Opinion Magazine
Number of visits: 9504959
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વામીની કલમે લખાયેલું અનોખું ઈશુ-ચરિત

દીપક મહેતા|Opinion - Opinion|20 April 2014

ત્રીજો દન. હીત વાર, ભગતનું લોક અમથાની વાડિયેં ભેળું થ્યું છે. માંયમાંય વાતું કરે છે. ‘મેં ભાળ્યા.’ ‘મેંય ભાળ્યા.’ જાગતી જોત. ભગત પંડે. હાજરાહજૂર પરચો. ટામો ભગત : “ભાયું મારા! ફીફાં ખાંડો માં. આ મેરાંને ને તમુ સંધાયને પરચા થ્યા કો’છ, ઇ સંધી આપાપણા મનની ઝૂરણ ને લોચ. સૌને ઇમ જ થાય. ભગત કેવા, ને વાત કેવી? ઈ તો કબરકોઠલામાં નો જડ્યા તાણેં જ મીં કીધું’તું કે નક્કી ઈમના કળેવરને ઓલ્યાવ માં’તવાળા ઉપાડી ગ્યા. પલીત અભાગિયા. હવેં હાલો સઉ ઘર્યે પાછા.”

“પણ મેં સગી આંખ્યે ભાળ્યા ને ભગતને!” ‘મેંય ભાળ્યા.’ ‘મેંય ભાળ્યા!’

ટામો ભગત : “કીધું નંઈ. ઈ સંધીયું આપણા મનની લોચ્યું ને શમણાં. ઇમ કાંઈ મૂવાં બેઠાં થાતાં હશે? હા, ઈ જો પાંખડું સાઈને રામરામ કરે, તો માનું કે સાચું.”

એક : “એલા ટામા! ચાંપલો મ થા. અણવશવાસી નત્ય અપવાસી. માળા મૂરખ! ઇમ ગુરુનાં પારખાં લેવાતાં હશે?” “માંય જો. તારું હૈયું ફંફોસ. હૈયે ગરુ હાજરાહજૂર ઝળહળ જોત બેઠા છે.”

બીજો : “કરો ને હાથ લાંબો. તરત ઝાલશે ને રામરામ કરશે. પરચો થાશે હાજરાહજૂર. જોડો હાથ. અમે ભાળ્યા ઈ ખોટું?”

ટામો ભગત સુનકાર થઈ જાય છે. “કાં ટામા? મૂંગો કાં થઇ ગિયો?”

ટામો ભગત : “માળું કાંક કોત્યક થ્યું ખરું – જાણે કે કોકે મને ઝાલ્યો. હાથ અડાડ્યો!”

“ચ્યમ તાણેં? કે’તો’તો ને ઈ સંધી મનની લોચ?”

ટામો : નાં, પણ હું પંડ્યે ઈને અડ્યો ખરો – કે પછી કોક મને અડ્યું?”

ત્રીજો : “હાલો હાલો હવે સંધાય. ચોવટ મેલો. ઇમ કાઈ દેવુંનાં પારખાં નો લેવાય.”

“હવે જો આપડી ભગતિ સાચી હોય તો હાલી નીકળો દુનિયા સંધીને ઈમના દીધા બોધની લાણી કરવા, ને આપડે અજવાળાં થિયાં ઇમ સઉનાં હૈયાં ઝોકાર કરવા.”

***  

ના, જી. આ શબ્દો કોઈ ખ્રિસ્તી પાદરીએ ધર્મપ્રચાર માટે લખેલા કોઈ પુસ્તકમાંથી લીધા નથી. એ જેમાંથી લીધા છે તે પુસ્તકના લેખક તો છે એક સંત મતના રામકૃષ્ણાનુયાયી સાધુ.

નામ હિંમતલાલ રામચંદ્ર દવે. પણ એ નામે ભાગ્યે જ કોઈ ઓળખે. કારણ એ તો એમનું પૂર્વાશ્રમનું નામ. સાધુ બન્યા પછીનું નામ તે સ્વામી આનંદ. જન્મ ૧૮૮૭માં, અવસાન ૧૯૭૬માં. એમનું એક ઓછું જાણીતું, પણ અસાધારણ પુસ્તક છે ‘ઈશુ ભાગવત.’

સ્વામી દાદાના લેખનની શરૂઆત ‘ઈશુનું બલિદાન’ નામના પુસ્તકથી થઈ હતી. તો આ ‘ઈશુ ભાગવત’ના લેખો જુદા જુદા સામયિકોમાં તેમની હયાતી દરમ્યાન છપાયેલા ખરા, પણ તે બધા પુસ્તક રૂપે તો પ્રગટ થયા સ્વામીદાદાના અવસાન પછી, ૧૯૭૭માં. પણ આ પુસ્તકને ‘અસાધારણ’ કહેવાનું કારણ? એક નહિ, એક કરતાં વધારે કારણ. પહેલું તો એ કે એક સંત મતના રામકૃષ્ણાશ્રયી સાધુ ઈશુ ખ્રિસ્ત વિશેનું પુસ્તક લખે. આ તો બીજાના ધરમની વાત એવો બાધ એમને આડો ન આવ્યો. બીજું, વાત ભલે ઇશુની, પણ વાતને તેમને વાઘા પહેરાવ્યા આપણી ભૂમિના. એ વગર અમથું ઈશુના નામ જોડે એમણે ‘ભાગવત’ જોડ્યું હશે. પુસ્તકનું પહેલું પ્રકરણ ‘પરથારો’ વાંચતા જ સમજાઈ જાય કે આ લેખકને મન રામ, કૃષ્ણ, ઈશુ જુદા નથી, કેવળ જુદાં રૂપ છે, એક પરમ તત્ત્વના.

સ્વામીદાદા કહે છે : “સાંભળો તાણેં. જૂનવાણી વારતા કરું છું. જૂની તોય નવી. કાં’કે મારો રામ થોડો જ કોય દિ’ જૂનો થાય ઇમ છે? ઈ તો નત્ય નવા અવતાર લ્યે છે ને નવાંનવાં રૂપ ધરીને, પંડે દખ વેઠી વેઠીને પર્થમીનાં પ્રાછત પીએ.”  કૃષ્ણના ગીતામાંના ‘યદા યદા હિ’ વચન સાથે તેઓ ઈશુને જોડી દે છે અને તેમને ‘હરચંદ સતિયા’ (રાજા હરિશ્ચન્દ્ર) સાથે સરખાવે છે, દુઃખ વેઠવાની બાબતમાં. ત્રીજું, આખું પુસ્તક લખાયું છે સાવ તળપદ લોકબોલીમાં. પણ આમ કરવાનું કારણ? ઈશુના જીવનની કથાઓ પણ સૌથી પહેલાં તો લોક બોલીમાં અને લોક સ્મૃિતમાં જ સચવાઈ હતી. તેને આધારે પછીથી અંગ્રેજી, જર્મન, સ્પેનીશ, ફ્રેંચ વગેરે ભાષાઓમાં તે લખાઈ. સ્વામી કહે છે : ખ્રિસ્તી પંથના ઉદયકાળના અનુનાયીઓ કહેવાતા ઉચ્ચ કે અમીર-ઉમરાવ જાતિકુલના નહોતા પણ કોળી, માછી, સુતાર લુહાર કડિયા કારીગર અગર તો એવી હલકી લેખાતી કોમોના શ્રમજીવીઓ હતા, જેમણે અપરંપાર દુઃખ અને જુલમ-જોરાવારી સામે અસંખ્ય બલિદાન તેમ જ જાન કુરબાનીપૂર્વક ટકી રહીને ઈશુ ભગતની પેઠે જ ‘માથા સાટે મોંઘી વસ્તુ’ મેળવવા પોતાના જીવતર સોંઘાં કર્યા.” એટલે જ અહીં સ્વામીદાદાએ પણ એવા કોળી, માછી, વસવાયાની બોલીનો ઉપયોગ કર્યો છે. હા, શરૂઆતમાં ઘણા વાચકોને ભાષા સમજતાં થોડી વાર લાગે, પણ પછી તો ગાડી સડસડાટ ચાલે. અને પછી તો સ્વામીદાદાની આ અનોખી ભાષા એક આગવું આકર્ષણ બની રહે.

પુસ્તકનું પહેલું પ્રકરણ ‘ઈશુ ભાગવત : પરથારો’ પુસ્તકના પ્રાસ્તાવિક રૂપ છે. પછી આવે છે પુસ્તકનો મુખ્ય ભાગ – લીલામૃત. ઈશુના જીવન સાથે સંકળાયેલી કથાઓ અહીં કહેવાઈ છે. કુલ ૨૫ કથાઓમાં લેખકે ઈશુના જીવનની ઘણીખરી મહત્ત્વની ઘટનાઓને આવરી લીધી છે. પછીનો ખંડ છે ‘કથામૃત.’ બાઇબલમાંની સાત કથાઓ તેમાં રજૂ થઇ છે. અને પુસ્તકને અંતે પાંચ પરિશિષ્ટો મૂક્યાં છે. તેમાં ઈશુના બાર શિષ્યો, નાતાળ, બાઈબલની ભાષા વગેરે, હિંદમાં ઈશુ અને ખ્રિસ્ત ધર્મ, ‘મીનીસ્ટ્રી’નો મૂળ અર્થ, જેવી બાબતોની ચર્ચા કરી છે.

ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસી પૂરી થાય તે પહેલાં તો લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓએ બાઈબલનો ગુજરાતી અનુવાદ કરીને સુરતમાં છાપી સુરતથી જ પ્રગટ કરેલો. ત્યારથી ખ્રિસ્તી પાદરીઓએ ગુજરાતી ગદ્યના વિકાસમાં, મુદ્રણ-પ્રકાશનમાં, મહત્ત્વનો ફાળો આપ્યો છે. પણ આપણા સાહિત્યના વિવેચન કે ઇતિહાસ લખનારાઓએ મોટે ભાગે તે અંગે આંખ આડા કાન કર્યા છે. ધર્માંતરણની પ્રવૃત્તિનો બચાવ ન જ હોય, પણ એને કારણે ખ્રિસ્તી પાદરીઓએ જે થોડાં સારાં વાનાં કર્યાં હોય તેની અવગણના કરવાની ન હોય. સ્વામી આનંદ જેવા આપણા એક સમર્થ ગદ્યસ્વામી પાસેથી આપણને ઇશુની જીવનકથા મળી એ આપણાં અહોભાગ્ય. ગુડ ફ્રાઈ ડેને દિવસે ક્રૂસારોહણ પછી રવિવારે ઈશુએ ભક્તોને ફરી દર્શન દીધેલાં એમ મનાય છે. આજે એ ઇસ્ટર સન ડેનો પવિત્ર દિવસ. અને એટલે આ ‘ઈશુ ભાગવત’ વિશેની વાત.       

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 19 એપ્રિલ 2014

e.mail : deepakbmehta@gmail.com

Loading

20 April 2014 admin
← Beef, Pink Revolution and identity Politics
Business As Usual →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved