Opinion Magazine
Number of visits: 9448935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છાલાંની યાદે ધ્રૂજતા પગ

બીરેન કોઠારી|Opinion - Opinion|22 May 2013

મહાનુભાવોના જીવનમાંથી જ નહીં, તેમના મૃત્યુમાંથી પણ કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે. શું? કેવી રીતે ? એની એક વાત અહીં કરવી છે. 

૨૧ મી મે, ૧૯૯૧નો દિવસ હતો. મહેમદાવાદ રાત્રે પોણા દસ વાગે આવતા અમદાવાદ જનતા એક્સપ્રેસ(હવે લોકશક્તિ એક્સપ્રેસ)માં હું અને ઉર્વીશ/ Urvish Kothari ગોઠવાયા. છેલ્લા બે એક વરસથી, અમે મુંબઈ જઈને ગમતા ફિલ્મકલાકારોને મળવાનો ક્રમ શરૂ કર્યો હતો. એ જ ક્રમમાં અમે મુંબઈ જઈ રહ્યા હતા. ટિકિટો રીઝર્વ કરાવેલી હતી. સીધા જ કાકાને ઘેર જવાનું હતું, એટલે થોડો સામાન પણ વધુ લીધો હતો. કાકી માટે અમુક ચીજો પણ મમ્મીએ મોકલાવી હતી. ટ્રેન શરૂ થઈ એટલે અમે બર્થ પર લંબાવી દીધી. હવે આવે સીધું બોરીવલી ! 

અડધીપડધી ઊંઘમાં એટલો ખ્યાલ આવ્યો કે ટ્રેન લાંબા સમયથી કોઈ સ્ટેશને ઊભી રહી છે. બેઠા થયા અને ઘડિયાળમાં જોયું તો સવારના ચારેક વાગ્યા હતા. ટ્રેનમાંના કેટલા ય લોકો પ્લેટફોર્મ પર આવીને ટહેલતા હતા. અમે પણ નીચે ઉતર્યા અને મામલો શું છે તે જાણવાની કોશિશ કરી. કંઈ ખ્યાલ આવતો નહોતો. કદાચ ‘સફાળે’ નામનું સ્ટેશન હતું. લોકો ગુસપુસ કરી રહ્યા હતા. એમાં એટલું સમજાયું કે આગળ કશી તકલીફ છે અને ટ્રેન હવે અહીં જ પડી રહેવાની છે. કોઈકે એમ પણ કહ્યું કે ‘રાજીવ ગાંધીને ઉડાડી દીધા છે’ એટલે ટ્રેન અહીં જ પડી રહેશે. ટ્રેનના મુસાફરોમાં આવા ગપગોળાઓની નવાઈ હોતી નથી, એટલે ઘણાએ આ વાત હસી નાંખી. સ્ટેશન માસ્ટરની કેબિનમાં જઈને અમુક લોકો પૂછી આવ્યા. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે ટ્રેન અહીં અનિશ્ચિત મુદ્દત સુધી પડી રહેશે. શું કરવું એની અવઢવમાં સૌ હતા એવામાં ‘વિરાર પેસેન્જર’ નામની ટ્રેન આવી, જે વિરાર જવાની હતી. 

તેમાં બેસવું કે નહીં એ હજી વિચારતા હતા ત્યાં તો તેને સિગ્નલ મળ્યો અને ઉપડવાની નિશાનીરૂપે તેનું ભૂંગળું વાગ્યું. અમે ઝપાટાબંધ અમારો સામાન લઈને ‘વિરાર પેસેન્જર’માં ચડી બેઠા. જોતજોતાંમાં અમે વિરાર આવી પહોંચ્યા ત્યારે સવારના સાત- સાડા સાત થયા હશે. 

અમારો ભારેખમ સામાન લઈને અમે વિરાર સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતરીને દાદરો ચડ્યા અને પ્લેટફોર્મ નં.૧ પર જેમ તેમ કરીને આવી પહોંચ્યા. અહીં એક પાટિયા પર રાજીવ ગાંધીની તસવીર લગાડેલી હતી, જેની પર હાર પહેરાવેલો હતો. નીચે મરાઠીમાં નોંધ લખેલી હતી, જે સૂચવતી હતી કે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી છે અને તેને કારણે મુંબઈ આખું બંધ રહેશે. 

અમે એક જગાએ સામાન મૂક્યો. સ્ટેશનની બહાર સૂમસામ હતું. એકે એક દુકાન બંધ હતી. ન હતા કોઈ રિક્સાવાળા કે ન હતા કોઈ ટેક્સીવાળા. જાણવા મળ્યું કે સબર્બન ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી છે, કેમ કે મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યા છે. હજી તો સવાર માંડ પડ્યું હતું. અમારે પહોંચવાનું હતું સાન્તાક્રુઝ. પણ ત્યાં જવા મળે એવી કોઈ શક્યતા લાગતી નહોતી. તો પછી ? અહીં ચોવીસ કલાક કાઢવા પડશે ? કેમ કે, હોટેલ, દુકાન, ગલ્લા, લારીઓ કશું ય ખુલ્લું નહોતું. 

હવે શું કરવું એ વિચારતા હતા અને મૂંઝાતા હતા. એવામાં યાદ આવ્યું કે અમારા મામા વસઈમાં રહે છે. પણ વિરારથી વસઈ જવું શી રીતે ? એનું અંતર કેટલું ? તપાસ કરતાં ખબર પડી કે વિરારથી વસઈ વચ્ચે ટ્રેનમાં એક જ સ્ટેશન છે – નાલાસોપારા. અને વસઈની ખાડી વસઈ પછી આવે છે. વિરારથી વસઈ ટ્રેનમાં દસેક મિનિટ લાગે છે. મુંબઈની સબર્બન ટ્રેનની ઝડપના હિસાબે આ સમય વધારે કહેવાય. એનો અર્થ એ કે આ બન્ને સ્ટેશનો વચ્ચે સહેજે દસેક કિલો મિટરનું અંતર હોવું જોઈએ. 

અમે નક્કી કરી લીધું. ચોવીસ કલાક અહીં ગાળવા શક્ય નહોતા. એને બદલે શરૂ કરી દઈએ પદયાત્રા. રેલવેના પાટેપાટે ચાલવા માંડીએ. અને વસઈ પહોંચી જઈએ. સ્ટેશનની બહાર જઈને એકાદ ઘરમાંથી અમે પાણીની બોટલ ભરી. એ પછી સામાન શી રીતે ઊંચકવો તેનું આયોજન કર્યું. બન્નેના એક એક હાથમાં એક વજનદાર દાગીનો, અને એક સૌથી વજનદાર દાગીનો બન્નેય જણ બે બાજુથી પકડે. એ ઉપરાંત બીજો સામાન ખભે ભરવી દીધો. પાટા પર ટ્રેન તો આવવાની હતી નહીં. એટલે અમારી પદયાત્રા શરૂ થઈ. 

અમારા જેવા અસંખ્ય લોકો હતા. કોઈકને દાદરથી બીજી ટ્રેન પકડવાની હતી. કોઈકને ક્યાંક લગ્નપ્રસંગમાં પહોંચવાનું હતું. સૌ પાટા પર ચાલતા જતા હતા. જાતજાતની રીતે લોકોએ સામાન ઊંચક્યો હતો. કોઈએ માથે, કોઈએ ખભે, કોઈએ હાથમાં, તો કોઈએ કેડમાં સુદ્ધાં સામાન મૂક્યો હતો. સૂરજ માથે ચડવા લાગ્યો હતો. એની સાથે પાટા પરના ઉબડખાબડ પથ્થર પર ચાલવું ય કપરું બનતું જતું હતું. હાંફતા જતા, વચ્ચે રોકાતા, શ્વાસ ખાતા, પાણીનો ઘૂંટડો પીતા કરતા અમે આગળ વધતા જતા હતા. 

જોતજોતામાં નાલાસોપારા સ્ટેશન આવ્યું. એટલે અડધી મંઝીલે આવી પહોંચ્યાનો આનંદ થયો. ક્યાં ય કોઈ સ્ટૉલ સુદ્ધાં ખુલ્લો નહોતો. હવે પાણી પણ ખલાસ થવા આવ્યું હતું. જેમ તેમ કરતા અમે આગળ વધતા ગયા. પગમાં ચપ્પલ પહેરેલા હતા. પથ્થર પર ચાલવાથી ક્યાંક ક્યાંક ચપ્પલનું ચામડું ઘસાવાથી એ ભાગની ચામડી છોલાઈ રહી હતી. ભારેખમ સામાન જેમતેમ ઊંચકીને ‘મામાનું ઘર કેટલે’ એમ વિચારતા અમે આગળ વધતા રહ્યા. દૂરથી વસઈ સ્ટેશન દેખાયું ત્યારે જીવમાં જીવ આવ્યો. મામાની ઑફિસ સ્ટેશનની બહાર જ હતી. તેમને ત્યાં પહોંચ્યા ત્યારે આવા હાલહવાલ અને આટલા સામાન સાથે અમને આવેલા જોઈને એ નવાઈ પામી ગયા. 

અમને શાંતિથી બેસાડ્યા. ધરાઈને પાણી પાયું. અને પછી તેમને ઘેર લઈ જવા માટે વ્યવસ્થા કરી. 

ત્યારથી તીસરી કસમ ખાધી કે ભલે ટિકિટ રિઝર્વ કરાવી રાખી હોય, પણ સાથે એટલો જ સામાન રાખીને મુસાફરી કરવી કે ચાલવાનો વારો આવે ત્યારે આસાનીથી તેને ઊંચકીને ચાલી શકાય. 

રાજીવ ગાંધીના મૃત્યુિદને તેમનો પક્ષ કે દેશ ભલે ગમે તે દિન મનાવે, અમારો હાથ અનાયાસે અમારા પગના તળિયે જતો રહે છે અને એ છાલાની યાદ આવતાં પગ ધ્રુજી ઊઠે છે.

સૌજન્ય : http://birenkothari.blogspot.com  

Loading

22 May 2013 admin
← શું મમ્મા, તમે પણ …. !
‘The IPL Pied Piper’ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved