Opinion Magazine
Number of visits: 9449308
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત વિશે કલ્પના અને ‘વર્ચ્યુઅલ રીઆલીટી’

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

ફિલ્મઉદ્યોગમાં અને રાજકારણમાં જ્યુબિલી ઉર્ફે જયંતિઓનું મહત્ત્વ ઘણું હોય છે. કેમ કે, બન્નેમાં આખરે ધંધાનો સવાલ છે. જયંતિઓ ઉજવવાથી પોતાની ‘બ્રાન્ડ’ ભણી નવેસરથી લોકોનું ધ્યાન ખેંચવાની કે તેમનામાં નવેસરથી ઉત્સાહ જગાડવાની તક મળે છે.

ગુજરાતના વર્તમાન મુખ્ય મંત્રી વર્તમાન રાજકારણમાં એક બ્રાન્ડ છે. ગુજરાત, તેનું હિત, તેની અસ્મિતા, તેનું ગૌરવ, તેનો વિકાસ – આ બધું મુખ્ય મંત્રી માટે સાધ્ય નહીં, પણ સાધન છે- પોતાની બ્રાન્ડ મજબૂત કરવા માટેનું સાધન. છતાં ગુજરાતની પ્રજાને તે એવું સમજાવવામાં સફળ રહ્યા છે કે આગળ જણાવેલી ચીજો તેમનું સાધ્ય છે. આમ કરવામાં જો કે તે પહેલા નથી. નજીકના ભૂતકાળમાં ‘નયા ગુજરાત’ અને નર્મદા યોજના થકી ચીમનભાઇ પટેલે આવી જ સફળતા મેળવી હતી.

વર્તમાન મુખ્ય મંત્રી કમ્યુનિકેશનની કળામાં પારંગત અને પોતાની બ્રાન્ડનું કોઇ પણ ભોગે માર્કેટિંગ કરવામાં બેશરમ છે. ગુજરાતમાં પૂર આવ્યાં ત્યારે તેમણે છપાવેલાં મદદની અપીલ માટેનાં કાર્ડમાં તારાજીગ્રસ્ત વિસ્તારોની હવાઇ તસવીર (એરીયલ વ્યુ) ઉપર પોતે હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કરતા હોય, એવું કટઆઉટ મુકાવ્યું હતું. આફતને અવસરમાં પલટાવવો તે આનું નામ.

આવા ઉત્સાહી મુખ્ય મંત્રી ગુજરાત રાજ્યની સ્થાપનાને પચાસમું બેસતું હોય, એવા અવસરનો લાભ લેવાનું અને એ નિમિત્તે એકાદ ‘કેચી’ સ્લોગન વહેતું મુકવાનું ચૂકે? તેમણે ગુજરાતની સુવર્ણજયંતિ નિમિત્તે આપેલું ‘કેચ-ફ્રેઝ’ છેઃ સ્વર્ણીમ ગુજરાત. આ સૂત્રને અપનાવવું કે તેની ટીકા કરવી, એ બન્નેમાં સરવાળે એ સરકારી સૂત્રનો મહીમા થાય છે. એટલે ‘સ્વર્ણીમ ગુજરાત’ વિશેની કલ્પના કરવાની કસરત- તેમાં મુખ્ય મંત્રીની બ્રાન્ડના રાજકારણની ટીકા હોય તો પણ- અંતે મુખ્ય મંત્રીની પ્રચારગાડીમાં ચડી જવા બરાબર નીવડી શકે છે.

2008માં ગુજરાત વિશેની કલ્પના કેવી હોઇ શકે? ‘નાનો’ કારનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યા પછી, ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવા અખબારના વાચકોને, કર્ણાવતી-રાજપથ ક્લબના સભ્યોને અને તેમના પગલે ઘણા બીજા લોકોને પણ એવું લાગી શકે છે કે ‘કલ્પી શકાય એ બધી સુખસમૃદ્ધિ ગુજરાતમાં આવી ગઇ છે. ગુજરાતને આથી વધુ બીજું શું જોઇએ? માટે, હવે ગુજરાત વિશે સુખદ કલ્પના કરવાની જરૂર જ નથી રહી.’

‘ગુજરાત વિશે કશી કલ્પના કરવાની જરૂર રહી નથી’ એવું જરા જુદી રીતે પણ લાગી શકે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનાં એકધારાં જૂઠાણાં અને આક્રમક પ્રચારને કારણે ગુજરાતમાં રમ્ય કલ્પનાઓનું એવું વાસ્તવાભાસી વાતાવરણ સર્જાયું છે કે કાયમ કલ્પનાની વચ્ચે જીવવા ટેવાઇ ગયેલાં માણસોને હજુ કેટલી કલ્પના કરવાની? ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલીટી) બનીને પથરાઇ ગયેલી કલ્પનાથી ધરવ થતો નથી? એવો પણ સવાલ થાય.

છતાં કલ્પના કરવાની જ હોય, ગુજરાતના વર્તમાન વિશે- તેના ભવિષ્ય વિશે તો, નિરાશાવાદી થયા વિના, પણ એ કલ્પનાઓ સાકાર થવાની નહીંવત્ આશા સાથે, સૂઝતી કેટલીક રમ્ય કલ્પનાઓઃ

o ગુજરાતમાં કાર્યરત આધ્યાત્મિક ફિરકા, પંથ, સંપ્રદાય, આશ્રમોના દર છ મહિને જાહેર હિસાબો કરવા માટે પ્રજાના પ્રતિનિધિઓ ધરાવતું એક માળખું રચવામાં આવે, જેની પાસે અદાલતની માન્યતા અને કાયદા દ્વારા મળેલી સત્તા હોય. નિયમિતપણે થતા હિસાબોમાં ગોટાળા જણાય, ત્યારે યોગ્ય દંડ અને સજા ફટકારીને આ ક્ષેત્રે પારદર્શકતા સ્થાપવામાં આવે. આવું જ એક માળખું સ્વૈચ્છિક સંસ્થાઓના હિસાબોની તપાસ માટે પણ રચવામાં આવે. તેમને મળેલી નાણાંકીય સહાયમાંથી જે સંસ્થાએ 50 ટકા કરતાં વધુ રકમ વહીવટી ખર્ચમાં વાપરી હોય તેને સ્વૈચ્છિક સંસ્થાને બદલે પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવાની જાહેરાત કરવામાં આવે.

o સ્વૈચ્છિક સંસ્થાઓ જીપ સિવાય બીજું કોઇ ચાર પૈડાનું વાહન વાપરી શકે નહીં, એવું ઠરાવવામાં આવે. લક્ઝરી કાર, સ્પોર્ટસ યુટીલીટી વેહિકલ જેવી મોંઘીદાટ ગાડીઓ વાપરનારી સંસ્થાઓને પણ આગળ જણાવ્યા પ્રમાણે, પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવામાં આવે.

o ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ‘માસ મુવમેન્ટ’નો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે. ગુજરાતના જાહેર જીવનમાં છેલ્લા બે-ત્રણ દાયકાથી સક્રિય જાણીતા-અજાણ્યા કાર્યકરો, સંસ્થાસંચાલકો અને બિનરાજકીય નેતાઓના સારા-નરસા અનુભવોનો તેમાં લાભ લેવામાં આવે. આ અભ્યાસક્રમ હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓની પહેલી બેચ સંબંધિત યુનિવર્સિટીઓમાં રાજકીય વફાદારીથી કુલપતિ બની બેઠેલાઓ સામે આંદોલન કરીને, તેમને ઘરભેગા કરે.

o નરેન્દ્ર મોદી મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઇને પરેશ રાવલનું સ્થાન જોખમમાં મુકી દેનારા સુપરસ્ટાર ચરિત્ર અભિનેતા બની જાય. તેનાથી ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થશે.

o હિંદી ફિલ્મોમાં છવાઇ ગયેલાં ગુજરાતી નામો વર્તમાન હિંદી ફિલ્મોની કક્ષા અને બજેટની ગુજરાતી તથા એવા જ અવનવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો બનાવે. ફક્ત મેઘાણી-મુન્શી-દર્શક કે જોસેફ મેકવાન-રજનીકુમાર પંડ્યા-હરકિસન મહેતા-અશ્વિની ભટ્ટની નવલકથાઓ પરથી જ નહીં, ઇલાબહેન ભટ્ટ કે માર્ટિન મેકવાન જેવાની સંઘર્ષકથાઓ પરથી પણ ઉત્કૃષ્ટ પ્રોડક્શન વેલ્યુ ધરાવતી ગુજરાતી ફિલ્મો બને. અનિલ અંબાણી અને સ્ટીવન સ્પીલબર્ગની સંયુક્ત નિર્માણસંસ્થા તેના માટે નાણાં રોકે.

o ગુજરાત વિદ્યાપીઠ અને ભો.જે. સંશોધન ભવનથી માંડીને ગુજરાતભરનાં પુસ્તકાલયોમાં રહેલાં પચાસ વર્ષથી જૂનાં તમામ સામયિકો-પુસ્તકોનું ડીજીટાઇઝેશન થાય. ગુજરાતબહાર મુંબઇ-કલકત્તાનાં પુસ્તકાલયોમાં રહેલી સામગ્રીને પણ તેમાં આવરી લેવાય. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીનું (‘નેશનલાઇઝેશન’ની જેમ) ‘પીપલાઇઝેશન’ કરવામાં આવે.

o ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી.મહેતાથી માંડીને પ્રતિભાવાન હયાત સાહિત્યકારો વિશે ‘ડિસ્કવરી’ પર આવતા કાર્યક્રમોની કક્ષાની ડોક્યુમેન્ટરી બને. નીરવ પટેલ, સાહિલ પરમાર જેવા કવિઓની કવિતાઓ નરસિંહ મહેતા-મીરાબાઇની કવિતાઓની જેમ ઘેર ઘેર જાણીતી બને અને લોકોના મનમાં જ્ઞાતિપ્રથા અંગે શરમ તથા સમાનતાનો જુસ્સો પેદા કરે. ચંદુ મહેરિયા હજાર-હજાર પાનાંના છ ભાગમાં પથરાયેલી આત્મકથા લખે, જે દલિત સમસ્યાથી માંડીને ગુજરાતના જાહેર જીવન અને આંદોલનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેના આગેવાનો તથા સાહિત્યજગત વિશેનો મૂલ્યવાન દસ્તાવેજ બની રહે.

o ગુજરાત વિદ્યાપીઠમાં ખાદી અને કાંતણને ફરજિયાત બનાવતો નિયમ દૂર થાય. ખાદીને બદલે ગાંધીના ચરિત્રનાં માનવીય પાસાં ઉભારતાં પાંચ-દસ પુસ્તકોનો અભ્યાસ, તેના વિશેની મુક્ત ચર્ચાઓ અને આંબેડકરચરિત્ર ફરજિયાત બને.

o ગુજરાતી ભાષાનાં વિજ્ઞાન-ગણિત-અંગ્રેજી-આઇ.ટી.નાં પાઠ્યપુસ્તકો નગેન્દ્રવિજય પાસે તૈયાર કરાવવામાં આવે. પ્રજાકીય નાણાંના પ્રચંડ બગાડ જેવા સાયન્સ સીટીની સેંકડો ખામીઓ દૂર કરીને, તેને નવેસરથી સજ્જ કરવાનું અને દરેક જિલ્લામાં આવાં સાયન્સ સીટીની નાની આવૃત્તિઓ ઊભી કરવાનું કામ પણ નગેન્દ્રભાઇ અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણાને સોંપવામાં આવે.

o અફસોસ અને ગંભીરતા સાથે યાદ કરવું પડતું એક નામ સ્વ. રવજીભાઇ સાવલીયાનું છે. ભાજપની સરકારો સાથે તેમને નિકટના સંબંધો હોવા છતાં, તેમની પ્રચંડ પ્રતિભાનો લાભ ગુજરાતને મળી શક્યો નહીં એ ગુજરાતનું કમનસીબ છે. વૈકલ્પિક ઊર્જા અને જળસંચયથી માંડીને બ્રહ્માંડનાં રહસ્યો અને વૈજ્ઞાનિક વિચારસરણીની બાબતમાં રવજીભાઇ ગુજરાતને મળેલું – અને ગુજરાતે જેને વેડફી નાખ્યું એવું- દુર્લભ રત્ન હતા. ગુજરાતના હિતમાં મને કોઇ એક માણસ સજીવન કરવાનું કહેવામાં આવે તો અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને હું રવિશંકર મહારાજ કે ઇન્દુલાલ યાજ્ઞિકનું નહીં, પણ રવજીભાઇ સાવલિયાનું નામ આપું. તેમના પરિચયમાં આવેલા લોકો આ વાતમાં અંગત લાગણી કરતાં વધારે પ્રમાણમાં નક્કર વાસ્તવિકતાનું તત્ત્વ જોઇ શકશે.

o રાજકારણીઓ અને તેમને પેદા કરનારું પ્રજામાનસ એકદમ સુધરી જાય, એવું તો રમ્ય કલ્પનામાં પણ આવતું નથી. હા, ગુજરાતમાં બે ટંક ભોજન વિના કોઇ ન સુએ, દરેક જણ વાંચી-લખી શકે એટલું શિક્ષિત હોય, ફક્ત પારસીઓ જ નહીં, બધા ધર્મોના ગુજરાતીઓ એકબીજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા હોય, ગામેગામ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ હોય…અને લોકો ફક્ત કલ્પનાઓ કરીને બેસી રહેવાને બદલે પોતાનાથી બને એટલું કામ પણ કરતા હૌય…

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved