Opinion Magazine
Number of visits: 9448735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી ભાષાનું પહેલું મુદ્રિત નાટક

દીપક મહેતા|Opinion - Literature|30 March 2014

માર્ચ ૨૭ એટલે ‘વર્લ્ડ થિયેટર ડે.’

આપણને નાટકો જોવામાં થોડો રસ ખરો, વાંચવામાં નહિ. અને આવા દિવસની રંગેચંગે ઉજવણી કરવાની તો વાત જ ક્યાં? દસ્તાવેજીકરણ – ડોક્યુમેન્ટેશનમાં તો આપણને રસ જ શેનો પડે? ભૂતકાળને ભૂલી જનારા આપણે. વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે આજે આપણી ભાષામાં પહેલવહેલા મૌલિક અને પુસ્તક રૂપે છપાયેલા નાટકનો અહીં પરિચય આપ્યો છે. અને હા, આ નાટકના લેખક મૂળ સુરતના વતની હતા એ હકીકત આપણે માટે સવિશેષ મહત્ત્વની.

“ગુજરાતીમાં હજુ સુધી આવું નાટક લખાઉં નથી ને આ પેલું છે. માટે એમાંની ખોડોને વાસ્તે માફ માગવાનો મને વધારે હક છે એવો મારો વિચાર છે.” આ શબ્દો લખાયા છે ૧૮૬૨ના ઓગસ્ટની પાંચમી તારીખે. લખનાર છે નગીનદાસ તુલસીદાસ. ઉંમર વર્ષ બાવીસ. વ્યવસાય? મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ.

એ ઉંમરે પણ પોતાની પહેલી કૃતિને વિવેચકની દૃષ્ટિથી જોઈ શકે એટલા પરિપક્વ હતા નગીનદાસ. પ્રસ્તાવનામાં લખે છે : “આ નાટકના પહેલા બે અંકો અને છેલ્લા ત્રણ અંકોમાં કંઈ જ સંબંધ નથી એવું કેટલાકને લાગશે, પણ ઊંડી નજરે જોતાં માલમ પડશે કે તેઓમાં સંબંધ છે.” એ જમાનામાં આ નાટક દ્વારા લેખકે પુખ્તવયે થતા પ્રેમલગ્નનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, એ વખતે જ્ઞાતિપ્રથાની પકડ એટલી મજબૂત હતી કે નાટકનાં નાયક-નાયિકા ભોગીલાલ અને ગુલાબ બન્ને એક જ જ્ઞાતિનાં છે એવું લેખકે જણાવવું પડ્યું છે. પ્રસ્તાવનામાં નગીનદાસ કહે છે : “આપણા લોકો નાતોમાં જ છોકરાં પરણાવવા ને નહાનપણે પરણાવવા, સારું છે એમ ગણે છે તે ખોટું છે, અને તેને બદલે કઈ રીતે લગ્ન કરવા તે હું તેમને આ વાંચીને પોતાની મેળે વિચારવાને રહેવા દેઉ છું.” સુધારાનો પુરસ્કાર કરવાની ધગશ ખરી, પણ તે માટેનો હઠાગ્રહ નથી અહીં.

ગુલાબ નાટક આપણા બે ભ્રમ ભાંગી શકે તેમ છે. પહેલો ભ્રમ એ કે સરકારી કામકાજમાં લાંચરુશ્વત, ભ્રષ્ટાચાર, એ આઝાદી પછીની આપણી સરકારોએ આપણને આપેલી ભેટ છે. આ નાટક વાંચતાં સમજાય કે કાગડા બધે જ કાળા હોય છે એટલું જ નહિ, આજે છે તેવા જ કાળા ઓગણીસમી સદીમાં પણ હતા. બંદરના સરકારકૂન જીજીભાઈ અને એક આડતિયા નરિયા વચ્ચેનો આ સંવાદ જુઓ :

જીજી : બોલ નરીઆ, તેં ઘી મોકલાવ્યું’તું કે નહિ? તેં તો નહિ જ મોકલાવ્યું હોય. બચ્ચા તારું તો કોઈ દહારો ઠોબરૂં જ અટકાવસ તારે તુ થેકાને આવસે. દોર સવારે લઈને આવજે.

નરીઓ : અરે મુરબ્બી સાહેબ, જરા ઘરમાં ખબર તો કાહાડો, પછી ઘુસ્સે થાઓ. એમ ગરીબ વાનીઆ પર સું ઘુસ્સે થાઓ છો. બપોરનું મોકલાવ્યું છું.

જીજી : હું માનું નહિ. પૂછી જોવા દે, — મોબેત.

મોબેત : જી.

જીજી : આ મારફતીઓ ઘી મન ૧ આપી ગયોચ?

મોબેત : હા જી.

જીજી : જાઓ – લાવ નરીઆ, તને સહી તારે કરી આપસ.

અને હા, આ વાતચીત ખાનગીમાં નથી થતી, બીજા આડતિયાઓની હાજરીમાં જ થાય છે, અને બધા પાસેથી જીજીભાઈ કંઈ ને કંઈ આ રીતે ઉઘરાવે છે. ફરક હોય તો એટલો કે પૈસાની નહિ, ચીજવસ્તુઓની લાંચ લે છે. અલબત્ત, અમદાવાદની ‘મહાપાઠશાળા’માં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ પામેલો ભોગીલાલ માત્ર પ્રેમલગ્ન કરવામાં જ રોકાયેલો નથી રહેતો. લાંચરુશ્વતની સામે મોરચો પણ માંડે છે. અદાલતમાં જીજીભાઈ સામે કેસ માંડે છે અને જીતે છે. એટલું જ નહિ, અદાલતના ચુકાદાને કારણે જેમને આર્થિક રીતે સહન કરવું પડ્યું છે, તેમને એ જ ભોગીલાલ આર્થિક મદદ તો કરે જ છે, પણ તેમની નોકરી પણ બચાવે છે. અને એ રીતે ‘તું પાપ સાથે નવ પાપી મારતો’ નો આદર્શ પાળી બતાવે છે.

આપણા સાહિત્યના વિવેચન અને ઇતિહાસમાં એક ભ્રમ એવો ફેલાયો છે કે આપણા સાહિત્યમાં પ્રાદેશિક કે વર્ગવિશેષની બોલીનો ઉપયોગ તો ગાંધી યુગથી જ શરૂ થયો. પણ આ નાટકના પહેલા બે અંકમાં લેખકે એ જમાનામાં બોલાતી વિવિધ બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કર્યો છે. સુરતી વેપારીની બોલી, ખલાસીઓ અને બંદર પરના મજૂરોની બોલી, પારસી તથા નાગર અમલદારોની બોલી, અરે, બ્રિટીશ જજની અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલી. અહીં પાત્ર અને પ્રસંગને અનુરૂપ થાય એવી રીતે પ્રયોજાઈ છે. અદાલતના સીનમાં તો બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કરવાની તક લેખકને મળી ગઈ છે. અંગ્રેજ જજ, અદાલતનો નાગર અધિકારી મધુવછરામ, અને જુદી જુદી કોમના સાક્ષીઓ. દાયકાઓ પછી ચંદ્રવદન મહેતાએ લખેલા નાટક ‘આગગાડી’ના પ્લેટફોર્મ સીનનો પુરોગામી બની રહે તેવો આ કોર્ટ સીન છે. અંગ્રેજ જજ, મધુવછરામ અને ટંડેલ સાક્ષી વચ્ચેનો આ સંવાદ જુઓ :

જજ : તમે સોગન ખાઓ ને કોહો કે તમારું નામ જોગી બીજા ચે.

જોગી (ઘભરાઈને ધ્રુજતો ધ્રુજતો) : અરે છાએબ, મને કોલીડાને તે તમે છું ‘તમે’ કોહો!

બળવછ : એમાં તું નાહાના માબાપનો થઇ ગયો કે લોંઠા? સીધો સાહેબને જવાબ દે, સાહેબ કેહે છે કે તારું નામ જોગી બીજા?

જજ : બેલવેચરેમ, તમે ગરીબ આદમીને ગભારાવો નહિ. ગરીબ લોકો શું કોર્ટની વાત જાને? બોલ, તુને કેમ મેં હઇ બોલાવ્યો ચે?

જોગી : છાબ! મને છારૂં બોલતા નથી આવડતું. જેવું બોલાછે તેવું બોલું છું. મને મારા છેઠની તરફથી છાએથી પુરાવા બોલાવ્યો છે.

પ્રસ્તાવનામાં લેખકે એક બીજી વાત કરી છે જે પૂરેપૂરી સાચી લાગતી નથી. તેઓ કહે છે : “મને સંસ્કૃત ભાષા આવડતી નથી માટે તેમાં નાટકો કઈ પ્રકારે લખાય છે તે વાતની મને ખબર નથી. મેં આ નાટકનું બંધારણ અંગ્રેજી નાટકો પરથી બાંધેલું છે.” ગુલાબ નાટકના પહેલા બે અંકોમાં તો સંસ્કૃત નાટકોનો પરિચય હોય તે જરૂરી પણ નથી. પણ પછીના ત્રણ અંકો જોતાં લાગે છે કે કંઈ નહિ તો કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકથી તો લેખક પરિચિત હોવા જ જોઈએ. તેમણે એ નાટક સંસ્કૃતમાં ન વાંચ્યું હોય તો તેનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો હોવો જોઈએ. એ નાટકના પહેલા બે ગુજરાતી અનુવાદ (એક ઝવેરીલાલ યાજ્ઞિકનો અને બીજો દલપતરામ ખખ્ખરનો) તો ૧૮૬૭માં, ગુલાબ છપાયા પછી, પ્રગટ થયા એટલે ગુજરાતી અનુવાદ વાંચ્યો હોય એ શક્ય નથી. પણ નાયક ભોગીલાલ અને નાયિકા ગુલાબ વચ્ચેના પ્રેમસંબંધનો જે રીતે પ્રારંભ થાય છે અને પછી તેનો વિકાસ થાય છે તેના પર શાકુન્તલની સ્પષ્ટ અસર છે. વળી આખા નાટકમાં – પહેલા બે અંકમાં પણ – નગીનદાસે વચમાં વચમાં શ્લોક ગોઠવ્યા છે. સંસ્કૃત નાટકના પરિચય વગર એ શક્ય બને?

પણ આ નગીનદાસ હતા કોણ? ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના અગિયાર ભાગમાં તેમનું નામનિશાન મળતું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા ‘ગુજરાતી સાહિત્યકોશ’ના બીજા ભાગમાં તેમને વિષે ‘અધિકરણ’ છે. પણ અમદાવાદી વિવેચકોની ટૂંકી દૃષ્ટિના પુરાવા જેવું છે. તેમાં આ ગુલાબને નહિ, પણ દલપતરામના ‘લક્ષ્મીનાટક’ અને ‘સ્ત્રીસંભાષણ’ને આપણી ભાષાનાં પહેલાં નાટકો ગણાવ્યાં છે. તેમાનું પહેલું મૌલિક નથી, એરિસ્તોફેનિસના નાટકનું રૂપાંતર છે, અને બીજું તો નાટક જ નથી. તેના ટાઈટલ પેજ પર જ છાપ્યું છે તેમ એ છે ‘ગુજરાતી બાયડીઓની વાતચીતનું વર્ણન.’ પણ ગુજરાતી સાહિત્યની વાત આવે ત્યારે દરેક ક્ષેત્રમાં પહેલ કરનાર તો કોઈ ને કોઈ અમદાવાદી જ હોવો જોઈએ એમ ઘણા વિવેચકો માને છે. ખેર. ચંદ્રવદન મહેતાએ ભારે મહેનત કરી નગીનદાસનું પગેરું શોધ્યું. તે પ્રમાણે, નગીનદાસનો જન્મ સુરતમાં, ૧૮૪૦માં. વેપારી કુટુંબ. આડતિયાનું કામ એટલે અટક પડી મારફતિયા. પ્રાથમિક શિક્ષણ સુરતમાં. પછી આગળ ભણવા મુંબઈ ગયા. ૧૮૬૨માં મુંબઈ યુનિવર્સિટીએ પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી. તેમાં માત્ર ચાર છોકરાઓ પાસ થયેલા, ચારે મરાઠીભાષી. બીજે વર્ષે, ૧૮૬૩માં લેવાયેલી પરીક્ષામાં પાસ થઈ નગીનદાસ પહેલવહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ બન્યા. પોતે ભણેલા તે એલ્ફિન્સ્ટન કોલેજમાં જુનિયર દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. પછી વકીલ થયા, વકીલાત કરી. કોલેજમાં ભણતા ત્યારથી કવિ નર્મદ સાથે દોસ્તી. આ ગુલાબ નાટક નગીનદાસે નર્મદને જ અર્પણ કર્યું છે. નર્મદના સાપ્તાહિકનું “ડાંડિયો” નામ પાડનાર પણ આ નગીનદાસ જ. તેમાં અવારનવાર લખતા પણ ખરા. ગુલાબ ઉપરાંત બીજું એક નાટક ‘માણેક’ પણ લખેલું જે ત્રિમાસિક “બુદ્ધિવર્ધક ગ્રંથ”માં પ્રગટ થયેલું. પણ પુસ્તકરૂપે પ્રગટ થયું હોવાનું જાણવા મળતું નથી. મુંબઈ યુનિવર્સિટી વિષે લખેલું પુસ્તક ૧૮૬૯માં પ્રગટ થયેલું. આ યુનિવર્સિટી વિષે કોઈ પણ ભાષામાં લખાયેલું આ પહેલું જ પુસ્તક. નગીનદાસ આમ તો રોજ હવેલીમાં દર્શને જતા, ત્યાં બેસી ભજનો ગાતા. પણ મહારાજ લાયબલ કેસમાં સુધારાવાદીઓની સાથે રહેલા. નર્મદનાં પુનર્લગ્નને પણ તેમણે ટેકો આપેલો અને નર્મદના અવસાન પછી પણ તેની પત્નીઓ ડાહીગૌરી, સવિતાગૌરી, અને પુત્ર સાથે સંબંધ ચાલુ રાખેલો. ૧૯૦૨માં બાસઠ વર્ષની વયે નગીનદાસનું અવસાન થયું.           

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2014

Loading

30 March 2014 admin
← જોબનિયા કોન વાટે ગયા
વિધવાવિવાહ અને ખ્રિસ્તી ધર્મનો પુરસ્કાર કરતી મરાઠી નવલકથા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved