Opinion Magazine
Number of visits: 9448923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શતાબ્દી વંદના ન સેવાશ્રમ, ન તપોવન, સત્યાગ્રહ આશ્રમ

પ્રકાશ ન. શાહ|Gandhiana|3 June 2015

શતાબ્દી વંદના

ન સેવાશ્રમ, ન તપોવન, સત્યાગ્રહ આશ્રમ

ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડી ભારત સ્થાયી થવા પાછા ફર્યા એ આપણા જાહેરજીવનને સારુ અક્ષરશઃ નવસંવત શી ઘટના હતી, અને કોચરબ આશ્રમની સ્થાપના એ સંદર્ભમાં નિઃશંક એક સીમાચિહ્ન છે, બિલકુલ શેષનાગને માથે ખીલો ખોડાયા જેવું. દક્ષિણ આફ્રિકાનાં સંઘર્ષવર્ષોમાં પોતે શરૂ કરેલી આશ્રમ-પરંપરામાં ભારત પાછા ફર્યા પછી દક્ષિણ આફ્રિકાના સાથીઓની જે ટુકડી શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની નિશ્રામાં હતી, એને મળવા ગાંધીજી ગયા ત્યારે એ પંથકમાંયે સૂચિત એક આશ્રમઠેકાણું તો હતું જ.

બીજાં પણ એકાધિક સ્થળો સામેથી સૂચવાયાં હતાં, પણ અમદાવાદની પસંદગીનું ગાંધીલૉજિક સમજવા જેવું છે. કૃષિસંસ્કૃિત અને ઔદ્યોગિક ક્રાંતિ વચાળે ક્યાંક ઊભા રહીને એમણે જે નવસંતુલન ઇચ્છ્યું હશે (કહો કે પોસ્ટ-ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી માટે) એમાં ચરખાનું એક અગત્યનું સ્થાન, અલબત્ત અભિગમ રૂપે હતું. અમદાવાદ એક કાળે હાથવણાટનું મથક અને બીજરૂપ પ્રતિભાએ કરીને રણછોડલાલ રેંટિયાવાળાની સાહસપહેલે માન્ચેસ્ટરની ગુંજાશ દાખવી શકેલું. ત્યાં કેમ થાણું ન નાખવું? અને ગુજરાતી ભાષા, સ્વભાષા, જેવું ઉત્તમ સેવાવાહન પણ બીજું કિયું હોઈ શકે. બેશક, જાહેર કામ માટે નાણાસ્રોતની રીતે લક્ષ્મીનંદન મહાજનોની સુલભતા પણ લક્ષમાં લીધી હશે.

જો કે, સો વરસના ઉજાસમાં આ બધી બાબતોની તપસીલ તપાસને અવકાશ હોઈ શકે છે; પણ જોવાનું એ છે કે હરદ્વાર અને વૈદ્યનાથધામનાં સહયોગસુવિધાપૂર્વકનાં નિમંત્રણો હતાં છતાં ગાંધીજીએ આવા કોઈ સ્થાપિત તીરથ પર કળશ ન ઢોળ્યો. પાછળ નજર કરતાં આ સંદર્ભમાં એમ માનવાનું મન થાય છે કે આપણા સમયના કદાચ સૌથી મોટા ધર્મપુરુષને અભીષ્ટ ઓળખ પરંપરાગત ધર્મતીર્થો કરતાં ગુણાત્મકપણે જુદી હતી. ચોક્કસ, એ એક પાયાની સમજ હતી, જે એમને પરમતદ્વેષી, રૂઢિચુસ્ત, સંપ્રદાયગ્રસ્ત, અન્યથા પણ આ લોક કરતાં પરલોકપરસ્ત માહોલથી દૂર લઈ ગઈ હશે. ઇતિહાસદૃષ્ટિએ જોતાં એમના આ સભાન/અભાન પણ વિવેક પર વારી ગયા વિના રહેવાતું નથી. બાકી, આશ્રમના ઉદ્દેશપત્ર કહેતાં પ્રૉસ્પેક્ટસમાં એમણે જે યમનિયમો અને વ્રતતપની ભાષામાં વાત કરી હતી એમાં ચીલાચાલુ ધર્મમંડળી પ્રકારના અર્થઘટનને અવકાશ નહોતો એવું તો નથી. શાંતિનિકેતનની રૂબરૂ મુલાકાતે પ્રભાવિત પ્રોફેસર કૃપાલાનીને મુઝફ્‌ફરપુરમાં આ ઉદ્દેશપત્ર મળ્યું ત્યારે એમણે અકળાઈને એ ટેબલ પર ફેંક્યું હતું. એમને થયું કે આ માણસ, અગાઉના મહાત્માઓની પેઠે, ‘સ્વર્ગનું રાજ્ય’ શોધતો હોય તો ભલે હિમાલયભેગો થઈ જતો. બીજે છેડે, વિનોબા જેવા તો કદાચ આ ઉદ્દેશપત્ર માંહેલી વિશેષતાથી જ આશ્રમવાસી બનવાના નિર્ણય પર પહોંચ્યા હશે. ‘મેં તો ઇતિહાસનાં ઘણાં થોથાં વાંચી કાઢેલાં’, વિનોબાએ સંભાર્યું છે અને ઉમેર્યું છે : ‘એકે થોથામાં ક્યાં ય દેશસેવા માટે આ બધાં વ્રતોનું પાલન જરૂરી હોવાનું વાંચ્યું નહોતું. યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથોમાં, ભક્તિમાર્ગમાં આવતી વાતો અહીં જોઈ મને સમજાયું કે આ માણસ દેશની રાજકીય સ્વતંત્રતાની તેમ જ આધ્યાત્મિક વિકાસની એમ બેઉ વાતો એકસાથે સાધવા ચાહે છે.’

આશ્રમની સ્થાપના પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં ગાંધીજીએ ‘દેશસેવા’નો પોતાના ખયાલ અને મર્યાદા બંને અસંદિગ્ધ શબ્દોમાં બાંધી બોલી બતાવ્યાં હતાં ઃ ‘જગતહિતને અવિરોધી એવી દેશસેવા કરવાની કેળવણી લેવી અને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો.’ તમે જુઓ કે રાષ્ટ્રીય ચળવળના એટલે કે દેશભક્તિના જોસ્સાનાં એ વરસો હતાં. દેશ કે રાષ્ટ્ર એટલે પોતે જ આદિ, મધ્ય, અંત બધું જ એવા મનોભાવ બલકે માનસિકતાને અવકાશ જ અવકાશ હોઈ શકતો હતો. એની વચ્ચે આ માણસ ‘જગતહિતને અવિરોધી’ ભૂમિકા પર ભાર મૂકે છે. રાષ્ટ્રરાજ્યવાદના મત્સર અને દ્વેષ વિશ્વયુદ્ધ રૂપે ભભૂકી ઊઠ્યાં છે તે વિશે તે સ્પષ્ટ છે. આ સંદર્ભમાં લેવા જોગ કેળવણી અને કરવા જોગ દેશ સેવાના સ્થાનક તરીકે આશ્રમ ખડો થઈ રહ્યો છે, તો એનું નામ શું પાડવું?

‘સત્યના પ્રયોગો’ વાંચતાં ‘સેવાશ્રમ’થી માંડીને ‘તપોવન’ જેવાં નામો વિચારાયાની સાહેદી મળે છે. પણ પરંપરાગત તીરથમાં જેનું ધર્મપ્રવણ ચિત્ત ન ઠર્યું, તેની સેવાની વ્યાખ્યા પણ નકરી પરંપરિણ તો ક્યાંથી હોય? ગાંધીમંથન છે કે દક્ષિણ આફ્રિકામાં અમે સૌએ સેવાની એક રીતે વિકસાવી હતી એનો પડઘો આ ‘સેવાશ્રમ’ જેવા નામમાં ઝિલાતો નથી. અને તપોવન, એમાં કદાચ પરંપરાગત તપસ્યા પર જેટલો ભાર છે, એટલો પ્રત્યક્ષ કર્મ પર ક્યાંથી લાવવો. આ બધી ઘડભાંજ અગર ભાંજઘડમાંથી સામે આવી ઊભું રહેતું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ છે. વૈશાખ સુદ અગિયારસ ને સંવત ૧૯૭૧ કહેતાં ૨૫ મે ૧૯૧૫ના દિવસે, આમ, સત્યાગ્રહ આશ્રમનું સ્થાપન અને નામકરણ થયું. રાષ્ટ્રકૈવલ્યવાદ, રાજ્ય કૈવલ્યવાદ અને બજારકૈવલ્યવાદ પોતપોતાની ગતમાં જગતહિતથી નિરપેક્ષપણે મત્ત મહાલે છે ત્યારે, કાશ, આપણે ગાંધીને એની ઇનિંગ્ઝ આપી શકીએ! સન સુડતાલીસની આઝાદી અને સન પચાસનું પ્રજાસત્તાક સ્વરાજ આંખમાથાભેર પણ બાકી ઇનિંગ્ઝ તે બાકી ઇનિંગ્ઝ, ને આપણી વકટલૅંડ ચાલે તે ચાલુ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 20 

Loading

3 June 2015 admin
← ટાવરની ઘડિયાળના હવે ‘ડંકા વાગતા’ નથી !
Manufacturing and Undermining National Icons : RSS Style →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved