તાદ બહાદુરસિંહના એક ચેલા પાસેથી બે હજાર જેટલાં ખ્યાલ, ગઝલ, ટપ્પા, ઠુમરી વગેરે શીખ્યા. પણ અણધારી રીતે કોલેરામાં માતાનું અવસાન થતાં બેહેરામજીના જીવનમાંનું સંગીત સુકાઈ ગયું. ખાનગી ટ્યૂશનો આપી થોડી કમાણી કરવા લાગ્યા, ભણવાની સાથોસાથ. પછી રાતે મોડે સુધી જાગી અંગ્રેજી કે ગુજરાતી કવિઓની કવિતા વાંચતા. પછી જાતે ગુજરાતીમાં કવિતા લખવા લાગ્યા.

એ વખતે મેટ્રિકની પરીક્ષા માત્ર મુંબઈમાં જ લેવાતી. પારસી જિવાજી કસાઈ પાસેથી વીસ રૂપિયા ઊછીના લઈને બેહેરામજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીનું ભાડું દસ રૂપિયા ને પરીક્ષાની ફી દસ રૂપિયા. પરીક્ષામાં નાપાસ. સુરત પાછા જવાના ફદિયાં મલે ની. માતાની બહેનપણીના દીકરા ડોક્ટર રુસ્તમજી બહાદુરજીની ભલામણથી પારસી પ્રોપ્રાયટરી સ્કૂલમાં વીસ રૂપિયાના પગારે નોકરી મળી. બીજી બે વાર મેટ્રિકની પરીક્ષા આપી, પણ પરિણામ એનું એ, નાપાસ! પણ હાર્યા નહીં. ચોથી ટ્રાયલે પાસ થયા, ૧૮૭૧માં. એ વખતે લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. બેહેરામજીની મૌખિક પરીક્ષાના એક પરીક્ષક હતા રેવરંડ જોસેફ વાનસામરન ટેલર, ગુજરાતી વ્યાકરણના લેખક. સુરતમાં લખેલાં કાવ્યો બીતાંબીતાં બેહેરામજીએ રેવરંડ ટેલરને બતાવ્યાં. પ્રભાવિત થઈને તેમણે રેવરંડ ડોક્ટર જ્હોન વિલ્સન સાથે ઓળખાણ કરાવી. વિલ્સને કાવ્યો વાંચી તે પુસ્તક રૂપે પ્રગટ કરવા જણાવ્યું અને કાવ્ય સંગ્રહનું નામ પણ પાડી આપ્યું, ‘નીતિવિનોદ.’ ૧૮૭૫માં એ સંગ્રહ પ્રગટ થયો. એ વખતે બેહેરામજીની ઉમ્મર ફકત બાવીસ વર્ષ. કાવ્યો પારસી ગુજરાતમાં નહીં, ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાયેલાં અને તેના વિષયો હતા હિન્દુઓના જીવનને લગતા.

‘નીતિવિનોદ’થી મલબારી ગુજરાતમાં જાણીતા થયા તો ૧૮૭૬માં પ્રગટ થયેલ અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ધ ઈન્ડિયન મ્યૂઝ ઈન ઇંગ્લિશ ગાર્બ’ને કારણે ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં જાણીતા થયા. રાણી વિકટોરિયા, કવિ ટેનિસન અને પંડિત મેક્સમૂલરે પ્રશંસાના પત્રો લખ્યા. પછી મલબારી મુંબઈના “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”માં સામાજિક, રાજકીય, શૈક્ષણિક સ્થિતિ વિષે લેખો લખતા થયા. આ ઉપરાંત ‘ધ ઈન્ડિયન સ્પેક્ટેટર’ અને ‘ધ બોમ્બે રિવ્યૂ’માં પણ લખતા. ‘ગુજરાત એન્ડ ગુજરાતીઝ’ પુસ્તક પણ પરદેશોમાં જાણીતું થયું. ૧૮૮૦માં મલબારીએ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ખરીદી લીધું. લગભગ દરેક અંક આખો જાતે જ લખતા.

મલબારીનું વલણ સમાજ સુધારાવાદી હતું. જો કે હિન્દુઓનો વિરોધ તેમને સહન કરવો પડ્યો કારણ એક પારસીને અમારા ધરમકરમમાં દખલ કરવાનો શો હક્ક, એમ રૂઢિવાદીઓ માનતા. મલબારીના અથાક પ્રયત્નોને પરિણામે સરકારે ‘સંમતિવયનો કાયદો’ છેવટે પસાર કર્યો. મલબારીએ ઇંગ્લેન્ડના પ્રવાસો કર્યાં. ખુદ શહેનશાહ સાથે સંબંધ બંધાયો. પણ ૧૮૯૮માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર રાજદ્રોહનો આરોપ મૂકાયો પણ છેવટે સરકારે તેમને નિર્દોષ જાહેર કર્યો.

૧૯૧૨ના જુલાઈમાં મિત્રોના આગ્રહથી મલબારી આરામ કરવા શીમલા ગયા. ૧૧મી જુલાઈએ વાઈસ રોય લોર્ડ હાર્ડિજ અને બીજાઓની મુલાકાત લીધી. રાતે સાડા નવે મિત્ર જોગિન્દરસિંહ સાથે ટેલિફોન પર વાતો કરતાં મલબારી એકાએક બેભાન થઈ ગયા અને થોડીવારમાં જ આ ફાની દુનિયાને છોડી ચાલતા થયા. સીમલામાં આવેલી પારસી આરામગાહમાં મલબારીના નશ્વર દેહને દફનાવવામાં આવ્યો.

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, પ્રોફાઇલ : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014 

Loading

29 April 2014 admin
← Wow ! It Disappeared !
Worshipping Gods in the times of Elections →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved