Opinion Magazine
Number of visits: 9449347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉંગ્રેસ – ભાજપ એકત્રીકરણ બેમતલબ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

ત્રીજા – ચોથા મોરચાઓએ અને એમાં અગર એમની સાથે હોઈ શકતા પ્રાદેશિક પક્ષોએ યુપીએ અને એનડીએ કહેતાં કૉંગ્રેસ – ભાજપ વચ્ચે વહેંચાયેલી લેખાતી ચૂંટણીને એક નવું પરિમાણ ચોક્કસ આપ્યું છે. લાલુ – મુલાયમ – પાસવાનનો ચોથો મોરચો એક દાબજૂથ તરીકે વરતીને પહેલા મોરચાને એટલે કે યુપીએને મૂંઝવણમાં મૂકે અગર તો પહેલા – બીજા બેઉ મોરચાઓ સાથે એમાં ભળીને કે અલાયદા મોરચા રૂપે નાના પક્ષો કિંમત વસૂલે, એ કોઈ ખાસ કલ્પનાનો વિષય અલબત્ત નથી : આ સંજોગોમાં કોઈને પણ લૉર્ડ મેઘનાદ દેસાઈએ થોડા મહિના પર કરેલું પેલું સૂચન સાંભરે જ કે કૉંગ્રેસ – ભાજપ એક એકંદરમતીના ધોરણે ભેગી સરકાર ચલાવે તો કેવું સારું ! લોકસભાના પૂર્વ અધ્યક્ષ સંગમાએ પણ વચ્ચે 'ઇન્ડિયા ટુડે'ના મીડિયાચોતરેથી આવું કાંક સૂચવ્યું જ હતું, અને ટોચના ટીવી પત્રકાર રજત શર્માનેય કાં તો કોઈકે ઝલાવી હોય કે પછી પોતાને ગમતી હોય પણ આવી ચૂસણી ગમી ગઈ જણાય છે. દિનેશ શુકલે આ પૂર્વે અહીં ચર્ચા કરી છે તેમ આ વાતને કેવળ તરંગતુક્કા લેખે ખપાવવાનાં પૂરતાં કારણો છે.

જોકે સમજવાનો અને તપાસવાનો મુદ્દો એ છે કે દેશનું પક્ષકારણ અડવાણી કે બીજાઓને ઇષ્ટ દ્વિધ્રુવી (બાયપોલર) ચોક અને ચોકઠામાં કેમ સમાતું નથી. ભાજપ, દાખલા તરીકે, એનો હિંદુત્વ – સાથી શિવસેનાને એક પ્રાદેશિક પક્ષની ઓળખ આપતે છતે કેમ ઇચ્છે છે. વાત એમ છે કે કૉંગ્રેસ અને ભાજપ, પક્ષ તરીકે, એવા ને એટલા લવચીક નથી રહ્યા કે તેમાં સર્વ પ્રદેશોને, સર્વ ભાષાભૂષાઓને પોતાનો સમાસ અનુભવાય. કૉંગ્રેસમાં સિન્ડિકેટ – ઇન્ડિકેટના રાજકારણને હવે તો ખાસા ચાર દાયકા થયા. પણ એક પા યથાસ્થિતિ અને બીજી પા પ્રગતિ એવી જે પસંદગી આપણી સામે ત્યારે ધરવામાં આવી હતી, સિન્ડિકેટ અને ઇન્ડિકેટને નામે, એમાં એક વાસ્તવિકતા એ હતી કે સિન્ડિકેટ (ચંદ્રભાણ ગુપ્તા, અતુલ્ય ઘોષ, સદોબા પાટિલ, મોરારજી દેસાઈ, સંજીવ રેડ્ડી, નિજલિંગાપા વગેરે) અનુક્રમે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મુંબઈ – ગુજરાત, આંધ્ર, કર્ણાટક આદિ રાજ્યોને પક્ષમાળખામાં અને પક્ષવહેવારમાં પ્રતિનિધિત કરતી હતી. ઇંદિરા ગાંધી આ અવિધિસરની સમવાયી રચનાથી હટી (તેમજ 'ગૂંગી ગુડિયા' મટી) પોતાને સ્થાપવા ઇચ્છતાં હતાં. તેઓ કૉંગ્રેસના ભાગલા બાદ, ખાસ કરીને ૧૯૭૧ની સર્વપ્રથમ મધ્યસત્ર ચૂંટણી તેમજ બાંગલાદેશની આઝાદી સાથે લગભગ એકચક્રી આણ વરતાવતાં બની રહ્યાં તે પછી પણ રાજ્યોને અંગે પક્ષમોરચે એમનું ખાલસાશાઈ વલણ બરકરાર રહ્યું હતું. આ ખાલસા વલણે સ્તો આંધ્રમાં તેલુગુ સ્વાભિમાન ચળવળને જન્મ આપ્યો અને એનટીઆર વિકલ્પ તરીકે ઉભર્યા. જ્યાં સુધી ભાજપનો સવાલ છે, એની વિચારધારામાં જે તીવ્ર બાદબાકીવાદ (એક્સ્લુઝિવિઝમ) છે તે એને સર્વ સમાવેશક બનતા રોકે છે અને નાનામોટા પ્રાદેશિક તેમજ બીજા જમાવડા અનિવાર્ય બની રહે છે.

બીજી બાજુ, જોકે, દેશમાં સમવાયતંત્રે કામ નથી આપ્યું કે તે કારગત નથી રહ્યું એવું નથી. બિલકુલ અલગાવવાદી, ચૂંટણીથીયે પરહેજ કરનારા હુર્રિયત ધડાનું કાશ્મીરમાં સરવાળે નહીં ઊપજવું તે આપણી સમવાયી મોકળાશમાં કાશ્મીરનું ભલે ધીરેધીરે પણ અને નજીક-આવતે-દૂર-જતે-નજીક-આવતે-છતે સમાવું સૂચવે છે. લોકસભાની ચાલુ ચૂંટણીમાં હુર્રિયત નેતાઓ પૈકી લોનનું ઉમેદવારીની હદે સામેલ થવું તે આપણી સમવાયી લોકશાહી ગુંજાશ સૂચવે છે. આ ગુંજાશનું પ્રશિષ્ટ (કલાસિક) ઉદાહરણ કોઈ હોય તો તે અલબત્ત દ્રવિડ ચળવળ છે. કયારેક તે બાકી ભારતથી છૂટા થવાની હદે પેશ આવતી હતી અને એના છૂટા પડવાની ('સિસેશન'ની) ઘડીઓ ગણાતી હતી,  એ વાતનો આજની યુવા પેઢીને તો કદાચ ખયાલ પણ નહીં હોય.

સમવાયી રાજ્યવ્યવસ્થા શી મોકળાશ, દેશના કથિત રાષ્ટ્રીય પક્ષો (સવિશેષ તો સુવાંગ મલક પોતાનો કલ્પતા કૉંગ્રેસ અને ભાજપ) દાખવી શક્તાં નથી એથી અન્ય નાનામોટા પક્ષો માટે એક અવકાશ અને ભૂમિકા બેલાશક ઉપસ્થિત થયેલ છે. આનો ઉગાર છેલ્લાં વર્ષોમાં આ બંને પક્ષોએ ગઠબંધનની રાજનીતિમાં શોધવાની નોબત આવેલી છે. વસ્તુત: ૧૯૭૭નો જનતા પ્રયોગ ઉત્કટ ગઠબંધનનો જ હતો. એમાં લોહિયાના ૧૯૬૭ના સંયુક્ત વિધાયક દળ અભિગમથી એક કદમ આગે એવું આંદોલનાત્મક સૅન્ક્શન પણ જેપી પ્રભાવે હતું. તે પછીના દસકામાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારને બહારથી માર્કસવાદી સામ્યવાદી પક્ષ અને ભારતીય જનતા પક્ષ બેઉનો ટેકો મળી રહે એવું શક્ય બન્યું તેની પાછળ પણ કેટલેક અંશે લોકઉદ્રેકનું સૅન્ક્શન કામ કરી ગયું હતું.

આ રીતે જોઈએ તો ગઠબંધનની રાજનીતિ, મીલીજૂલી સરકારો, અંદર નહીં તો બહારથી ટેકો વગેરે પ્રયોગો અને પ્રયાસોની હવે આપણે ત્યાં કોઈ નવાઈ નથી. તેથી ત્રીજા – ચોથા મોરચા જેવી કોશિશો પણ આ જ માળાના મણકા તરીકે ગોઠવાઈ તો શકે જ છે. વાત જો આમ જ હોય તો, પછી, કૉંગ્રેસ – ભાજપ એકત્ર આવે એ વાતને તરંગતુક્કા લેખે બાજુએ નહીં મૂકતાં તે દિશામાં સક્રિયપણે શા માટે ન વિચારવું એમ પણ કોઈ પૂછી તો શકે જ.

મારી દૃષ્ટિએ, હિંદુત્વ રાજનીતિને કારણે સરજાતી વિભાજક રેખાને ધોરણે આવું એકત્રીકરણ શક્ય કે ઇષ્ટ નથી. ૧૯૭૭માં જયારે જનતા પક્ષના અંગરૂપે અગર તે અગાઉ ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાના ઘટકરૂપે જનસંઘનું કૉંગ્રેસ – ગોત્રના પક્ષો સાથે એકત્ર આવવાનું થયું ત્યારે એની પાછળ સૌને સાથે અને સખણાં રાખતા લોકઆંદોલનનું બળ હતું, અને જનસંઘ પોતે થઈને એવો ને એટલો મજબૂત તથા વ્યાપક નહોતો કે તે આવી રચનામાં અભીષ્ટ આણ અને આમન્યાનું ઉલ્લંઘન કરી શકે. એથી ઊલટું, આજે એ જે સ્થિતિ એ છે તેમાં તે એનો હિંદુત્વબોજ છોડી શકે તેમ નથી. આ  સંજોગોમાં વિચારવા જોગ જુદા અભિગમવ્યૂહ વિશે હવે પછી.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved