Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુષ્ય ગરિમાનાં શાંત સ્વતંત્રતા આંદોલક નીલમબહેન પરીખની વિદાય

બકુલ ટેલર|Gandhiana|8 April 2025

નીલમબહેન પરીખ

આપણી વચ્ચેથી નીલમબહેન પરીખે પહેલી એપ્રિલે વિદાય લીધી. તેમની ઓળખ આપવી પડે તેમાં એક સામાજિક તરીકે આપણું ગૌરવ નથી, પણ એવા ગૌરવખંડનના તો અનેક ઉપક્રમો આપણે જીવનવ્યવહારમાં અપનાવી લીધા છે, એટલે કહેવાનું કે જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખતા આવ્યા છીએ તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી અને ગુલાબબહેન ગાંધીનાં પાંચ સંતાનોમાં મોટાં એવાં રામીબહેનનાં દીકરી તે નીલમબહેન ગાંધી. યોગેન્દ્રભાઈ પરીખને પરણેલાં એટલે નીલમબહેન પરીખ. આ નીલમબહેન પરીખ ઝીણાભાઈ દરજીના આગ્રહથી વ્યારા વિસ્તારમાં આવ્યાં. તે પહેલાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં જોડાયેલાં રહેલાં અને ઓરિસ્સાના એક ગામમાં રહેતાં હતાં. 1962થી તેઓ વ્યારા વિસ્તારનાં થયાં. ગામિત લોકોનાં ભણતર અને કૌશલ્ય વિકાસનું કામ કર્યું. ‘દક્ષિણાપથ’ નામની સંસ્થા શરૂ કરી આ કામને એ વિસ્તારમાં વ્યાપક બનાવતાં ગયાં. આર્થિક સ્વાવલંબન કેળવવું તે પણ સ્વતંત્રતાપ્રાપ્તિનું એક કાર્ય છે. વ્યક્તિગત સ્વાતંત્ર્યનો એક સાદો ઉપક્રમ નીલમબહેને અપનાવ્યો. આ ઉપક્રમ કોઇ જાહેર ઉપક્રમ બને અને પ્રચાર વડે મોટો થાય તેવું તેમણે ક્યારે ય કશું ન કર્યું. બાકી આવ્યાં તો હતાં મુંબઇથી જ્યાં બધી સગવડ હોય, વ્યવસ્થા હોય, વ્યારાનાં ગામોમાં તો વીજળીનાં ય પૂરતાં અજવાળાં નહીં પણ આદિવાસી વચ્ચે કામ શરૂ કર્યું અને તેમનામાં રહેલા કૌશલ્યને કેળવવાનું કામ કર્યું. ગાંધીજી વર્ષો પહેલાં આ જ કરતા હતા. પોતાની પાસે કોઇ આવે અને કહે કે અમને કોઇ કાર્ય ચીંધો તો ગાંધીજી તેમને કોઇ ગામડામાં કામ કરવા મોકલતા.

નીલમબહેન 1962થી દક્ષિણ ગુજરાતમાં રહ્યાં અને વિત્યાં 30 વર્ષથી તો નવસારી તેમનું નિવાસસ્થાન હતું પણ બહુ ઓછાને ખબર પડી કે તેઓ ગાંધીજીના વંશજ છે. તેમણે રચનાત્મક કાર્યને જ જીવન બનાવેલું. ગાંધીજીના જે આદર્શો તેઓ સમજ્યા તેને જીવ્યા. અન્યો તો ઠીક પોતાનાં સંતાન યા પુત્રવધૂ યા પૌત્ર-પૌત્રી પણ ગાંધીજીના આદર્શ પાળે એવો આગ્રહ ન રાખ્યો. આ વલણ બહુ અનોખું કહેવાય અને ગાંધીજીને જેઓ સમજે છે તેમને મન સહજ પર કહેવાય. ગાંધીજીના આદર્શ કાર્યબોધ રૂપે પ્રગટ થવા જોઇએ.

નવસારીમાં તેમને જે વર્ષો મળ્યાં તેમાં તેઓ લેખન તરફ વધુ સક્રિય રહ્યાં અને તે પણ ગાંધી વિનોબા કેન્દ્રી લેખન જ છે. દિનકર જોશીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પ્રગટ થઇ અને પિતા ગાંધીજી અને પુત્ર હરિલાલ ગાંધી વચ્ચેના સંબંધ વિશે જાહેર ચર્ચાઓ જાગી. આ નવલકથાના આધારે મરાઠીમાં ગાંધી વિરુદ્ધ ગાંધી નાટક ભજવાયું અને ચર્ચા વધારે વ્યાપક બની. એ ચર્ચા ગાંધીની મર્યાદાને મુદ્દા બનાવનારી હતી. સ્વતંત્રતાપ્રાપ્તિ પછીના સમયમાં ધીરે ધીરે ગાંધીજીની મર્યાદાઓ કેવી કેવી હતી તેને જાહેર જીવનમાં ચર્ચવાનું શરૂ થયું હતું. આ એક અપમાનજનક વલણ હતું પણ જાહેર જીવનની વ્યક્તિ તેનાથી બાદ પણ ન રહી શકે. ભલે ન રહે. નીલમબહેન પરીખ સામાન્યપણે ગાંધીજી વિશે જાહેર પ્રતિક્રિયા આપનાર વ્યક્તિ નહીં. તેમણે તે વખતે ‘ગાંધીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી’ પુસ્તક લખ્યું. અત્યંત સ્વસ્થ રહી ગાંધી-હરિલાલના જીવનક્રમની ઘટનાઓમાં રહી નાની નાની વિગતો અને વ્યવહારના સંદર્ભ સાથે કુટુંબ સંસ્કાર અને ભારતીય મન સાથે નીલમબહેન જે આલેખન કર્યું છે તે ઉદાહરણરૂપ છે. હરિલાલ તો તેમના દાદા અને ગાંધીજી પરદાદા. જાહેરજીવનની વિશ્વવિભૂતિ અને તેમની સામે વગોવાયેલા, જાહેરમાં ચર્ચા કરવી ન ગમે તેવી કુટેવોમાં જીવેલા દાદા. આ બે ઓળખને પિતા-પુત્ર સંબંધે ઊંડી નિસ્બતથી આલેખવામાં કસોટી થઇ જાય પણ તમે જોશો તો થશે કે એ પુસ્તકમાં હરિલાલ ગાંધી એક વિશેષ માનવીય સંજોગોને પૂરી તીવ્રતાથી ક્રિયા-પ્રતિક્રિયામાં રહી જીવવા મથે છે.

ગાંધીજીને પીડા છે પણ તેઓ માત્ર કુટુંબસંબંધને વંશગત સંબંધને માનતા નથી. તેનાથી વિરાટ ભૂમિકાએ તેઓ દેશ માટે જીવે છે. નીલમબહેન પરીખે ક્યાં ય કોઈ બચાવના તર્ક વિના એ પુસ્તક લખ્યું છે અને તેમનું આ મોટું પ્રદાન છે. આ પુસ્તકના જ આધારે ફિરોઝ ખાન નામના આપણા દિગ્દર્શકે ‘ગાંધી માય ફાધર’ ફિલ્મ બનાવી હતી.

નીલમબહેનની કમાલની સ્વસ્થતા એ કે ‘ગાંધીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી’ પુસ્તક પછી પણ ક્યારે ય ગાંધીજી વિશે જાહેર કાર્યક્રમોમાં દેખાયા નથી. ‘મારું કહેવાનું હતું તે કહી દીધું.’ બસ આ વલણ. ત્યાર પછી તેમણે ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ અને ‘ગાંધીજીના સહસાધકો’ પુસ્તકો લખ્યાં. તેમણે ‘સુરૂચિ સર્જક મોહનભાઈ પરીખ’ પુસ્તક પણ લખ્યું. ‘સત્યશોધકનો કળાપ્રેમ’ પણ આ પુસ્તકોના ક્રમમાં છે. આ ઉપરાંત હમણાં ‘રાષ્ટૃીય ચેતનાના ભેખધારીઓ’, ‘વંશજ મહામાનવના’ અને ‘કર્મયોગના દીક્ષાર્થી વિનોબા’ પુસ્તિકાઓ પણ લખી હતી.

દક્ષિણ ગુજરાતનાં નારાયણ દેસાઈ અને નીલમબહેન પરીખ એવાં કહેવાય જેમણે નિરંતર ગાંધીચેતના જગાવી રાખી. આમાં નીલમબહેન તો જાણે પોતાને છુપાવી રાખી જીવ્યાં. તેમના દીકરા સમીર પરીખ અને પુત્રવધૂ ડૉ. ગોપી પરીખ નવસારીમાં ડૉક્ટર તરીકે પ્રવૃત્ત છે પણ તેઓ ક્યારે ય પોતે ગાંધીકુટુંબની ઓળખ આપી ગૌરવ ઉઘરાવતાં નથી. નીલમબહેન જ્યારે વ્યારા ક્ષેત્રમાં કાર્યથી નિવૃત્ત થયાં ત્યારે પોતાનું મકાન નહોતું અને નવસારી આવ્યાં હતાં. રિઝર્વ બેન્કે તો ગાંધીછાપ ચલણ આપ્યું જ છે ને વ્યવહારમાં તે પ્રચલિત પણ છે. ગાંધીનું કેવું ચલણ તેમના કુટુંબને માન્ય છે તે તમને નીલમબહેનના કુટુંબ જીવનમાં પમાશે.

મનુષ્યત્વને થકવી નાંખનારા આજના અનેક વિરોધાભાસના ભરેલા જીવનમાં ગાંધીજી એક શાંત જ્યોત છે અને તેનું બે હથેળીઓ વડે રખોપા કરવાનું કાર્ય નીલમબહેને એટલી જ શાંતિથી કર્યું છે. રચનાત્મક કાર્યો કરતા રહો એ સિવાય કોઈ ગાંધી આદર્શ નથી.

નીલમબહેનને વિદાયવંદના !  

સૌજન્ય : ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2025

Loading

8 April 2025 Vipool Kalyani
← એક અદ્ભુત સાહિત્ય કૃતિ
વિમલાતાઈ : સામાજિક અભિજ્ઞતા ને સક્રિયતા વગરનું અધ્યાત્મ લંપટતા કહેવાય! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved