Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીને ભલે નોબેલ પ્રાઇઝ નથી મળ્યું, પરંતુ તેમણે એક ડઝન નોબેલ પ્રાઇઝ વિનરો આપ્યા છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|14 October 2014

નોબેલના ઇતિહાસમાં શાંતિ માટેનું પારિતોષિક મેળવનારા લોકોમાં સૌથી લાયક વ્યક્તિ બે છે, બન્ને મહિલા છે અને બન્ને આ પ્રદેશની છે. પહેલા ક્રમે પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ ને બીજા ક્રમે બર્માનાં આંગ સાન સૂ કી. આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે


courtesy : "The Hindu", 12 October 2014

ભારત અને પાકિસ્તાનની સરહદે લડી રહ્યાં છે, એકબીજાને તાકાત બતાવવા બાવડાં આમળી રહ્યાં છે અને એકબીજાને ખતમ કરી નાખવાની ચેતવણી આપી રહ્યાં છે ત્યારે ભારતીય ઉપખંડના પ્રમાણમાં અજાણ્યા બે નાગરિકોને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત થઈ છે. આ શુદ્ધ યોગાનુયોગ છે કે પછી નોબેલ કમિટીની યોજના છે એ તો એ જાણે, પણ ઘટના ભારત અને પાકિસ્તાનના શાસકોનું નાક કાપનારી જરૂર છે.

૨૦૧૪નું શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની ૧૭ વર્ષની યુવતી મલાલા યુસુફઝઈને સંયુક્તપણે આપવાની જાહેરાત થઈ છે. શાંતિ માટેનું પારિતોષિક સ્થૂળ અર્થમાં શાંતિ માટે કામ કરનારાઓને જ કેવળ નથી આપવામાં આવતું, માનવકલ્યાણ માટે અને રહિતોના વિકાસ માટે કામ કરનારાઓને પણ આપવામાં આવે છે. મલાલા શાંતિ માટે કામ કરે છે જ્યારે સત્યાર્થી બાળકલ્યાણ માટે કામ કરે છે. આ રીતે મલાલા દલાઈ લામાની અનુગામી છે અને કૈલાશ સત્યાર્થી મધર ટેરેસા અને બંગલા દેશમાં ગ્રામીણ બૅન્ક શરૂ કરનારા મોહમ્મદ યુનુસના અનુગામી છે. આમાંનાં કોઈ વિદેશી નથી, બધાં જ આપણાં છે અને એ ભારતીય ઉપખંડનો સ્પિરિટ હોવો જોઈએ. નોબેલ કમિટીએ ભારત અને પાકિસ્તાનના હિન્દુ અને મુસ્લિમને શાંતિ માટેનું સહિયારું પારિતોષિક આપીને આ જ વાત કહી છે.



૧૫ વર્ષની મલાલા યુસુફઝઈ પર ૨૦૧૨માં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યાં સુધી તેનું નામ ખૈબર પખ્તુનવા પ્રાંતમાં આવેલા તેના ગામની બહાર કોઈએ સાંભળ્યું નહોતું. ૧૫ વર્ષની ઉંમર કીર્તિ રળવાની ઉંમર પણ નથી, એ તો રમવા-ખેલવાની અને ભણવાની ઉમર છે. પાકિસ્તાનના મૂળભૂતવાદી ઇસ્લામિસ્ટોએ આદેશ જારી કર્યો હતો કે શરિયા મુજબ મુસલમાનોમાં કન્યાકેળવણી પ્રતિબંધિત છે. મલાલાએ મૂળભૂતવાદીઓનો વિરોધ કર્યો હતો અને તે પોતાના ગામમાં છોકરીઓને સ્કૂલમાં જવા સમજાવતી હતી. તેને અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી ઇસ્લામિસ્ટોએ આપી હતી, પરંતુ મલાલા ટસની મસ નહોતી થઈ. એક દિવસ મૂળભૂતવાદી આતંકવાદીઓએ મલાલા પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો જેમાં આતંકવાદીઓની ગોળી તેના લમણામાં વાગી હતી. મલાલા ઘણા દિવસ કોમામાં રહી હતી અને જીવનમરણની લડાઈ લડી હતી. મલાલાને વિદેશમાં સારવાર આપવામાં આવી હતી જેમાં તે બચી ગઈ હતી. યુનાઇટેડ નેશન્સે (UN) ગયા વર્ષે જૂન મહિનામાં મલાલાને તેની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે UN બોલાવી હતી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. UN દ્વારા કરવામાં આવેલું સન્માન ખરા અર્થમાં વિશ્વસમાજે કરેલું સન્માન હતું. સન્માનના ઉત્તરમાં મલાલાએ જે ભાષણ આપ્યું હતું એવું ભાષણ આજ સુધી કોઈ પોપે કે કોઈ ધર્મગુરુએ (દલાઈ લામાનો અપવાદ) આપ્યું નથી. મલાલાએ આતંકવાદીઓને ભાઈ તરીકે ઓળખાવ્યા હતા. તેમના પર હુમલો કરનારા આતંકવાદીઓને માફ કરી દીધા હતા અને તેમને વિનંતી કરી હતી કે કન્યાઓને ભણતી રોકવામાં ન આવે. તેમણે કન્યાકેળવણી માટે જીવન સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. UNમાં મલાલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. 



આ આત્મબળ આવે છે ક્યાંથી? ગાંધીજીએ કહ્યું હતું કે રાજ્યના તોપના બળ સામે સામાન્ય માનવીનું તપોબળ અથવા તો આત્મબળ હજાર ગણું શક્તિશાળી છે. આ આત્મબળમાં એટલી તાકાત છે કે એ પ્રસ્થાપિત વ્યવસ્થાને ઉખાડીને ફગાવી શકે છે. કોઈ પણ પ્રકારની બાહ્ય તાકાત નહીં ધરાવતી ૧૫ વર્ષની એક છોકરીએ સશસ્ત્ર આતંકવાદીઓને નિસ્તેજ કરી દીધા છે. તેઓ શસ્ત્ર દ્વારા કેળવણીને રોકવામાં જેટલા સફળ નથી થયા એનાથી અનેકગણી સફળતા કન્યાકેળવણીનો પ્રસાર કરવામાં મલાલાને મળી છે. ગાંધીજીએ કહ્યું હતું કે દરેક માનવ આત્મબળ ધરાવતો હોય છે. કેટલાક વિલક્ષણ લોકો એને ઓળખી લે છે અને બીજાને એનો પરિચય કરાવવો પડે છે. ગાંધીજીએ કરોડો ભારતીયોનું આત્મબળ જાગ્રત કર્યું હતું. અન્યાય અને અસત્ય સામે અહિંસક પ્રતિકાર માનવસમાજને આપવામાં આવેલી ગાંધીજીની અનુપમ ભેટ છે. મલાલા યુસુફઝઈ ગાંધીજીની અનોખી વારસદાર છે. ૧૯૦૧થી શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મેળવનારાઓમાં મલાલા સર્વ‍શ્રેષ્ઠ છે. મલાલાને સન્માન આપીને નોબેલ પ્રાઇઝ કમિટીએ નોબેલનું સન્માન વધાર્યું છે.



ગાંધીજીના આત્મબળનો પ્રયોગ કરીને પ્રસ્થાપિત વ્યવસ્થા સામે લાખો લોકો આજે દુનિયાભરમાં લડી રહ્યા છે. ગાંધીજીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંસ્થાનવાદી યુગમાં બ્રિટિશ સરકારના દબાવ હેઠળ આપવામાં નહોતું આવ્યું અને સંસ્થાનવાદનો અંત આવતાંની સાથે જ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. નોબેલ મરણોત્તર આપવામાં નથી આવતું. એટલે ગાંધીજીને નોબેલ પારિતોષિક આપી શકાયું નહોતું. ગાંધીજીને નોબેલ પ્રાઇઝ ન મળી શક્યું એનો અફસોસ એટલા માટે નથી કે ગાંધીજી પાસેથી પ્રેરણા મેળવીને અહિંસક પ્રતિકાર કરનારા એક ડઝન માણસોને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આત્મબળ દ્વારા અહિંસક પ્રતિકાર કરવાનો ગાંધીજીએ બતાવેલો ઉપાય કેટલો કારગર અને સ્વીકાર્ય છે એ આમાં જોઈ શકાય છે. 



મધ્ય પ્રદેશના વિદિશામાં જન્મેલા કૈલાશ સત્યાર્થી આવા એક ગાંધીપ્રેરિત સિપાઈ છે. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ પૈસા કમાઈને સલામત જિંદગી જીવવાની જગ્યાએ તેઓ અહિંસક પ્રતિકાર દ્વારા બાળકોના અધિકાર માટે લડી રહ્યા છે. ૬૦ વર્ષના કૈલાશ સત્યાર્થીએ પ્રારંભમાં સ્વામી અગ્નિવેશ સાથે હરિયાણામાં બંધુઆ મજદૂરોની મુક્તિ માટે કામ કર્યું હતું. એ દરમ્યાન તેમના ધ્યાનમાં આવ્યું હતું કે દિલ્હી શહેરમાં જે મકાનો બંધાઈ રહ્યાં છે એને માટેની ઈંટો નાનાં બાળકો બનાવે છે. એક બાજુ શહેરી સાહેબી અને બીજી બાજુ બાળપણ વિનાનાં બાળકો. તેમણે ઈંટના ભઠ્ઠાઓમાં કામ કરતાં બાળકોને ન્યાય મળે એ માટે લડવાનું શરૂ કર્યું હતું. તેઓ અત્યારે બચપન બચાઓ આંદોલન ચલાવી રહ્યા છે. મલાલા યુસુફઝઈએ બાળપણમાં આતંકવાદનો જાનના જોખમે પ્રતિકાર કર્યો હતો અને કૈલાશ સત્યાર્થી ગરીબ બાળકોનું બાળપણ બચાવવા લડત આપી રહ્યા છે.



કૈલાશ સત્યાર્થી લો-પ્રોફાઇલ માણસ છે, મીડિયામાં મોઢું બતાવતા નથી, બહુ ઓછું બોલે છે એટલે નોબેલ માટે જ્યારે તેમના નામની જાહેરાત થઈ ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું. અનેક લોકોએ તો આ પહેલાં તેમનું નામ પણ નહોતું સાંભળ્યું. કૈલાશ સત્યાર્થીને આ પહેલાં દેશમાં સાદું પદ્મશ્રીનું પારિતોષિક પણ આપવામાં નથી આવ્યું. મેગ્સાયસાય અવૉર્ડ કે એવા કોઈ પ્રતિષ્ઠિત અવૉર્ડ તેમને આપવામાં નથી આવ્યા. અચાનક અને એ પણ સર્વોચ્ચ નોબેલ પારિતોષિકની જાહેરાતે આશ્ચર્ય પેદા કર્યું છે. કેટલાક લોકો આનાં આડાંઅવળાં અર્થઘટનો પણ કરશે, પરંતુ એમાં કૈલાશ સત્યાર્થીના સાચકલા કામની ઉપેક્ષા ન થવી જોઈએ.



આ દેશમાં અનેક કૈલાશ સત્યાર્થીઓ છે અને દરેક પોતપોતાનું કામ કરી રહ્યા છે. એ પણ ખરું કે બીજા કેટલાક લોકો હજી વધારે વ્યાપક કામ વધારે જોખમ ઉઠાવીને કરી રહ્યા છે. આ બધા માનવતાના સિપાઈ છે અને એમાંથી કૈલાશ સત્યાર્થીને નોબેલ પારિતોષિક મળ્યું છે તો એને વ્યક્તિગત કરતાં માનવતા માટેની લડાઈને મળેલું પારિતોષિક અથવા તો એવી લડાઈની થયેલી કદર માનવી જોઈએ. આમાં કૈલાશ સત્યાર્થીને પારિતોષિક કેમ મળ્યું અને બીજાને કેમ ન મળ્યું એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. વિચાર અને સંઘર્ષ મહત્ત્વનો છે, વ્યક્તિ મહત્ત્વની નથી. કૈલાશ સત્યાર્થી વિચાર અને સંઘર્ષના પ્રતિનિધિ છે. જગતભરમાં વિચાર ફેલાઈ રહ્યો છે, ન્યાય માટેની લડત ચાલી રહી છે અને એના અનેક સિપાઈઓ છે. દરેકને નોબેલ મળે એ શક્ય નથી. 



શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સાવ ખોટા માણસોને મળ્યું હોય એવા ઘણા દાખલા છે. ૧૯૭૩માં અમેરિકન વિદેશપ્રધાન હેન્રી કિસિન્જરને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. તેમણે ચીનની છૂપી યાત્રા કરી હતી અને અમેરિકાના ચીન સાથેના સંબંધ સુધારવાનો પ્રારંભ કર્યો હતો. અમેરિકા-ચીન વચ્ચેના સંબંધ સુધારવાને કારણે જગતમાં શાંતિ સ્થપાવાની છે એવી ધારણાને આધારે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં હેન્રી કિસિન્જરને અને શાંતિને સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. અમેરિકા અને ચીને મળીને વિશ્વશાંતિનો કોઈ પ્રયોગ કર્યો નથી. ૧૯૭૮માં ઇજિપ્તના પ્રમુખ મુહમ્મદ અનવર સાદતને અને ઇઝરાયલના વડા પ્રધાન મેનાકેમ બેગિનને શાંતિ માટેનું સહિયારું પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ બે નેતાઓએ ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે શાંતિસમજૂતી કરી હતી. મેનાકેમ બેગિને ખુદ કરેલી હિંસા અને હિંસાના કરેલા નેતૃત્વની લાંબી દાસ્તાન છે. ૧૯૯૪માં પૅલેસ્ટીનના નેતા યાસર અરાફત અને ઇઝરાયલના વડા પ્રધાન યિત્ઝૅક રેબિન અને વિદેશપ્રધાન શિમોન પેરેઝને શાંતિસમજૂતી કરવા માટે પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ ત્રણ નેતા કેટલા શાંતિપ્રિય હતા એ તેમના જીવન પર નજર કરશો તો જણાઈ આવશે. વળી તેમણે કરેલી સંધિ કેટલી તકલાદી હતી અને ઇઝરાયલનો ઇરાદો કેટલો ભૂંડો હતો એ અત્યારે ગાઝામાં જોવા મળી રહ્યું છે. ૨૦૦૯માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને નોબેલ આપવામાં આવ્યું હતું. હજી તો પ્રમુખ થયે છ મહિના પણ નહોતા થયા એ પહેલાં શાંતિના કયા કામ માટે તેમને પારિતોષિક આપવામાં આવ્યું અને તેમણે સ્વીકાર્યું એ રહસ્ય છે.



એવું પણ બન્યું છે કે નોબેલ પ્રાઇઝ સાચા માણસોને આપવામાં આવ્યું છે, પણ રાજકીય ગણતરીના ભાગરૂપે આપવામાં આવ્યું છે. સોવિયેટ રશિયાને શરમાવવા ૧૯૭૫માં આન્દ્રેઇ સખારોવને અને સામ્યવાદી ચીનને શરમાવવા ૧૯૮૯માં દલાઈ લામાને શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે પસંદ કરવામાં આવેલા. આમાં નોબેલ પ્રાઇઝ કમિટીની શાંતિ માટેની નિસ્બત કરતાં રાજકીય ગણતરી વધુ હતી.



નોબેલના ઇતિહાસમાં શાંતિ માટેનું પારિતોષિક મેળવનારાઓમાં સૌથી લાયક વ્યક્તિ બે છે, બન્ને મહિલા છે અને બન્ને આ પ્રદેશની છે. પહેલા ક્રમે મલાલા યુસુફઝઈ અને બીજા ક્રમે બર્માનાં આંગ સાન સૂ કી આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે.


સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કટાર, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૉક્ટોબર 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-12102014-2

Loading

14 October 2014 admin
← સફાઈમાં ખુદાઈ જોનારા લોકસેવક બબલભાઈ
ઇસ્લામિક રાજ્ય – કોને જોઈએ ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved