Opinion Magazine
Number of visits: 9447849
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શટ અપ માનવતા !

દિવ્યેશ વ્યાસ|Samantar Gujarat - Samantar|8 October 2013

માથે મેલુંના મુદ્દે બેશરમ તંત્ર-સમાજ સુધરશે?

સંસદના ચોમાસુ સત્રમાં માથે મેલું ઉપાડવાની અમાનવીય પ્રવૃત્તિને નાબૂદ કરવા અને સફાઈ કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવા અંગેનું વિધેયક પસાર કરાયું, પણ કમનસીબે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડી જોવા મળે છે ત્યારે સફાઈકર્મીઓનું કલ્યાણ હજુ પણ દિવાસ્વપ્નસમું ભાસે છે

સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયું પછી કેન્દ્ર સરકારે હાશકારો અનુભવ્યો હશે, કારણ કે તે પોતાના માટે મતના ડુંગરા ખડા કરે એવાં બે વિધેયકો – ખાદ્ય સુરક્ષા વિધેયક અને જમીન સંપાદન વિધેયક પસાર કરાવવામાં આખરે સફળ થઈ હતી. આ મહત્ત્વાકાંક્ષી વિધેયકોની ચર્ચામાં અન્ય એક મહત્ત્વપૂર્ણ વિધેયકની ચર્ચા કોરાણે રહી ગઈ, ન સત્તાધારી પક્ષ કે ન તો વિપક્ષોમાંથી કોઈને એ વિધેયક માટે કોઈ ખાસ પરવા હતી, કારણ કે તેનાથી નહોતો ફાયદો કોઈ ચૂંટણી ભંડોળ છલકાવતી મલ્ટિનેશનલ કંપનીઓનો કે નહોતો કોઈ મોટી મતબેન્કનો. એટલે આખરે આ વિધેયકની નિયતિ પણ એ જે લોકો માટે ઘડાયું છે એમના જેવી થઈ!

આ વિધેયક માથે મેલું ઉપાડવા જેવી અમાનવીય અને સામાજિક શરમસમી પ્રવૃત્તિની નાબૂદી માટેનું અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોના પુનર્વસનનું છે. આ વિધેયકનું પૂરું નામ છે – ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન બિલ, ૨૦૧૨. ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ ને શુક્રવારના રોજ આ વિધેયક લોકસભામાં પસાર કરાયું અને બીજા દિવસે એટલે કે શનિવારે તેને રાજ્યસભામાંથી પણ પસાર કરી દેવાયું. ધ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાઇ લેટ્રીન્સ (પ્રોહિબિશન) એક્ટ, ૧૯૯૩ને બદલે હવે આ નવી-સુધારેલી જોગવાઈઓ સાથેનો કાયદો અમલમાં આવશે. જૂના કાયદાની જગ્યાએ આવેલો નવો કાયદો ચોક્કસ કેટલીક આવકાર્ય જોગવાઈઓ ધરાવે છે, છતાં કાયદાકીય જાણકારો અને દલિત અધિકારો માટે વર્ષોથી કાર્યરત સામાજિક કાર્યકરોના મતે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડીઓ નજરે પડે છે, જેના કારણે માથે મેલું ઉપાડનારા અને સફાઈ કામદારોનાં જીવનમાં રાતોરાત કંઈ પરિવર્તનનો પ્રકાશ વ્યાપી જશે, એવું માનીને રાજી થવા જેવું નથી.

૧૯૯૩ના કાયદા કરતાં આ નવા કાયદામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવી છે. માથે મેલું ઉપાડવાની પ્રવૃત્તિ કરાવનાર સામે હવે ક્રિમિનલ કેસ થશે અને એ બિનજામીનપાત્ર ગુનો ગણાશે. વળી, સજાની જોગવાઈ પણ વધારવામાં આવી છે. બે વર્ષની કેદ કે વધુમાં વધુ ૫૦,૦૦૦નો દંડ અથવા તો બન્નેની સજા ફટકારી શકાશે. કોઈ વ્યક્તિએ મેન્યુઅલી સાફ કરવાં પડે એવાં સૂકાં શૌચાલયોના બાંધકામ પર જ પ્રતિબંધ છે અને એવાં હયાત શૌચાલયોને તોડી પાડવાની વાત પણ કરવામાં આવી છે. મેન હોલમાં ઊતરીને સફાઈ કરવાની થતી હોય ત્યાં જરૂરી સુરક્ષાનાં સાધનો અને માસ્ક વગેરે પૂરાં પાડવાની પણ ફરજ પાડવામાં આવી છે. વળી, અત્યારે જે લોકો આ વ્યવસાયમાં છે, તેમના માટે વૈકલ્પિક રોજગારીનું નિર્માણ કરીને તેમનું પુનર્વસન કરવાની પણ આવકારદાયક બાબતોનો સમાવેશ કરાયો છે, છતાં ખાટલે મોટી ખોટ એ છે કે તેમાં રેલવે સહિતનાં સરકારી તંત્રો અને નિગમોને પહેલેથી જ કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે, જે આ કાયદાની હવા કાઢી નાખવા માટે પૂરતી છે.

જો સરકારી તંત્રોમાં જ આનો અમલ કરવામાં ઢીલાશ રાખવામાં આવશે તો પછી ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે તો તમે કઈ રીતે ચુસ્ત અમલ કરાવી શકવાના? બીજો મોટો મુદ્દો એ છે કે આ કાયદાના અમલીકરણ અને તેની દેખરેખની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર જ છોડી દેવામાં આવી છે. સ્થાનિક તંત્ર પોતે જ આ અંગે સર્વે કરશે, એનો અહેવાલ બનાવશે અને તેના પર કાર્યવાહી કરશે, એવી વ્યવસ્થા છે. હવે કયું તંત્ર સામેથી ગુનો કબૂલશે, એને સુધારવાની તસ્દી લેશે કે સજા ભોગવશે? ગુજરાતમાં હાઈકોર્ટના ચુકાદા છતાં પણ આજે ય સફાઈ કર્મચારીઓ મેઇન હોલમાં ડૂબી કે ગૂંગળાઈને કમોતે મરી રહ્યા છે. એ કર્મચારીના પરિવારને વળતરની વાત તો દૂર રહી પણ આ મામલે ખાનગી કોન્ટ્રાક્ટો પર નિર્ભર બનેલું સરકારી તંત્ર પાછું શાણું થઈને પોતાનો બચાવ કરતું હોય છે અને આવી કોઈ સ્થિતિ હોવાનો ઇનકાર કરતું હોય છે. ગરીબી ઘટયાનું સાબિત કરવા માટે બીપીએલ કાર્ડ ઇશ્યૂ ન કરતાં રીઢા તંત્ર પાસે આ કાયદાના અમલ માટે કેટલી આશા રાખી શકાય, એ યક્ષપ્રશ્ન છે.

વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દેશમાં ૭,૫૦,૦૦૦ એવા પરિવારો છે, જે મેલું ઉપાડવાના અમાનવીય વ્યવસાયમાં સંકળાયેલા છે. વળી, માથે મેલું ઉપાડનારામાં ૯૮ ટકા તો મહિલા જ હોય છે, જે દલિતોમાં પણ પછાત કે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાંથી આવતી હોય છે. આ ઉપરાંત આપણાં મોટા ભાગની ગટર વ્યવસ્થા અને તેની સાફ-સફાઈની પદ્ધતિ આજે પણ જરીપુરાણી છે અને એટલે ગંધાતી ગટરને સાફ કરવા માટે સફાઈકર્મીઓએ મેઇન હોલમાં ઊતરવું પડે છે, જે માથે મેલું ઉપાડવા કરતાં ક્યાંક વધારે જોખમી અને દુષ્કર હોય છે. ઈ-ગવર્નન્સની શેખીઓ મારતી સરકારોને ગટર સાફ કરવાનાં આધુનિક સાધનો વસાવવાનું કેમ સૂઝતું નહીં હોય? આપણે આધુનિક સમાજ હોવાનો ગર્વ અનુભવીએ છીએ, પણ આપણી વર્ણવ્યવસ્થાથી પેદા થયેલી અસ્પૃશ્યતાએ અમુક વર્ગ માટે સર્જેલી અમાનવીય સ્થિતિ બાબતે લાપરવા છીએ. કાયદાની જરૂર ત્યારે પડે જ્યારે સમાજને તે અંગે સભાનતા ન હોય અને આવી સ્થિતિમાં કાયદો જરૂરી હોય ત્યારે એ કાયદો કલ્યાણકારી, સ્પષ્ટ અને છટકબારી વિનાનો હોવો જોઈએ.

દશેરાના દિવસે દસથી પણ વધારે માથાંવાળા અસ્પૃશ્યતા-અમાનવીયતાના રાવણને હણવાની જરૂર છે. તમે તૈયાર છો?

divyeshvyas.amd@gmail.com

(સૌજન્યઃ ‘સમય સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 6 ઓક્ટોબર, 2013) 

Loading

8 October 2013 admin
← બળવંત નાયકનો સ્મૃિત – ઓચ્છવ
અાર્થિક નહીં, બૌદ્ધિકવારસો જ અપનાવો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved