Opinion Magazine
Number of visits: 9484590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિક સન્માનનો અને આદર-પ્રેમ-કૃતજ્ઞતાનો ઉત્સવ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|29 July 2019

પ્રકાશોત્સવ (1) :

આદરણીય – પ્રિય વ્યક્તિનું સન્માન કરવું એ ભારે જવાબદારીનું કામ છે. કેમ કે, વ્યક્તિનું સન્માન થાય તેના કરતાં પણ, પહેલી શરત એ છે કે સન્માન કરવા જતાં જાણેઅજાણે ક્યાંક અવમાન ન થઈ જાય. તેમાં પણ માનધન કે સન્માનનિધિ અર્પણ કરવાની વાત આવે ત્યારે જોખમ ઓર વધી જાય છે.

સૌજન્ય : તુષારભાઈ તપોધન

પરંતુ વીસમી જુલાઈએ પ્રકાશભાઈના સન્માન સમારંભ નિમિત્તે તેમનું સન્માન જ થયું, તેમની ગરીમાને ઝાંખપ તો ઠીક, ઘસરકો પણ લગાડે તેવું કશું ન બન્યું, આખા ઉપક્રમ સાથે સન્માનનિધિ સ્વરૂપે રૂપિયાપૈસા સંકળાયેલા હોવા છતાં, પ્રકાશોત્સવ પ્રકાશભાઈના જીવન-કાર્યને તેમની ઉપસ્થિતિમાં ઉમળકાથી ઉજવવાનો જ ઉત્સવ બની રહ્યો.

***

'સાર્થક સંવાદ શ્રેણી' અંતર્ગત પ્રકાશભાઈ સાથેના સવાલજવાબની પુસ્તિકાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. જુલાઇમાં પ્રકાશભાઈનાં પુત્રી ઋતા શાહ આઠ-દસ દિવસ માટે ભારત આવવાનાં હતાં. એ જાણ્યું, એટલે નક્કી થયું કે તે અહીં હોય ત્યારે પુસ્તક પ્રગટ કરી દેવું. એ માટે પૂરતો સમય પણ હતો.

ઘણા વખતથી પ્રકાશભાઈની મોક કોર્ટ યોજવાની વાત મારા મનમાં હતી. ૨૦૦૮માં મારી મોક કોર્ટને અનેક પ્રિયજનો – ગુરુજનોએ મારા માટેનું આજીવન સંભારણું બનાવી દીધી. ત્યારથી એ સ્વરૂપ વિશે – તેમાં રહેલી મઝા વિશે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ મોક કોર્ટમાં જેની પર કેસ ચાલે, તે વ્યક્તિ જાતને જરા હળવાશથી લઈ શકે એવી હોવી જોઈએ. ઉપરાંત મજબૂત પ્રકારની સેન્સ ઓફ હ્યુમર પણ જરૂરી. એ બંને લક્ષણ ન હોય તો મોક કોર્ટ રમૂજી – તોફાનીને બદલે હાસ્યાસ્પદ કે બીજા કોઈ પણ ચાલુ અભિવાદન કાર્યક્રમ જેવી ઔપચારિક બની રહે. પ્રકાશભાઈમાં આવું નહીં થાય તેની પૂરી ખાતરી હતી. બલકે, મને લાગતું હતું કે પ્રકાશભાઈ મોક કોર્ટ માટેના સૌથી લાયક 'ઉમેદવાર' હતા. વખાણનાં ગાડાંને બદલે તોફાની આરોપબાજીથી રાજીપો અનુભવવા જેટલી આંતરિક સ્વસ્થતા અને રમૂજવૃત્તિ પ્રકાશભાઈ ધરાવે છે

પુસ્તકનું નક્કી થયું એટલે મોક કોર્ટનો વિચાર તાજો કર્યો. સાર્થક પ્રકાશનના સંચાલનના આધારસ્તંભ સમા સાથીદાર કાર્તિકભાઈને વાત કરી. સામાન્ય રીતે સાર્થક પ્રકાશન નિમિત્તે સમારંભો ન કરવા એવું નક્કી કર્યું છે. કારણ કે તેમાં મઝા તો આવે, પણ ખર્ચ ઘણો થાય છે અને સાર્થક પ્રકાશન પાસે એવા વધારાના કે 'ઉપરના' રૂપિયા નથી હોતા. પરંતુ પ્રકાશભાઈની મોક-કોર્ટની વાત જુદી હતી. એ માટે અમે નક્કી કર્યું કે આમથી-તેમથી સહકાર મેળવીને પણ આ કાર્યક્રમ કરવો. પ્રકાશભાઈનાં દીકરીના રોકાણ પ્રમાણે કાર્યક્રમની તારીખ નક્કી કરીઃ ૨૦ જુલાઈ ૨૦૧૯. શનિવાર.

મોક કોર્ટના તોફાન અંગે પ્રકાશભાઈની ઉત્સાહભરી સંમતિ મેળવ્યા પછી સૌથી પહેલો સંપર્ક ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ શાહનો કર્યો. પ્રકાશભાઈ પ્રત્યે ભરપૂર આદર અને લાગણી ધરાવતા અનામિકભાઈએ ધારાધોરણ પ્રમાણે આપી શકાય એટલું કન્સેશન અને કેટલીક અંગત મદદ કરી. એવી રીતે વિદ્યાપીઠનો હીરક મહોત્સવ સભાખંડ બુક કરાવ્યો. ત્યાં સુધી, એટલે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી, ફક્ત મોક કોર્ટ અને પુસ્તક પ્રકાશનનો જ ખ્યાલ હતો. કાર્યક્રમ પાંચ વાગ્યે શરૂ થાય, સાત વાગ્યે પૂરો થાય ને સૌ પોતપોતાના ઘરભેગા.

પરંતુ હોલ નક્કી થઈ ગયા પછી મનમાં આવતા અનેક વિચારોની જેમ વિચાર આવ્યોઃ આટલું કરીએ જ છીએ, તો પ્રકાશભાઈનું સન્માનનિધિ અર્પણ ન કરવો જોઈએ? બીજા સન્માન ઉપરાંત એ નક્કર સન્માન બની રહે.

આ પહેલાં સન્માનનિધિ એકત્ર કરવાના કોઈ પ્રસંગનો જરાસરખો પણ અનુભવ ન હતો. એટલે થોડું વિચારીને એ વિચાર અવ્યવહારુ ગણીને મનોમન ફાઇલ કરી દીધો. બીજા દિવસે કાર્તિકભાઈ સાથેની વાતચીતમાં સહજ તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે આ તો કરવું જ જોઈએ.

આરોપી, લેખક અને છબિકાર : પ્રકાશભાઈ ન. શાહ, ઉર્વીશ કોઠારી, અશ્વિનકુમાર વિદ્યાપીઠ પરિસરમાં 

અગાઉ બીજા કેટલાક વડીલ મિત્રોએ પ્રકાશભાઈનું આ રીતે સન્માન કરવાનું વિચાર્યું હતું. વાત થોડી આગળ પણ વધી હતી. પરંતુ છેવટના અંજામ સુધી પહોંચી શકી નહીં. એ વખતે છેલ્લા તબક્કામાં એક વાર મારી હાજરીમાં પણ વાત થઈ હતી. ત્યારે રૂપિયા કયા નામે એકત્ર કરવા અને તેનો ટેક્સ સહિત બીજી કેવી – કેટલી ટેકનિકલ બાબતોની ગુંચ આવી શકે, તેની ઘણી ચર્ચા થઈ હતી. છેવટે કશો સંતોષકારક નીવેડો ન આવતાં એ વાત વિખેરાઈ ગઈ. આ વખતે કાર્તિકભાઈએ કહ્યું કે રૂપિયા સાર્થક પ્રકાશનના નામે લઈશું. એની ચિંતા ન કરો.

મને તેમાં સૈદ્ધાંતિક રીતે કશો વાંધો લાગતો ન હતો. પણ મજબૂત સેકન્ડ ઓપિનિયન માટે કાર્તિકભાઈને ત્યાંથી જ મેં ચંદુભાઈ મહેરિયાને ફોન કર્યો. તે પરમ મિત્ર. સાચા મિત્ર. આવી બાબતમાં તેમના અભિપ્રાય જરા ય શેહશરમ વગરના હોય. કરવા જેવું લાગે તો જ એ હા પાડે. ને આ બાબતમાં તે લીલી ઝંડી આપે તો બીજાના સંભવિત વાંધાની કે કથિત સિદ્ધાંતપિંજણોની હું કશી દરકાર ન કરું.

ચંદુભાઈએ તત્કાળ હા પાડી અને કહ્યું કે આ કરવું જોઈએ. ત્યારથી ‘પ્રકાશોત્સવ’માં એક નવું પરિમાણ ઉમેરાયુંઃ સન્માનનિધિ.

***

રૂપિયાપૈસાની વાત આવી, એટલે અમે સાવધ થઈ ગયા. કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી બની. તે પછીથી અમે લેખિતમાં પણ કરી. સૌથી પહેલી સ્પષ્ટતા સાર્થક પ્રકાશનની ભૂમિકા અંગેની. પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટ સાર્થક પ્રકાશનના કાર્યક્રમ હતા, જ્યારે સન્માનનિધિમાં સાર્થકે ફક્ત હિસાબકિતાબની જવાબદારી સંભાળવાની હતી. (એ 'ફક્ત'માં સમાય એટલું ન હતું, એ તો પછીથી કાર્તિકભાઈને ધંધે લાગેલા જોયા ત્યારે વધારે ખ્યાલ આવ્યો) આર્થિક અજ્ઞાનવશ મેં કાર્તિકભાઈને એવો સવાલ પણ પૂછ્યો હતો કે 'જે રૂપિયા સાર્થકના ખાતામાં જમા થાય, તેનું વ્યાજ આવે તેનું શું? આપણે એ ન લઈ શકીએ.’

ત્યારે કાર્તિકભાઈએ હસતાં હસતાં સમજાવ્યું કે 'રૂપિયા સાર્થકના ચાલુ ખાતામાં (કરન્ટ અકાઉન્ટમાં) જમા થશે. તેમાં વ્યાજ ન મળે.’ પણ એ તબક્કે બધી સ્પષ્ટતા જરૂરી હતી. સાર્થક પ્રકાશન આખા ઉપક્રમમાં કશી ખટપટ કે કર્તાભાવ વિના હિસાબ રાખે ને છેવટે પ્રકાશભાઈને તથા સૌ કોઈને હિસાબ આપી દે, એટલે તેનું કામ પૂરું. સન્માનનિધિના મામલે સાર્થકને પારદર્શક – કાર્યક્ષમ વહીવટ સિવાય બીજો કોઈ જશ ન ખપે. નિધિનો ચેક અર્પણ થાય ત્યારે નાગરિક સમાજના સભ્યો પ્રકાશભાઈ સાથે મંચ પર હોય. તેમાં પણ સાર્થક પ્રકાશનના સાથીદારો ન હોય. આટલી સ્પષ્ટતા મનમાં પાકી હતી.

***

સન્માનનિધિ એકત્ર કરવાનો થાય ત્યારે સામાન્ય રિવાજ એવો છે કે સમિતિ બને, તેની મિટિંગો થાય, વધુ મિટિંગો થાય, તેમાં વાંધા પણ પડે, વાતો આડીઅવળી ફંટાય, લોકોના અહમ્ સાચવવા પડે, કાર્યક્ષમતાને બદલે સિનિયોરિટીના ખ્યાલ કરવા પડે … અને એ પછી પણ સંઘ કાશીએ પહોંચે ત્યારે ખરો.

અમારી રાબેતા મુજબની પદ્ધતિ પ્રમાણે, આખા આયોજનમાં શું ન કરવું એ નક્કી હતું. એટલે ધીમે ધીમે ચંદુભાઈના બરાબર મદદ – માર્ગદર્શન – સાથ અને ભરપૂર સક્રિયતાથી એક પછી એક પગલાં શરૂ કર્યાં. સૌથી પહેલાં સન્માનનિધિ માટેની અપીલ તૈયાર કરી. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વ્યાપક નાગરિકસમાજ દ્વારા ઋણઅદાયગીના નાનકડા પ્રયાસ તરીકે સન્માન નિધિ અર્પણ થવાનો હતો અને સન્માન નિધિ તરીકે કોઈ ચોક્કસ રકમનું લક્ષ્ય નથી. મહત્તમ રકમ એકઠી થાય તેવો આપણો પ્રયાસ રહેશે.

અપીલની નીચે જૂનાં અને જાણીતાં નામ મૂકવાનું ટાળ્યું. એ બધાં આદરણીય વ્યક્તિત્વો છે. તેમનો સહકાર મળશે એવી ખાતરી જ હોય. પરંતુ અમુક ઉંમર પછી એનાં એ જ વૃક્ષોનો કોઠે પડી ગયેલો છાંયડો છોડીને નવી વાવણી કરવાનું જરૂરી હોય છે — વ્યક્તિગત રીતે તેમ જ જાહેર જીવન માટે પણ. બીજી સ્પષ્ટતા એ વાતની પણ હતી કે લોકો સન્માનરાશિ પ્રકાશભાઈ માટેના ભાવથી આપવાના છે. ત્રીજી સ્પષ્ટતા એ કે પ્રકાશભાઈના ખરા પ્રેમીઓ આ કામમાં મદદરૂપ થવા માટે અપીલમાં નીચે પોતાનું નામ નહીં શોધે. કારણ કે એ કંઈ મંત્રીમંડળની યાદી નથી. એ તો પોતાના ભાવથી જ સક્રિય થશે, પોતપોતાના વર્તુળમાં વાત મૂકશે અને તે વાત વધુ લોકો સુધી પહોંચાડશે. અપીલમાં પણ અમે સ્પષ્ટ કર્યું હતું કે અહીં જે થોડાં નામો છે તે આપણાં વ્યાપક નાગરિક સમાજ અને ચાહકોના પ્રતિનિધિત્વનો નાનકડો હિસ્સો છે.

વિવિધ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુકાયેલાં નામ હતાંઃ હસમુખ પટેલ, વિરમપુર; મંદા પટેલ, અમદાવાદ; ચંદુ મહેરિયા, ગાંધીનગર; ઉત્તમ પરમાર, કીમ; વિપુલ કલ્યાણી, બ્રિટન; એ.ટી. સિંધી, પાલનપુર; રમેશ ઓઝા, મુંબઈ; દ્વારકાનાથ રથ, અમદાવાદ; રજની દવે, અમદાવાદ; બિપિન શ્રોફ, મહેમદાવાદ; સંજય શ્રીપાદ ભાવે, અમદાવાદ; સારાબહેન બાલદીવાલા, અમદાવાદ; દીપક સોલિયા, મુંબઈ; મહેન્દ્રસિંહ પરમાર, ભાવનગર; ભરત મહેતા, વડોદરા; ઉર્વીશ કોઠારી, મહેમદાવાદ.

અમારી ભૂમિકા આટલી જ હતીઃ પ્રકાશભાઈથી પરિચિત લોકો સુધી સન્માનનિધિ વિશેની વાત પહોંચાડવી. 'નિરીક્ષક' ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ 'નયા માર્ગ'માં અને રજનીભાઈ દવેએ 'ભૂમિપુત્ર'માં પહેલાં અપીલ અને પછીના અંકમાં જાહેર નિમંત્રણ છાપ્યાં. પરંતુ સન્માનનિધિનો મામલો કેવળ જાહેર અપીલથી શક્ય ન બને. એટલે ચંદુભાઈએ, હસમુખભાઈ પટેલે, ઉત્તમભાઈ પરમારે, લંડન બેઠેલા વિપુલભાઈ કલ્યાણીએ, (અપીલની નીચે જેમનું નામ ન હતું એ) હસિત મહેતાએ અને મેં વ્યક્તિગત સંબોધન સાથે વ્યક્તિગત પત્રો, મેઇલ ને ફેસબુક મેસેજથી લોકોને જાણ કરી. અપીલ સાથે હું ફક્ત એટલું જ લખતો હતોઃ 'વાંચીને યથાયોગ્ય કરવા માટે …’ આવો મેસેજ કર્યા પછી કોઈને ફરી યાદ ન કરાવવું એ નક્કી હતું. કેમ કે, આ તો કૃતજ્ઞતા કે આદર કે પ્રેમ વ્યક્ત કરવાની વાત હતી. તેમાં આગ્રહ કે ઉઘરાણી ન હોય.

***

સન્માનનિધિનું નક્કી થયા પછી નક્કી થયેલી અને છેવટ સુધી પાળવામાં આવેલી કેટલીક બાબતોઃ

જેમને અપીલ મોકલતાં ખચકાટ થાય, પ્રકાશભાઈ પ્રત્યે તેમને ભાવ હશે કે નહીં એવી અવઢવ થાય, તેમને અપીલ ન જ મોકલવી.

પહેલા ક્રમે પ્રકાશભાઈના સ્વમાનનો – ગરિમાનો- ગૌરવનો અને પછીના ક્રમે આપણા સ્વમાનનો પૂરેપૂરો ખ્યાલ કરવો. માથું કે હાથ નીચાં થાય એવી રીતે કશું જ માગવું નહીં કે લેવું પણ નહીં. કેમ કે, આ નિધિ પ્રકાશભાઈને મદદ કરવાના આશયથી નહીં, જાહેર જીવનમાં તેમના પ્રદાનની કદરના આશયથી છે.

પ્રકાશભાઈનું નામ પણ ન સાંભળ્યું હોય એવા, 'દાતાઓ'ને મળવું જ નહીં. તેમની પાસેથી રકમ મેળવવાનો તો સવાલ જ નહીં.

વ્યક્તિગત પત્ર કે મેઇલ મોકલ્યા હોય તેમને પણ ફરી યાદ કરાવીને શરમમાં નાખવાં નહીં.

આ રીતે જે રકમ એકઠી થાય, તે ખરી. રકમથી આપણે કશું સિદ્ધ કરવાનું નથી. રકમ સન્માનજનક થાય તો બહુ જ ગમે અને એ માટે પૂરા પ્રયત્નો કરવા, પણ ઉપરની શરતોમાં બાંધછોડ કર્યા વિના.

આ કવાયત શરૂ કરી, ત્યારે એક-બે નજીકના મિત્રોએ પૂછ્યું, 'કેટલું ટાર્ગેટ છે?’ ત્યારે મારો જવાબ હતો, ‘એવું કશું વિચાર્યું નથી ને મનમાં એવો કોઈ આંકડો કે લક્ષ્યાંક પણ નથી. પણ ગૌરવભેર થાય એટલો મહત્તમ પ્રયાસ કરવાનો છે.’ શરૂઆતથી જ કાર્તિકભાઈ સાથે એવી સમજૂતી કરી કે 'છેવટ સુધી હું તમને આંકડો નહીં પૂછું.’ તેમણે કહ્યું, 'તમે પૂછશો તો પણ હું નહીં કહું.’  આ શરત પણ અમે પાળી. જે શનિવારે કાર્યક્રમ હતો તેના ચાર દિવસ પહેલાં, મંગળવારે સવારે કાર્તિકભાઈનો ફોન આવ્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યુંઃ સેવન ડિજિટ. (સાત આંકડા)

***

આવો કોઈ પણ ઉપક્રમ હોય, તેમાં અવનવા અનુભવો તો થાય ને થયા પણ ખરા. પરંતુ ચંદુભાઈ સાથે લગભગ રોજ સાંજે – રાત્રે થતી વાતમાં આદાનપ્રદાન થાય, ઘણી ગમ્મત કરીએ, ક્યારેક ખીજ પણ ચડે, લોકોની અવનવી વર્તણૂંકોથી રમૂજ થાય ને નવાઈ પણ લાગે. થોડા સમય પછી કોઈ વળી પૂછે કે 'રકમ થઈ ગઈ? ન થઈ હોય તો અમે આપીએ.’ તેમને અમે પોતપોતાની રીતે કહેતા કે આમાં 'રકમ' ને 'થઈ ગઈ' જેવું કશું નથી. તમને ભાવ હોય તો તમને જે ઠીક લાગે તે રકમ આપવાની છે. અપીલમાં અમે સૂચવેલું કે આર્થિક રીતે સ્થિર હોય એવા ઘણા મિત્રો રૂ. પાંચ હજાર આપે છે. એ ઇશારો એવા લોકો માટે હતો, જેમને આર્થિક પ્રશ્ન ન હોય, પણ આંકડો સૂઝતો ન હોય. બાકી, સન્માનનિધિમાં સો રૂપિયા પણ આવ્યા ને અમે બહુ ભાવથી અને આદરથી સ્વીકાર્યા.

થોડા મિત્રો એવા પણ હોય, જેમને અવઢવ હોય કે 'પ્રકાશભાઈને વળી રૂપિયાની શી જરૂર? તેમનો તો નવરંગપુરામાં કરોડોનો બંગલો છે ને લાખોની મિલકત હશે.’ આવું કોઈ પ્રત્યક્ષ પૂછે તો અમે કહેતા હતા કે આ રકમ પ્રકાશભાઈને આર્થિક સહાયનો કાર્યક્રમ નથી. તમને તેમના પ્રત્યે ભાવ હોય, આર્થિક સુવિધા હોય તો તમારો ભાવ નક્કર રકમ આપીને વ્યક્ત કરી શકો છો. તેમાં પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ એ કોઈ મુદ્દો જ નથી.

અને ફોર ધ રેકોર્ડ, બંગલો પ્રકાશભાઈના સમૃદ્ધ પિતાએ દાયકાઓ પહેલાં બનાવેલો. પ્રકાશભાઈ સંપત્તિના સર્જનમાં કે વૈભવી જીવનમાં તો ઠીક, આર્થિક સ્થિરતાના ફરજ લાગે એવા મોહથી પણ તે દૂર રહ્યા છે.

છતાં એકંદર પ્રતિભાવ બહુ સારો હતો, એવું પત્રો-મેઇલના પ્રતિભાવ પરથી અને કાર્તિકભાઈની વાત પરથી લાગતું હતું. કેટલા બધા લોકોએ ઉપરથી અમારો આભાર માન્યો કે તમે પ્રકાશભાઈ પ્રત્યે ભાવ વ્યક્ત કરવાની તક આપી. આખા આયોજનની એ મોટી ઉપલબ્ધિ હતી. પ્રકાશભાઈ પ્રત્યે ભાવ ધરાવતા-તેમની કદર જાણનારા લોકો કેટલી મોટી સંખ્યામાં છે એનો અહેસાસ બહુ આનંદ આપનારો હતો — અત્યારે તો વિશેષ.

http://urvishkothari-gujarati.blogspot.com/2019/07/blog-post_25.html AKU

••••••••

પ્રકાશોત્સવ (2) :

પ્રકાશભાઈના પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટની સાથે સન્માનનિધિ એકત્ર કરવાનું નક્કી કર્યું, ત્યારે સમારંભની આડે માંડ સવા મહિનો બાકી હતો. આવાં કામ ત્રણ-ચાર મહિના પહેલાં તો શરૂ થવાં જોઈએ, એવી પરંપરાગત માન્યતા હતી. આવા કામ માટે નામી હસ્તીઓની સમિતિ બનાવવી જોઈએ, મિટિંગો કરવી જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ, એવી પણ પરંપરાગત માન્યતા હતી. પણ અમે નક્કી કર્યું હતું કે આપણે પરંપરાગત માન્યતાઓને વિરામ આપવો અને આપણી—એટલે ‘સાર્થક’ની – ચંદુભાઈ, હસિત મહેતા જેવી અમારી મિત્રમંડળીના આયોજનની ઢબથી, નો નોનસેન્સ પદ્ધતિએ, આખું આયોજન કરવું. તેના માટે અમારી દૃષ્ટિએ પૂરતો સમય હતો અને શું ન કરવું તેની સ્પષ્ટ સમજણ.

એક તરફ સન્માનનિધિની રકમ માટે પ્રકાશભાઈના શક્ય હોય એટલા પરિચિતોને એક વાર જાણ કરવાનું કામ ચાલ્યું. તેમાં અપેક્ષા કરતાં ઓછા મિત્રો સંકળાયા. છતાં, આખા કામમાં કોઈને કશી ફરજ પાડવી નહીં, એવી સમજ પ્રમાણે સૌને મોકળાશ હતી. બીજી તરફ મોક કોર્ટની સ્ક્રીપ્ટ લખવાનું કામ હતું, જે સૌથી છેલ્લે રાખ્યું હતું. કારણ કે એ બાબતે હું સંપૂર્ણ નિરાંતમાં હતો. મારા મનમાં સ્પષ્ટ હતું કે આપણે કોઈ પાસેથી વ્યાવસાયિક અભિનય કરાવવાનો નથી કે સંવાદ ગોખાવવાના નથી. લખેલી સ્ક્રીપ્ટ આપીશું. તે સાથે જ રાખવાની. તેમાંથી અને તેની આસપાસ બોલવાનું, એટલે પંચલાઇનો જળવાઈ રહે અને સમયની પાબંદી રહે. લોકોને મઝા આવે – કંટાળો ન આવે એટલી પંચલાઇનો હતી અને પ્રત્યેક સાક્ષી માટે મર્યાદિત સમય.

એવું જ કામ કોર્ટ માટે સ્ટેજ તૈયાર કરવાનું હતું. એ જવાબદારી પહેલેથી પરમ મિત્ર, વિખ્યાત ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને વોઇસ આર્ટિસ્ટ આશિષ કક્કડ અને જાણીતા નાટ્યકાર – ‘સ્ક્રેપયાર્ડ’ ખ્યાત કબીરભાઈ ઠાકોરે આનંદપૂર્વક ઉપાડી લીધી હતી. એટલે તેની શી ચિંતા? વચ્ચે માંડ એકાદબે વાર ફોન પર વાત થઈ હશે. પંદરેક દિવસ પહેલાં વિદ્યાપીઠ હોલમાં જઈને બંને જણે રૂબરૂ સ્ટેજ જોઈ લીધું.

કાર્યક્રમના દિવસે અમે સવારે સાડા અગિયારે પહોંચી ગયા. કબીરભાઈ અને તેમનો સાથી સાવન આવી ગયા. આશિષ કક્કડ આવ્યા. વિદ્યાપીઠના સ્થાનિક હોવાને કારણે નાનીમોટી બાબતમાં સતત સાથે રહેતા અધ્યાપક મિત્ર અશ્વિન ચૌહાણ અને ફોટોગ્રાફી- વીડિયોગ્રાફીની વ્યવસ્થા સંભાળનારા આલાપ બ્રહ્મભટ્ટ તો હતા જ. થોડી વારમાં તો કબીરભાઈએ તૈયાર કરાવેલી પ્રોપર્ટી, આરોપીના પાંજરાનાં સ્પેરપાર્ટ, તેમની નીચે ગોઠવવાનાં પાટિયાં … બધું આવવા માંડ્યું. બપોરે જ હોલમાં રહેલા ફિક્સ સ્ક્રીન પર કમ્પ્યુટર પ્રોજેક્શનનું એડજસ્ટમેન્ટ કરી દીધું. સ્ક્રીન પર કેટલીક તસવીરો આરોપોના પુરાવા તરીકે રજૂ થવાની હતી અને એક સરપ્રાઇઝ પેકેજ તરીકે, પ્રકાશભાઈનો અભિનય ધરાવતી એક શોર્ટ ફિલ્મના કેટલાક સ્ટીલ અને એક દૃશ્ય બતાવવાનાં હતાં. કાર્યક્રમની બપોરે દોઢ વાગ્યે અમે હોલ પરથી નીકળ્યા ત્યારે મોક કોર્ટનો આખો તખ્તો તૈયાર હતો.

***

કાર્યક્રમ પછી પ્રકાશભાઈ તરફથી ભોજનની વ્યવસ્થા હતી. આમ તો એ ફક્ત વિદ્યાપીઠ કેન્ટિનમાં કહી દેવાનો મામલો હોય. પણ વરસાદના દિવસો. આમંત્રિતોની સંખ્યા નક્કી નહીં. જમવાનું પહેલેથી જાહેર કર્યું ન હતું. સ્થળ તરીકે વિદ્યાપીઠની કેન્ટિન અને તેની બાજુમાં આવેલી લોન (મયૂર ઉદ્યાન) જ પહેલી પસંદગી હોય. પણ વરસાદ પડે તો શું? એ માટે એસ્ટેટ વિભાગના અભુભાઈને કહીને એક હોલની સ્પેર તૈયારી રાખી હતી. વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ કાર્યક્રમની સાંજે અન્ય રોકાણને લીધે હાજર રહેવાના ન હતા. પણ જતાં પહેલાં તે બધી પૂછપરછ કરીને, તેમના તરફથી બધી મદદની ખાતરી અને વ્યવસ્થા કરતા ગયા હતા.

પ્રકાશક તરીકે જેમ અમે પહેલાં વાચક-લેખક હોવાને કારણે એ દૃષ્ટિકોણથી વિચારીએ, તેમ આયોજક તરીકે અમે પહેલાં ઓડિયન્સ હોવાને કારણે, એ દૃષ્ટિકોણથી વિચારીએ.

જેમ કે, ભોજન માટે વિચાર્યું હતું કે મોટી જગ્યા અને ત્રણ કાઉન્ટર રાખવાં, જેથી અકળાવનારી ભીડ ન થાય. મેનુમાં વાનગીઓ પણ એવી હોવી જોઈએ કે પચાસ-પંચોતેર માણસો વધી જાય તો છેલ્લી ઘડીએ સહેલાઈથી વાનગી તૈયાર કરી શકાય અને બને ત્યાં સુધી કોઈને કોઈ વાનગી વિના ચલાવવું ન પડે. હોલમાં એ.સી. ન હતું, પણ હોલ બુક કરાવ્યો ત્યારે એવી આશા હતી કે વચ્ચેના એકાદ મહિનામાં ચોમાસું બેસી ગયું હશે ને ઠંડક થઈ હશે. એ એક ગણતરી ખોટી પડી ને તેના કારણે સૌ ઘણા હેરાન થયા. પણ હોલમાં છેલ્લી ઘડીએ એસી મુકાવવાનું અમારા માટે શક્ય ન હતું. હવે વિદ્યાપીઠના સંચાલકોને વિનંતી કે બીજી છેલ્લી ઘડી આવે તે પહેલાં હોલમાં વૈભવ માટે નહીં, આવશ્યકતા તરીકે અને જાહેર હિતમાં – શ્રોતાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વહેલી તકે એ.સી.ની સુવિધા ઊભી કરે.

કાર્યક્રમના થોડા દિવસ પહેલાં ‘આર્ટ મણિ’વાળા મિત્ર મણિલાલ રાજપૂત અને તેમના સાથીદાર રણજિતની મદદથી પુસ્તક તૈયાર થઈ ગયું હતું અને એકાદ અઠવાડિયા પહેલાં છપાઈને પણ આવી ગયું હતું. ત્યાં જ કાર્યક્રમના બેનર અને અમદાવાદમાં કેટલાક ઠેકાણે લગાડવાનાં પોસ્ટરની ડીઝાઇન પણ તૈયાર કરી લીધી. બિનીત મોદીએ ઠેકઠેકાણે ફરીને લાયબ્રેરી જેવાં જાહેર સ્થળોએ એ-3 સાઇઝનાં પોસ્ટર લગાડ્યાં. ઉપરાંત અપીલ મોકલવામાં પણ મદદ કરી.

પહેલા તબક્કામાં સન્માનનિધિ માટેની અપીલ મોકલવાનું કામ ચાલ્યું, તો છેલ્લા એકાદ અઠવાડિયામાં સોશ્યલ મીડિયા પર અને પોસ્ટથી પ્રિન્ટ આઉટ સ્વરૂપે આમંત્રણો મોકલવાનું કામ ચાલ્યું. રાબેતા મુજબ ચંદુભાઈએ નાદુરસ્ત તબિયતે પણ પ્રેમ અને ઊલટથી ઘણો શ્રમ લીધો. બીજા મિત્રોએ પણ યથા અનુકૂળતા આમંત્રણો આગળ ધપાવ્યાં. તેના પ્રતિભાવ પરથી જણાતું હતું કે અમદાવાદમાં એ જ દિવસે, એ જ સમયે બીજા બે કાર્યક્રમ હોવા છતાં, પ્રકાશોત્સવમાં સંખ્યાનો વાંધો નહીં આવે.

***

કાર્યક્રમ પહેલાં સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈના ઘરે પહોંચ્યો, ત્યારે તે તેમની કાયમી નિરાંતમાં હતા. ‘કેટલા વાગ્યે હોલ પર પહોંચશો?’ના જવાબમાં કહે, ‘સાડા પાંચનો કાર્યક્રમ છે. પાંચ ને વીસ સુધીમાં પહોંચી જઈશ.’

‘આજે બધા તમને મળવા ઇચ્છશે. એટલે વહેલા આવી શકાય તો સારું.’ એવું સૂચવ્યા પછી તે પાંચેક વાગ્યે આવી ગયા. તેમની સાથે નયનાબહેન ઉપરાંત અમેરિકાથી આવેલાં તેમનાં પુત્રી ઋતા શાહ અને બીજાં પરિવારજનો પણ હતાં. તેમનાં દિલ્હીસ્થિત દીકરી રીતિ આવી શક્યાં ન હતાં. તેમના પતિ અને અંગ્રેજી પત્રકાર તરીકેની સ્વતંત્ર ઓળખ ધરાવતા આશિષ મહેતા આવી ગયા હતા. તે પણ અદાલતમાં સાક્ષી તરીકે ઉપસ્થિત થવાના હતા.

પ્રકાશભાઈના ઘરેથી કાર્યક્રમના એક કલાક પહેલાં હોલ પર પહોચ્યો, ત્યારે પાંચ-સાત મહેમાનો આવી ચૂક્યા હતા. એ જોઈને જ મને થયું કે હોલ ચિક્કાર થઈ જશે અને માણસો વધી પડશે. એ ધારણા સાચી જ પડી. લગભગ પોણા છએ કાર્યક્રમ શરૂ થયો ત્યારે લગભગ 350 બેઠકો ધરાવતો હોલ ભરચક થઈ ગયો હતો. કાર્યક્રમમાં સૌથી પહેલી વિનંતી એ કરવી પડી કે ખુરશી પર બેઠેલા યુવાન મિત્રો વડીલો માટે જગ્યા કરી આપે.

હૈયું જ નહીં, હૉલ પણ છલકાવી દેતો પ્રેમાદાર (છબિ સૌજન્ય : અશ્વિનકુમાર)

સૌથી પહેલાં કાર્યક્રમમાં શું થશે અને શું નહીં થાય તેની થોડી વાત મેં કરીઃ પહેલાં મોક કોર્ટ, પછી પુસ્તક વિમોચન, પછી સન્માનનિધિ અર્પણ, છેલ્લે પ્રકાશભાઈનો પ્રતિભાવ અને ભોજન. શરૂઆતનો સવા-દોઢ કલાક તોફાની હતો. ન્યાયાધીશ તરીકે પ્રકાશભાઈના જૂના સાથીદાર -કટોકટીના જેલસાથીદાર અને ‘સાર્થક જલસો’માં કેટલાક યાદગાર લેખ લખનારા હસમુખભાઈ પટેલ હતા. પ્રકાશભાઈના વકીલ તરીકે કેતન રૂપેરા, અદાલતના માણસ તરીકે આશિષ કક્કડ, આરોપી પ્રકાશભાઈ અને ફરિયાદી વકીલ તરીકે હું.

ઠાવકા તોફાની ‘ન્યાયાધીશ’ હસમુખભાઈ પટેલ (છબિ સૌજન્ય : આલાપ બ્રહ્મભટ્ટ)

બધાના હાથમાં સ્ક્રીપ્ટનાં કાગળ હતાં. પ્રકાશભાઈ કાગળ ભૂલી ગયા હતા. એટલે તેમણે શરૂઆતનો ભાગ એમ જ ગબડાવ્યો. ત્યાર પછી આશિષ કક્કડે પ્રકાશભાઈ સામેનું આરોપનામું વાંચ્યુઃ

આરોપનામું 

° આરોપી પ્રકાશ નવીનચંદ્ર શાહ, ઉંમર વર્ષ ૮૦, રહેવાસી અમદાવાદ સામે આરોપ છે કે

° તે વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને એ માટેનાં કાવતરાં પણ કરે છે.  વડાપ્રધાનની સતત ટીકાનું મૂળ કારણ આ છે. 

° ખતરનાક માણસો તરીકે ભૂતકાળની સરકારોના ચોપડે ચડી ચૂકેલા કેટલાક ઇસમો સાથે તે નિકટના સંબંધો ધરાવતા હતા. એ સંસ્કાર રાતોરાત જતા રહ્યા હોય એવું માનવાનું કોઈ કારણ નથી. 

° તે ડાબેરી છે. રશિયા-ચીન સાથે જીવંત સંપર્કો ધરાવે છે અને રશિયા ગયેલા પણ છે — તે કંઈ વોડકા પીવા તો નહીં જ ગયા હોય. 

° એક સમયે તે શાખામાં જતા હતા, પણ પછી ત્યાં જવાનું બંધ કરી દીધું. એટલે તેમની રાષ્ટ્રભક્તિ સંદેહાસ્પદ છે. તેમના વિચારોનું કશું ઠેકાણું નથી. માર્ક્સની વાત કરે ત્યારે માર્ક્સવાદી લાગે, ગાંધીની વાત કરે ત્યારે ગાંધીવાદી, આંબેડકરની વાત કરે ત્યારે આંબેડકરવાદી ને દેરાણીજેઠાણીના આઇસક્રીમની વાત કરે ત્યારે સ્વાદવાદી લાગે … આવા માણસને જાહેરમાં છૂટો રાખવાનું સરકાર અને સમાજ માટે જોખમી છે.

° તે ઉત્તમ અભિનેતા છે. આમ તો અભિનેતા હોવું એ ગુનો નથી, પણ આરોપીએ તેની આ શક્તિ જે રીતે ગુપ્ત રાખી છે, તે વધુ ગંભીર કાવતરાની શંકા ઉપજાવે છે. 

° આરોપી આંતરરાષ્ટ્રીય અપરાધી છે. તેની પર લંડનની કોર્ટમાં પણ કેસ ચાલી ચૂક્યો છે. વિદેશી કારોબાર પતાવવા માટે ઘણી વાર આરોપી ગેટવે ઓફ ઇન્ડિયાથી મધદરિયે જાય છે અને કામ પૂરું કરીને પાછા આવી જાય છે. 

° આરોપી નિર્મલબાબાની જેમ દરબાર ભરે છે અને લોકોને આડા રસ્તે દોરે છે.

° આરોપી હિંસક વૃત્તિપ્રવૃત્તિ ધરાવે છે. તેનું હથિયાર છે ભાષા. તેમાં સમજ પડે તેને અણીથી લોહી નીકળે છે ને મોટા ભાગના લોકોને તે માથામાં ઘણની જેમ અથડાઈને લોહી કાઢે છે. આમ બંને રીતે પરિણામ લોહિયાળ આવે છે. 

° તે લોકોનું ફક્ત મગજ નહીં, શરીર બગાડે એવા ઉપદેશો આપે છે અને યુવાનોને આડા રવાડે ચડાવે છે. 

° એક તરફ તે પોતાની જાતને વંચિતતરફી ગણાવે છે. બીજી તરફ, કેટલા બધા લખનારાને સરકારી અકાદમી થકી થનારા ધનલાભથી વંચિત બનાવવાનું કામ કરે છે. આમ તે પહેલાં વંચિતો ઊભા કરે છે ને પછી તેમની તરફેણનો ડોળ કરે છે. 

° અદાલતની ચુંગાલમાં ફસાવું ન પડે એટલા માટે પોતે એકે ય પુસ્તક લખ્યું નથી. અને લેખોમાં પણ જાણીબૂજીને ભદ્રંભદ્રીય ભાષાનો પ્રયોગ કરે છે કે અદાલતમાં કશું પુરવાર ન થઈ શકે. 

***

સાક્ષીઓની જુબાનીની શરૂઆત રતિલાલ બોરીસાગરથી થઈ. તેમણે પ્રકાશભાઈની ભાષાની ઠંડા કલેજે ફિરકી લીધી અને હસાહસ વચ્ચે કહ્યું કે ભદ્રંભદ્ર પ્રકાશભાઈ સાથે વાત કરે, તો તેમની ભાષા પ્રકાશભાઈને સમજાય, પણ પ્રકાશભાઈની ભાષા તેમને ન સમજાય. આરોપ પ્રમાણે એક પછી એક સાક્ષીઓ રજૂ થયા, તેની વિગતો લખવા બેસું તો પાર નહીં આવે. શક્ય હશે તેટલું વીડિયો સ્વરૂપે મૂકીશું. સાક્ષીઓનાં નામ અને ક્રમ આ પ્રમાણે હતાઃ રતિલાલ બોરીસાગર, આશિષ મહેતા, મનીષી જાની, બીરેન કોઠારી, નયનાબહેન શાહ, પ્રકાશભાઈનો અભિનય ધરાવતી ફિલ્મની ઝલક, અશ્વિનકુમાર, કેતન રૂપેરા, મિનાક્ષીબહેન જોષી, બિનીત મોદી.

મોક કોર્ટમાં આમનેસામે : પ્રકાશભાઈ અને નયનાબહેન શાહ (છબિ સૌજન્ય : આલાપ બ્રહ્મભટ્ટ)

છેલા સાક્ષી હસિત મહેતા તે દિવસે સવારે લેહથી દિલ્હી અને વડોદરા થઈને સાંજે અમદાવાદ પહોંચવાના હતા. પણ વડોદરામાં ભારે વરસાદને કારણે તેમને પહોંચતાં થોડુંક જ મોડું થયું અને કોર્ટ પૂરી થઈ તેની થોડી મિનિટો પછી તે આવી પહોંચ્યા.

***

કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી ‘સાર્થક પ્રકાશન’ના સાથીદારો કાર્તિકભાઈ શાહ, દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી ઉપરાંત ‘સાર્થક’ના અભિન્ન અંગ જેવા બીરેન કોઠારી, બિનીત મોદી અને અપૂર્વ આશરને મંચ પર બોલાવવામાં આવ્યા. અપૂર્વ આવી શક્યા ન હતા. પુસ્તકનું ડિઝાઇનિંગ કરનાર મિત્ર મણિલાલ રાજપૂતને પણ એ જ સમયે મુંબઈમાં યોજાયેલા કાંતિ ભટ્ટના સન્માન સમારંભમાં જવાનું કમિટમેન્ટ હોવાથી તે પણ ગેરહાજર હતા. આ પુસ્તક જેમને અર્પણ થયું હતું અને જેમના વિના આ સમારંભ આ રીતે શક્ય બન્યો ન હોત, તે ચંદુભાઈને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. કશી ઔપચારિકતા વિના કે રેપિંગ મટિરિયલની ફાડંફાડ કર્યા વિના, સૌએ એક એક પુસ્તક હાથમાં લીધું, પ્રકાશભાઈ સાથે ફોટા પડાવ્યા અને વિમોચન પૂરું થયું.

ડાબેથી, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી, દીપક સોલિયા, ચંદુ મહેરિયા, પ્રકાશ ન. શાહ, કાર્તિક શાહ, બીરેન કોઠારી, બિનીત મોદી (છબિ સૌજન્ય : અશ્વિનકુમાર)

ત્યાર પછી સન્માનનિધિનો ચેક અર્પણ કરવા માટે ઓડિયન્સમાં ઉપસ્થિત જાહેર જીવનના સિનિયર અને યુવાન એમ બંને પ્રકારના લોકોમાંથી કેટલાકને આમંત્રણ અપાયું. સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી કે કોઈને બાકાત રાખવાનો ઇરાદો નથી. આ કેવળ પ્રતિનિધિરૂપ વ્યક્તિઓ છે. એ લોકો હતા (કોઈ ચોક્કસ ક્રમ વિના) : હિમાંશી શેલત, ઘનશ્યામ શાહ, અચ્યુત યાજ્ઞિક, દીનાબહેન પટેલ, સારાબહેન બાલદીવાલા, રઘુવીર ચૌધરી, સ્વાતિબહેન જોશી, એ.ટી. સિંધી, રજની દવે, પાર્થ ત્રિવેદી, શારીક લાલીવાલા, અદાલતની કાર્યવાહીમાંથી હસમુખ પટેલ, રતિલાલ બોરીસાગર.

(ડાબેથી) શારીક લાલીવાલા, દીનાબહેન પટેલ, પાર્થ ત્રિવેદી, સારાબહેન બાલદીવાલા, અચ્યુત યાજ્ઞિક, (ઢંકાયેલા) હસમુખ પટેલ, પ્રકાશ ન. શાહ, રતિલાલ બોરીસાગર, ઘનશ્યામ શાહ, રઘુવીર ચૌધરી, એ. ટી. સિંધી, રજની દવે, હિમાંશી શેલત, સ્વાતિ જોશી, ચંદુ મહેરિયા, ઉર્વીશ કોઠારી, કાર્તિક શાહ, બિનીત મોદી

તેમના આવી ગયા પછી ચંદુભાઈએ અનામિકભાઈની અનુપસ્થિતિમાં તેમના વતી પ્રકાશભાઈને શાલ અર્પણ કરી. ચંદુભાઈને સાથે રાખીને મેં થોડી વાત કરી. કહ્યું કે આ રકમ કાળી, ધોળી કે લાલ, રાજકીય કે આધ્યાત્મિક, એકેય દાઢીમાં હાથ નાખ્યા વિના, રાજ્યાશ્રય, ધર્માશ્રય કે કોર્પોરેટ-આશ્રય વિના, નાગરિકોના યોગદાનથી એકત્ર થયેલી છે. તેના માટે કોઈની પર દબાણ કરાયું નથી કે કોઈને શરમમાં નખાયા નથી. ત્યાર પછી કાર્યક્રમની બપોરે એક વાગ્યા સુધીની રકમનો આંકડો સ્ક્રીન પર જાહેર થયોઃ રૂ. 13,73,561. (રૂ. તેર લાખ તોંતેર હજાર પાંચસો એકસઠ)

હિંમાશીબહેન શેલતે એ રકમના ચેકનું કવર બધા વતી પ્રકાશભાઈને અર્પણ કર્યું. ત્યાર પછી સૌએ પોતાનું સ્થાન લીધું અને પ્રકાશભાઈએ લગભગ અડધા કલાકમાં તેમનો પ્રતિભાવ આપ્યો.

બેથી સવા બે કલાકમાં, કશી ઔપચારિકતા વિના, કાર્યક્રમ સડસડાટ અને હસીખુશી સાથે પૂરો થઈ ગયો. દરમિયાન 350 બેઠકોના હોલમાં લોકોની સંખ્યા 470 સુધી પહોંચી ગઈ હતી. બેસુમાર બફારો લાગતો હતો. પરંતુ સૌ કોઈ છેવટ સુધી બેઠા અને પ્રકાશભાઈનો પ્રતિભાવ સાંભળીને જ ઊભા થયા.

પ્રકાશ ન. શાહનો પ્રતિભાવ (છબિ સૌજન્ય :  અશ્વિનકુમાર)

***

કાર્યક્રમ પછી સરેરાશ પ્રતિભાવ આનંદ-ઉલ્લાસ અને સાર્થકતાનો હતો. અમારા માટે પણ તે યાદગાર બની રહ્યો. કેમ કે,

• આખું આયોજન કશી ઔપચારિકતા વિના, કમિટી, મિટિંગો ને ઠરાવો વિના, ધાર્યા કરતાં પણ વધુ સફળતાથી પાર પડ્યું.

• કોઈ ‘દાતા’ વિના, કોઈની નિશ્રા વિના ને કોર્પોરેટ કંપનીઓની કોઈ સહાય વિના, આટલી રકમ એકત્ર થઈ શકી. 

પ્રકાશભાઈનું સન્માન હોવા છતાં, પ્રકાશભાઈનાં વખાણના ખડકલા ન થયા. હસમુખભાઈ (પટેલે) પછી કહ્યું તેમ, ‘પ્રકાશભાઈની હાજરીમાં તેમની શોકસભા હોય એવું વાતાવરણ ન થયું’. છતાં મસ્તીતોફાન સાથે, પૂરી ગરિમાપૂર્વક તે સંપન્ન થયો.  

પહેલાંના વખતમાં જેમ નનામી બાંધવાના, તેમ અત્યારે કાર્યક્રમો કરવાના પણ સ્વઘોષિત સ્પેશ્યાલિસ્ટ હોય છે, જે ‘આમ તો થાય જ નહીં’ ને ‘આમ તો કરવું જ પડે’ એવા બધા ફન્ડા શીખવાડતા હોય છે. અમે આવા સ્પેશિયાલિસ્ટોથી દૂર રહીએ છીએ. તેમના વગર બધું સારી રીતે ચાલી જ શકતું હોય છે. આપણે સક્રિયતાથી અને સન્નિષ્ઠ રીતે વિચારીને વિકલ્પ શોધવા પડે. આ કાર્યક્રમ પણ એવી જ રીતે, ઔપચારિકતાઓ અને વિધિવિધાનો વિના, છતાં સુખરૂપ પાર પડ્યો. 

કાર્યક્રમ પહેલાં અને પછી કેટલાકે એવી લાગણી વ્યક્ત કરી કે આ કાર્યક્રમ બહુ પહેલાં થવો જોઈતો હતો અથવા હજુ તેમાં અમુક વસ્તુ થવી જોઈએ. આવું કહેનાર પ્રત્યે પૂરા આદર સાથે જણાવવાનું કે આપણા સૌ વતી અમને સૂઝ્યું ત્યારે અમે કર્યું. તમને સૂઝે ત્યારે તમે (પ્રકાશભાઈને વિશ્વાસમાં લઈને) કરી જ શકો છો. અમારાં ધારાધોરણમાં બેસતું હશે તો તમને શક્ય તેટલી મદદ પણ કરીશું.

***

કાર્યક્રમના અંતે આર્થિક સહયોગ આપનાર સૌ કોઈના નામની એ.બી.સી.ડી. ક્રમમાં સંપૂર્ણ યાદી મૂકવામાં આવી હતી. તેની નકલો જે ઇચ્છે તે લઈ જઈ શકે એ રીતે સુલભ બનાવાઈ હતી. એ ‘સાર્થક પ્રકાશન’ વતી અમે જાતે સ્વીકારેલો પારદર્શક વહીવટનો તકાદો હતો. બીજા ઘણા ચીલા ચાતર્યા, તો હિસાબ આપવામાં પણ શા માટે આગવું ધોરણ સ્થાપિત ન કરવું?

ઉપરાંત, આર્થિક સહયોગ આપનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શક્ય એટલા બધાને પહોંચની સાથે ‘સાર્થક પ્રકાશન’ તરફથી પ્રકાશભાઈ વિશેના પુસ્તકની એક નકલ સાદર ભેટ આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકેલા સહયોગીઓને હવે પહોંચ અને નકલ રવાના કરવામાં આવશે.

***

એપ્રિલ 6, 2013ના રોજ અમે ચાર મિત્રોએ બીજા અનેક મિત્રોના સહયોગની ખાતરી સાથે ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના કરી, ત્યારે વિચારેલું કે કરવા જેવાં, પણ ન થતાં હોય એવાં કામ ખાસ કરવાં. જે રીતે અભિનેતા-નિર્દેશક કે.કે.ના લગભગ બેએક દાયકાથી અટવાયેલા જીવનચરિત્રનું કામ રંગેચંગે પાર પડ્યું અને તેની બે આવૃત્તિ થઈ, ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ નલિન શાહના લેખોનું પહેલું પુસ્તક તેમના જીવનના નવમા દાયકામાં સાર્થકે પ્રકાશિત કર્યું, નગેન્દ્ર વિજયની મુલાકાત આધારિત પહેલવહેલું પુસ્તક સાર્થકમાં આવ્યું, અશ્વિની ભટ્ટની સદાબહાર નવલકથાઓ નવાં અને રીડરફ્રેન્ડલી સ્વરૂપે સાર્થકમાં પ્રગટ થઈ … આ યાદી હજુ લંબાવી શકાય એમ છે — અને પ્રકાશોત્સવ એ યાદીમાં લેટેસ્ટ ઉમેરો  છે.

સાર એટલો જ કે પ્રકાશનનું નામ અને ખાસ તો તે સ્થાપવાનો હેતુ સિદ્ધ થયો, તેનો ભારે સંતોષ છે અને મિત્રો-સ્નેહીઓના પ્રેમાળ સહકાર વિના આ શક્ય બનત નહીં, તેનો પાકો અહેસાસ પણ છે.

http://urvishkothari-gujarati.blogspot.com/2019/07/2.html

Loading

29 July 2019 admin
← ભારતીય સંસ્કૃતિની એક ગૌરવપૂર્ણ ઘટના : બ્રાહ્મણ-શ્રમણ પરંપરાનો સમન્વય
મશીનને માણસ બનાવનાર અલેન ટુરિંગના નામે હવે સિક્કા એટલે કે પાઉન્ડ પડશે… →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved