Opinion Magazine
Number of visits: 9446716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનથી સ્વસ્થ રહેવા અપેક્ષાઓ છોડો તનથી સ્વસ્થ રહેવા ગમતી પ્રવૃત્તિ કરો

રુચિતા શાહ, રુચિતા શાહ|Opinion - Opinion|4 April 2017

પાર્લા(વેસ્ટ)માં રહેતા સાહિત્યપ્રેમી અને ગુજરાતી સાહિત્યની સેવામાં સતત કાર્યરત એવા ૭૮ વર્ષના કનુ સૂચક શૅર કરે છે પોતાની તંદુરસ્તીનું રહસ્ય

એવું નથી કે જીવનમાં ક્યારે ય તકલીફો આવે જ નહીં અને એવું પણ નથી કે એ તકલીફો તમને ઉદાસી નહીં આપે, તમને નિરાશ નહીં કરે કે તમને આઘાત નહીં આપે. તકલીફો આવશે અને હૃદયને ઠેસ પહોંચે એવી તકલીફો આવશે, પરંતુ એ તકલીફો સામે હથિયાર નાખીને બેસી જનારી વ્યક્તિ નિરાશાની ગર્તાર્માં ખોવાઈ જાય છે; જ્યારે એ તકલીફો અને દુ:ખને સ્વીકારીને સક્રિય રહેનારી વ્યક્તિ કંઈક વિશિષ્ટ સર્જતી હોય છે. વિલે પાર્લે(વેસ્ટ)માં એસ. વી. રોડ પર વિદ્યા વિનય વિવેક નામની સોસાયટીમાં રહેતા ૭૮ વર્ષના કનુ સૂચક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દુ:ખનો અનુભવ તેમણે કર્યો છે. જ્યારે તેમનો જુવાનજોધ દીકરો સાવ અચાનક દુનિયા છોડીને ચાલ્યો ગયો એ પછી નિરાશા અને આઘાતના અંધકારને પણ અનુભવ્યો છે અને એ પછી પ્રેરણાનું એક કિરણ મળતાં ફરી બેઠા પણ થયા છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને મૂકપણે ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છે. સાહિત્યનો રસાસ્વાદ તેમણે પોતે તો માણ્યો જ છે અને સાથે લોકો પણ એ માણે એવા તેમના પ્રયત્નો પણ તેમણે પૂરબહારે કર્યા છે. તેમણે લખેલા બે કાવ્યસંગ્રહ અને ભારતનાં મંદિરો અને એના અપ્રતિમ સ્થાપત્ય વિશે પોતાના અનુભવોને આધારે લખાયેલું પુસ્તક ‘શિલ્પ સમીપે’ પણ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ૭૮ વર્ષની ઉંમરે લગભગ દસથી બાર કલાક અવિરત કામ કરનારા કનુભાઈને એકેય રોગે હજી સુધી પોતાની પકડમાં લીધા નથી. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટને લગતી સમસ્યા જેવા એકેય લાઇફ-સ્ટાઇલ ડિસીઝ તેમને નથી એટલું જ નહીં, ઉંમરને લીધે સામાન્ય રીતે હાડકાં ઘસાવા કે સ્નાયુઓ નબળા પડવા જેવા પ્રૉબ્લેમ્સ પણ તેમણે ફેસ નથી કરવા પડ્યા. કનુભાઈની તંદુરસ્તીની અને જીવન જીવવાની તેમની કળા વિશે વિગતવાર વાતો કરીએ, જે આજના ઘણા વડીલો માટે દિશાસૂચક બની રહે એવી છે.

અને દિશા બદલાઈ

૧૯૯૪માં સાવ અચાનક દીકરાએ દુનિયામાંથી વિદાય લીધી અને કનુભાઈ તથા તેમનાં પત્ની સુશીલાબહેન પર જાણે વજ્રાઘાત થયો. લગભગ સાત વર્ષ સુધી સૂનમૂન રહેલા આ દંપતીને જોઈને નાનો દીકરો વ્યાકુળ હતો. તેણે પોતાના પપ્પાને કહ્યું કે ‘તમારા મનમાં મારા માટે કોઈ જ લાગણી નથી? તમે જે રીતે જીવી રહ્યા છો એ જોતાં હું તમને ગુમાવી દઈશ એવો ડર અંદરખાને મારા મનમાં લાગી રહ્યો છે. મને તમારી છત્રછાયા જોઈએ છે, પપ્પા.’

દીકરાના આ શબ્દોએ કનુભાઈના વલોપાતને હળવાશ આપી. તેઓ કહે છે, ‘એ વખતે મને સમજાયું કે જીવનમાં ઘણા લોકો હોય છે જેમને આપણી જરૂર હોય છે. સાથ તો છૂટવા માટે જ હોય છે, પરંતુ પ્રિયજનનો સાથ છૂટતાં જીવન પ્રત્યેની અને આપણી આસપાસની જવાબદારીઓ અને કર્તવ્યોને છોડી ન શકીએ.’

અમરેલીમાં જન્મેલા કનુભાઈ ૧૯૪૭માં મુંબઈ આવ્યા અને ૧૯૬૦ની આસપાસના સમયગાળામાં ૧૦૦ રૂપિયાના પગારમાં કન્સ્ટ્રક્શન-કંપનીમાં કામ શરૂ કર્યું હતું. બે વર્ષમાં પોતાની કન્સ્ટ્રક્શન-કંપની શરૂ કરી અને પછી લાંબા સમય સુધી સાહિત્ય સાથેનો નાતો છૂટી ગયો હતો, જે ફરી એક વાર એક દીકરાની કારમી વિદાય અને બીજા દીકરા થકી મળેલી પ્રેરણાને કારણે જોડાયો. તેઓ કહે છે, ‘મારી અત્યારની સ્વસ્થતામાં સાહિત્યનો સૌથી મોટો રોલ છે. દરેકના જીવનમાં આવી ક્ષણ આવતી હોય છે. ત્યારે દિશા બદલી શકાય એવી ક્ષણો પણ આવે. જો એ ક્ષણોને સમજીને સાચવી લેવાય તો જીવવાની શ્રેષ્ઠતમ મકસદ મળી જતી હોય છે. મકસદ સાથે જીવનારા લોકો માંદા નથી પડતા, કારણ કે તેમની સક્રિયતા તેમને જીવંત રાખે છે.’

રૂટીન શું હોય?

આગળ કહ્યું એમ રોજના આઠથી દસ કલાક કામ કરવાનું; જેમાં લેખન, વાંચન, મુલાકાતો આવી ગયાં. રોજ સવારે મૉર્નિંગ વૉક પર જવાનું. ઘરમાં બનેલો આહાર લેવાનો. તેઓ કહે છે, ‘હું ખાવાનો શોખીન છું અને પાણીપૂરી મારી ફેવરિટ છે, પરંતુ એ હું ઘરે બનાવેલી ખાઉં છું. હું કહીશ કે તંદુરસ્ત રહેવા માટે ટેસ્ટલેસ ખાવાની કોઈ જરૂર નથી. સાદો ખોરાક લો એ જરૂરી છે, પરંતુ સાદો ખોરાક સ્વાદિષ્ટ હોઈ શકે. બીજું, તમારી ઉંમર મુજબ કેટલું ખાવું એની મર્યાદા સમજવી ખૂબ જ જરૂરી છે. અમારા કેસમાં સ્વાભાવિક રીતે જ કન્ટ્રોલ આવી જાય છે. અમારે પ્રયાસ નથી કરવા પડી રહ્યા. મનથી તંદુરસ્ત રહેવા માટે અમે પ્રવાસમાં જઈએ છીએ, નિયમિત. ટૂરિસ્ટ પ્લેસ પર નહીં, પણ કુદરતી સ્થળોએ. જેમ કે કાશ્મીરની એવી ઘાટીઓમાં જ્યાં હજીયે લોકોની અવરજવર ઓછી હોય. કુદરત એના મૂળ સ્વરૂપમાં હોય એવાં સ્થળોએ જઈને કુદરતમાં ઓગળવાનો આનંદ માણો એ મનને રીચાર્જ કરવા બરાબર છે. આવા પ્રવાસોએ પણ મને ભરપૂર આપ્યું છે.’

કહેવાનું એટલું જ કે …

માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમામ લોકોને સંબોધીને કનુભાઈ કહે છે, ‘અંગ્રેજીમાં એક પ્રચલિત વાક્ય છે કે સફરિંગ ઇઝ યૉર ચૉઇસ. તમે દુ:ખી થવા માગો છો કે સુખી એ તમારી પોતાની પસંદગી છે. આજે ઘણા વડીલો પોતાને એકલા અને દુ:ખી માને છે તો એ ક્યાંક તેમની પોતાની અપેક્ષાઓનું પરિણામ પણ છે. મારો દીકરો અત્યારે અમેરિકા છે અને મારા લાડકા ગ્રૅન્ડસન પણ ત્યાં જ છે. હું અને પત્ની અહીં એકલાં છીએ, પણ અમને એકલું નથી લાગતું. નિયમિત દીકરાની સાથે સંપર્કમાં છીએ અને મોજથી રહીએ છીએ. અપેક્ષા સૌથી મોટું દુ:ખ હોય છે. અપેક્ષા ન રાખો અને જાત સાથે રહીને પણ એન્જૉય કરતાં શીખો એ જરૂરી છે. જ્યાં આનંદ મળે ત્યાં રહો, જેમાં આનંદ મળે એ કરો. આજે પણ અમે મનને ઠેસ પહોંચતી હોય એવા સ્થાનોથી ડિટૅચ થઈ જતાં હોઈએ છીએ. ડિટૅચમેન્ટની પણ પોતાની મજા હોય છે અને એ શીખી લો તો તમે મનથી જીવતા થઈ જતા હો છો.’

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 04 અૅપ્રિલ 2017

Loading

4 April 2017 admin
← આ જનાદેશ શું સૂચવે છે?
Free Book ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved