Opinion Magazine
Number of visits: 9630844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોમનાથ : ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં

રોમિલા થાપર|Samantar Gujarat - Samantar|20 January 2013

આ વક્તવ્યનું મુખ્ય પ્રયોજન એ બતાવવાનું છે કે પચાસ વર્ષ પહેલાંના ઇતિહાસકારો કરતાં આજના ઇતિહાસકારો ભૂતકાળના બનાવોના સ્વરૂપનું વધુ પૃથક્કરણ કરે છે અને વિવેચક દૃષ્ટિથી તપાસે છે. આપણે જે વાચનાઓનો સ્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ અને જે વાચનાઓ છેલ્લી એક સદીથી તો પ્રચલિત છે જ, તેનો હું ઉલ્લેખ કરીશ. જોકે ઇતિહાસકારોએ ભૂતકાળની કેવળ પસંદ કરેલી વાચનાઓનો ઉપયોગ કરવાનું વલણ દર્શાવ્યું છે, આજે આપણે વિષયને અનુલગતા જે કોઈ પણ સ્રોતો મળે તે તમામને ચકાસીએ છીએ. વ્યાપક ક્ષેત્રમાં વાચનાઓની તપાસ આપણને વધુ પ્રમાણમાં પુરાવા પૂરા પાડે છે અને એને લીધે જે વિષયની ચર્ચા કરીએ તેને વિશેની આપણી જાણકારી વધે છે. આ વક્તવ્યમાં મારું પ્રયોજન કેવળ સોમનાથના મંદિરનો ઇતિહાસ પૂરો પાડવાનું નથી, પરંતુ એની સાથે સંકળાયેલા સ્થળ અને બનાવોનો ઉપયોગ એ દર્શાવવા કરવાનો છે કે ઇતિહાસકારને કેવી રીતે વિવિધ સ્રોતોને ચકાસવા પડે છે, કેવી રીતે એ એનું વિવેચક દૃષ્ટિથી પૃથક્કરણ કરે છે અને ત્યારબાદ ભૂતકાળને સમજાવવાનો પ્રયત્ન કરે છે.

પચાસ વર્ષ પૂર્વે સોમનાથનો ઇતિહાસ કેવળ એક જ પ્રકારની વાચનાઓ-તૂર્કી અને પર્શિયન ભાષામાં લખાયેલી અનેક સુલતાનોના દરબારોની તવારીખોના આધારે વર્ણવવામાં આવતો હતો, કેમ કે આ દરબારોનો ઇતિહાસ મહંમદ ગઝનીના મંદિર પરના આક્રમણની સાથે શરૂ થતો હતો. સંસ્કૃત સ્રોતો, જેમ કે સોમનાથ પાસેના શિલાલેખો અને ચૌલુક્ય રાજાઓના ઇતિહાસ વિશેના જૈન પ્રબંધો જેમાં વધુ વિગતવાર ઇતિહાસ સમાયેલો હતો, તેની ઉપેક્ષા કરવામાં આવી હતી. આનું મુખ્ય કારણ એ હતું કે બ્રિટિશ વિદ્વાનોએ દલીલ કરી કે ભારતનો ઇતિહાસ ત્રણ યુગમાં વહેંચવો જોઈએ ઃ હિન્દુ, મુસ્લિમ અને બ્રિટિશ. હિન્દુ યુગ ઇસવીસન ૧,૦૦૦ સુધી ચાલ્યો અને સંસ્કૃત પાઠોના આધારે લખાયેલો હતો. મુસ્લિમ યુગ ભારતમાં બ્રિટિશ લોકોના આગમન સુધીનો હતો અને પર્શિયન પાઠોના આધારે લખવાનો હતો. આમ મહંમદ ગઝનીનું આક્રમણ જે ૧૦૨૬માં થયું તે મુસ્લિમ કાળ દરમિયાન થયેલું ગણાયું અને તેથી કેવળ પર્શિયન વાચનાઓને માહિતી માટે ચકાસવામાં આવી. મારા વક્તવ્યમાં હું ત્રણેય પ્રકારોના પુરાવા વિશે વાત કરીશ અને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સંસ્થાનવાદી સત્તાધારીઓએ શા માટે ભારતના ઇતિહાસની એક સામાન્ય ઘટનાને એક ખૂબ મોટા મુદ્દામાં ફેરવી દીધી.

સુલતાનોના દરબારની તવારીખોએ મહંમદના આક્રમણની સ્વાભાવિક જ યશોગાથા ગાઈ છે અને ઇસ્લામના ઇતિહાસના એક મહત્ત્વના બનાવ તરીકે અતિશયોક્તિપૂર્વક વર્ણવ્યો છે. જે લોકો બાદશાહી દરબારોની અને વંશાવળીની તવારીખો લખે છે, તેમણે રાજાઓની પ્રશસ્તિ કરવી પડે છે કે કેમ કે તેઓને એ માટે તો પૈસા ચૂકવવામાં આવે છે. આ પ્રથા છેક પહેલાંના કાળથી ચાલતી આવી છે એ ભારતના જુદા જુદા પ્રદેશોમાં દરબારી કવિઓએ લખેલી ‘પ્રશસ્તિ’માં કરેલી હિન્દુ રાજાઓની સ્તુતિ પરથી સ્પષ્ટ થાય છે. આ એક પ્રકારની લેખન પદ્ધતિ છે, જેમાં રાજાની પ્રશંસા કરવી જ પડે છે!

આ પર્શિયન તવારીખોની રસપ્રદ બાબત એ છે કે તેઓ નક્કી નથી કરી શકતા કે મહંમદે ખરેખર શેનો નાશ કર્યો હતો. કોઈક કહે છે, એ શિવલિંગ હતું; બીજા કહે છે કે એ પયગંબરે જેનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો તે ઇસ્લામ પૂર્વેની અરબ દેવીઓમાંની એક મનાત દેવીના પ્રતીકરૂપ પથ્થર હતો; વળી બીજા કહે છે કે એ પથ્થરના બનેલા માનવ સ્વરૂપ એક દેવ હતા અને જ્યારે એમનું પેટ ચીરાયું ત્યારે એમાંથી રત્નોનો જથ્થો બહાર નીકળી આવ્યો હતો; અને વળી બીજું એક વૃત્તાંત કહે છે કે એ ધાતુની બનેલી એક મૂર્તિ હતી જે એક બહુ મોટા ચુંબકની મદદથી હવામાં વચ્ચે લટકતી હતી. આમ સ્પષ્ટ રીતે એ મૂર્તિ શું હતી એ વિશે કોઈ નિશ્ચિતતા ન હતી અને આ બયાનોમાં ખાસ્સી કાલ્પનિકતા હતી. ત્યાર બાદ આ બયાનો કહે છે કે મંદિરને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. પરંતુ થોડાક દસકાઓ પછી કોઈ સુલતાન પોતે મંદિર પર હુમલો કર્યો અને એને મસ્જિદમાં ફેરવ્યું એમ દાવો કરે છે. આ તર્કવિહીન છે, કેમ કે પહેલા હુમલા પછી તેઓ મસ્જિદ પર હુમલો કરતા હશે. એની સાથે સાથે મંદિર તો એક મુખ્ય હિન્દુ મંદિર તરીકે ચાલુ જ રહ્યું, જેમાં પંદરમી સદી સુધી તો પૂજા ચાલુ રહી જે પછી એ ઉપેક્ષિત થયું હોય એમ લાગે છે.

મંદિરની આસપાસના સ્ શિલાલેખો જે બનાવ પછી તરત જ અને પછીની ત્રણ સદીઓ સુધી લખાયેલા હતા તે મહંમદનો ઉલ્લેખ કરતા નથી. જોકે મંદિર એ આ શિલાલેખોનું કેન્દ્ર છે. ઘણા નાના શિલાલેખો સ્થાનિક રાજાઓ કેવી રીતે મંદિરમાં પૂજા કરવા આવતા યાત્રાળુઓને લૂંટતા તેમ જ તેમની પાસેથી યાત્રાળુ કરની માંગણી કરતા તેની વાત કરે છે. ચૌલુક્ય વહીવટીતંત્રને યાત્રાળુઓને રાજાઓથી રક્ષણ આપવું પડતું. બારમી સદીનો એક લાંબો આલેખ એ કાનૂની દસ્તાવેજ છે જે નુરૂદ્દીન ફીરોઝ નામના એક અરબ વેપારીએ લખ્યો હતો. એમાં એ વેપારીને સોમનાથ મંદિરની સ્થાવર મિલકતમાંથી અને બીજાં મંદિરોની સ્થાવર મિલકતમાંથી જમીનના જુદા જુદા ટુકડાઓ વેચ્યાની નોંધ છે. આ જમીનનો ઉપયોગ મસ્જિદ બાંધવા માટે અને તેની સંભાળ માટે કરવાનો હતો, જે નુરૂદ્દીને બનાવી હતી. આ વેચાણ માટે સ્થાનિક રાજા અને પંચ-કુળ-હોદ્દેદારો અને જમીનમાલિકોના બનેલા સ્થાનિક શહેર વહીવટીતંત્ર-ની સંમતિ હતી. આલેખ નોંધે છે કે જમીનનો સોદો એ સામાન્ય પ્રક્રિયા હતી.

સો વર્ષ પછી ચૌલુક્ય વંશના રાજા કુમારપાળના સમયમાં મંદિરના મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિ દ્વારા એક લાંબો આલેખ પ્રસિદ્ધ થયો હતો. તે જણાવે છે કે મંદિર સ્થાનિક વહીવટકારોની ઉપેક્ષાને કારણે બિસ્માર હાલતમાં હતું અને તેને ફરીથી બાંધવા માટે રાજાને સમજાવવા માટે તે પોતે કારણભૂત હતો. એ વાત ફરીથી ધ્યાન ખેંચે છે કે મંદિરની જીર્ણ હાલત માટે મહંમદને જવાબદાર ગણવાનો કે મંદિરનું મસ્જિદમાં પરિવર્તન થયાનો કોઈ ઉલ્લેખ અહીં નથી. જો એનું પુનરાવર્તન થયું હોત તો એ મંદિર તરીકે ફરીથી બંધાયું ન હોત.

જૈન વિદ્વાન મેરુતુંગે ચૌદમી સદીમાં ગુજરાતનો ઇતિહાસ લખ્યો હતો જેમાં એ ચૌલુક્ય વંશનું વિસ્તારથી વર્ણન કરે છે અને તેનો મંદિર સાથેનો સંબંધ વર્ણવે છે. ફરીથી મહંમદનો કોઈ ઉલ્લેખ નથી. આ ઇતિહાસનું એક મુખ્ય કેન્દ્રબિંદુ કુમારપાળ દ્વારા મંદિરનો જિર્ણોદ્ધાર એ છે. પરંતુ આ હેવાલ જૈન દૃષ્ટિકોણથી લખાયેલો છે અને તેથી મંદિરના મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિના કથનથી વિપરીત છે. મેરુતુંગ લખે છે કે, દરિયાની છાલકોને લીધે મંદિરની જીર્ણ દશા થઈ હતી, કેમ કે એ દરિયાને લગોલગ અડીને આવેલું હતું. એ નિશ્ચયપૂર્વક કહે છે કે કુમારપાળના જૈન મંત્રી, મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યે રાજાને મંદિર ફરીથી બાંધવા માટે સમજાવ્યા. આ પ્રક્રિયા દરમિયાન રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો.

ઇતિહાસકારો માટે મંદિર વિશે આ ત્રણ વિભિન્ન પરિપ્રેક્ષ્ય છે. આમાંથી કોઈપણ મહંમદના આક્રમણને કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે ઊંડી અને કાયમી દુશ્મનાવટ થઈ એવી કોઈ નોંધ કરતા નથી. ઊલટાનું નુરૂદ્દીનનો આલેખ સૂચવે છે કે બે કોમો વચ્ચે સામાન્ય વ્યવહાર હતો. આક્રમણના તુરંત બાદ હિન્દુઓમાં થોડા આક્રોશની અપેક્ષા રાખી શકાય, પરંતુ આલેખો બતાવે છે કે તે લાંબા સમય સુધી ટક્યો નહીં અને મંદિર હિન્દુઓના પવિત્ર સ્થળ તરીકે પૂજાતું રહ્યું. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પરસ્પર દુશ્મનાવટ અંગેનું આ વિધાન કોણે અને ક્યારે ફેલાવ્યું?

એ રસપ્રદ બીના છે કે એનો સૌપ્રથમ ઉલ્લેખ ઓગણીસમી સદીની શરૂઆતમાં લંડનમાં બ્રિટનની સંસદનાં ગૃહોમાં મહંમદ અને સોમનાથ પરની ચર્ચામાં થયો. સંસ્થાનવાદી વિદ્વાનો એ સાબિત કરવા તત્પર હતા કે હિન્દુ અને મુસલમાનો હંમેશાં એકબીજા સામે વેરભાવ રાખતા અને મહંમદના હુમલાની આ વાત એમને ફાવતી આવી ગઈ. ભારતના સંસ્થાનવાદી ઇતિહાસે મહંમદના આક્રમણથી હિન્દુઓને થયેલા આઘાત પર ભાર મૂકવાનું શરૂ કર્યું.

મૂંઝવનારો પ્રશ્ન એ છે કે વીસમી સદીમાં રાષ્ટ્રવાદી રાજકારણીઓએ અને ઇતિહાસકારોએ આ કથાનું તુર્કો-પર્શિયન તવારીખો પર આધારિત સંસ્થાનવાદી વૃત્તાંત શા માટે સ્વીકાર્યું? એ સમયના ઇતિહાસકારોએ બીજા સ્રોતો તપાસ્યા નહીં, જે બીજી જ વાત કહે છે. આક્રમણ થયું ન હતું એ મુદ્દો નથી, પરંતુ ખરેખર શું બન્યું અને એથી હિન્દુ-મુસલમાનો વચ્ચે દુશ્મનાવટ થઈ કે નહીં એ પ્રશ્ન છે.

ઇતિહાસકારોને આ બે પાઠ શીખવે છે. એક તો એ કે ભૂતકાળમાં શું બન્યું એ કહેતા પહેલાં આપણે ખાતરી કરવી જોઈએ કે આપણે વિષય પરના બધા શક્ય એટલા સ્રોતો વિવેચક-દૃષ્ટિથી તપાસ્યા છે. બીજું એ કે સંસ્થાનવાદી ઇતિહાસલેખનની વિચારધારા સંસ્થાનવાદની નીતિઓને પુષ્ટ કરનારી હતી. એથી આપણે એમનાં વિધાનોને પહેલાં એમની સામે સવાલ ઉઠાવ્યા વગર સ્વીકારવા જોઈએ નહીં.

ઉમાશંકર જોશી સ્મૃિત વ્યાખ્યાન (અમદાવાદ, તા.૨૯-૧૨-૨૦૧૨)

(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)

Loading

20 January 2013 admin
← ઘૂઘવાતા દરિયા વચ્ચે ઠાઠમાઠ શા ડાયરા
Rising Shadow of Trident: Modi’s Victory in Gujarat →

Search by

Opinion

  • जो कार्नी नहीं कह सके …
  • અસ્વસ્થતા એ જ સ્વસ્થતા છે …
  • NATOનાં પેચીદાં સમીકરણઃ સલામતી જૂથ તરીકે શરૂ થયેલું ગઠબંધન શક્તિશાળી રાષ્ટ્રનો હાથો બની ગયું
  •  શિયાળો ધ્રૂજાવે
  • ભારત એકલું કેમ પડી ગયું ?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved