Opinion Magazine
Number of visits: 9448778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રેખાચિત્ર’નું રેખાચિત્ર : ગુજરાતી રેખાચિત્રો

અશોક ચાવડા|Opinion - Literature|7 August 2013

(ગુજરાતી રેખાચિત્રો  સં. ડૉ. પન્ના ત્રિવેદી, પ્રકાશક : રન્નાદે પ્રકાશન, પ્ર.આ. ૨૦૧૨, ડિમાઇ સાઇઝ, પૃષ્ઠ-૨૫૪, કિંમત રૂ. ૩૩૫/-)

રેખાચિત્ર ચિત્રકળા સાથે સંકળાયેલ સંજ્ઞા ભલે હોય, પણ જ્યારે સાહિત્યનાં એક સ્વરૂપ તરીકે તેનાં વિશે વાત કરીએ તો ચરિત્ર સ્વરૂપના અનેક પ્રકારો યાદ કરવા પડે. રેખાચિત્ર આમ તો સંક્ષિપ્ત જીવનચરિત્ર જ છે, જે ડાયરીલેખન, પત્રલેખન, સ્મરણાંજલિ, સ્મૃિતલેખ, રેખાચિત્ર, અભિનંદનગ્રંથ કે ચરિત્રનિબંધ એમ અનેકાનેક પ્રકારે લખાતું રહે છે. રેખાચિત્રનું સ્વરૂપ અન્ય ગદ્યસાહિત્ય પ્રકારોની તુલનામાં ભલે ઓછું ખેડાયું હોય પણ રોજબરોજ આપણી આસપાસ અનેક રેખાચિત્રો વાતવાતે ખડકાતાં રહે છે, પરંતુ શબ્દદેહે સાકાર થનારા બહુ ઓછાં હોય છે. કસીદા, પ્રશિસ્ત કાવ્ય કે વિશિષ્ટ નઝમ જે સામાન્ય રીતે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને લખવામાં આવતી હોય છે તેને પણ એક રીતે તો પદ્યાત્મક રેખાચિત્ર કહી શકાય !

રેખાચિત્ર જેવાં ઓછાં ખેડાયેલાં સ્વરૂપ વિશે વધારે જાણકારી મળે તેવું એક સંપાદન ડૉ. પન્ના ત્રિવેદી પાસેથી મળ્યું છે. સંપાદિકાએ 'ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રની ગતિવિધિ' વિષય પર શોધનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી છે તો વાર્તાકાર-કવયિત્રી-અનુવાદક તરીકે પણ તેઓ સક્રિય છે. તેમની આ સાહિત્યિક સૂઝનો અણસાર પ્રસ્તુત સંપાદન 'ગુજરાતી રેખાચિત્રો'માંથી મળે છે. ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રના પ્રારંભ વિશે સંપાદિકાએ અભ્યાસપૂર્ણ સંપાદકીય લેખમાં વિગતે વાત કરી જ છે. સંપાદિકા રેખાચિત્રને 'સ્કેચ'સાથે યોગ્ય રીતે જોડે છે.

સંપાદનમાં નર્મદ, લીલાવતી મુનશી, નરસિંહરાવ દીવેટિયા, ન્હાનાલાલ, સ્વામી આનંદ, કિશનસિંહ ચાવડા, ઝવેરચંદ મેઘાણી, જયંતિ દલાલ, ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, રમણીક અરાલવાળા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જૉસેફ મૅકવાન, ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે, મણિલાલ હ. પટેલ, ભગીરથ બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ રાવલ, મનસુખ સલ્લા, વિજય શાસ્ત્રી અને વિનોદ ભટ્ટ જેવાં ૨૨સર્જકોએ નિરૂપેલાં ૩૬ રેખાચિત્રો સમાવિષ્ટ છે. આમ, સંપાદિકાએ જ્યારથી ગદ્યનો આરંભ થયો છે તેવા નર્મદથી શરૂ કરીને અત્યાર સુધીના વિવિધ સાહિત્યિક યુગ સંદર્ભે રેખાચિત્રનાં સ્વરૂપ-સંજ્ઞા-શૈલી સમયે સમયે કેવી રીતે બદલાતાં રહ્યાં છે તેનો વિકાસ-આલેખ આપ્યો છે.

અહીં એક તરફ દયારામ, નરસિંહરાવ ભોળાનાથ, સ્વ.નારાયણ હેમચંદ્ર, મડિયા, મેઘાણી, જયંતિ દલાલ, મનુભાઈ પંચોળી, લાભશંકર ઠાકર, ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોના રેખાચિત્રો છે તો બીજી તરફ મહારાજ સયાજીરાવ ગાયકવાડ જેવા રાજવીનું રેખાંકન સાંપડ્યું છે અને સાથેસાથે આપણી આસપાસ જોવા મળતા સર્વસામાન્ય એવા સામાજિક પાત્રોનાં રેખાંકનો પણ સ્થાન પામ્યાં છે. જેમ કે, દૂધવાળો, શિક્ષક, સાસુ, ટપાલી, ફોઈ, બેન્ડવાળા, ગોળાવાળો, કલીવાળા, જીવા અમથા ઇત્યાદિ. વધુમાં, જવલ્લે જ જોવા મળતાં પ્રાણી ચિત્રોમાં મોખરાનું સ્થાન પામેલ 'મોરુ' નામે ઘોડાનું રેખાંકન છે તો 'શહેરની શેરી'શીર્ષક હેઠળ એક નિર્જીવ શેરીને જીવંત કરી આપતું સજીવ રેખાંકન પણ છે. આ રીતે રેખાચિત્રો પ્રત્યેની તેમની રુચિ સ્પષ્ટ ઉજાગર થાય છે. કોણે લખ્યું છે?કોના વિશે લખ્યું છે? તેની પળોજળમાં પડ્યા વિના કેવું લખાયું છે? તેની સતત તકેદારી રાખી સંપાદિકાએ અહીં આપણને 'રેખાચિત્રનું રેખાચિત્ર' મળી રહે તેવી બખૂબીથી સજીવ-નિર્જીવ, પ્રાણી-સ્થળ માત્રનાં રેખાચિત્રો  ૨૪૨ પાનાંમાં મૂકી આપ્યાં છે. આ સંપાદનની બીજી વિશેષતા એ છે કે જે-તે લેખકે લખેલા રેખાચિત્રો તો છે જ, પણ નોંધપાત્ર બાબત એ છે તે લેખક વિશે અન્ય લેખકે લખેલું રેખાચિત્ર પણ છે. જેમ કે,અહીં ઝવેરચંદ મેઘાણીએ લખેલું રેખાચિત્ર છે, તો ઉમાશંકર જોશી લિખિત મેઘાણીનું રેખાચિત્ર પણ છે જ અને સ્વયં ઉમાશંકર જોશીનું વિનોદ ભટ્ટે લખેલું રેખાચિત્ર પણ છે. અલબત્ત, આ સંપાદનમાં આવા એક-બે જ સુખદ અપવાદ છે.

એવું કહેવાય છે કે રેખાચિત્ર કાલ્પનિક ના હોય, પણ અહીં નિરૂપાયેલાં કેટલાક રેખાચિત્રો એ વાતનો છેદ ઉડાડી દે છે. વાસ્તવમાં રેખાચિત્ર વ્યક્તિગત, વસ્તુગત, કટાક્ષિકા, ઐતિહાસિક, વાસ્તવિક કે કાલ્પનિક પણ હોઈ શકે છે તેનાં દૃષ્ટાંતો આ પુસ્તકમાંથી મળી રહે છે. સવાલ માત્ર લેખનશૈલીનો છે. કલ્પનમાં પણ વાસ્તવનો ઢોળ ચઢાવીને કે ડોળ રાખીને લખાતાં રેખાચિત્રો પણ આસ્વાદ્ય બની જ શકે અને બન્યાં પણ છે. રેખાચિત્રમાં એવાં વર્ણનનો જ મહિમા છે જેનાથી વાચક સામે જે તે ઘટનાનું તાદૃશ્ય ચિત્ર ઊભું થઈ શકે. અપરિચિત વ્યક્તિનું રેખાચિત્ર પણ તેની સાથે રૂબરૂ મળ્યા હોય તેવો પરિચય કરાવી શકે તો જ તે સાર્થક થયું ગણાય. આમ, આ સ્વરૂપમાં બોલતું કથાનક આવકાર્ય છે પછી ભલે તે વ્યક્તિવિશેષ, પ્રાણીવિશેષ કે  કોઈ અમૂર્ત વસ્તુ-ઘટનાવિશેષ હોય.

સમાવિષ્ટ રેખાચિત્રોનો અભ્યાસ કરતી વખતે ઉપર્યુક્ત અનેક બાબતો ઉજાગર થતી જોવા મળે છે.'દયારામ' રેખાચિત્રાંશમાં નર્મદે દયારામના સમગ્રતયા વ્યક્તિત્વની ઝાંખી તેના સારાં-નરસાં પાસાંઓને ક્યાંક સરળતાથી, ક્યાંકકટાક્ષથી બખૂબી રજૂ કરી છે. અલબત્ત, નમર્દે સભાનતાથી રેખાચિત્રો નથી લખ્યાં પણ સ્મૃિતચિત્રો લખ્યાં છે. તેમની શૈલી તેમના સ્મૃિતચિત્રોને રેખાચિત્રો તરફ લઈ જાય છે. લીલાવતી મુનશીએ નરસિંહરાવ દિવેટિયાની સરખામણી 'દુર્વાસા' સાથે કરીને ચરિત્રને અલગ ઉપાડ ને ઉઘાડ આપ્યો છે. જો કે એ વાત નોંધવી રહી કે નરસિંહરાવ દિવેટિયાની સાથેસાથે અહીં લેખિકા સુશીલાબેન, લવંગિકા, પ્રેમલની વાતોમાં પણ વિસ્તરી ગયાં છે. રેખાચિત્રમાં વિષય ઉપરાંત ઘણી વાર માત્ર ભાવુકતાથી થયેલું સ્વજનોનું આલેખન કેવળ સાંવેદનિક ભરતી બનીને રહી જાય છે. આવું જ ન્હાનાલાલ લિખિત મહારાજ સયાજીરાવ ગાયકવાડના રેખાચિત્રમાં પણ જોવા મળે છે. અહીં અતિશયોક્તિયુક્ત દીર્ઘ શબ્દચંપીનો વિસ્તાર ન્હાનાલાલની શૈલીમાં ખટકે છે.

રેખાચિત્ર એટલે માત્ર ગુણોનો સરવાળો નહીં, પરંતુ અવગુણ અને વ્યક્તિના વિચિત્ર પાસાંઓનું પણ નિરૂપણ. આ વાતની સાહિત્યિક સ્પષ્ટતા પણ પ્રસ્તુત સંપાદનમાંથી મળી રહે છે. સંપાદિકાએ સ્વામી આનંદના પ્રખ્યાત 'મોનજી રુદર'ને બદલે 'દાદો ગવળી', 'ધનીમા','નઘરોળ' અને 'મોરુ' જેવાં રેખાચિત્રો સમાવ્યાં છે, જે સશક્ત છે અને સંજ્ઞાને વિસ્તાર આપે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના બહુ ચર્ચિત 'બાબુ વીજળી'ને સ્થાને અહીં એક જ વ્યક્તિમાં રહેલા જમા-ઉધાર બે પાસાંને નિરૂપતું 'ચકલો ભગત' અને 'મૂળીમા' સમાવાયું છે. રેખાચિત્રનું સ્વરૂપ ક્રમશઃ વિકસતા જતા તેમાં 'શ્રદ્ધાંજલિ'પણ ઉમેરાઈ. જો કે શ્રદ્ધાંજલિરૂપે લખાયેલું રેખાચિત્ર કલાત્મકતાનો કસબ ના હોય તો માત્ર લેખ જ બની જવાનો ભય રહે છે. ઉમાશંકર જોશીએ 'હૃદયમાં પડેલી છબીઓ' અંતર્ગત લખેલાં રેખાચિત્રો શ્રદ્ધાંજલિરૂપે લખાયાં હોવા છતાં ઉત્તમ રેખાચિત્રો બની રહ્યાં છે, જેમાંનું એક 'મેઘાણી' અહીં સમાવાયું છે. એ જ રીતે વિજય શાસ્ત્રીનું 'પિતાજી' વિશેનું રેખાચિત્ર પણ સ-રસ થયું છે. કિશનસિંહ ચાવડા લિખિત વ્યંઢળની વિડંબનાનું વૃતાંત આપતું ઉસ્માનનું રેખાચિત્ર ખરેખર 'અફલાતૂન' થયું છે, તો મેઘાણીની કલમપ્રસાદી પણ આસ્વાદ્ય છે. જ્યારે એક સર્જક બીજા સર્જકનું રેખાંકન લખે ત્યારે રઘુવીર ચૌધરી લિખિત 'સહરાની ભવ્યતા'માંથી લેવાયેલ 'જયંતિ દલાલ' અને 'દર્શક'નું રેખાચિત્ર ધ્યાન ખેંચે છે. સર્જક સંદર્ભે વિનોદ ભટ્ટના 'લાભશંકર ઠાકર' અને 'ઉમાશંકર જોશી'નાં રેખાચિત્રો વ્યંગ-કટાક્ષ સાથે વિસ્તરે છે. આમ, સર્જકસર્જકના રેખાંકનો મૂકે છે ત્યારે શૈલીભેદ નથી, પરંતુ સર્જક કઈ રીતે પોતાની વાત મૂકે છે તે જ મહત્ત્વનું બની રહે છે. કારણ કે અંતે તો રેખાચિત્રનો પ્રાણ તેની નિરૂપણશૈલી જ છે. ચંદ્રકાન્ત શેઠે નિરૂપેલું 'બચુમિયાં બેન્ડવાળા' તેમ જ 'વિનુભાઈ વિલાયતી' અનોખી શૈલીનું દૃષ્ટાંત છે તો જૉસેફ મૅકવાનનું 'શામળી' અને રમેશ ર. દવેનું 'તેજુભાભી' પણ બળૂકાં રેખાચિત્રો છે. મણિલાલ પટેલનું 'ધનો', ભગીરથ બ્રહ્મભટ્ટનું 'લાલભાઈ', પ્રફુલ્લ રાવલનું 'કાલુ ગોળાવાળો' અને મનસુખ સલ્લાનું 'અલીભાઈ કલીવાળા' સામાન્ય લોકોની અસામાન્ય વાતોનો આસ્વાદ્ય મનો-વિસ્તાર છે.

સંપાદિકાએ પરિશિષ્ટ રૂપે જે-તે ચરિત્રકારની સંક્ષિપ્ત વિગતો-ગ્રંથ યાદી પણ આપી હોત તો આવા અનેક રેખાચિત્રોમાં મહાલવાની એક હાથવગી માર્ગદર્શિકા મળી શકત. જો કે  સ્ત્રી-પુરુષ-વ્યંઢળ-પ્રાણી-સ્થળ એમ તમામ પ્રકારનાં વિવિધ રેખાચિત્રો આપણને આ એક જ સંપાદનમાંથી મળી રહે છે તેનો મહિમા પણ ઓછો નથી. આજે સ્વરૂપો વિશેની પૂર્ણ જાણકારી કે વાંચન વિના ઉતાવળે સાહિત્યકાર બનવાની દોટમાં રમમાણ રહેતા લોકો માટે આ સંપાદન 'રેખાચિત્ર' લખવા માટે એક પ્રેરણારૂપ બની શકે તેમ છે, તો સમય સાથે 'રેખાચિત્ર'નું સ્વરૂપ કેવી રીતે વિસ્તરતું-વિકસતું રહ્યું તે વિશેની અભ્યાસપૂર્ણ સામગ્રી આપતું પણ બની રહે તેવું આદર્શ બન્યું છે.

7 August 2013 : 

https://www.facebook.com/notes/ashok-chavda-bedil/રેખાચિત્રનું-રેખાચિત્ર-ગુજરાતી-રેખાચિત્રો-ડૉ-અશોક-ચાવડા/629552930402202

 

Loading

7 August 2013 admin
← માનવ અધિકારો મેળવવાના જંગમાં સત્ય-અહિંસાનું હથિયાર આજે પ્રસ્તુત છે ખરું?
Religion, Atheism and Secularism →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved