Opinion Magazine
Number of visits: 9446899
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુનશીજી

દીપક બારડોલીકર|Profile|4 October 2018

‘તમે શું નહીં ભણો, આમલીપીપળી કરાવતો તમારો શેતાન પણ ભણતો થઈ જશે ! −− સીધા કરી દઈશ −− !’

આ શબ્દો હતા અમારા મુનશી સાહેબના. બારડોલીના ઉર્દૂ શાળાના એ હેડ ટીચર. નામ હતું રફીઉદ્દીન. ઊંચા, ઉજળા ને એકવડા બાંધાના તેજસ્વી આદમી. સ્વભાવે મળતાવડા હતા, પણ ખોટું સ્વીકારે નહીં. કોઈ ધનવાન પણ ખોટી વાત ચલાવે તો વિનમ્રતાથી કહી દેતા, ‘માફ કરજો, તમારી આ વાત યોગ્ય લાગતી નથી.’

અને એવે પ્રસંગે કોઈ જમીનદાર ઉશ્કેરાઈ જાય તો તેને ય ટાઢો પાડતાં કહેતા, ‘બોલો અત્યારે દિવસ છે કે રાત ?’ − અને પોતે જ એનો જવાબ આપતાં કહેતા, ‘દિવસ છે. અને હું એને રાત કહું તો તમે નહીં માનો, ખરું ને!’ − − અને જમીનદાર માથું હલાવીને ના પાડે કે તરત મુનશીજી હસતાં હસતાં સંભળાવી દેતા, ‘તો પછી અમે શું કામ માનીએ ! આગને બાગ યા બાગને આગ શા માટે કહીએ !’

મુનશીજી એક કાબેલ શિક્ષક હતા. બહુ કાળજીથી ભણાવતા. દરેક નવો શબ્દ અને તેનો અર્થ બરાબર સમજાવતા. વારંવાર રટાવતા. ઉચ્ચાર શુદ્ધ થવો જોઈએ, જોડણી ય શુદ્ધ, નહિતર મુનશીજી રાતાપીળા થઈ જાય. રાડ પાડે, ‘ઉદ્ધારને ઉધાર કહો છો, નાલાયકો !’

મુનશી સાહેબની આ સખ્તાઈ હોવા છતાં ક્યારેક ક્યારેક અમને શરારત સૂજતી અને અમે, હું ને મારા ત્રણેક સહપાઠીઓ, ગાપચી મારી જતા. બોર, જાંબુ, કરમદાં – ખટમડાં ચૂંટવા – ખાવા માટે સીમમાં ભાગી જતા. આમ થતું ત્યારે મુનશીજી પોતે અમને શોધવા સીમમાં જતા. હાથમાં નેતરની સોટી હોય, ખેતરવાડીઓને ખંખોળે, અમને પકડી લાવે, ફટકારે અને ભણાવે ! પ્રસ્વેદ લૂછતાં કહે ય ખરા, ‘ઓ નાલાયકો, ભણો, નહિતર આ દુનિયા તમને ભક્ષી જશે!’

મુનશીજીને અમારી એવી ફીકર હતી, જેવી કોઈ સમજદાર બાપ પોતાનાં સંતાનોની ફીકર કરે છે. તેમને કેળવે છે, સૂઝસમજ આપે છે.

આ ઉર્દૂ શાળા હતી એથી કરીને મુનશીજીએ અમને ઉર્દૂ ભાષા શીખવવાના ઘણા પ્રયાસો કરેલા. પરંતુ ખાસ કરીને જમણી તરફથી લખાતી એ ભાષાની લિપિ અમને ઘણી અઘરી લાગતી હતી, વળી રસ જાગે એવો માહોલ પણ ન હતો. અને અમારા વહોરા કુટુંબોમાં તો ઠેઠ ગુજરાતી ભાષાનું ચલણ હતું; આથી ઉર્દૂ શાળામાં અમને ઉર્દૂ ભાષા આવડી નહીં. અલબત્ત બોલચાલના થોડા શબ્દો જરૂર જીભે ચડ્યા હતા, મલેકપુરી ઉર્દૂ જેવા. − આવેગા જાવેગા જેવા …

ગમે એમ, પણ આજે હું દળદાર ઉર્દૂ ગ્રંથોના અનુવાદની ક્ષમતા ધરાવું છું એ પાકિસ્તાનની બક્ષિશ છે. 1948માં હું પાકિસ્તાન ગયેલો. ત્યાં મારી સામે ઉર્દૂનો એક ઘૂઘવતો સમુદ્ર હતો ! હેરાન થઈ ગયેલો ! કદાચ ડૂબી જાત. પણ નહીં, અમારા મુનશી સાહેબના ઉર્દૂ વિશેના પ્રયાસો મને અહીં કામ આવ્યા. મલેકપુરી ઉર્દૂને તુંબડે હામ ભીડીને હું સમુદ્રમાં ફલાંગી ગયો અને ઊછળતો – ડૂબતો પાર ઊતરી ગયો. સતત મહેનત કરી, મિત્રોની સહાય લીધી અને મિર્ઝા ગાલિબ તથા મૌલાના આઝાદને વાંચવા – સમજવા જેટલી ક્ષમતા મેળવી લીધી !

ઈન્સાન અગર ઈચ્છે તો શું ન થઈ શકે ! અલબત્ત ઈરાદામાં, નિર્ધારમાં દૃઢતા હોવી જોઈએ, અડગતા હોવી જોઈએ અને હોસલો શાહીનનો – ગરુડનો :

નિર્ધારમાં પેદા કર,
ગરુડની પાંખો.
વામણા થઈ જશે
વિરાટ પહાડો !

•••

અમારા આ મુનશીજી રફીઉદ્દીનને આંબાના છોડ ઉછેરવાનો ઘણો શોખ હતો. કેરીગાળામાં તે અમને સારામાં સારી કેરીના ગોટલા લઈ આવવાનું ફરમાન કરતા. એ ગોટલાને તેઓ ખાતરમિશ્રિત માટીથી ભરેલા ડબ્બાઓમાં રોપતા. કાળજીપૂર્વક છોડ ઉછેરતા અને ત્યારે પછી એ છોડ, તેમને ગામ – વાલોડ લઈ જતા. આ ઉદ્યમી ઉસ્તાદે આ રીતે વાલોડમાં એક સારી એવી આંબાવાડી ઊભી કરી લીધી હતી !

એક વાર હું કરાચીથી બારડોલી ગયેલો, ત્યારે ખાસ અમારા મુનશીજીને મળવા માટે વાલોડ ગયેલો. મારે તેમની સ્થિતિ જાણવી હતી, કેટલીક ભેટસોગાતો આપવી હતી. તેઓ અવસ્થાએ પહોંચ્યા હતા, પણ કૃષ કાયામાં ખાંસી કકરાટી હતી. વર્ષો પછીની આ મુલાકાત હતી એટલે ઝટ તેઓ મને ઓળખી શક્યા નહીં. કશો ઉત્સાહ દેખાડ્યો નહીં, પણ જ્યારે જાણ્યું કે હું તેમનો એક વિદ્યાર્થી છું, બારડોલીનો મૂસાજી હાફિઝજી છું, તો તેમનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો ! બોલ્યા, આવ ભાઈ, બેસ. − તે મૂસાજી ને,  કે જે અચ્છાને ઈચ્છા કહેતો હતો !’ … અને હસાહસ ! આ હસાહસમાં તેમનાં બેગમ પણ શામિલ થઈ ગયાં. તેમણે જ પૂછ્યું, ‘અભી ક્યા કામ કરતે હો ? ઔર આજકલ કહાં હો, બારડોલી મેં યા કોઈ ઔર શહર મેં ?’

અને જ્યારે તેમણે જાણ્યું કે હું કરાચીમાં છું, વ્યવસાયી પત્રકાર છું ને શાયરી પણ કરું છું તો મુનશીજીએ મને છાતી સરસો ચાંપી લીધો અને ખાસી વાર સુધી મારી પીઠ થાબડતા ને દુઆઓ દેતા રહ્યા ! કહ્યું ય ખરું, ‘મીર તકી મીર કો પઢો, મિર્ઝા ગાલિબ કો પઢો − શાઈરી સંવર જાયેગી !’

એવા ઉસ્તાદો આજે ક્યાં ?

એમના ગુસ્સામાં અમારા ભાવિની ચિંતા હતી, એમની સોટીમાં સાચું માર્ગદર્શન હતું ! 

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

4 October 2018 admin
← હું ઝૂરું છું
મુક્તાનુવાદ [દક્ષિણ ગુજરાતીબોલીમાં] →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved