Opinion Magazine
Number of visits: 9506062
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક અધ:પતન માટે શિક્ષણનો બદલાતો રુખ જવાબદાર ?

અાશા બૂચ|Opinion - Opinion|5 April 2013

૨૧મી સદીની શરુઆત થઈ ત્યારે એવી આશા હતી કે નવલી સદી આગલી સદીના દુ:ખો દૂર કરશે. આજે પૂર્વના દેશો હોય કે પશ્ચિમના, ઉત્તર ગોળાર્ધના રહેવાસીઓ હોય કે દક્ષિણ ગોળાર્ધના, પ્રગતિશીલ સમાજના સભ્યો હોય કે રૂઢિવાદી સમાજના, કોઈને પણ એમની ચિંતાનું મુખ્ય એક પરિબળ જણાવવાનું પૂછશો તો સહુ ભલે જુદી જુદી ભાષામાં પણ એકી અવાજે કહેશે કે, ‘સામાજિક અધ:પતન અમને ભારે પીડા કરે છે.’

આ પરિસ્થિતિ માટે ધાર્મિક, આર્થિક અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા અનેક ઘટકોનો સીધો કે આડકતરો ફાળો છે, પરંતુ આજની શિક્ષણ પદ્ધતિ કેવી રીતે આજના સમાજને બદલે છે તે જોઈએ.

માનવ જાતની વ્યુત્પત્તિ થઈ ત્યારથી અનૌપાચારિક શિક્ષણ શરૂ થઈ જ ગયેલું, ત્યારે જ તો તેનો વ્યક્તિગત અને સામૂહિક વિકાસ થતો રહ્યો. પદ્ધતિસરની શિક્ષણ પ્રથા વૈદિક કાળમાં અમલમાં આવ્યાનું અનુમાન છે. એ યુગમાં હિંદુ ધર્મનો પ્રાદુર્ભાવ થયો જેનો પ્રભાવ તે વખતના ભારત ખંડના લોકોના જીવનના દરેક પાસાંઓ પર પડતો. ઋષિમુનિઓ ગુરુકૂળો સ્થાપતા જ્યાં વિવિધ વેદોના નિષ્ણાત ઋષિઓ અને ગુરુદેવો સાત વર્ષથી ઉપરની ઉમરના બાળકોને જ્ઞાન આપતા. ગુરુકૂળમાં રહેતા શિષ્યો ઇંધણ લાવવું, પાણી ભરવું, ગાય-બળદની સંભાળ લેવી, રસોઈ કરવી, ખેતી તથા અન્ય ગૃહસંચાલાનને લગતાં કામકાજ શીખવાની સાથે ગુરુ-શિષ્ય પરંપરા મુજબ મૌખિક શિક્ષણ પ્રાપ્ત કરતા. ઋષિ અને ઋષિ પત્ની અથવા ગુરુ અને ગુરુ પત્ની દૂર-સુદૂર પ્રદેશોમાંથી આવેલા શિષ્યોનો બાર-પંદર વર્ષો સુધી માતા-પિતા તુલ્ય સ્નેહ અને કાળજી ભર્યો ઉછેર કરતા અને અભ્યાસ પૂરો થયે કુટુંબ અને સમાજને એક કસાયેલ, નિર્ભય, આત્મનિર્ભર, તંદુરસ્ત અને ઈમાનદાર યુવક/યુવતીની ભેટ ધરતા. ચતુર્વેદ, ગણિત, વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને યુદ્ધવિદ્યા જેવા વિષયોમાં પારંગત થઈને એ પેઢી સાંસારિક અને સામાજિક ઉત્તરદાયિત્વ સંભાળવા સંપૂર્ણપણે તૈયાર થતી. એ સમયનું શિક્ષણ સંપૂર્ણપણે જીવન લક્ષી હતું અને તેથી જ તો સમાજને ચારિત્ર્યવાન અને આદર્શ યુવાધન સાંપડતું. આને પરિણામે ધર્મ દ્વારા પ્રસ્થાપિત નીતિ અને મૂલ્યોનું પેઢી દરપેઢી સહજતાથી પાલન થતું રહ્યું અને એવી તંદુરસ્ત વિકસિત સમાજ વ્યવસ્થા સહુને ફળદાયી બની રહેતી.

યુગ બદલાયો તેમ ધર્મનું સંસ્થાકીય મહત્ત્વ ઘટ્યું. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા પ્રબળ બની. શિક્ષણ, કળા, સ્થાપત્ય વગેરે રાજ્યાશ્રયી  બન્યાં. રાજાઓ, સામંતો અને ધનિકોના મહેલ કે જાગીર પર તેમના સંતાનોને ગુરુઓ ભણાવવા જતા. સામાન્ય પ્રજાનાં બાળકો જ્ઞાન શાળાઓમાં ગણિત, ભાષા, રાજનીતિ, અર્થશાસ્ત્ર વગેરે વિષયો પર પ્રભુત્વ મેળવતા. આ સમયે વર્ણપ્રથા જ્ઞાતિપ્રથા તરફ સંક્રમણ કરતી રહી. રાજા-મહારાજાઓને ઉચ્ચ વર્ણના લોકો પાસેથી પંડિતો, ઉત્તમ દિવાનો, મંત્રીઓ અને વહીવટ કર્તાઓ તથા અન્ય પ્રજા સમૂહો પાસેથી લડવૈયાઓ, વેપારીઓ અને કારીગરો મળી રહે એવી જ આવશ્યકતા હતી. તેથી શિક્ષણ પદ્ધતિ જીવન લક્ષી તરફથી સમાજ લક્ષી તરફ ગતિ કરવા માંડી. છતાં તે સમયે શિક્ષણ સાથે માનવીય મૂળભૂત મૂલ્યોની કેળવણી કુટુંબ અને સમાજ પાસેથી મળી રહેતી, એટલે બાળકો અને યુવાનો જીવન માટેનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકતાં. આમ છતાં વૈદિક સમયનું વ્યક્તિગત અને સામાજિક પોત જાણે પાતળું પડતું જણાયું. 

રાજાશાહીના કેટલાક લાભો હતા, પરંતુ એ શાસન પદ્ધતિ પ્રજા માટે શોષણ યુક્ત અને અન્યાયી થતી ચાલી એટલે લોકશાહી, સામ્ય વાદ અને સરમુખત્યાર શાહી જેવી વૈકલ્પિક રાજ્ય પદ્ધતિઓ અમલમાં આવી. આ ત્રીજા તબક્કામાં લોકસેવા અને ખાનગી સેવા જેવા બે વિભાગો પડ્યા. સંરક્ષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, વાહન અને સંદેશ વ્યવહારની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંભાળી. બાકીના માનવ જીવનના અસંખ્ય પાસાંઓની ડોર ખાનગી ક્ષેત્રો પાસે રહી.

ભારતને તો સ્વતંત્રતા પછી અંગ્રેજોએ શરૂ કરેલ શિક્ષણ પદ્ધતિ વારસામાં મળી. શિક્ષણનો વ્યાપ વધ્યો. વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધી કે શિક્ષકો વિદ્યાર્થીઓને ‘જ્ઞાન’ના નામે પાઠ્ય પુસ્તકોમાં લખેલ એક સરખા પાઠો ભણાવવા લાગ્યા અને ભણનારાઓ પોપટની માફક એ ગોખી કાઢીને પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવવા ઓકી કાઢવા લાગ્યા. ઉચ્ચ ગુણાંક=ઉપાધિઓની પ્રાપ્તિ=સારી નોકરીની તકો એવું સમીકરણ અસ્તિત્વમાં આવ્યું. શિક્ષણ એક વ્યવસાય બન્યો, જેને બાળકોની કે યુવાનોની સર્વાંગી કેળવણી અને ચારિત્ર્ય ઘડતર સાથે કાંઈ સંબંધ ના રહ્યો. વધુને વધુ માતા-પિતાઓ સંતાનોને ભણવા મોકલતા થયાં, પરંતુ તેઓ શું ભણે છે, કેવી રીતે ભણે છે એ કાંઈ ન જાણે. એમને તો બસ બાર-પંદર વર્ષને અંતે સારી નોકરી મેળવી શકે એવો કમાતલ દીકરો/દીકરી મળી જાય, એટલું પૂરતું થાય એવો ઘાટ થયો. આમ શિક્ષણ વ્યવસાય લક્ષી બન્યું. નોકર-પટાવાળા, કારકૂન, બેન્કર, ઓફિસર ટપોટપ છાપ મરાવીને શાળા-મહાશાળાઓમાંથી બહાર પડવા માંડ્યા. પણ સારા નાગરિકો મળવા દુર્લભ થવા લાગ્યા.

ચોથા તબક્કાની શરૂઆત છેલ્લા બે-અઢી દાયકાથી થયેલી ગણીએ. ભારત જેવા અનેક દેશોમાં સરકારોએ પ્રજા કલ્યાણની ઘણા ભાગની જવાબદારી પોતાની પીઠ પરથી ઉતારીને ‘ખાનગી ક્ષેત્ર’ની પીઠ પર ચડાવી દીધી. બસ, પછી તો આપણે અનુભવીએ છીએ તેમ વેપારીઓ, કારખાનાના માલિકો અને બીજા કોઈ પણ ક્ષેત્રમાં સફળ ન થયેલા વિરલાઓ શિક્ષણનો શ પણ જાણતા હોવા છતાં ય ચોરે ને ચૌટે નિશાળો ખોલવા લાગ્યા છે. એક વધુ નોંધનીય પરિવર્તન એ આવ્યું કે ‘શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ’એ માન્યતા જોર પકડતી ગઈ. દેશની મોટા ભાગની પ્રાંતીય ભાષાઓ વહીવટી ક્ષેત્રે દેશવટો પામી, તેમ હવે શિક્ષણ ક્ષેત્રે પણ સંન્યાસ લઈને માત્ર ઘરમાં બોલચાલના હોદ્દા પર સીમિત થઈને સંકોચાઈ ગઈ. શિક્ષકો હવે જ્ઞાન કે માહિતી આપનારા પણ નથી રહ્યા. અક્ષર જ્ઞાન આપી, પરીક્ષાઓ માટે પ્રશ્નોને ધ્યાનમાં રાખી જરૂર પૂરતી માહિતી પૂરી પાડનારા મશીન બની ગયા છે. ‘ટીચર’ અને ‘પ્યુપીલ’ વચ્ચેના સંબંધો વ્યાપારી અને ગ્રાહક જેવા વધુ લાગે છે. વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો ઉપરાંત ટયુશનના ‘સર’ અને ‘મેડમ’ પણ પોતાની આજીવિકાનું સાધન માનવા લાગ્યા છે. આધુનિક શિક્ષણ પ્રથા આજીવિકા પ્રધાન બનતી ચાલી છે. જ્યાં માતા-પિતા પાસે સંસ્કૃિતનો કૂવો સુકાવા લાગ્યો છે, શિક્ષકો પોતે ઊંડું અધ્યયન-ચિંતન કરનાર અને શતાવધાની (અરે, અષ્ટાવધાની પણ ચાલશે) મેધાવી પ્રતિભા ધરાવનારા ન રહ્યા હોય, ત્યાં આ લાખો અવાડા રૂપી વિદ્યાર્થી પણ ઝટ્ટ પરીક્ષા પાસ કરીને પટ્ટ પે પેકેજ મેળવવું એવી વૃત્તિ વાળા પાકે એમાં શી નવાઈ?

આજે પે પેઢીઓ વચ્ચે વધતું અંતર, વડીલો પ્રત્યે સંતાનોની વધતી લાપરવાહી, સમાજમાં વધતા ગુનાઓનું પ્રમાણ વગેરેથી આપણો  સમાજ ત્રસ્ત છે. એનાં કારણોના મૂળમાં જવાનું માંડી વાળીને ઉપરછલ્લા ઉપાયો જેવા કે કાયદાઓ અને નિયમો બનાવીને જીવનને ગમે તેમ સુરક્ષિત બનાવવા મથીએ છીએ. કુટુંબ જીવન જૂના-નવાં મૂલ્યોનો સમન્વય કરીને માનવ લક્ષી દ્રષ્ટિકોણ કેળવવા અનુકૂળ વાતાવરણ આપે અને શિક્ષણ પ્રથા આજીવિકા લક્ષી થવાને બદલે જીવન લક્ષી હોય, તો આજના મોટા ભાગના વ્યક્તિગત અને સામાજિક પ્રશ્નોનો ઉદ્દભવ જ ન થાય, અથવા તેનો કાયમી હલ શોધી શકાય. તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ માટે શિક્ષણનો રુખ તાત્કાલિક બદલવાની જરૂર છે, એનો અહેસાસ જાગૃત પ્રજાજનોને થાય અને પરિવર્તનના શ્રીગણેશ જેમ બને તેમ જલદી થાય એવું પ્રાર્થીએ.

e.mail : ten_men@hotmail.com

 

Loading

5 April 2013 admin
← ભારતીય નારીની સુરક્ષા : રાજ્ય અને સમાજનું ઉત્તરદાયિત્વ
કવિવર રાજેન્દ્ર શાહ જન્મશતાબ્દીનો શાંત કોલાહલ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved