Opinion Magazine
Number of visits: 9447967
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર, ગીત ગોત્યું ગોત્યું … ને જડ્યું !

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 August 2015

ઉમાશંકર જોશીએ સરકારી ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માનનો સવિનય અસ્વીકાર કર્યો અને સ્વાયત્ત અકાદમીની દિશામાં આપણે ત્યાં ઊહ ને અપોહનો આરંભ થયો. આગળ ચાલતાં ૧૯૯૩માં દર્શકના યોજકત્વમાં સ્વાયત્ત અકાદમી શક્ય બની એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ૨૦૦૩માં સ્વાયત્ત અકાદમીના સુષુપ્તીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને એપ્રિલ ૨૦૧૫માં ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા પેઠે પરબારી અધ્યક્ષનિયુક્તિ આવી પડી તે સાથે ઉમાશંકર-દર્શકનાં આંદોલનવર્ષોનું વળી વળીને સ્મરણ થવું સ્વાભાવિક હતું અને છે. વચગાળાનાં વર્ષોમાં પણ કંઈક ટીકાવચનોથી માંડીને, હાલની અધ્યક્ષનિયુક્તિથી આગમચ ૨૦૧૪માં અસહયોગની મંદ પણ મક્કમ શરૂઆત થઈ ત્યારથી ઉમાશંકર જાણે આપણી વચ્ચે હાજરાહજૂર અનુભવાતા રહ્યા છે.

તેથી ચાલુ વરસે ઉમાશંકરજયંતી પર્વે (૨૧મી જુલાઈએ) કોઈ વિશેષ આયોજન છે કે કેમ એવી પૃચ્છા ઊઠવી સ્વાભાવિક હતી, અને પત્રકારત્વના અધ્યાપક અશ્વિનકુમાર વિદ્યાપીઠના છાત્રાવાસમાં ઉમાશંકરની ઓરડીએ છાત્રો સાથે પ્રતિવર્ષે ‘જગો’ કરે છે તે સિવાય બીજું કોઈ જાહેર આયોજન લક્ષમાં ન આવે તો આ પૃચ્છાને ધાર નીકળે તે પણ એટલું જ સ્વાભાવિક હતું.

‘નિરીક્ષક’ના પ્રથમ અવતારના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના અધ્યક્ષ અને તંત્રીનામ્ વરિષ્ઠઃ ઉમાશંકરની એ મતલબની પંક્તિઓમાં કદાચ આ પ્રશ્નનો ઉત્તર પડેલો છે કે જ્યારે કંઈ પણ સારું કામ થતાં થઈ જાય તે દિવસે ગાંધીજયંતી જાણશો. એનો તારીખિયા સાથે સંબંધ હોવો જરૂરી નથી. ‘નિરીક્ષક’ તંત્રીની આ દિવસોની લાગણી એ રહી છે કે ગુજરાતના અક્ષરકર્મીઓમાં સ્વાયત્તતા આંદોલનનો કિંચિત્પણ નવસંચાર થયો એ ઉમાશંકર જયંતીની રૂડી ઉજવણીરૂપ બીના છે.

જાહેર જીવનમાં સીધી સંડોવણી સારુ બધો વખત જાણીતા નહીં એવા નિરંજન ભગત સ્વાયત્તતાને મુદ્દે સક્રિય હોય અને વિશ્વભારતી સારુ રવીન્દ્રનાથ પરના ઉમાશંકરના લેખોના સંપાદનની જેમ જ આ પણ ઉમાશંકર સંદર્ભે પ્રાપ્ત દાયિત્વ છે એ રીતે વિચારતા હોય એ વાનું ગુજરાતના અક્ષરકર્મીઓએ અને સત્તાકર્મીઓએ ઓછું આંકવા જેવું નથી. જરી જુદો એક દાખલો, આ જ દિવસોમાં બની આવ્યો તે સુપ્રતિષ્ઠ વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાના પ્રત્યક્ષ પ્રવેશનો છે. અસહયોગ તો ૨૦૧૪માં જ એ પોકારી ચૂક્યા હતા પણ સ્વાયત્તતા સંમેલનમાં જોડાવાથી માંડીને હવે તો રીતસરની ચૂંટણીમાં જવાની તૈયારી એમના આજ સુધીના મિજાજ કરતાં ન્યારી અને અનેરી વરતાય છે. હવે વિધિકૌતુક જુઓ, હું પરિષદ પ્રમુખની ચૂંટણી લડવા તૈયાર છું એવો સંમતિપત્ર એમણે લખ્યો તે તારીખ, જોગાનુજોગ, ૨૧મી જુલાઈ હતી! આપણા વિવેચકને કંઈ આવા કોઈ તારીખમેળનો ખ્યાલ ત્યારે ભાગ્યે જ હશે પણ થતાં થઈ ગયું તે થઈ ગયું.

સ્વાયત્તતા આંદોલન શરૂ થયું ત્યારથી, સ્વાભાવિક જ શતાયુ સાહિત્ય પરિષદથી માંડીને મુકાબલે નવતરુણ ગુજરાતી લેખક મંડળ વગેરે એ અંગે સક્રિય ભૂમિકા લે એવી અપેક્ષા રહેતી આવી છે. પરિષદ પ્રમુખ ડૉ. ધીરુભાઈ પરીખે સ્વાયત્તતા સંમેલનની અધ્યક્ષતા કરી તો લેખક મંડળના પ્રમુખ મનીષી જાની, પ્રવીણ પંડ્યા અને આ લખનાર સહિતના સાથીઓ જોડે સંમેલનના આયોજન અને અગ્રચરણમાં બરોબરના હિસ્સેદાર છે તે આ સંદર્ભમાં અવશ્ય સ્મરણીય છે.

૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્ત અકાદમીની માંગણી, કેવળ કારોબારી કે મધ્યસ્થ સમિતિના ધોરણે નહીં પણ સમગ્ર અધિવેશનના, રિપીટ, સમગ્ર અધિવેશનના ધોરણે ઘૂંટી હતી. સ્વાયત્તતા આંદોલનના માહોલમાં પરિષદની કારોબારી અને મધ્યસ્થ સમિતિએ તેનું પુનરુચ્ચારણ પણ કર્યું છે. તેમ છતાં, પરિષદના હોદ્દેદારો સરકારી અકાદમીમાં પરબારી નિયુક્તિ સ્વીકારતા માલૂમ પડે એમાં કંઈ નહીં તોપણ સંમિશ્ર સંકેતો પડેલા છે અને તે સોઈ ઝાટકીને સફાઈ માંગે છે. ૧૯૮૭માં સરકારી અકાદમીથી ફારેગ થવાનું સરૂપ ધ્રુવ, વીનેશ અંતાણી, રમણલાલ જોશી આદિને સૂઝી રહ્યું હતું એ હાલના પરબારા નિયુક્તિગત સૌને સારુ બેલાશક એક પથપ્રશસ્તકારી ઘટના છે.

જો કે સહજ સૂઝવું જોઈતું હતું તે આ હદે ખેંચાતું હોય ત્યારે મુખર સંડોવણી એ કોઈ પણ સ્વાયત્તતાચાહક અક્ષરકર્મીનું પ્રાપ્ત કર્તવ્ય બની રહે છે. એથી સ્તો પરિષદ પ્રમુખની ચૂંટણીમાં ‘નિરીક્ષક’ તંત્રીનો રસ સવિશેષ છે. નડિયાદના સંકલ્પ પરિવારે પ્રફુલ્લ ભારતીયની પહેલથી પ્રકાશ ન. શાહનું નામ લાગટ બીજી વાર સૂચવ્યું ત્યારે પ્રથમ પ્રતિભાવ બેલાશક દરમ્યાન થવાનો એટલે કે લડી લેવાનો હતો. પણ ડૉ. ટોપીવાળાનો મક્કમ નિર્ણય જાણ્યા પછી, મૂળ આશયને સંગતપણે એમની તરફેણમાં (સંકલ્પ પરિવાર અને મને ઇચ્છતા અન્ય સૌ પરત્વે કૃતજ્ઞતાપૂર્વક) ખસી જવાનો મારો નિર્ણય પણ એટલો જ ઉમંગભર્યો છે જેટલો ખુદ લડતી વેળાએ હોઈ શકતો હતો.

ટોપીવાળાની પ્રતિષ્ઠા અને ઓળખ આ લખનારની મોહતાજ નથી. પણ એક વસ્તુ કહેવી જોઈએ કે ગુજરાત-મુંબઈનાં વિવિધ વર્તુળોમાંથી છએક ઠેકાણેથી એમનું નામ સૂચવાયું છે તેમાં સ્વાયત્તતા પરત્વે એમની સક્રિય પ્રતિબધ્ધતાની પણ ભૂમિકા અવશ્ય રહેલી છે.

વારુ. ગીત ગોત્યું ગોત્યું ને ના જડ્યું એ કવિબોલ સામે, જાહેર જીવનના કવિ ઉમાશંકર જોશીએ યથાપ્રસંગ એ પ્રતીતિ પણ કરાવી છે કે જે ગીત ગાવા જોગ જણાયું તે બાબતે એમણે કદી પરહેજ કરી નથી. દેખીતી અંગત વાત છતાં એકંદરે બિનંગત એવી જાહેર નિસબતની આ વાત, લોકશાહીમાં ગાવા જોગ ગીતની આ વાત, તંત્રી તરફથી પોતાની ઉમેદવારી અને સંડોવણી સબબ વાચક પરિવારની ખિદમતમાં.                  

જુલાઈ ૨૭, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 10

Loading

3 August 2015 admin
← તિરંગાના સર્જકનું સ્મરણ અને સલામ
હિરોશિમાનાં ૭૦ વર્ષ : વિવેકની કોઈ શાશ્વતી ન હોય ત્યારે જોખમો પેદા કરવામાં જોખમ છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved