Opinion Magazine
Number of visits: 9446683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંટો: સફેદ ચોકથી બ્લેક બોર્ડ ઉપર લખાયેલું નામ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 April 2017

સઆદત હસન મંટો(સઆદત એટલે સજ્જન, હસન એટલે સુંદર અને મંટો એટલે વજનદાર)ની ગણતરી એવા કહાનીકારોમાં થાય છે જેણે સમયથી પહેલાં એવી રચનાઓ લખી હતી જેની ગહેરાઇને સમજવાની કોશિશ હજુ પણ જારી છે. ગાલિબ માટે કહેવાય છે કે જેને ગાલિબના શેર આવડતા ન હોય એ ગૂંગો કહેવાય. એવી જ રીતે જેણે મંટો વાંચ્યો ન હોય એ અભણ કહેવાય. 43 વર્ષના ટૂંકા જીવનમાં 22 ટૂંકી વાર્તાઓ, પાંચ રેડિયો નાટક, ત્રણ નિબંધ, પાંચ વ્યક્તિ ચરિત્ર અને બેશુમાર ફિલ્મ પટકથાઓ મૂકી જનાર મંટોને પરંપરા તથા રિવાજથી હટીને રચનાઓ આપનાર લેખક તરીકે દુનિયા જાણે છે.

મંટો જ્યારે લખતો હતો ત્યારે ન તો એને સાહિત્યકાર ગણવામાં આવ્યો હતો કે ન તો ભાષાનો જાણકાર. એની ખાસ્સી અવહેલના થઇ હતી, અને અશ્લીલતા બદલ સરકારે છ વખત (બ્રિટિશ રાજમાં ત્રણ વખત, વિભાજન પછી ત્રણ વખત) એના ઉપર કેસ કર્યો હતો. એના જન્મનાં 100 વર્ષ પછી (જન્મ તારીખ: 11 મે, 1912) મંટો ઉર્દૂ જ નહીં, ભારત અને પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યના ટોચના સર્જકોમાં દક્ષિણ એશિયામાંથી સમાઇ શકે એવા એક માત્ર નામ તરીકે સ્થાપિત થઇ ગયો છે. જીવતે જીવ એની શા માટે અવગણના થઇ તેની અને એની પજવણી થઇ તેની પાછળ સમકાલીન ઉર્દૂ લેખકો કેટલી હદે જવાબદાર હતા એ વિષય ઉપર કોઇએ કંઇ લખ્યું-વિચાર્યું નથી.

એ એક સુંદર અભ્યાસનો વિષય બની શકે છે. છેલ્લાં વીસેક વર્ષમાં મંટોની કદર બહુ થઇ છે અને એના ઉપર ખૂબ લખાય છે, વંચાય છે તથા વિચારાય છે. એનો વિશ્વાસ અને સાહસ જુઓ. મંટો લખે છે, ‘સમયના જે દૌરમાંથી આપણે અત્યારે પસાર થઇ રહ્યા છીએ, એનાથી તમે જો વાકેફ ના હો તો મારી કહાની વાંચો. તમે જો એ કહાનીઓ બર્દાશ્ત ન કરી શકતા હો તો એનો મતલબ એ થયો કે આ સમય પણ બર્દાશ્ત કરવાને કાબિલ નથી. મારામાં જે ખરાબી છે, તે આ વક્તની ખરાબી છે. મારા લખાણમાં કોઇ કમી નથી. જે કમીને મારા માથે મારવામાં આવે છે તે દરઅસલ પ્રવર્તમાન વ્યવસ્થાની કમી છે. હું બબાલ કરવાવાળો નથી. જે સમાજ નાગો જ છે એનાં કપડાં હું શું ઉતારવાનો હતો. હું એને કપડાં પહેરાવતો નથી, કારણ કે એ મારું કામ નથી.’ લેખકો તો બહુ હોય છે, પણ અમુક જ લેખકો મહાન કેમ થઇ જાય છે? કારણ એ કે જે લખાણ કે વિચાર સમકાલીનતા (પર્સનલ)માંથી નીકળીને સર્વકાલીન (યુનિવર્સલ) બની જાય ત્યારે એ પૂરા સમાજ કે સમયનું સત્ય બની જાય છે. ફ્રેન્ચ નવલકથાકાર માર્સેલ પ્રાઉસ્ટે કહ્યું હતું કે, ‘નવલકથા વાંચવાવાળો દરેક વાચક વાસ્તવમાં પોતાની જ જિંદગી વાંચતો હોય છે.’

એક સાહિત્યિક રચનાનું મહત્ત્વ એની અંદરનાં પાત્રો અને લાગણીઓ પૂરતું મર્યાદિત નથી. એનું મહત્ત્વ એ હકીકતમાં છે કે એને વાંચવાવાળાને એવું લાગે કે આ મારી ભાવનાની વાત છે. મંટો આ દૃષ્ટિએ પર્સનલ સ્પેસમાં યુનિવર્સલ પ્રતિબિંબ ઝીલે છે, અને એટલે જ એની ગણના મહાન અને પ્રાસંગિક લેખકોમાં થાય છે. એટલા માટે જ મંટોના મૃત્યુનાં 60 વર્ષ પછી (મૃત્યુ તારીખ 18 જાન્યુઆરી 1955) એક્ટર-નિર્દેશક નંદિતા દાસ મંટો પર બાયોપિક બનાવી રહી છે, જે મે મહિનામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઇ રહી છે. નવાજુદ્દીન સિદ્દીકી એમાં સઆદત હસન મંટોની ભૂમિકા કરે છે.

નંદિતા દાસે આ ફિલ્મનો છ મિનિટનો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં સફેદ કુર્તો-પાયજામો અને આંખ પર ચશ્માં પહેરેલો ‘મંટો’ એક ક્લાસરૂમમાં અભિવ્યક્તિની આઝાદી પર વાત કરી રહ્યો છે. આ ક્લિપમાં નવાજુદ્દીન સિદ્દીકી મંટોના કિરદારમાં સશક્ત તો લાગે જ છે, પરંતુ એથી ય મજબૂત તો એનું એ ક્લાસરૂમ ભાષણ છે જે એણે એના તત્કાલીન સમાજમાં એની વ્યક્તિગત ભૂમિકાને લઇને આપ્યું હતું, પરંતુ એની એ વાત આજે 2017માં દેશ અને દુનિયામાં વિચારો અને અભિપ્રાયો સામે જે અસહિષ્ણુતા છે તેમાં ય એકદમ પ્રાસંગિક છે.

સામાજિક અન્યાય અને એકાધિકારવાદના વિરોધમાં અને જનતાંત્રિક વ્યવસ્થાના સમર્થનમાં લખી-વિચારીને વિશ્વમાં મશહૂર થઇ જનાર અંગ્રેજ લેખક જ્યોર્જ ઓરવેલે (1903-1950) 1946માં ‘હું શા માટે લખું છું’ નામનો નિબંધ લખ્યો હતો. તેમાં એક સ્થાને ઓરવેલ લખે છે, ‘હું જ્યારે લખવા બેસું છું ત્યારે હું એવું નથી વિચારતો કે ‘હું કોઇ કલા-કૃતિ પ્રગટ કરી રહ્યો છું.’ હું એટલા માટે લખું છું કે મારે કોઇ જૂઠનો પર્દાફાસ કરવો છે, મારે કોઇક હકીકત તરફ (લોકોનું) ધ્યાન ખેંચવું છે. હું એટલા માટે લખું છું કે લોકો મને સાંભળે.’

આ જ્યોર્જ ઓરવેલે નાઇન્ટીન એઇટી ફોર(1984)માં લખ્યું હતું કે, ‘નિષ્પક્ષ સત્યનો સમય પૂરો થયો છે, અને જૂઠ અને અર્ધ સત્યનો ઇતિહાસ લખાશે.’ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઓરવેલની આ ચોપડીનું વેચાણ વધી ગયું છે તે બતાવે છે કે ઓરવેલ કેટલો પ્રાસંગિક છે. મંટોએ, ઓરવેલની જેમ જ, 1948ની આસપાસ ‘મૈં ક્યોં લિખતા હૂં’ નિબંધ લખ્યો હતો. અભિવ્યક્તિનો આ દસ્તાવેજ ત્યારે ય કીમતી હતો, આજે ય છે અને આવતીકાલે પણ રહેશે. વાંચો મંટો શું કહે છે.

‘હું એટલા માટે લખું છું કે મારે કંઇક કહેવાનું છે. હું લખું છું જેથી હું કમાઇ શકું અને કંઇક કહેવા કાબિલ રહું. સઆદત હસન મંટો ખુદા જેટલો મોટો કહાનીકાર અને શાયર તો નથી, પણ એની લાચારી એને લખાવે છે. ‘હું જાણું છું કે મારી શખ્સિયત બહુ મોટી છે અને ઉર્દૂ સાહિત્યમાં મારું નામ મોટું છે, પણ હકીકત એ પણ છે કે હું મારા મુલકમાં, જેને પાકિસ્તાન કહે છે, હું મારું ઉચિત સ્થાન મેળવી નથી શક્યો. આ કારણથી જ મારો આત્મા બેચેન રહે છે. હું ક્યારેક પાગલખાનામાં અને ક્યારેક ઇસ્પિતાલમાં રહું છું.

‘જે સમાજ ખુદ નાગો હોય એનાં કપડાં હું શું ઉતારવાનો હતો? હા, હું એને કપડાં ચઢાવવાનું કામ પણ નથી કરતો કારણ કે એ મારું કામ નથી. એ કામ દરજીનું છે. મારું કામ સફેદ ચોકથી બ્લેકબોર્ડ ઉપર લખવાનું છે, જેથી એની કાલિમા વધુ સ્પષ્ટ રીતે દેખાય.’

પેલા છ મિનિટના ક્લાસરૂમના વિડિયોમાં એ કાલિમા જોવા જેવી છે. જોજો.

(અહીં નીચે ક્લીપની લિંન્ક આપી છે. − વિ.ક.)

http://indiatoday.intoday.in/story/nawazuddin-siddiqui-saadat-hasan-manto-in-defence-of-freedom/1/908084.html

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 02 અૅપ્રિલ 2017

Loading

3 April 2017 admin
← ગોવિંદ તળવલકર
મનથી સ્વસ્થ રહેવા અપેક્ષાઓ છોડો તનથી સ્વસ્થ રહેવા ગમતી પ્રવૃત્તિ કરો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved