Opinion Magazine
Number of visits: 9449532
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માથેરાનમાં હાથી અને ઊંટ! 

દીપક મહેતા|Opinion - Opinion|20 May 2025

ગ્રંથયાત્રા : 4

મુંબઈનાં કેટલાંક છાપાંમાં એક અહેવાલ પ્રગટ થયો છે : મુંબઈગરાઓના પ્રિય હિલ સ્ટેશન માથેરાનમાં પોલ્યુશન વધી રહ્યું છે. કારણ? ‘અભ્યાસ’ કર્યા પછી સરકારી નિષ્ણાતોની એક સમિતિએ કહ્યું છે કે આનું મુખ્ય કારણ છે ઘોડાની લાદ! અરે ભલા માણસ! અંગ્રેજોએ એક હિલ સ્ટેશન તરીકે માથેરાન ‘શોધી કાઢ્યું’ ત્યારથી ત્યાં ઘોડા-રાજ ચાલે છે. દાયકાઓ સુધી ઘોડા અને હાથ રિક્ષા સિવાય બીજું કોઈ વાહન અહીં વપરાતું નહિ. પહેલાં ઈ-રિક્ષા દાખલ કરીને હાથ રિક્ષા ચલાવનારાઓના પેટ પર પાટુ માર્યું. હવે થોડા વખતમાં ઘોડાવાળાઓનું આવી બનશે. મુંબઈમાં પોલ્યુશનનું એક મુખ્ય કારણ મોટર-બસ છે, માટે અહીંથી મોટર-બસ હાંકી કાઢો એમ કોઈ નહિ કહે. પણ માથેરાનમાં પોલ્યુશન! મારો ઘોડાવાળાનાં પેટ પર લાત!

પણ સવા સો વરસ પહેલાંના  માથેરાનમાં તો ઘોડા ઉપરાંત હાથી અને ઊંટ પણ જોવા મળતાં! માન્યામાં નથી આવતું? તો જાણો ૧૮૯૧માં પ્રગટ થયેલા એક પુસ્તકમાંથી માથેરાનની કેટલીક અવનવી વાતો.

*  

માથેરાનમાં હાથી અને ઊંટ! 

તમે માથેરાન તો ગયા જ હશો. પણ ત્યાં તમે ક્યારે ય હાથી કે ઊંટ જોયાં છે? તમે પૂછશો : ભાઈ, તમારું ઠેકાણે તો છે ને? ત્યાં તો ઘેટાં-બકરાં જોવા મળે, ઘોડા-ખચ્ચર જોવા મળે, પણ હાથી અને ઊંટ? હા, આજે ન જોવા મળે, પણ ૧૮૯૧ની સાલમાં કદાચ જોવા મળતાં હશે. કારણ તે વખતે દસ્તૂરી આગળ ટોલ ટેક્સના દરનું જે પાટિયું માર્યું હતું તેમાં હાથી માટેનો ટેક્સ દોઢ રૂપિયો અને ઊંટ માટેનો ટેક્સ આઠ આના લખ્યો હતો. પાલખી માટે એક રૂપિયો, ઘોડા માટે એક રૂપિયો છ આના, ઘેટાં, બકરાં, ડુક્કર માટે એક પાઈ, અને બીજાં કોઈ પણ જાનવર માટે ત્રણ પાઈ ટેક્સ લેવાતો. આ માહિતી મળે છે ૧૮૯૧માં પ્રગટ થયેલ ‘માથેરાન : તેનો મુખતેસર હેવાલ, આબોહવા, તવારીખ, ઈત્યાદી : તેના વિગતવાર નકશા સાથે’ એવા લાંબાલચક નામવાળા પુસ્તકમાંથી. એ પુસ્તકના રચનાર છે ગુલબાઈ ફરામજી પાઠક. મુંબઈના કૈસરે હિન્દ પ્રેસમાં છપાયેલા ૭૨ પાનાંના આ પુસ્તકની કિંમત હતી એક રૂપિયો, એટલે કે એક હાથી પરના ટોલ ટેક્સ કરતાં પણ ઓછી! લેખિકાએ આખું પુસ્તક બે રંગમાં છપાવ્યું છે – દરેક પાને ઘેરા લાલ રંગની બોર્ડર છાપી છે. પુસ્તકને અંતે માથેરાનનો ખાસ્સો મોટો એવો નકશો ચોડેલો છે. 

પુસ્તકમાં જણાવ્યું છે કે માથેરાનની ટેકરીને સરકાર અને લોકોના ધ્યાન પર પહેલી વાર લાવનાર હતો તે વખતનો થાણાનો કલેકટર હ્યુ પોઈન્ઝ મેલેટ.૧૮૫૦માં ત્યાં પહેલો બંગલો પણ આ મેલેટે જ બાંધ્યો હતો, જે ‘ધ બાઈક’ તરીકે ઓળખાતો. વખત જતાં બંગલાઓ બાંધવા માટે કુલ ૬૫ અરજીઓ આવી હતી. મોટા ભાગના અરજદારો બ્રિટિશ હતા. ઉપરાંત સર જમશેદજી જીજીભાઈ, રૂસ્તમજી મેરવાનજી, હિરજી જહાંગીર, મંચેરજી જમશેદજી વગેરે ૧૨ પારસીઓનો પણ તેમાં સમાવેશ થતો હતો. યાદીમાં એક પણ હિંદુ ગુજરાતીનું નામ જોવા મળતું નથી. હા, વિનાયક ગંગાધર એ એક માત્ર મરાઠીભાષીનું નામ જોવા મળે છે.

આ પુસ્તક પ્રગટ થયું ત્યારે હજી નેરલ-માથેરાન ટ્રેન થઇ નહોતી. એટલે નેરળથી પગરસ્તે જ જવું પડતું. લેખિકાએ મુંબઈથી નેરલ (જેને તેઓ ‘નારેલ’ કહે છે) અને ત્યાંથી માથેરાન સુધીની મુસાફરીનું વર્ણન કર્યું છે. તે પછી માથેરાનનાં ઋતુઓ, ભૂગોળ, વગેરેની ટૂંકી માહિતી આપી છે. ત્યાર બાદ પેનોરામા, ગારબૂત, હાર્ત, એકો, વગેરે પોઇન્ટની માહિતી આપી છે. આ ઉપરાંત પાણીના ઝરા અને તળાવોનો પરિચય પણ આપ્યો છે. તેમણે એ વખતની બજારનું જે વર્ણન કર્યું છે તે પરથી જણાય છે કે બજારમાં કુલ દસ દુકાન હતી. બે ગાંધીની, બે શાકભાજીની, એક દરજીની, એક કન્દોઇની અને ત્રણ કરિયાણાની. ‘હોલ શોપ’ નામની એક ફિરંગી દુકાન પણ હતી. 

માથેરાનમાં જોવા મળતાં પશુપંખી, પેટે ચાલનારાં પ્રાણીઓ, વગેરે વિષે લખ્યા પછી લેખિકાએ હોટેલોની વાત કરી છે. આજે તો જ્યાં જુઓ ત્યાં નાની મોટી હોટેલો જ હોટેલો જ જોવા મળે છે. પણ એ વખતે માથેરાનમાં ફક્ત છ હોટેલ હતી : ગ્રેન્વિલ, પિન્ટો, રગબી, ક્લેરેન્ડન, વિક્ટોરિયા, અને આલ્બર્ટ વિક્ટર. તેમાંની પહેલી ચાર હોટેલ માત્ર અંગ્રેજો માટે હતી, ‘દેશી’ઓને માટે તેમાં પ્રવેશબંધી હતી. ‘દેશી’ઓ માટે ફક્ત બે જ હોટેલ હતી. તેમાં પણ વિક્ટોરિયા હોટેલ તો ફક્ત પારસીઓ માટે જ હતી. એટલે કે બિન-પારસી ‘દેશી’ઓ તો માત્ર એક જ હોટેલમાં ઉતરી શકતા – આલ્બર્ટ વિક્ટરમાં! અંગ્રેજો માટેની ચારે ચાર હોટેલમાં રોજનું ભાડું પાંચ રૂપિયા હતું, જેમાં ભોજનનો સમાવેશ થતો, પણ દારૂનો નહિ. જ્યારે વિક્ટોરિયા હોટેલનું ભાડું ત્રણ રૂપિયા હતું. શાપુરજી નવરોજીએ તે શરૂ કરેલી. ‘દેશી’ઓ માટેની એક માત્ર હોટેલનું ભાડું કેટલું હતું તે લેખિકાએ જણાવ્યું નથી. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સામે આવેલી લાયબ્રેરી અને જીમખાનાની વિગતો પણ પુસ્તકમાં આપી છે. અને છેલ્લે આપી છે એક મજાની વાત. ૧૮૯૦માં મુંબઈની મિસ્ટર બાલીવાલાની વિક્ટોરિયા નાટક મંડળી માથેરાન ગઈ હતી. ખાસ બાંધેલા તંબુમાં ત્રણ દિવસ સુધી નાટકના ખેલો થયા હતા. તેમાંથી જે કાંઈ આવક થઇ તે બધી બાલીવાલાએ માથેરાનને દાનમાં આપી દીધી હતી. એ રકમમાંથી દરેક પોઈન્ટ પર લોકોને બેસવા માટે એક-એક બાંકડો મૂકવામાં આવ્યો હતો. આજે એ બાંકડા ક્યા હશે? આજે આ લેખિકા માથેરાન જાય તો એમાંના કોઈ બાંકડા પર બેસી શકે? આજના માથેરાનને ઓળખી શકે? આજે ઘણું બદલાયું છે, પણ આ લખનારે પુસ્તકની જે નકલ જોઈ છે તેનું મૂળ અસલનું બાઈન્ડીંગ સચવાઈ રહ્યું છે. ભૂરા રંગના પાકા પૂંઠા પર ઉપર નીચે કાળા રંગમાં ફૂલ-વેલની ડિઝાઈન છાપી છે, અને વચમાં પુસ્તકનું અને લેખિકાનું નામ સોનેરી શાહી વડે છાપ્યું છે. આજે ૧૨૩ વર્ષ પછી પણ એ સોનેરી રંગ એવો ને એવો રહ્યો છે, જરા ય ઝાંખો પડ્યો નથી. હા, માથેરાનના રંગો ઘણા બદલાઈ ગયા છે, ઝાંખા પડી ગયા છે. 

XXX XXX XXX

20 May 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

20 May 2025 Vipool Kalyani
← સોક્રેટિસ ઉવાચ-૭ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ 
તિલોર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved