Opinion Magazine
Number of visits: 9509866
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિ‌લા પ્રવૃત્તિને જ્યારે નવો અર્થ જડયો

પ્રકાશ ન. શાહ|Profile|11 January 2014

અલવિદા, ઇલા પાઠક; આવાં કેટકેટલાં પાયામાં પુરાયાં અને પુરાશે ત્યારે નાગરિક સમો બંધાશે, ન જાણે

તાજેતરનાં અઠવાડિયાઓમાં ચાલુ બનાવોની ભરમાર વચ્ચે કોઈ એક વાનું કમબખ્ત ચિત્તનો કેડો જ ન મેલતું હોય તો તે 'આપ’ ઘટના છે. સ્વરાજ સંગ્રામ જો દેવહુમા પક્ષીની પેઠે જયપ્રકાશના આંદોલનમાં પુનર્જીવિત અનુભવાયો હોય તો એનું એક સાતત્ય અને સંધાન જંતરમંતર વાયા તહરીર દિવસોને પગલે આજકાલ 'આપ’ રૂપે અવનવાં સ્પંદનો જગવે છે. એટલે સામાન્યપણે સીધા એ વિષય પર જ ગયો હોત, પણ શુક્રવારની સવારે કર્મશીલ ઇલા પાઠકને પંચ મહાભૂતને હવાલે સોંપવાનું બન્યું તે ક્ષણથી ચિત્ત 'આપ’ પરથી હટીને ઇલા પાઠક નામે માનવ ઘટના પર ઠરવા કરે છે.

ના, કદાચ આ વિષય બદલો નથી. પ્રકારાન્તરે કદાચ એ જ ફ્રિકવન્સી પરની જિકર છે. 'આપ’ આખરે શું છે? છેવટે તો એ ર્જીણ રાજનીતિને વરેલાં સ્થાપિત હિ‌તો વચ્ચે પોતાનું વજૂદ પુરવાર કરતો પ્રાણવંત અને પ્રામાણિક નાગરિક ઉન્મેષ છે. આ ઇલાબહેન અને મિત્રો આજથી એક પચીસી કરતાં પણ પહેલાં નાગરિક સમિતિરૂપે સ્થાપિત પક્ષોથી ઉફરાટે ચૂંટણીમોઝાર ઊતરી આવ્યાં ત્યારે પરિણામનિરપેક્ષ રૂપે પણ એમની હાજરીએ આસપાસનો રાજકીય વિમર્શ બદલી નાખવાની ગુંજાશ દાખવી હતી, અને આજે જેમ કોંગ્રેસ અને ભા.જ.પ. બેઉ વચ્ચે નાગરિક ઘટનાએ પોતાનો સિક્કો પાડી બતાવ્યો છે એનો આછોપાતળો પણ પૂર્વાભાસ એ દિવસોમાં કેમ જાણે મળી રહ્યો હતો.

ઇલા પાઠકને મેં હમણાં કર્મશીલ કહ્યાં. એમની જાણીતી ઓળખ મુજબ મહિ‌લા કર્મશીલ પણ કહી શક્યો હોત. અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રૂપ કહેતાં 'અવાજ’ના સ્થાપક મંત્રી તરીકેની ઓળખ સાથે વાત માંડી શક્યો હોત. પણ નાગરિક નેજા નીચે એ ચૂંટણી લડયાં હતાં એનું સ્મરણ પહેલપ્રથમ કીધું તે સહેતુક અને સાભિપ્રાય કીધું; કેમ કે આપણે ત્યાં મહિ‌લા પ્રવૃત્તિ કે એવીતેવી બીજી પ્રવૃત્તિઓ પોતપોતાના ફળિયામાં ઘરગથ્થાં રમવાની જેમ ચાલે છે. ફળિયાને વટી જઈ નગર આખાની ચિંતાના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાનું એમને કેમ જાણે સોરવાતું નથી. તમે મહિ‌લા હો કે શ્રમિક, દલિત હો કે વંચિત, આખરે તો તમારે પૂરા કદના નાગરિકમાં સ્થપાવાનું છે અને આ પ્રક્રિયાને અનિવાર્યપણે એનું એક રાજકીય પરિમાણ છે તે મુદ્દો બૂજનારા જૂજ કર્મશીલો પૈકી એક ઇલાબહેન હતાં.

એક રીતે, ઇલા પાઠકને વિશે અને મિશે વાત કરવી તે નવયુગી ગુજરાતની દાસ્તાં માંડવા બરોબર છે. 'ઇલા’ નામ આપણી હજુ હમણાં લગીની આગલી બેત્રણ પેઢીઓમાં, બને કે, ઇલાકાવ્યો અને ચંદ્રવદન મહેતાનું સ્મરણ જગવે. વસ્તુત: ચં.ચી. મહેતાએ પંડે જે થોડીકેક ઇલાઓનાં નામ પાડયાં મનાય છે એમાંના એક આપણાં ઇલાબહેન પણ હતાં. પિતા જયકૃષ્ણ વર્મા પણ ચંદ્રવદન અને મહીડા રાજપરિવારની જોડાજોડ મુંબઈમાં ભેળપુરી સહિ‌તના એજન્ડા પર મળતા કલમ મંડળના સક્રિય સભ્ય હતા, અને મુંબઈના નવોન્મેષ સાથે લુણાવાડાના દીવાનપદા સહિ‌તની ભલે ટૂંકી પણ જિંદગીમાં પુત્રી પર નવયુગના ચોક્કસ સંસ્કારો મૂકતા ગયા હશે તેમ ઇલા પાઠકના કરિયરગ્રાફ પરથી સમજાઈ રહે છે.

મારી વાત સમજાવવા માટે ગુજરાતની સંસાર સુધારા ચળવળથી જરી ઉતાવળે શરૂ કરું? ક્યારેક આ ઈલાકો નીલકંઠ-દિવેટીઆ પરિવારોની સુરત-અમદાવાદ આવનજાવન અને વિકસનનો હતો. વીસમી સદીની છેલ્લી પચીસીમાં જે વ્યક્તિઓ સુરતથી અમદાવાદ આવી સ્થાયી થઈ તેમાં ઇલા ભટ્ટ અને રમેશ ભટ્ટ, પ્રવીણ શેઠ અને સુરભિ શેઠ તેમ ઇલા વર્મા (પાઠક) અને કીર્તિ‌દેવ દેસાઈ પણ હતાં. જાહેર જીવન અને નાનાવિધ નાગરિક પ્રવૃત્તિઓ સાથે એક પ્રકારે સ્વાધ્યાયયુક્ત આપલેનો નાતો એ સૌનો પોતપોતાની રીતે રહ્યો. નીલકંઠ-દિવેટીઆ સંક્રાન્તિથી ભટ્ટ-પાઠક સંક્રાન્તિમાં. શું બન્યું? પહેલી સંક્રાન્તિમાં લિબરલ પરિવારોના પ્રારંભિક કોંગ્રેસકારણમાંથી આગળ જતાં અખિલ હિંદ મહિ‌લા પરિષદ પ્રકારનો માહોલ બન્યો. એને જરી વધુ સુધારકી વળાંક મળ્યો ત્યારે જ્યોતિસંઘનો જમાનો આવ્યો.

ધીમે ધીમે પુરુષ સમોવડી સ્ત્રીનો ખયાલ ઊપસી રહ્યો. દરમિયાન જેમ પુરુષ તેમ સ્ત્રી પણ 'વ્યક્તિ’ છે અને એનું અસ્તિત્વ સ્વત: સિદ્ધ છે એવી જે નવી સમજે બ્રા-બર્નિંગ પશ્ચિમી સ્ત્રીઓ સાથે કાચુંપાકું પણ માથું ઊંચકવા કર્યું એને આપણાં સ્વરાજમૂલ્યો સાથે સાંકળી મહિ‌લા પરિષદ અને જ્યોતિ સંઘની મધ્યમવર્ગી હિ‌લચાલો પછીનો નવ્ય નારીવાદી તબક્કો ગુજરાતમાં જેમને આભારી હોઈ શકે છે એમાંનાં એક ઇલા પાઠક હતાં. વાત એમ છે કે સિવણગૂંથણ અને વડી પાપડ પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ ભટ્ટ અને મધ્યમવર્ગી વંડીઓ ઠેકી શ્રમિક સુખદુ:ખ સાથે જોડાવું તે આપણા સમયનો પડકાર છે. તેમ કરતાં બેસ્ટ બેકરી પ્રકરણમાં ન્યાય વાસ્તે રસ્તે ઊતરી આવવું પડે કે લોકાયુક્ત માટે બેનર લઈ ઊભા રહેવું પડે તો તે પણ મુબારક છે.

નારીવાદી હિ‌લચાલનું સેક્યુલર અને નાગરિક સ્વાતંત્ર્ય ચળવળો સાથેનું સંધાન એ ઇલાબહેનનો વિશેષ હતો. મણિપુરની ઈરોમ શર્મિ‌લાથી માંડી અમદાવાદમાં લઠ્ઠાકાંડના પીડિતો, કશું એમને અગરાજ નહોતું. એંસી વરસના પૂર્ણાયુષના છેક છેલ્લા દોરમાં એમને રાષ્ટ્રીય મહિ‌લા આયોગનું સન્માન અને હ્યુમન રાઈટ્સ એર્વોડ બે એક સાથે આવી મળ્યાં, એ કેવળ અકસ્માત નહોતો. આવાં કેટકેટલાં પુરાયાં અને પુરાશે ત્યારે નાગરિક સમો બંધાશે, ન જાણે.



પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 જાન્યુઅારી 2014)

Loading

11 January 2014 admin
← અાનંદલોકે મંગલાલોકે …
Ila Pathak, a feminist crusader →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved