Opinion Magazine
Number of visits: 9447969
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈશંપાયનની ચાર કવિતા :

કરસનદાસ માણેક 'વૈશંપાયન'|Poetry|19 June 2015

કરસનદાસ માણેક સાથે થોડી પળો
                        (1)

હરિનાં લોચનિયાં

                          સારંગ
         એક દિન આંસુભીનાં રે
                   હરિનાં લોચનિયાં મેં દીઠાં !

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા :
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી :
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તન્તી.
દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,
દેવદ્વારની બ્હાર ભટકતા ટુકડા કાજ ટટળતા,

          તે દિન આંસુભીનાં રે
                  હરિનાં લોચનિયાં મેં દીઠાં !

લગ્નવેદિપાવક પ્રજળ્યો’તો વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજન મ્હાજન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા !
જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેતસમાણું, 
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું !
’બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળકળી ત્યાં આણી :
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી !

          તે દિન આંસુભીનાં રે
                    હરિનાં લોચનિયાં મેં દીઠાં !

ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા :
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ—લાલચે ધાયા ! 
થેલી, ખડિયા, ઝોળી, તિજોરી : સૌ ભરચક્ક ભરાણાં :
કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા ! 
ધીંગા ઢગલા ધાન્ય તણા સૌ સુસ્તોમાંહિ તણાણા :
રંક ખેડૂનાં રુધિર ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં !

          તે દિન આંસુભીનાં રે
                   હરિનાં લોચનિયાં મેં દીઠાં !
હૂંફાળાં રાજવીભવનોથી મમતઅઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદીઓએ દીધા જુદ્ધ—દદામા !
જલથલનભ સૌ ઘોરઅગનની ઝાળમહિં ઝડપાયા :
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઈ હડકાયા ! 
નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઉભરાણાં :
લખલખ નિર્મલ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા !

         તે દિન આંસુભીનાં રે
                   હરિનાં લોચનિયાં મેં દીઠાં ! 

ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં :
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં ! 
વસંત, વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધા ય ભુલાણા :
જીવનમોદ તણા લઘુતમમાં પ્રગતિપાદ છેદાણા ! 
હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણા :
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં :

          તે દિન આંસુભીનાં રે
                   હરિનાં લોચનિયાં મેં દીઠાં !

30-05-1933

(‘આલબેલ’માંથી)

***********************************************

                 (2)

        મને એ જ સમજાતું નથી

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે :
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરશ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ઘર—હીણાં ઘૂમે હઝારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મ્હાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું :
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

(‘મધ્યાહ્ન’માંથી)

==============================

(3)

જાનારાને …

જાનારાને જાવા દેજે :
એકલવાયું અંતર તારું
ચૂપ રહી ચીરવા દેજે !
જાનારાને જાવા દેજે !

લાવજે ના લોચનમાં પાણી;
ધ્રુજવા દેજે લેશ ન વાણી,
પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી
છાનોમાનો છેદાવા દેજે !
જાનારાને જાવા દેજે !

નીરવ જીરવી લેજે ઝુરાપા,
છોને પડે તારે કાળજે કાપા :
હૈયાની ધરતી તરસી, તારાં
શોણિતથી સીંચાવા દેજે !
જાનારાને જાવા દેજે !

ઝંખનાની કાળી ઘોર ગુલામી;
વહોરજે ના વેદનાઓ નકામી.
સપનાની તારી વાડી રૂપાળીને
સામે ચાલી વેડાવા દેજે !
જાનારાને જાવા દેજે !

*********************************************

(4)

હરિ, હું તો એવું જ માગું મોત

એવું જ માગું મોત,
               હરિ, હું તો એવું જ માગું મોત !

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત !
               હરિ, હું તો એવું જ માગું મોત ! 

અંતિમ શ્વાસ લગી આતમની અવિચત ચલવું ગોત :
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણકપોત !
               હરિ, હું તો એવું જ માગું મોત !

કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદ :
જોજે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત !
               હરિ, હું તો એવું જ માગું મોત !


ગિરિગણ ચઢતાં, ઘનવન વીંધતાં, તરતાં સરિતાસ્રોત,
સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !
               હરિ, હું તો એવું જ માંગુ મોત !         

Loading

19 June 2015 admin
← સત્તા-પ્રતિષ્ઠાન અને બૌદ્ધિકો
દરમિયાન, લલિત કલા વર્તે સાવધાન! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved