Opinion Magazine
Number of visits: 9450904
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંત્રકવિતાના વધૈયા નિરંજન ભગત

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|3 February 2018

વાત જો યંત્રની અને મંત્રની છે તો એના સમાધાન સારુ, કવિએ તંત્રનું યે ચિંતવન કરેલું છે

શુક્રવારે સવારે પરિષદભવનના ગોમાત્રિ સ્મૃિતખંડમાં રવીન્દ્ર સંગીતની સાખે સૌ કવિ નિરંજન ભગતનાં અંતિમ દર્શન કરી રહ્યા હતા ત્યારે એકથી વધુ વાર આવર્તન પામેલી રચના ‘સન્મુખે શાંતિ પારાવાર’ હતી. સહજ ક્રમપ્રાપ્ત મૃત્યુમાં પરમ સખા જોતી સ્કૂલની રીતે ‘શાંતિ પારાવાર’ની આ ગુંજ અને અનુગુંજનું એક પોતીકું લૉજિક પણ હતું. પણ ‘સન્મુખે શાંતિ પારાવાર’ની આ અનુગુંજ ક્ષણોમાં રહી રહીને થઈ આવતું સ્મરણ રવીન્દ્રનાથનાં ‘પ્રાન્તિક’ કાવ્યોનું હતું.

રવીન્દ્રનાથ લય પામ્યા તો જરી મોડેથી, પણ 1937માં એ પંચોતેરેકના હશે ત્યારે એક સાંજે વાત કરતાં અચાનક બેભાન થઈ ગયા અને ખાસા બે દિવસે ભાનમાં આવ્યા હતા. મૃત્યુનો આ અનુભવ લઈને પાછા ફરેલા કવિએ તે અનુભવનાં જે કાવ્યો આપ્યાં તે ‘પ્રાન્તિક.’ રવીન્દ્રનાથે આ અનુભવયાત્રાની પરિણતિરૂપે પોતે નવજીવન પ્રાપ્ત કર્યું હોવાનું પણ કહ્યું છે.

જો કે, નિરંજન ભગતને વિદાય વંદના પાઠવતે પાઠવતે ‘પ્રાન્તિક’ કાવ્યો સાંભરી આવતાં હોય તો એનું એક કારણ નિરંજન જેમના અનુજવત હતા તે ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’ના વિવરણરૂપે કરેલી માંડણી છે: ‘…અંતિમ ક્ષણે પરિપક્વરૂપે કવિની વાણી ‘વગર અવાજે’ અનંતની પૂજાની છાબમાં ભલે ખરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે, વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસત્્ના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવવાનું રહે છે જ એ પ્રતીતિ આગળ ‘પ્રાન્તિક’ અટકે છે.’

આપણા અા કવિ-અધ્યાપક માંડ તેવીસેકના હશે અને ‘છંદોલય’ (1949) લઈને આવ્યા, અને વળતે વરસે ‘કિન્નરી’ (1950). પણ એમનો જે વિશેષ પ્રગટ્યો એ તો 1946થી 1956ના ગાળામાં થયેલી ‘પ્રવાલદ્વીપ’ રચનાઓથી: મહાનગર મુંબઈ આસપાસ બની આવેલી આ કવિતાઓ ‘હાલો ને ગામડે જાંઈ’ એવા ત્રીસીનાં વર્ષોના મુગ્ધ ભાવનાવાદથી મુક્ત નગરચેતનાની હતી.

‘છંદોલય’ અને ‘કિન્નરી’થી ઉફરાટે ‘પ્રવાલદ્વીપ’ને ‘અલ્પવિરામ’, નગરચેતનાને કારણે નિ:શંક એક ‘બ્રેક થ્રૂ’ હતો. કવિની પોતાની દૃષ્ટિએ તે સમજવા કોશિશ કરીએ તો વીસમી સદીના ત્રીજા દાયકાનું અમદાવાદ એક પા ધુમાડો ઓકતી મિલો અને બીજા પા શુભ્ર સૂતરના તારની ઔદ્યોગિક સભ્યતા. આ તાર ગાંધીચરખે કંતાતો આવતો હતો એ નોંધીએ તો મિલો જેનું પ્રતિનિધિત્વ કરતી હતી એ યંત્ર અને રેંટિયાની પૂંઠે રહેલ મંત્ર બેઉની યંત્ર સહોપસ્થિતિ પણ તરત સમજાશે. વાત જો યંત્રની અને મંત્રની છે તો એના સમાધાન સારુ, કવિએ તંત્રનુંયે ચિંતવન કરેલું છે. આ તંત્ર તે એના ઉત્તમ રૂપે શું એનો જો કોઈ એક સૂત્રરૂપ જવાબ નિરંજન ભગતે આપવાનો હોય તો સંભવ છે કે નગર એ એક જ શબ્દ ઉચ્ચારતે ઉચ્ચારતે એમનું મોં ભરાઈ જાય.

નગર કહેતાં એમને અભિપ્રેત અને અભીષ્ટ એક એવું સંઘજીવન છે જેમાં વ્યવસ્થા છે. નગર એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો ઑર્ડર. સહજ કૌતુકવશ વેબ્સ્ટરનો કોશ ખોલીને જોઉં છું તો આ ઑર્ડર એ એક કેટકેટલી અર્થચ્છાયાઓ સંભરેલી છે – એરેન્જ, માર્શલ, ઑર્ગેનાઇઝ, સિસ્ટમેટાઇઝ, મેથોડાઇઝ. બીજા શબ્દોમાં પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુ માત્ર એના યોગ્ય સ્થાને પરસ્પરના સમ્યક્ સંબંધપૂર્વક હોય એવી જે સુશ્લિષ્ટ રચના કે આયોજના તે નગર.

એમની પહેલી પચીસીની એક મુગ્ધ રચનામાં ‘વ્રજ વિણ રે સૌ અડવું!’ એવી દયારામ પરંપરાની પંક્તિ ઊતરી આવી છે. પણ દેખીતી મુગ્ધતામાં કંઈક વયસ્કતાનો સંચાર છે, અને દયારામથી અંતર પણ છે. કારણ, દયારામનું વ્રજ કહેતાં જે નિસર્ગ છે, ફ્લોરા ને ફોના છે, એનું જે ઉબડખાબડ સૌંદર્ય છે, એ નિરંજનનું નથી. નિરંજન વૈષ્ણવ નથી. નાગર છે, નગરમાં રહે છે તેથી અને નગર કેવું હોવું જોઈએ એની એક સમજ છે એથી પણ.

1975માં પચાસ વરસની પરિણત વયે નિરંજન ભગતેરણજિતરામ સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’એ વ્યાખ્યાનમાં વર્તમાનની ભોંયે ઊભી વિગતને સિંહનજરનો લાભ આપી અનાગતની ચર્ચાનાં ઇંગિત કીધાં છે – આર્ત અને આર્ષ. વિજ્ઞાનના નવા નવા આવિષ્કારો વેળાનો આરંભકાળનો મુગ્ધ આશાવાદ કે ભાવનાવાદ તો પછીના અનુભવે શક્ય નથી રહ્યો. યંત્ર-ઔદ્યોગિક સભ્યતાએ ભયાવહ એવા વાસ્તવ સાથે આપણને મુખોમુખ કરેલા છે. ભયાવહ વાસ્તવના સ્વીકાર પડકારમાંથી પસાર થઈ નીજનું શોધન પામેલી જે નવી કવિતા આવશે એને એ મંત્રકવિતા કહે છે.

જે દિવસે મંત્રકવિતા અવતરશે, નવા નગરના વાસ્તુપૂજનની એ ઇતિહાસક્ષણ હશે. હમણાં કહ્યું, આપણો કવિ વૈષ્ણવ નથી. અને છતાં વૈષ્ણવ પરંપરાની એક સંજ્ઞાએ એમને ઓળખાવવા હોય તો એ વધૈયા છે. અવતાર આગમચ જે ભોંય તૈયાર કરે એને અંશાવતાર અગર વધૈયા કહેવાનો ચાલ છે. મંત્રકવિતાના વધૈયાને નાતે એ આપણી વચ્ચે ઉમાશંકર પછી કદાચ એકના એક હતા. એલ.ડી., લૉ આર્ટ્સ, બી.ડી., ઝેવિયર્સ કૉલેજમાં વિધિસરના અધ્યાપન નિમિત્તે કે ટાઉનહૉલ-હેવમોર અગર તો સફાયર હાઉસ કે પછી પરિષદની મંગળવારીમાં, બધે બધો વખત કવિને કવિતાને મિષે સિવિલાઇઝેશનલ ફલક પર સ્વાધ્યાયપ્રત હૃદયવાર્તા માંડતા નિરંજન અમર્ત્ય સેનના ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ અને ભીખુ પારેખના ‘ડિબેટિંગ ઇન્ડિયા’ વચ્ચે ક્યાંક ઊભીને આ હંમેશ કરતા રહ્યા.

આ કામગીરીનો હક્ક એમણે, ઉમાશંકરની જેમ જાહેરજીવનના કવિ નહીં તોપણ ચર્ચામાં સ્ટેન્ડ લઈ અદા કર્યો. નેવું નાબાદ જિંદગાનીમાં એમને પાછલાં વર્ષોમાં ‘પ્રાન્તિક’ ક્ષણો બેલાશક આવી મળી હશે. સંઘર્ષ અને પસંદગી બેઉની અદાયગી કરી શકે એવા એ નાગર હતા, નાગરિક હતા: 28મી જાન્યુઆરીને રવિવારની એ બેઠક, સ્વાયત્તતા મુદ્દે એમની સામેલગીરી જોતાં આવી જ એક ક્ષણ હશે? એક વાર સભ્યતા આ ક્ષણની સાંકડી ગલીમાંથી પસાર થઈ જાણે તો સન્મુખે શાંતિ પારાવાર …

પુનરુક્તિ દોષ અને પુનરાવર્તન લાગે કદાચ, પણ સદ્-અસદ્ વિવેક અને મૂલ્યાત્મક સંઘર્ષ પસંદગી એ એવું વાનું છે જેના વિના અક્ષરસેવીઓ નવી ને ન્યાયી દુનિયા અને અહીં જે આ જ દુનિયા, એને અંગે શેક્યો પાપડ પણ ભાંગી શકવાના નથી. પશ્ચિમની પરંપરામાં યથાપ્રસંગ સ્ટૅન્ડ લઈ શકતો બૌદ્ધિક ક્યાં છે આપણે ત્યાં. નિરંજન ભગતની કથિત કાવ્યચર્ચા સભ્યતા અને સંસ્કૃિતના વ્યાપક ફલક પરના સ્ટૅન્ડની દૃષ્ટિએ આબોહવા સરજતી રહી, અને એ સ્તો એમનો વિશેષ હતો – ને નિ:શેષ પણ.

Loading

3 February 2018 admin
← હિન્દુ કોમવાદને ફૂલવા અને ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે
વ્યક્તિપૂજા પૂજનીયને અને પૂજા કરનારને નુકસાનકારી છે →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved