Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંદાઝે બયાં અૌર – 3

દીપક બારડોલીકર|Opinion - Literature|6 April 2014

ઉર્દૂ કાવ્યસાહિત્યમાં એક શેર એવો છે, જે દરેક યુગમાં તાજો, તર, પ્રફુલ્લ – fresh રહેવાને સર્જાયેલો છે. કાળનો સ્પર્શ એને મ્લાન કરી શકતો નથી, કરી શક્યો નથી. વળી, એ શેર સાદી ભાષામાં કહેવાયો છે. ભાષાની ભભક સાથે એને સંબંધ નથી. બે ચોપડી ભણેલા ય જાણી – માણી શકે એવો છે એ શેર :

તુમ મેરે પાસ હોતે હો ગોયા
જબ કોઈ દૂસરા નહીં હોતા !

‘ગોયા’ શબ્દ અા શેરનો પ્રાણ છે. અગર એ શબ્દ ખસેડી દેવામાં અાવે તો, બેટરી વગરના ખિલોણા જેવો, સ્થૂળ – નિશ્ચેતન અા શેર બની જાય. ગોયા શબ્દના અર્થ છે : બોલનાર, ઉમદા વાતચીત કરનાર, હૂબહૂ, ના જેવું, હમ શિકલ જાણે. હવે અા અર્થને લક્ષમાં રાખીને અા શેરને પુન: પુન: વાંચો, મન વાહ વાહ કરી ઊઠશે.

અા શેરના રચયિતાનું નામ છે મોમિન ખાન મોમિન. જન્મ ઇ.સ. 1800માં – દિલ્હીમાં. પિતા ગુલામનબીખાઁ હકીમ હતા. મોમિન પણ હકીમ. પ્રતિષ્ઠ શાયર હોવા સાથે જ્યોતિષવિદ્યાના પણ સારા જાણકાર હતા. યાદદાસ્ત એટલી સારી કે એક વાર વાંચેલું, સાંભળેલું ભૂલતા ન હતા. વટના કટકા એવા કે કોઈનું એહસાન લેતા ન હતા. ગઝલના ઉસ્તાદ હતા. એ સિવાય મસનવી પણ લખતા. અાશિક મિજાજ ને ઉમદા લિબાસ પરિધાન કરનારા અાદમી હતા. ખાસા વિવેકી પણ ખરા. નવાબ અસગરઅલીખાઁ નસીમ, શાહઝાદા ખુદાબક્ષ ક્યસર, હકીમ મુનવ્વરઅલી અાશિક્તા વગેરે તેમના શિષ્યો હતા. શતરંજના એક અચ્છા ખેલાડી હતા. 1852માં અવસાન થયું હતું.

ઈશ્ક એક ઉમદા લાગણીનું, સુકોમળ મનોભાવ, વૃત્તિનું નામ છે. મનુષ્ય એ રીતે જ એને અપનાવે છે. પરંતુ જીવનમાં કેટલીકવાર એવા સંયોગો, એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે, જ્યારે તે પોતાની માન્યતાથી વિપરીત વાત પણ કરે છે. ઈશ્ક મિજાજ કવિ મોમિનને કદાચ એવો જ કોઈક ધક્કો લાગ્યો હશે અને એથી તેમણે અામ કહ્યું હશે :

કહેર હય, મૌત હય, કઝા હય ઈશ્ક
સચ તો યે હય, બૂરી બલા હય ઈશ્ક

દેખિયે કિસ જગહ ડૂબો દેગા
મેરી કશ્તી કા નાખુદા હય ઈશ્ક

ખુદા જાણે ઈશ્કથી, સાચું કહીએ તો પ્રિયતમાથી, તેના અસહ્ય એવા નાઝનખરાથી કેવા કંટાળ્યા હશે કે ઈશ્કને મૌત, કહેર ને બૂરી બલા કહી ગયા ! વળી કહે છે કે અા ઈશ્ક મારા વહાણનો નાવિક છે − એ અહીં નહીં તો અન્યત્રે, પણ ડૂબાડશે જરૂર ! … 

ગમે એમ, પણ પ્રેમી, શાયર અામ સહેલાઈથી ડૂબી જાય એવા નથી હોતા. ઈશ્કની, પ્રિયતમાની બેવફાઈ સામે તરેહવાર યુક્તિ અજમાવે છે; ચેતવણી અાપે છે :

અબ અૌર સે લો લગાયેં ગે હમ
જૂં શમ્અ તુઝે જલાયેં ગે હમ

‘તૂ નહીં અૌર સહી !’ ક્યાંક બીજે દિલ લગાવીશું અને તમને બાળીશું, દીવો બળે છે એ રીતે નખશિખ બાળીશું, ચેનથી રહેવા દેશું નહીં !

બરબાદ ન જાયે ગી કદૂરત
કયા ક્યા તેરી ખાક ઉડાયેં ગે હમ

તેં અમને બર્બાદ કરવા ઇચ્છ્યું છે ને વેર બાંધ્યું છે તો અમારો જવાબ પણ મોં તોડ હશે. કીના – કપટને, વેરઝેરને અમે વ્યર્થ જવા દેશું નહીં. બરાબર, તારી ખાક ઉડાવીશું. તને રૂસ્વા કરીશું, બર્બાદ કરી દેશું, − પરંતુ સૌંદર્ય એક અજબ તાસીર રાખે છે. પથ્થરને ય પાણી કરી નાખે છે. એનો એક ઈશારો, એક અંગવિક્ષેપ કેટલા ય કરડા નરોને ચરણોમાં બેસાડી દે છે :

નાવક અંદાઝ જિધર દીદએ જાનાં હોં ગે
નીમ બિસ્મિલ કઈ હોં ગે, કઈ બેજાં હોં ગે

સૌંદર્યની, સુંદરીની તીરછી નજર કયામતથી કમ નથી હોતી. કોઈ નરદમ, નિરોગી સૌંદર્યની તીરંદાજ દૃષ્ટિ જ્યાં પડે છે ત્યાં એક અાફત ઊતરી અાવે છે. કેટલા ય સૌંદર્યપ્રેમીઅો બિસ્મિલ થઈ તરફડવા લાગે છે. તો કેટલા ય પોતાના પ્રાણથી હાથ ધોઈ નાખે છે !

અા દુનિયા છે અને અહીં ઘણું ઘણું થાતું રહે છે. સતત થાય છે. ન થવા જેવું પણ થાય છે. મોમિન અા પ્રક્રિયાનો લાભ લઈ કહે છે :

તુમ હમારે કિસી તરહ ન હુએ
વરના દુનિયા મેં ક્યા નહીં હોતા !

પરંતુ સનમ, પ્રિયતમા તો અાખરે પ્રિયતમા હોય છે ને ! એના નખરાનો પાર હોતો નથી. વળી સનમનો એક બીજો અર્થ પથ્થરની પ્રતિમા થાય છે. સનમના અા શબ્દાર્થોને લક્ષમાં રાખીને કવિ મકતામાં કહે છે :

ક્યું સુને અર્ઝે મુઝતર અય ‘મોમિન’
સનમ અાખિર ખુદા નહીં હોતા

મઝતર એટલે નુકસાનગ્રસ્ત, બેબસ, નિ:સહાય. મોમિન કહે છે કે હાનિ પામેલા – બેબસ અાદમીની ફરિયાદ તો સર્જનહાર સાંભળે છે. તે જ બેબસની વહારે અાવે છે. અા સનમ તો સનમ છે. સર્જનહાર નથી. એ અાપણી ફરિયાદ શા માટે સાંભળે ? એની સામે ફરિયાદ કરવી વ્યર્થ છે. એ પથ્થર છે પથ્થર કદી કોઈનું સાંભળતા હશે ?

અામ છતાં લોકો પ્રેમ કરે છે. પ્રિયતમાથી ઘણી અાશાઅો રાખે છે. અાવી અાશા રાખનારા કેટલાક સફળ પણ થતા હશે. પણ ઘણા તો નિષ્ફળ જ જતા હોય છે. દુ:ખી થાય છે. પસ્તાવો કરે છે. મોમિન એ સંદર્ભે કહે છે કે :

ઈક હમ હંય કે હુએ ઐસેં પશેમાન કે બસ
ઈક વહ હય કે જિન્હેં ચાહ કે અરમાન હોં ગે

અમે તો ખરેખરા પસ્તાયા છીએ, પ્રેમ કરીને. એ ભાઈ, તમે એના અરમાન ન રાખો નહીં તો પસ્તાશો. વેરણછેરણ થઈ જશો. − પરંતુ જેનું સમગ્ર જીવન ઈશ્કે બુતાં પ્રિયમાના નાઝનખરા ઊઠાવવામાં વીત્યું હોય તેવા અાદમી પર અાવી સુફિયાણી સલાહથી કોઈ અસર થાતી નથી. પાડાની પીઠ ઉપર પાણી :

ઉમ્ર સારી તો કટી ઈશ્કે-બુતાં મૈં ‘મોમિન’
અાખરી વક્ત મેં ક્યા ખાક મુસલમાં હોં ગે !

શાયરે અા શેરમાં પ્રતિમાપ્રેમનો લાભ લીધો છે અને પ્રતિમાપરસ્તી અને ખુદાપરસ્તીને સામસામે ગોઠવી શેરને અત્યન્ત સુંદર અને અર્થપૂર્ણ બનાવી દીધો છે. − જેણે જીવનભર બુતપરસ્તી કરી હોય તે અંતિમ કાળે શું ખાક મુસલમાન થવાનો હતો !

અને મોમિનની અા ગઝલ તો માસ્ટરપીસ છે. એ ન વાંચી તો મોમિનનું કંઈ વાંચ્યું નહીં. ‘તુમ્હેં યાદ હો કે ન યાદ હો’. − થોડા અશઅાર :

વહ જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હેં યાદ હો કે ન યાદ હો
વહી યઅની વઅદહ નિબાહ કા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

વહ જો લુત્ફ મુઝ પે થે પેશતર વહ કરમ કે થા મેરે હાલ પર
મુઝે સબ હય યાદ ઝરા ઝરા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

કભી હમ મેં તુમ મેં ભી ચાહ થી કભી હમ સે તુમ સે ભી રાહ થી
કભી હમ ભી તુમ ભી થે અાશના તુમ્હેં યાદ હો કે ન યાદ હો

જિસે અાપ ગિનતે થે અાશના જિસે અાપ કહતે થે બાવફા
મૈં વહી હું મોમિને મુબતલા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

અઘરા શબ્દોના અર્થ :

પેશતર = પહેલાં, પૂર્વે. રાહ = પંથ, કેડી ગરજ, મેળમિલાપ, મૈત્રી. અાશના = પરિચિત, મિત્ર, યાર, પ્રેમી. મુબતલા = ગિરફતાર, ફસેલો, પકડાયેલો, ઉલઝેલો, અાશિક.

કવિ ‘તુમ્હેં યાદ હો કે ન યાદ હો’ કર્યા કરે છે. કદાચ એટલા માટે કે એ જાણતો હશે કે સુંદરીઅોની, પ્રિયતમાઅોની યાદદાસ્ત નબળી હોય છે. તેમને યાદ રાખવા જેવી ઘણી વાતો યાદ રહેતી નથી. ખાસ કરીને મિલનના વાયદા તો યાદ રહેતા જ નથી. કદાચ એ કારણ હશે કે પ્રેમીઅો અકસર કકળાત કરતા રહે છે.

રોયા કરેં ગે અાપ ભી પહરોં ઈસી તરહ
અટકા કહીં જો અાપ કા દિલ ભી મેરી તરહ

મારી માફક અગર તમારું હૃદય જો ક્યાંક ભેરવાયું તો પછી જો જો ! પહોરોપહેર, ઘરને ખૂણે અશ્રુ સારતાં પાર નહીં અાવે. પરંતુ પ્રેમી કોને કહ્યા ! તે ક્યાં તકલીફની પરવા કરે છે. પ્રિયતમા ઘાસ ન નાખે, અાગતાસ્વાગતા ન કરે તો પણ તેની મહેફિલમાં જવાનું ચૂકતા નથી. જુઅો, મોમિન શું કહે છે :

ન જાયે વાં બને હય, ન બિન જાયે ચૈન હય
ક્યા કીજિયે, હમેં તો હય મુશ્કિલ સભી તરહ

તેની મહેફિલમાં ન જવાનું શક્ય નથી ને ન જવા ઇચ્છીએ તો બેચેની રહે છે. જીવ ફફડે છે ! − અમારે તો દરેક રીતે મુશ્કેલી છે. મુસીબત છે ! કહો, શું કરીએ ! છે કોઈ ઉપાય ?

[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]

Loading

6 April 2014 admin
← અંદાઝે બયાં અૌર – 2
મહારાજા અશોકની રાજાજ્ઞા દેવનાગરી લિપિમાં કેમ નથી? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved