Opinion Magazine
Number of visits: 9449482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકો માટે પરિણામ પછીના પડકાર

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|19 May 2019

ચૂંટણીપ્રચારનાં હુંસાતુંસી, શાબ્દિક અને શારીરિક હિંસા, ઉશ્કેરણી, ફેંકાફેંકી, ગરમાગરમી … બધાનો અંત આવ્યો. હવે શુક્રવાર સુધી એક્ઝિટ પોલનો ખેલ ચાલશે. પછી પરિણામનું ઢેનટેણેન, નવી સરકાર અને પછી?

પછી કંઈ નહીં. બધું રાબેતા મુજબ. કેમ કે, આપણી લોકશાહી નેતાપક્ષે અને નાગરિકપક્ષે પણ ચૂંટણીકેન્દ્રી બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં જે જીતે તે શૂર. તેનાં બધાં પાપ માફ. કારણ કે, લોકોએ ચૂંટયા એટલે પાપમાફીની સત્તા એવું આપણા ઘણાખરા નેતાઓ માને છે. યોગી પોતાની સામેના કેસ મુખ્ય મંત્રી બન્યા પછી માંડવાળ કરાવી દે એની નવાઈ નથી લાગતી.

૨૦૧૪માં ભા.જ.પ.નો ચૂંટણીપ્રચાર જોઈને એવું જ લાગે કે કેન્દ્રમાં એક વાર ભા.જ.પ.ની સરકાર બની જવા દો. પછી વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનો વરસાદ થશે, રોબર્ટ વાડ્રા જેલના સળિયા ગણતા હશે, ઇમાનદાર અફ્સર અશોક ખેમકાની બદલીઓ થતી અટકશે, સરકારી નિર્ણયો પારદર્શક બનશે, ભ્રષ્ટાચાર ઘટશે … પરંતુ સરખી બહુમતી મળ્યા પછી આવું કશું થયું નહીં તેમાં વર્તમાન સરકારની ખામી તો છે જ. સાથોસાથ, મતદાતા તરીકે – નાગરિક તરીકે આપણા માટેનું વિચારભાથું પણ છે.

રાહુલ ગાંધીએ આ વખતની ચૂંટણીને પ્રેમ વિરુદ્ધ ધિક્કારની લડાઈનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો આ સંદેશો ખુદ તેમના પક્ષના નેતાઓ જ અમલમાં મૂકી શક્યા હોય, એવું લાગ્યું નહીં. તે નેતાઓ બિનજરૂરી વિવાદો ઊભા કરતા રહ્યા અને નાગરિકસમાજની અપેક્ષાઓ પર પાણી ફેરવતા રહ્યા. એક તરફ કેટલાક નાગરિકો દેશમાં ઊભા થયેલા ભયગ્રસ્ત અને ઝેરીલા વાતાવરણ તરફ આંગળી ચીંધીને, લોકોને આ ચૂંટણીનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા, ત્યારે વિપક્ષ તરીકે કૉન્ગ્રેસે આ તકે લોકોને સાચા રસ્તે દોરવાનો મોકો ઝડપ્યો જ નહીં. કેવળ જાહેરખબરો બનાવી દેવાથી કે ઢંઢેરા બહાર પાડી દેવાથી લોકોમાં સંદેશો પહોંચી જશે, એવું શી રીતે માની લેવાય? જમીની હાજરીના મામલે કૉન્ગ્રેસ ઊણી ઉતરી. કેન્દ્ર સરકાર સામે લોકોના અસંતોષનાં વાજબી કારણો અને પ્રસંગો આવ્યા ત્યારે પણ કૉન્ગ્રેસ કે બીજા વિરોધ પક્ષો નિવેદનોથી આગળ ભાગ્યે જ વધી શક્યા.

વર્તમાન સરકાર પર ધિક્કારનું વાતાવરણ ફેલાવવાનો આરોપ મુકાયો, પણ તેની સામે પ્રેમનું વાતાવરણ કેવું હોય તે કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો દર્શાવી શક્યા નહીં. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ભેટે કે તેમના વિશે શાલીનતાથી વાત કરે ત્યારે જાહેર જીવનની સભ્યતાની રીતે સારું લાગે, પણ મામલો શાલીનતાથી આગળ વધીને, વર્તમાન સમસ્યાઓ અંગેના તેમના આગવા દૃષ્ટિકોણ સુધી ન પહોંચે, ત્યારે કશુંક નહીં, ઘણું બધું ખૂટતું લાગે. ખેત સમસ્યાનો ઉકેલ કૉન્ગ્રેસને પણ લોનમાફીમાં જ દેખાતો હોય અને તે પણ ભા.જ.પ.ની જેમ કશો તર્ક કે નક્કર આધાર પૂરો પાડયા વિના નોકરીઓ આપવાના વાયદા કરતી હોય, ત્યારે તેના દાવા પર ભરોસો કેમ મૂકી શકાય? જુઠ્ઠાને સાચી રીતે જુઠ્ઠો કહેવાથી પોતે સાચા નથી થઈ જવાતું, એ નેતાઓ તો નહીં જ કહે. પણ નાગરિક તરીકે આપણે સમજવું પડે.

છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં જે રીતે શેરીયુદ્ધ ચાલ્યું તે નવું નહીં, છતાં ખેદજનક હતું. બંને પક્ષોએ એકબીજાની ગુંડાગીરી પ્રત્યે આંગળીઓ ચીંધી, પણ આપણે તો એટલું જ કહેવાનું થાય કે તમારો પરિચયવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ? એક સીધુંસાદું અને નિર્દોષ કાર્ટૂન કે રમૂજી ફેરફર કરેલી તસવીર સહન કરી શકતાં ન હોય, એવાં મમતા બેનરજી અન્યોની વાજબી ટીકા કરે, તો પણ તેમના મોઢેથી એ કેટલી શોભે? અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ગુંડાગીરીથી મુક્તિ, સરકારી સત્તાના દુરુપયોગનો અંત, લોકશાહી પરંપરાઓનો આદર … આવું બધું ઇચ્છતા નાગરિકો માટે આ બધા નેતાઓ વચ્ચે પસંદગી કરવાપણું ક્યાં રહ્યું?

આ સવાલ ફ્ક્ત નરેન્દ્ર મોદી કે મમતા બેનરજી કે રાહુલ ગાંધી પૂરતો સીમિત નથી. ચૂંટણીનાં પરિણામ ગમે તે આવે, ૨૦૧૯ના ભારતમાં કેટલાક ગંભીર પડકાર ઊભા થઈ ચૂક્યા છે અને જૂના પડકારો વકરી ચૂક્યા છે. આપણા આંખ મીંચી દેવાથી કે પક્ષીય વફદારીના ડાબલા પહેરી લેવાથી તે દૂર થઈ જવાના નથી. નાગરિકો જેટલા વહેલા તે પડકારો ઓળખી લે, તેટલું ભારતની લોકશાહીના હિતમાં છે.

સૌથી પહેલો પડકાર છેક નીચલા સ્તર સુધી ફેલાવાયેલા ધિક્કારનો અને ધ્રુવીકરણનો છે. નેતાઓ કરતાં તેમના ટેકેદારો વધારે ઝેરીલા, ખતરનાક અને સામાજિક પોતને નુકસાન પહોંચાડનારા નીવડી રહ્યા છે. તેમને ફૂલવાફલવાનું વાતાવરણ આપવા માટે નેતાઓ જ જવાબદાર છે. પણ સોશ્યલ મીડિયા પર અને જાહેર ચર્ચાઓમાં ‘નાગરિકો’ ઓછા જોવા મળે છે. મોટા ભાગના લોકો એક યા બીજા પક્ષની કંઠી પહેરીને જ મેદાનમાં ઉતરે છે અને ઘણી વાર તો પોતાના જૂના સામાજિક સંબંધોને હોડમાં મૂકે છે.

ધિક્કારને રાજ્યાશ્રય મળે ત્યારે મોબ લિન્ચિંગની ઘટનાઓ સામાન્ય બને છે. છેક ઉપલા સ્તરેથી મૌન ધરીને આવી ઘટનાઓને આડકતરું સમર્થન આપવામાં આવે, ત્યારે નીચલા સ્તર માટે સંદેશો સ્પષ્ટ બની જાય છે. સાથોસાથ, રાજનેતાઓને ગાળ દેતી વખતે એક વાત ભૂલવા જેવી નથીઃ તેમનો ધિક્કારનો સંદેશો ઝીલનારા અને તેનો અનુકૂળ પડઘો પાડનારા આપણે લોકો છીએ. આપણે ધિક્કાર નહીં ઝીલીએ, તો તેમણે બીજી કોઈ તરકીબ વિચારવી પડશે.

વગર કટોકટીએ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનિયતાનો લોપ એ પણ નવી સરકાર આવ્યા પછી મહત્ત્વનો પડકાર બનશે. નાગરિકો એ બાબતે જાગ્રત નહીં થાય, તો કાન આમળતી તટસ્થ સંસ્થાઓ એકેય સત્તાધીશોને ગમતી નથી હોતી.

સૈન્યને રાજકીય રંગમાં રંગવાના કે તેના થકી વ્યક્તિવિશેષની છબી ઉપસાવવાના પ્રયાસો ભારે જોખમી અને હાડોહાડ બેજવાબદાર છે. એટલું જ નહીં, તે દેશભક્તિથી વિપરીત દેશનું ભારે અહિત કરનારા છે. નકરો પોતાનો જ સ્વાર્થ જોતા નેતાઓ એ નથી સમજતા, એટલે આ બાબતમાં તેમને ટપારવાનું અઘરું કામ પણ, પક્ષીય વફદારીઓ બાજુ પર રાખીને, આપણે નાગરિકોએ જ કરવાનું છે.

નાગરિકોની સૌથી મોટી જવાબદારી અને તેમની સામેનો સૌથી મોટો પડકાર નવી સરકારને ક્ષુલ્લક મુદ્દાથી દૂર રાખીને, વાસ્તવિક સમસ્યાઓના ઉકેલના પાટે ચલાવવાનો છે. તેમાં નિષ્ફ્ળ જવાશે તો કેવળ નેતાઓને દોષ દઈને છટકી નહીં શકાય.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 મે 2019

Loading

19 May 2019 admin
← ‘ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો’ : પન્ના નાયકનો અંગ્રેજી કાવ્યસંગ્રહ
નાગરિક નાફરમાની અને ગાંધી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved