Opinion Magazine
Number of visits: 9446493
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માસ્તર એટલે મસોતું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 March 2024

રવીન્દ્ર પારેખ

શિક્ષણ વિભાગને માટે માસ્તર, મસોતું જ છે. માસ્તરને મસોતું ગણવાનો શિક્ષણ વિભાગને વાંધો નથી કે નથી તો વાંધો માસ્તરોને મસોતું ગણાવાનો. એ માસ્તર જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે, તેનાં પોતાનાં ભવિષ્યના કોઈ ઠેકાણાં નથી. માસ્તરો એવા પણ છે જે કૈં કર્યા વગર અનેક સન્માનો લઈને, ઉપરીઓની ખુશામત કરીને, અનેક અનાચારો કરીને ચામડી બચાવેલી રાખે છે, તો થોડા એવા પણ છે જેની ચામડીનાં જોડાં પણ ઓછાં પડે. તે ફરજ પરસ્ત, વફાદાર અને ભીરુ છે. તે શોષિત છે. ભીરુ છે એટલે શોષિત વધારે છે. એવાઓનો ઉપયોગ સરકાર જ નહીં, સાથી શિક્ષકો પણ મસોતાની જેમ જ કરતાં હોય છે.

આમ તો મસોતું એટલે ગરમ વાસણ ચૂલા પરથી ઉતારવા વપરાતું મેલું કપડું. લૂગડાનો ચોળાયેલો કકડો જે ધોળવા, લૂંછવા વપરાતો હોય. ચૂંટણીનું આંધણ ચડ્યું હોય તો માસ્તર /મસોતું પકડો ને વાસણ ઉતારી લો કે બેડો પાર ! ચૂંટણીની તાલીમ આપવાની છે, માસ્તર હાજર છે. પરીક્ષામાં સુપરવાઇઝર જોઈએ છે, બોલાવો માસ્તરને, ઉત્તરવહી તપાસવાની છે, માસ્તરોના ઓર્ડર કાઢો, આવશે ને તપાસી પણ આપશે ઉત્તરવહીઓ. આ વખતે મુશ્કેલી એ થઈ છે કે શિક્ષકને આ ત્રણેય કામગીરીઓ એક સાથે કરવાની આવી છે. ચૂંટણી આવી રહી છે ને તાલીમી વર્ગો ભરવાના છે, પરીક્ષામાં સુપરવિઝન પણ કરવાનું છે ને તે પતે તો ઉત્તરવહીઓ પણ તપાસવાની છે. કઈ કામગીરી કરવી ને કઈ નહીં, તેની પસંદગી તેની નથી, એટલે ઘણા શિક્ષકોની મૂંઝવણ વધી છે. ત્રણેય જવાબદારીઓ મહત્ત્વની છે ને સરકાર તો ઈચ્છે જ કે ત્રણે તપેલાં ઉતારવામાં માસ્તર / મસોતું કામમાં આવે. સરકારે / બોર્ડે તો ઉકેલ શોધ્યો જ છે, પણ મશીનને માણસમાં ફેર ન રહે એવો છે. એવી વફાદારી સરકાર / બોર્ડ પાસેથી રાખવાની હોય તો ત્યાં જવાબ હકારમાં આવવાની શક્યતાઓ ઓછી જ છે.

આ વખતે સૌથી ઉપર ચૂંટણી છે, પણ મુશ્કેલી એ છે કે તે બોર્ડની પરીક્ષા વખતે આવી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂરી થઈ છે ને ઉત્તરવહીઓ તપાસવાનું શરૂ થયું છે. આ જ ગાળામાં ઘણી સ્કૂલોમાં લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવવા અંગેની તાલીમમાં હાજર રહેવાના હુકમો પણ થયા છે. એ સાથે જ ગુજકેટની તથા અન્ય પરીક્ષાઓ પણ શરૂ થવા જઈ રહી છે ને તેને માટે વર્ગ ખંડમાં સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવવાના ઓર્ડરો પણ થયા છે. ત્રણે જવાબદારીઓ નિભાવી શકાતી હોત તો તેવું કામ સરકારે / બોર્ડે શિક્ષક પાસેથી લીધું જ હોત ને શિક્ષકે તે કર્યું પણ હોત, પણ કોઈક માટે તે શક્ય ન હોય ત્યારે ફરજ કઈ રીતે બજાવવી તેની મૂંઝવણ શિક્ષકો અનુભવે છે. જો કે, એનો ઉકેલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એમ શોધ્યો છે કે ચૂંટણીની તાલીમ પૂરી કરીને કે સુપરવિઝન પતાવીને શિક્ષકે પેપર તપાસવાની કામગીરી પણ કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એકથી વધુ ફરજો એક સાથે બજાવી શકતા હશે, પણ શિક્ષકો એકથી વધુ ફરજ બજાવી જ શકે એવું શિક્ષકે તો નહીં, પણ સાહેબે તો માની જ લીધું છે. એમ પણ માની લેવાયું છે કે એકથી વધુ ફરજો એકથી વધુ સ્થળોએ બજાવવા જેટલા શિક્ષકો સક્ષમ છે. પરીક્ષણની કામગીરી 11થી 5ની સોંપાઈ હોય તો બીજી ફરજ ક્યારે ને ક્યાં બજાવવી એ પ્રશ્ન જ છે, પણ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના આદેશનું પાલન તો થવું જ ઘટે ને મસોતું તેનું પાલન કરશે પણ ! કરે જ છે.

એટલું છે કે સરકાર, શિક્ષકો પહોંચી વળે એટલું જ કામ શિક્ષકો પાસેથી લે છે. શિક્ષકો યાંત્રિક રીતે કામ કરે, સર્જનાત્મક ન રહે કે સામે શિંગડા ન ભરાવે એ રીતે તેમની પાસેથી કામ લઈ શકાય છે. જો કે, બોર્ડની પરીક્ષામાં પરીક્ષક તરીકેની કામગીરીમાં શિક્ષકોને જોતરવાની વાત આવી, તો કેટલાક શિક્ષકોએ ફરજ પર હાજર રહેવાનું મુનાસિબ નથી માન્યું. જો કે, તેમની સામે પગલાં ભરવાની વાત પણ છે જ ! આ વખતે ચૂંટણી છે એટલે બોર્ડ વહેલું પરિણામ જાહેર કરવા ઉત્સુક છે. એવે વખતે પરીક્ષકો કામગીરી કરવા હાજર ન રહે તો પરિણામમાં વિલંબ થાય ને તે કોઈને જ ન પરવડે એમ બને. કદાચ વિદ્યાર્થીઓના મત મેળવવા હોય કે વિદ્યાર્થીઓ પાસ થાય તો વાલીઓના મત લોકસભા ચૂંટણીઓમાં પડે એટલે, પણ આ વખતે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની દાનત ચોખ્ખી જણાઈ આવે છે.

ગયે વર્ષે પરીક્ષણ દરમિયાન સોએ બારથી પંદર વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા, પણ આ વખતે એ ટકાવારી બેથી ત્રણ પર આવીને અટકે એવી શક્યતાઓ છે. આ ઘટાડો વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તા પર આધારિત ન હોય એમ બને. પરીક્ષકોની ખેંચના સમયમાં જે તે વિષયના પરીક્ષક હાજર ન હોય તો જે હાજર હોય તે પણ પેપર તપાસી લે છે. કોમર્સના હજારો વિદ્યાર્થીઓના પેપર જુદા જુદા વિષયના શિક્ષકો સેકશન પ્રમાણે તપાસે છે. સેકશન એ- એક પરીક્ષક તપાસે, બી-બીજો, સી- ત્રીજો એમ છથી સાત પરીક્ષકો દ્વારા એક પેપર તપાસાય છે. આ બધાંની ઉપર એક મૉડરેટર પણ ખરો, જે આખું પેપર પોતે ચેક કરે છે ને જરૂર પડે તો તે માર્કમાં વધારો ઘટાડો પણ કરી લે છે. એક સમય એવો હતો કે આખું પેપર એક જ પરીક્ષક તપાસતો કે સેકશન બે હોય તો બે પરીક્ષક સુધી વાત જતી. હવે સેકશન પ્રમાણે પરીક્ષકોની ભીડ કરવાનું વધુ ચોકસાઇ માટે છે કે વધુ ઉદારતા માટે તે સમજાતું નથી.

એક તરફ પરીક્ષકોની તંગી છે ને બીજી તરફ સેકશન દીઠ પરીક્ષકો ફાજલ પાડવામાં આવે છે. વારુ, આ બધું શુદ્ધ હેતુથી થતું હોય તો, તો પ્રશ્ન જ નથી, પણ દળી દળીને કુલડીમાં-ની જેમ કોઈ પણ રીતે વાત વિદ્યાર્થીને પાસ કરવાની જ હોય તો પરીક્ષાના આવા ભવ્ય તાયફા કરવાની જરૂર ખરી? સાચું તો એ છે કે તટસ્થ મૂલ્યાંકનની વાત ખાસ રહી જ નથી. બોર્ડની પરીક્ષામાં 5 માર્ક લાવનારને 23 માર્કસ સુધીનું ગ્રેસિંગ ભૂતકાળમાં અપાયું હોય ને ગુજરાતીના પેપરમાં લાખો વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય તો પરીક્ષાનું ને શિક્ષણનું શું અને કેવું મૂલ્ય આપણે નીપજાવ્યું છે તે કહેવાની જરૂર નથી. શિક્ષક ભણાવવા માટે પણ છે, એ વાત ભુલાઈ ચૂકી છે, તેનું આ પરિણામ છે.

વિદ્યાર્થીઓને પરીક્ષામાં ડિજિટલ ઘડિયાળ કે મોબાઈલ રાખવાની છૂટ નથી, જ્યારે પરીક્ષકને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં મોબાઈલ રાખવાની છૂટ છે ને ચાલુ કામગીરી દરમિયાન મોબાઈલ આવે તો પરીક્ષક બહાર જઈને વાત પણ કરી શકે છે. એ ફોન માર્ક સંદર્ભે ન જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. ટૂંકમાં, જે પરીક્ષકના ઘરે થઈ શકે તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ન જ થાય એવું નથી. ત્રીસેક માર્ક લાવે તો વિદ્યાર્થીને પાસ માર્ક સુધી લાવવાની ગરજ પરીક્ષકની છે. પાસ કરવાની એક સગવડ એવી પણ વધારાઈ છે કે કોઈ વિદ્યાર્થી પુસ્તક પ્રમાણે જવાબ ન લખે, પણ જવાબમાં પ્રશ્નનું હાર્દ આવી જતું હોય, તો તેને ક્રિએટિવ ગણી માર્ક આપવા. મતલબ કે અત્યાર સુધી ક્રિએટિવ જવાબોને સ્થાન ન હતું, પણ હવે તેનો મહિમા વધ્યો છે. કદાચ ચૂંટણીને કારણે હોય એમ બને, બાકી, પાસ કરવામાં કોઈ કસર ન રહે તે માટે બોર્ડ કટિબદ્ધ છે. આ વખતે તો બોર્ડની પરીક્ષાનું પરિણામ 70 ટકા આવવાની વકી છે. ચૂંટણી સંદર્ભે એ કદાચ ઓછું છે. શક્યતાતો એવી છે કે બોર્ડનું પરિણામ 70 નહીં, પણ 170 ટકા આવે. જેનો શિક્ષણ વિભાગ જ ફુલ્લી નાપાસ હોય, તે 70 ટકા લાવે કે 170 ટકા, શો ફરક પડે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 માર્ચ 2024

Loading

25 March 2024 Vipool Kalyani
← લદ્દાખની ઠંડીમાં આંદોલનની ગરમી : આસમાનથી બચ્યા અને ખજૂર પર અટક્યા?
ડરીને મૂંગા રહેવું અને પૈસા ખાઈને ખોટાને અનુમોદન આપવું એમાં પાયાનો તફાવત છે ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved