Opinion Magazine
Number of visits: 9726180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોંઘેરા બૌદ્ધિક-કર્મશીલ: હર્ષદ દેસાઈ

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|26 August 2016

નેપથ્યમાં રહીને તેમણે જાહેર જીવનમાં જે મોટી મોટી ભૂમિકાઓ ભજવી તેનો જોટો જડવો મુશ્કેલ છે

હર્ષદભાઈ દેસાઈ આપણી વચ્ચે હોત તો આ અઠ્ઠાવીસમીએ (જન્મ તા.૨૮-૮-૧૯૩૫) ૮૧ વરસ પૂરાં કર્યા હોત. દસેક મહિના પહેલાં, સત્તરમી ઓકટોબર ૨૦૧૫ના રોજ એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. અંગ્રેજીના પ્રબુદ્ધ અધ્યાપક એવા હર્ષદ દેસાઈનો જાહેરજીવન સાથે, જાહેર પ્રવૃત્તિઓ સાથે આજીવન નાતો રહ્યો. એટલે જ એમના અવસાન નિમિત્તેના સંદેશામાં, સુદૂર દક્ષિણ ભારતમાં નિવૃત્તિ જીવન ગાળતા ગુજરાતના નિવૃત્ત શિક્ષણ સચિવ કે. રામમૂર્તિએ એમને વંચિતો પ્રત્યે સાચી સામાજિક નિસબત ધરાવતા નિષ્ઠાવાન કર્મશીલ તરીકે સંભાર્યા હતા.

સુરત જિલ્લાના પલસાણામાં એમનો જન્મ. અંગ્રેજીના અનુસ્નાતક અને આરંભે વલ્લભ વિદ્યાનગર અને પછી અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક બનેલા હર્ષદભાઈને, ‘ગણિતમાં કાચો છું ને ગુજરાતી-અંગ્રેજી વધારે ફાવે છે’ એવી લાગણી ખાસ્સી વહેલી જન્મી ચૂકી હતી. વતન નજીકના વરણામાની પ્રાથમિક શાળાની ગાયકવાડી લાઈબ્રેરીમાં એ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ્યા અને વાંચવા માંડ્યું. એ વાચન છેક જીવનના અંત કાળ સુધી ચાલતું રહ્યું.

એમની બૌદ્ધિક પ્રતિભા વિદ્યાર્થીકાળમાં જ નીખરી હતી. કોલેજની ચૂંટણીમાં ઉમેદવારી કરતા મિત્રના પ્રચાર સાહિત્યમાં એમણે રેલવે ટ્રેઈનનું ટાઈમટેબલ કે કેલેન્ડરને બદલે અંગ્રેજીના પ્રોફેસરે વાંચવા ભલામણ કરેલી શ્રેષ્ઠ પચીસ નવલકથાઓનાં નામ છપાવડાવેલાં.

માંડ ૩૨ વરસના હર્ષદ દેસાઈએ ૧૯૬૭માં ‘અંગદ તરફદાર’ના નામે ‘સંજ્ઞા’ સામયિકમાં આત્મકથનાત્મક લખાણો લખેલા. જેમાં જીવનની પહેલી પચીસી, પોતાનું ટ્રાન્ફરમેશન, આત્મખોજ, એલિયનેશન અને હોમસીકનેસની લાગણી, વાચનકથા તથા સ્મોલ-ટાઉન-લાઈફની ગૂંગળામણ વ્યક્ત કરી હતી. આ લખાણોમાં જ હર્ષદભાઈની ભાષાશૈલી, વિચાર અને સંવેદનની પ્રોઢિ વરતાઈ આવી હતી. ‘સંજ્ઞા’માં જ એમણે સુરેશ જોષીની દિગીશ મહેતા અને જ્યોતિષ જાની સાથે દીર્ઘ મુલાકાત લીધી હતી.

વલ્લભ વિદ્યાનગર પછીના અમદાવાદના લાંબા નિવાસ દરમિયાન હર્ષદભાઈના જીવનનું ધ્રુવબિંદુ વધુ સ્પષ્ટ થયેલું. એમણે સાહિત્યિક-બિનસાહિત્યિક લેખન તો બહુ થોડું કર્યું છે પણ જેટલું લખ્યું તે ‘રહેમતઅલીની લગડી સમાન’ છે. દિગીશ મહેતા અને હર્ષદ દેસાઈનું ‘પાશ્ચાત્ય નવલકથા’(૧૯૭૫) એ પુસ્તક ‘અભ્યાસની ઉપયોગિતા’ અને લેખકીય સાહસની રીતે નોંધપાત્ર છે. ૧૯૬૬માં હર્ષદભાઈએ રઘુવીર ચૌધરીની પ્રથિતયશ નવલકથા ‘અમૃતા’નું બેબાક વિવેચન –ખાસ તો નવલકથાની ભાષા સંદર્ભે- કર્યું હતું. ‘અમૃતા’ પર ખફા હર્ષદભાઈ જયંત ગાડીતની ‘બદલાતી ક્ષિતિજ’ પર ઓળઘોળ હતા અને તેને ‘ગુજરાતની પહેલી સાર્થક સામાજિક નવલકથા’ ગણાવી હતી.

નવયુવાન હર્ષદ દેસાઈ લેખક તરીકે વાલીપુત્ર ‘અંગદ’નું નામ અને ‘તરફદાર’ અટક ધારણ કરે છે ત્યારે જ તેમની દલિત-શોષિત-પીડિત પ્રત્યેની તરફદારી અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ ગયાં હતાં. આ ઉપનામ જ હર્ષદભાઈની  સાચુકલી સામાજિક નિસબતનું દ્યોતક હતું.  એમનું હર્ષદકર્મ દલિત સમસ્યા પ્રત્યે લગાવ જ નહીં આત્મીયતાનું હતું. ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી રમખાણો વખતે સ્વાભાવિક જ તે દલિત, આદિવાસીઓના અને અનામતના પક્ષે હતા.

૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના વનસ્થલી જ્ઞાનસત્રમાં એમણે કહ્યુ હતું ‘હું અહીં અનામત આંદોલનને કારણે જ છું. આ નકારાત્મક આંદોલનમાં દલિતોને પડખે કવિઓ-લેખકોએ ઊભા રહેવાની જરૂર હતી. મુંગા રહેવાથી સૌ સાહિત્યકારો અનામતવિરોધીઓના પક્ષે રહ્યા અને દલિતોના ઘર સળગવા દીધા, એમને ભયથી ફફડતાં કરી દીધાં’ ને પછી અપેક્ષા વ્યક્ત કરી:  આપણે જ્ઞાતિ વિશે લખીએ. આપણી નાત જ્યારે બીજી નાતના માણસના સંપર્કમાં આવી ત્યારે શું થયું તે પણ લખીએ.’ 

પ્રોફેસર હર્ષદ દેસાઈ માત્ર કોરા અધ્યાપક નહોતા. અધ્યાપક મંડળની પ્રવ્રુતિઓ સાથે પણ તે સક્રિય રીતે જોડાયેલા હતા. અધ્યાપકોના આંદોલનોમાં, એમની માંગણીના આવેદનપત્રોથી માંડીને સભા-સરઘસ-ધરણામાં સૂત્રો લખવા સુધ્ધાંમાં એમની માસ્ટરી હતી. નવનિર્માણ અને બીજાં પ્રજાકીય પ્રશ્નોમાં અધ્યાપકો અને અધ્યાપક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરી આપવામાં તે અગ્રેસર રહેતા. જાહેર પ્રવૃત્તિઓ નિમિત્તે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે પણ હર્ષદભાઈ જોડાયેલા રહ્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાઓના નેટવર્ક ‘જનપથ’ના એ સ્થાપક પ્રમુખ હતા.

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના પોતાના જે ફ્લેટમાં એમને રાઈટિંગ સ્પેસ ન મળવાની કાયમી વાજબી ફરિયાદ રહેતી તેમાં જ ફંડના અભાવે  ઘણાં મહિના ‘જનપથ’ની ઓફિસ તેમણે ચલાવેલી. ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓના ઇતિહાસમાં આ અપવાદરૂપ વિરલ ઘટના છે. ધરણા-દેખાવો-સભા-સરઘસોમાં, દલિત અત્યાચારના બનાવોની સ્થળ તપાસોમાં કે વિરોધ કાર્યક્રમોમાં એ અનુકૂળતા કરીને જોડાતા. પાલનપુર નજીકના સાંબરડા ગામમાં દલિતો પરના ત્રાસથી ૧૩૧ દિવસની હિજરતની સંઘર્ષ કથાનું ‘સાંબરડાથી સ્વમાનનગર’ નામે દસ્તાવેજી પુસ્તક અમે સાથે મળીને લખ્યું હતું.

મોટા ગજાના બૌદ્ધિકો-કર્મશીલો સાથે તેમના પરિચયો અને સંપર્કો છતાં તે કાયમ લો પ્રોફાઈલ અને જમીનથી જોડાયેલા રહ્યા. જેમ દલિત-આદિવાસીની અનામતના, તેમનાં શિક્ષણના, સશક્તિકરણના તે પક્ષધર હતા તેમ જમીનોની ફેર વહેંચણી કે જમીન સુધારના પણ મોટા હિમાયતી હતા. લેન્ડ રિફોર્મ હવે ભારતમાં નોન ઈસ્યુ છે એમ કહેનારને ફટકારતાં એમણે લખેલું, ‘જમીન ફેરવહેંચણીનો એકડો કાઢી નાંખીએ તો તો સૌરાષ્ટ્રના પટેલોમાં દરબારોના અત્યાચારોનો સામનો કરવાની તાકાત આવી ગઈ, તે, દલિતો-આદિવાસીઓ-ઓબીસીમાં કદી આવશે નહીં.’ હર્ષદભાઈ  કોઈ પ્રભાવી વક્તા નહોતા. એ ગપશપમાં, નાના જૂથ સાથેની ચર્ચા-ગોષ્ઠિઓમાં કે અંગત વાતચીતમાં જ વધુ ખીલતા. એમની વાતો એટલી મૌલિક, અર્થગંભીર અને પાયાની રહેતી કે સાંભળનારે તે માટે સજ્જ રહેવું પડતું. 

‘એટલે’ એ હર્ષદભાઈનો તકિયાકલમ હતો. લગભગ દર એક-બે વાક્યને અંતે એ ‘એટલે’ બોલતા. એમની વિદાય પછી વિચારું છું કે હર્ષદભાઈ એટલે શું ? તો એક પ્રકારનો ખાલીપો લાગે છે. એ સાચું કે એમણે બહુ બધંુ લેખન કર્યું નથી કે કોઈ મોટા આંદોલનનું નેતૃત્વ કર્યું નથી. પણ નેપથ્યમાં રહીને એમણે જે મોટી મોટી ભૂમિકાઓ ભજવી છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. એ જેટલા પ્રેમાળ એટલા પારદર્શી. અભિગમમાં જેટલા સમ્યક એટલા સ્પષ્ટ વક્તા. એમના જેવા અધ્યાપકનું, કર્મશીલ રાહબરનું, બૌદ્ધિકનું ગુજરાતના અને દેશના જાહેરજીવનમાં હોવું એ જ મોટું આશ્વાસન હતું. ‘નયામાર્ગ’કાર ઈન્દુભાઈ જાનીએ કંઈ અમથા એમને ‘ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ’ નથી કીધા. લેખનના આરંભે એમણે ધારણ કરેલું ‘અંગદ તરફદાર’ નામ આજીવન સાર્થક કર્યું છે.

ભલે જાહેરજીવનમાં અંગદ કૂદકા જેવું એમનું પ્રદાન ન રહ્યું, પણ એમણે જે કંઈ કર્યું છે તે અંગદપદથી લગીરે કમ નથી. ‘સામાજિક ન્યાય’ એ સદાય ઝંખતા અને આપણા બૌદ્ધિક વિમર્શમાં એની અનિવાર્યતા સમજાવતા. ‘૯૦ ટકા પ્રજાને ન્યાય મળે અને છતાં ઈકોનોમીનો ગ્રોથ રેટ વધે, બધા ક્ષેત્રોમાં સર્જકતાને ખીલી ઉઠવાનો મોકો મળે, જળ-જમીન-જંગલ જેવી સહિયારી મિલકતો જોરાવર ૧૫-૨૦ ટકા લોકો-પરિબળો જ બથાવી ના પાડે, કોર્નર ના કરી લે- એવો કાર્યક્રમ અપનાવવા છતાં કોઈ રાજકીય પક્ષ ચૂંટણીમાં જીતી શકે એવું ભારતમાં શક્ય બનશે?’ એવો લાખેણો નિરુત્તર સવાલ, આપણા માટે છોડી જનાર હર્ષદ દેસાઈ એટલે ગુજરાતની મોંઘેરી બૌદ્ધિક અને કર્મશીલ સંપદા.

સૌજન્ય : ‘હર્ષદભાઈ એટલે’, “દિવ્ય ભાસ્કર”, August 25, 2016

Loading

26 August 2016 admin
← Kandhamal: Long Wait for Justice
સંઘ પરિવાર અને કુટુંબનિયોજન: વધુ બાળકોના મુદ્દે અગાઉ ભાગવતે કરી તી ટીકા →

Search by

Opinion

  • ચકલી આવી
  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved