Opinion Magazine
Number of visits: 9447833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નેશન (સ્ટેટ) ફર્સ્ટ’ એટલે શું?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 August 2016

કૉંગ્રેસ સરકારે આ મુદ્દે ઊગમણીઆઠમણી કરી તે રાષ્ટૃવાદની જનદ્રોહી હોડ નથી તો શું છે?

કરફ્યૂના પચાસ દિવસને છેડે, દિલ્હી-કાશ્મીર બોગદામાં પ્રકાશનું કિરણ વરતાય છે? ‘હા’ અને ‘ના’.

ભાઈ, ‘હા’ એટલા વાસ્તે કે ગૃહમંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત – મહિનામાં બીજી વારકી – આટોપતાં પેલેટ ગનના તત્કાળ વિકલ્પની તેમ જ સૂચિત સર્વપક્ષીય મુલાકાતની જિકર આગ્રહપૂર્વક કરી છે. ‘હા’ એટલા માટે કે ચાલુ અઠવાડિયું બેસતે કાશ્મીરના વિપક્ષી પ્રતિનિધિ મંડળમાંથી કોઈકે કરેલ ટીકાટિપ્પણના પ્રતિભાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ પણ પક્ષે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કાશ્મીર(ની ગાય)નું દોહન કરવું જોઈએ નહીં. હું મારા પક્ષને આ વાત કરીશ.

છતાં, ‘ના’ એટલા માટે કે આ જ દિવસોમાં પક્ષના કોર ગ્રુપ સાથે વાત કરતી વેળાએ વડાપ્રધાને વળી ‘નેશન ફર્સ્ટ’નું સૂત્ર આગામી ચૂંટણીઓને અનુલક્ષીને આગળ કરવા ધાર્યું છે. ‘ના’ ખાસ તો એટલા વાસ્તે પણ કે વડાપ્રધાનના ‘પોલિટિકલ ડબલ’ કે ‘ઑલ્ટર ઇગો’, જે કહો તે પક્ષપ્રમુખ અમિત શાહને પોતીકી તરેહના રાષ્ટ્રવાદ ને રાષ્ટ્રહિતની મૂર્છા વળતી નથી અને સર્વ સ્તરે ‘હમ સે જો ટકરાયેગા’ની ભાષામાં, પોતાની વિશેષ શૈલીમાં પેશ આવે છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બુરહાન વાની ઘટના પછીના હિંસક દોર અને 2010ના હિંસક દોર વચ્ચે વિવેક કરી, કાશ્મીરનાં પાંચ ટકા તત્ત્વોને બાકીનાં પંચાણુ ટકા પર હાવી ન થવા દેવાનું કહ્યું તે ઠીક જ છે. મુખ્યમંત્રી સ્તરેથી આવી સાફ સમજૂતી હજુ વહેલી અપેક્ષિત હતી. રાજનાથસિંહે જખમ-મલમી પણ ઠીક કરી કે કોઈ નાગરિક (સિવિલિયન) મરે કે ફોજી, એ દેશ આખાને સારુ વેદનાનો વિષય છે.

સવાલ એ છે કે દેશની મારી-તમારી-એમની સમજ શું છે? ધર્મકોમી ચર્ચા તો ખેર છોડો, પણ ‘નેશન (સ્ટેટ) ફર્સ્ટ’ની ધોરણસરની વ્યાખ્યાસફાઈ તો કરી જાણો, મારા ભૈ! હમણેની કર્ફ્યુપચાસીમાં અધઝાઝેરા દિવસો તો એ સમજતાં થયા કે પથ્થર મારનારાઓ (ભલે તેઓ ‘સત્યાગ્રહી’ નથી, પણ) આપણા જ સાથી નાગરિક છે,  કોઈ બહારી તત્ત્વ નથી. સત્તાવાર સ્તરે કોઈક તબક્કે આ વાનું પકડાયું હોય તો પણ નીચે લગી તે ઝમ્યું છે ખરું?

નમૂના દાખલ, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ-ઇન્ડિયાની બેંગલુરુ ઘટના તપાસો.

જમ્મુ-કાશ્મીરમાં નાગરિક અધિકાર ધ્વંસ વિશે એણે ગોઠવેલી ચર્ચામાં કોઈક ખૂણેથી ‘આઝાદી’ના પોકારો થયા. સંઘ પરિવારની સંસ્થાઓ માટે આ તરત જ રાજદ્રોહ-દેશદ્રોહની બાબત બની ગઈ. એમણે આ મુદ્દે અદાલતમાં જવામાં રાષ્ટ્રધર્મ જોયો. એમ્નેસ્ટીએ દેશમાં કટોકટીરાજથી માંડીને હાલના ‘ઇસ્લામિક સ્ટેટ’ ઉપાડા સુધ્ધાં બધો વખત સંચિત નિસબત સાથે બોલવું પસંદ કર્યું છે. ‘આઝાદી’ના પોકારો પોતે કરીને કોઈ ગુનો નથી બનતો, સિવાય કે એની સાથે હિંસાત્મક સંડોવણી હોય.

કર્ણાટકમાં કૉંગ્રેસ સરકારે આ મુદ્દે જે ઊગમણીઆથમણી કરી તે પણ, એમ તો, આપણા રાજકીય અગ્રવર્ગમાં પરસ્પરસ્પર્ધી રાષ્ટ્રવાદની જે જનદ્રોહી હોડ મચી છે એનો જ એક દાખલો નથી તો શું છે …. શું કહીશું આને પરસ્પરસ્પર્ધી કોમવાદનો એક અણચિંતવ્યો મુકામ? જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોની દયનીય દુર્દશા વિશે આ દિવસોમાં દેશજનતાનું ધ્યાન ખેંચવા માટે ખરેખર તો વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો આભાર માનવો જોઈએ, કેમ કે ત્યાં ભાજપે પી.ડી.પી. સાથે સરકાર રચી મડાગાંઠ ઉકેલવાની જે કોશિશ હાથ ધરી છે તેમાં એ ઉપયોગી થઈ પડે એમ છે.

પોતે સતત જેની ટીકા કરી હતી કે ‘અલગતાવાદી’ (એથી રાષ્ટ્રવિરોધી) તત્ત્વો સાથે સરકાર રચીને વડાપ્રધાને રાષ્ટ્રવાદના પોતાના ડાબલા અને દામણા બાબતે કંઇક પુનર્વિચારનો સંકેત આપીને રાષ્ટ્રને ભૌગોલિક મૂર્તતા અને ભાવનાત્મક અમૂર્તતાના કોચલાની બહાર કાઢી જે એક લોકપરક અભિગમ ભણી સંભવિત ગુંજાશ દાખવી છે એ કેવળ સત્તાસ્વાર્થી ગણતરી કરતાં આગળ ન જ જઈ શકે એમ નથી. જો કે એ નૈતિક સાહસ અને નિર્મમ જાતતપાસ સહિતનો સમજનો ઈલાકો છે એટલે આ તબક્કે આપણે વધુ આશા રાખવા માટે કારણ નયે હોય.

પણ વાત આપણે બેંગલુરુ બીનાની કરતા હતા. વાજપેયીએ જમ્હુરિયત ઇન્સાનિયત અને કાશ્મીરિયતનો જે અભિગમ (નરસિંહરાવના શબ્દોમાં ‘એની થિંગ લેસ ધેન આઝાદી’) દાખવવા ઈચ્છ્યો હતો એનું વડાપ્રધાને હમણાં થોડા દિવસો પર પુન:આવાહન કર્યું હતું. આ અભિગમ તહેદિલથી લઈ શકાય તે માટે સત્તાપ્રતિષ્ઠાનને આત્મખોજની સામગ્રી મળી રહે એવી વિગતો બેંગલુરુ આયોજનમાં પડેલી હતી. એમ્નેસ્ટી-ભારતના મુખ્ય પ્રતિનિધિ આકાર પટેલે (‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને આ નામ અજાણ્યું ન હોવું જોઈએ) કહ્યું છે કે છેક 1989થી જમ્મુ-કાશ્મીર પોલીસ ત્યાં કાર્યરત લશ્કરી જવાનોની અણછાજતી હરકતો બાબત એફ.આઇ.આર. નોંધતી રહી છે. એફ.આઇ.આર.નો આ અંબાર આખો કેન્દ્ર સરકારે (એન.ડી.એ./યુ.પી.એ. સૌએ) આજ લગી અણદેખ્યો કર્યો છે. પરિણામે, વકરતી હિંસા અને અલગાવને રોકવાનો માહોલ બનવા આડે રૂકાવટ જારી છે.

મુદ્દે, ‘સૈંયા ભયે કોતવાલ’ તરેહના (ભલે ‘શમા’ વગરના) પરવાનાના દોરમાં અને ‘મોરલ પોલીસ’ને નાતે મુમુક્ષુ હોવાના વહેમમાં ચુકાતો વિવેક અને ઓળંગાતી મર્યાદા દેશને રાગે પડવા દેવા બાબતે જે અવરોધો સરજે છે, તે પોતે જે ડાળ પર બેઠા હોય એને કાપવાની કે રાજાનું નાક વાઢી એને માખીમુક્ત કરવાની દિશામાં છે. પૂર્વ અભિનેત્રી રમ્યા સામેની રાજદ્રોહી જેહાદ જુઓ.

પાકિસ્તાનની મુલાકાત (ત્યાંના નાગરિકોનો અચ્છો પ્રતિસાદ જોતાં) કોઈ નરકની મુલાકાત લેવા બરોબર નથી એવી રમ્યાની રોકડી ને હૃદ્ય રજૂઆતથી દેશભક્ત ‘મોરલ પોલીસ’ એકદમ પડમાં પધારી કેસ દાખલ કરવા તડેપેંગડે માલૂમ પડે છે. આજે (શનિવારે) અદાલત આવો કોઈ કેસ દાખલ કરી શકાશે કે નહીં તે કદાચ નક્કી કરશે, પણ જે વાનું આપણા રાજકીય અગ્રવર્ગના સ્વવિવેકે કરીને સ્વયં ઉકેલનું હોવું જોઈએ તે ટાંકાટેભાતોડ કાનૂની કસરત અને જાહેર હરકતથી પરહેજ ન કરી શકે, તો સ્વરાજસિત્તેરીના સરવૈયે શું કહીશું.

રમ્યા સાર્ક પ્રતિનિધિ મંડળને નાતે પાકિસ્તાનની મુલાકાતે ગયાં હતાં. અફઘાનિસ્તાનથી પાછા ફરતાં, ‘હાલો ને ચા પીતા જંઈ’ એવી આઉટ ઑફ ધ બૉક્સ શુભ ચેષ્ટા સાથે નમો નવાઝ શરીફને ત્યાં પરબારા લાંગર્યા હતા એના વિધિવત્ મેળમાં આ સાર્ક પહેલ હતી અને છે. ભા.જ.પ., અ.ભા.વિ.પ. અને અન્ય સંઘ પરિવારીઓને આ મુદ્દે કોઈ કદરબૂજ જ નથી? સાધ્વી ઋતંભરાએ વાજપેયીને ‘આધા કૉંગ્રેસી’ કહીને પોતાનું જે માપ આપ્યું હતું તેનાં બારપંદર વરસે પણ આ પરિવારને ‘જૈસે થે’ જ સદી ગયું છે? સાધ્વી પ્રાચીએ નવી સરકાર બેસતે ‘રામજાદે’ વિ. ‘હરામજાદે’ની જે માનસિકતા પ્રગટ કરી હતી તે જ એનો સ્થાયી ભાવ છે?

ભાઈ, તમે સમજો કે વિકાસનો (એની જે પણ વ્યાખ્યા હોય એનો) રાહ રાષ્ટ્રવાદની ધર્મકોમી રોકડીનો નથી. જે કોમવાદે દેશના ભાગલા પાડ્યા એના હિંદુ અડધિયાનો પણ નથી. બહુમતીવાદી (મેજોરિટેરિયન) એવો રાષ્ટ્રવાદ લગારે જુદા પડતા, અંશત: પણ અસમ્મત થતા, હાંસિયે હડસેલાતા સૌની બાલાશ જાણવામાં નામકર થઈ અંતે તો દેશને જ ક્ષીણ કરે છે એ જો સમજાય નહીં તો જમ્મુ-કાશ્મીર બોગદે કિરણ દીઠું તો પણ શું, અને ન દીઠું તો પણ શું.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘બેંગલુરુ ઘટના’, “દિવ્ય ભાસ્કર”, 27 અૉગસ્ટ 2016

Loading

28 August 2016 admin
← સંઘ પરિવાર અને કુટુંબનિયોજન: વધુ બાળકોના મુદ્દે અગાઉ ભાગવતે કરી તી ટીકા
Retired Couple — →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved