Opinion Magazine
Number of visits: 9447009
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી કીર્તિમંદિર

નાનજી કાલિદાસ મહેતા|Opinion - Opinion|18 March 2020

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન — કીર્તિમંદિર — ની જાળવણી અને તેને મેમોરિયલ તરીકે નિર્માણ કરવાનું શ્રેય નાનજી કાલિદાસ મહેતાને જાય છે. ગાંધીજીની હયાતીમાં તેમને આ વિચાર આવ્યો અને ૧૯૫૦ના અરસામાં તેને સાકાર કર્યો. નાનજી કાલિદાસ મહેતાની ઓળખ ઉદ્યોગસાહસિક તરીકેની, પણ તેમની સખાવતથી નિર્માણ પામેલી સંસ્થાઓ આજે પણ ભારતમાં અને પૂર્વ આફ્રિકી દેશોમાં કાર્યરત છે. વેપાર સાથે શિક્ષણ ક્ષેત્રે કરેલું તેમનું કાર્ય અદ્વિતીય છે, જેનો લાભ યુગાન્ડા-કેન્યાનાં બાળકોને મળી રહ્યો છે. પૂર્વ આફ્રિકામાં ઓગણસમી સદીના આરંભે તેમણે વિસ્તારેલા ઉદ્યોગની ઘટના અપૂર્વ છે. તે કાળે ત્યાં સંજોગ-સ્થિતિ વિકટ હતાં અને તેમાંથી નાનજીભાઈ માર્ગ કાઢતા રહ્યા. આ સાહસિક જીવનને જ્યારે પોતાની કલમે શબ્દબદ્ધ કરવાનું નાનજીભાઈને કહેવામાં આવ્યું ત્યારે તેમનો ઉત્તર હતો : “જગત આવ્યું ને જાય છે. જે ધણીને ઘેરથી આવ્યા, ત્યાં જવાનું છે. એમાં જ સમાઈ જવાની વૃત્તિ રાખવી.” આમ કશું ય ન લખવાની વૃત્તિ ધરાવનારા નાનજીભાઈએ મિત્રો-સંબંધીઓના આગ્રહથી ‘મારી અનુભવકથા’ નામે આત્મકથા લખી છે, તેમાં વિસ્તારથી કીર્તિમંદિરના નિર્માણકાર્ય વિશે લખ્યું છે. ગાંધીજીના નિર્વાણદિન બાદ આરંભાયેલા આ કાર્યની વિગત નાનજીભાઈએ વિગતે આત્મકથામાં આલેખી છે. ગાંધીનિર્વાણ માસમાં કીર્તિમંદિરના નિર્માણની વાત અહીં પ્રસ્તુત છે. એટલું નોંધવું રહ્યું કે આ કાર્યમાં તેમની સાથે પોરબંદર રાજ્યના તત્કાલીન મહારાજા નટવરસિંઘ ભાવસિંઘ પણ હતા.

•••

પૂ. બાપુનાં પ્રથમ દર્શન સને ૧૯૧૫માં મને થયેલાં; એવું સ્મરણ છે. મુંબઈમાં લૉર્ડ સિંહાના પ્રમુખપદે કૉંગ્રેસ મળી હતી. તે વખતનો પૂ. બાપુનો પોશાક-ધોતિયું, અંગરખું, ખેસ, પાઘડી, હાથમાં લાકડી, એવો અસલ કાઠિયાવાડી પહેરવેશ હતો. સને ૧૯૨૦-૨૧માં કલકત્તા કૉંગ્રેસ તથા શાંતિનિકેતનમાં, સને ૧૯૨૨માં, અમદાવાદ કૉંગ્રેસ અને સાબરમતીમાં દર્શન કરેલાં. તેઓશ્રીના સહવાસનો લાંબા સમયનો લાભ મળ્યો ન હતો. આફ્રિકામાં સ્વરાજની લડતના સમાચાર હું વાંચ્યા કરતો, અવારનવાર ફાળામાં મદદ કરતો.

સને ૧૯૩૫માં હું દેશમાં આવેલો. ત્યારે પૂ. બાપુને મળવા સેવાગ્રામ ગયો હતો. મારાં ધર્મપત્ની પણ સાથે હતાં. અમે શેઠ શ્રી જમનાલાલજીને ઘેર ઊતરેલાં. તે વખતે પૂ. વિજયાલક્ષ્મી પંડિત પણ ત્યાં હતાં. અમે પૂ. બાપુનાં દર્શન કરવા સેવાગ્રામ ગયાં. બાપુજી ફરવા નીકળતા ત્યારે સામાન્ય મુલાકાતો થતી. અમે મળવા ગયાં, તે દિવસે બાપુને મૌન હતું. પ્રણામ કરી બેઠાં. બાપુએ ચિઠ્ઠીમાં લખ્યું, ‘રોકાશો ને?’ મેં ‘હા’ પાડી કહ્યું : ‘અમે આપનાં દર્શને આવ્યાં છીએ.’ બાપુ હસ્યા. રોજ સાંજે પ્રાર્થના થતી. એમાં અમે જતાં. મારાં પત્ની રસોડામાં બાને મદદ કરતાં. અમારા એ, દિવસો જીવનમાં યાદગાર બન્યા.

ત્યાર બાદ, મારે દક્ષિણ આફ્રિકા જવાનું થયું. ત્યારે ત્યાં લૉર્ડ હૉફમેયરની મુલાકાત મને થયેલી. તેઓ સેટલમેન્ટ માટે હિંદ આવેલા. ત્યારે નામદાર મહારાણા સાહેબના આગ્રહથી પોરબંદરમાં પૂ. બાપુનું જન્મસ્થાન જોઈ, તેમને હર્ષ અને શોક બંને થયાં. જગતના એક અવતારી પુરુષની જન્મભૂમિ જોઈને આનંદ થયો; પણ અંધારો ઓરડો, અંધારી ગલી અને આસપાસની દુર્ગંધ જોઈને તેમને પારાવાર દુઃખ થયું, તેમણે કહ્યું : “તમને આ મહાપુરુષની મહત્તાની કિંમત નથી. બીજો કોઈ દેશ હોય, તો અહીં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય; તમારા દેશને એમણે શું આપ્યું છે અને શું આપી રહ્યા છે, તેની કિંમત નથી. આ સ્થળે સુંદર ચિરંજીવ સ્મારક થવું જોઈએ.” આ સાંભળી મારા મનમાં બહુ લાગી આવ્યું. આ પહેલાં પણ મારા મનમાં જન્મસ્થાને સ્મારક કરવાના મનોરથ ઊંડે ઊંડે ઊઠતા હતા. આ વિચારથી તેને બળ મળ્યું. મેં મનમાં નિશ્ચય કર્યો કે બાપુજી રજા આપે, તો સ્મારક કરવું. ફરીથી હું સેવાગ્રામ ગયો. ત્યારે પૂ. બાપુને વાત કરી : “હું દક્ષિણ આફ્રિકા જઈ આવ્યો. ત્યાં આપનો ફિનિક્સ આશ્રમ જોયો. લૉર્ડ હૉફમેયરની મુલાકાત થઈ; તેમણે આપને સલામ કહેવરાવ્યા છે. તેઓ પોરબંદર પધારેલા ત્યારે, ‘આપના જન્મસ્થાને કંઈક સ્મારક થવાની જરૂર છે’ એમ કહેલું. ત્યાં ગંદકી પણ બહુ રહે છે. એ મકાનો મળે, તો અમે કંઈક કરીએ.” પૂ. બાપુએ એટલું કહ્યું કે, “ત્યાં ગંદકી થાય છે એ વાત ખરી; પણ એ મકાનો મારાં કુટુંબીઓના હાથમાં છે. હાલ કોણ સાચવે છે, એની પણ મને પૂરી ખબર નથી. વિચાર કરશું.” આમ એ વાત ત્યાં અટકી.

સને ૧૯૪૫માં બદરીકેદારની યાત્રાએ ગયેલો. “એ વખતે પૂ. બાપુ આગાખાન મહેલમાંથી છૂટીને, મહાબળેશ્વર જવાના છે. ત્યાંથી પંચગની બે માસ હવાફેર માટે આવશે.” એવા સમાચાર જોશીમઠમાં મને મળ્યા.

પંચગનીમાં મારા પુત્રો ભણતા હતા. તેમને અભ્યાસમાં મદદ કરવા એક શિક્ષક રાખેલાં; એમને માટેનું ત્યાં એક મકાન ભાડે હતું. એ મકાન જૂન માસમાં પૂ. બાપુ માટે ખાલી કરાવ્યું. તેઓશ્રી પોતાની મંડળી સાથે આવી પહોંચ્યા. એ વખતે અમને બાપુની સેવાનો અણમૂલો લાભ મળ્યો. પંચગનીમાં પૂ. બાપુ ખુશખુશાલ રહેતા; આનંદના ફુવારા ઊડતા. વહેલી સવારે ચાલીને ફરવા જતા. સવારસાંજ પ્રાર્થનામાં તેઓશ્રીનાં પ્રવચન સાંભળવા મળતાં. આપણા દેશમાં જેમ પર્વતરાજ હિમાલય છે, તે જગતમાં અજોડ છે, એવી જ રીતે આપણા મહાપુરુષો પણ અજોડ છે. પૂ. બાપુને મળવા માટે દેશનેતાઓ આવતા; તેમની વાતો સાંભળતા; તેમનાં દર્શનનો અપૂર્વ લાભ મળતો. પંચગનીમાં કીર્તિમંદિર વિશે પણ થોડી વાત થઈ. તેઓશ્રીએ ‘કુટુંબીઓ હા પાડે તો પોતાને વાંધો નથી’ તેમ કહ્યું. દોઢ માસ રહીને પૂ. બાપુ પંચગનીથી વિદાય થયા અને અમે પાછાં પોરબંદર આવ્યાં.

કીર્તિમંદિરના ઉદ્દઘાટન પછી સરદાર પટેલ સાથે પોરબંદર શહેરના અગ્રણીઓ

નામદાર મહારાણા સાહેબને કીર્તિમંદિર વિશે મેં વાત કરી. નામદાર મહારાણા સાહેબના પ્રમુખપદે, પોરબંદરના આગેવાન શહેરીઓની એક સભા મળી. તેમાં આ પ્રશ્ન રજૂ થયો. જન્મસ્થાન પાસે સ્વચ્છતા રહે, એક બાગ બને, અને ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલે; એવી યોજના સૌએ વિચારી. સને ૧૯૪૫-૪૭માં એ વાત ચાલુ રહી. એ ઘરમાં શ્રી માણેકલાલ ગાંધી વગેરે ઓગણત્રીસ હકદારો છે. આજુબાજુમાં આવેલાં મકાનના માલિકોને પણ વાંધો હતો. ધીમે ધીમે બધા વાંધાઓ પત્યા. બદલામાં બધાંને આશરે રૂપિયા પંચોતેર હજાર આપ્યા.

સને ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું. છ મહિના પછી સૌરાષ્ટ્રનું એકમ થયું; એટલે કીર્તિમંદિરની વાતને ફરી વેગ મળ્યો અને સૌરાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ પૂ. દરબાર શ્રી ગોપાળદાસભાઈના હાથે શિલારોપણવિધિ કરાવી.

સને ૧૯૪૭ના ડિસેમ્બરમાં પૂ. બાપુને મળવા હું દિલ્હી ગયો. હિંદીઓને પૂર્વ આફ્રિકામાં આવતા બંધ કરવાનો કાયદો ત્યાંની ધારાસભામાં આવ્યો હતો. તેને અંગે મારે પૂ. બાપુ સાથે વાતચીત કરવાની હતી. હું પૂ. બાપુ તથા સરદાર શ્રી વલ્લભભાઈને મળ્યો; પૂ. પંડિત જવાહરલાલજીને જાણ કરી. તેઓના પ્રયત્નથી છ માસ સુધી બિલ મુલતવી રહ્યું; પણ આખરે કાયદો પસાર થયો. હિંદીઓને ઈસ્ટ આફ્રિકામાં આવવાની મનાઈ થઈ. આપણા દેશમાં ગરીબાઈ વધતી જાય છે; પ્રજા વધતી જાય છે; કેનેડા, પશ્ચિમ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ બધા દેશોમાં પુષ્કળ જગ્યા છે; પરંતુ હિંદીઓ માટે, એશિયાવાસીઓ માટે, દ્વાર બંધ છે. ગોરાઓએ એક હજાર વર્ષ સુધીની ગણતરી કરીને એ દેશોમાં જગ્યા અનામત રાખી છે.

ઑસ્ટ્રેલિયામાં માત્ર એક કરોડની વસતિ છે. ત્યાં પચાસ કરોડનો સમાવેશ થાય, એવડો દેશ અનામત રાખ્યો છે. તેઓ માત્ર કિનારે વસ્યા છે; છતાં કોઈને આવવા દેતા નથી. ઑસ્ટ્રેલિયા એશિયાનો ભાગ છે. આ પ્રશ્ન વિકટ છે. ભારતની પ્રજા જ્યાં જ્યાં વસે છે, ત્યાં ત્યાંથી તેને કાઢવાના પ્રયત્નો થાય છે. બર્મા ને સિલોન જેવા પાડોશી દેશોમાં પણ એ સ્થિતિ થતી જાય છે.

આ પ્રશ્ન પૂ. બાપુ પાસે રજૂ કરવા હું ખાસ દિલ્હી ગયેલો; પરંતુ પૂ. બાપુ, પૂ. સરદાર સાહેબ, પૂ. પંડિતજી દેશના આંતરિક પ્રશ્નોમાં ખૂબ ગૂંથાયેલા હતા. દેશના ભાગલા પડવાથી ચોમેર ભારે અશાંતિ હતી; છતાં તેઓશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી અને પંડિતજીને ભલામણ પણ કરી.

સને ૧૯૪૫માં બાપુ પંચગની સવા માસ એ જ મકાનમાં રહેલા; પછી સને ૧૯૪૬માં પધાર્યા. પંચગનીમાં પૂ. બાપુ ખૂબ આનંદમાં રહેતા; આનંદના ફુવારા ઊડતા; તેમના ખડખડાટ હાસ્યથી ઓરડા ગાજી ઊઠતા; જ્યારે દિલ્હીમાં ૧૯૪૭માં તેઓશ્રીના ચહેરા પર નિરાશા, મૂંઝવણ અને વેદના દેખાતાં હતાં. પંચગનીમાં વારંવાર કહેતા, “હું ૧૨૫ વર્ષ જીવવાનો છું. મારે દેશમાં રામરાજ્ય કરીને જવું છે.”

દેશના ભાગલા પડ્યા પછી એ વસ્તુ ચાલી ગઈ. દિલ્હીમાં કહેલું, “હવે મને જીવવું ગમતું નથી.” ડિસેમ્બર માસમાં હું દિલ્હી ગયેલો. ત્યાં ઠંડીને લીધે મારા હાથમાં કળતર થવા લાગી, તેથી સારવાર લેવા કલકત્તા ગયો. ત્યાં થોડો વખત રોકાયો. સારવાર લીધી; કંઈક આરામ જણાયો. કલકત્તાથી પાછા ફરતાં મુંબઈ થઈ દેશમાં આવ્યો. પોરબંદર પહોંચ્યો, તેને બીજે જ દિવસે બાપુના મૃત્યુના દુઃખદ બનાવ બન્યાના સમાચાર સાંભળ્યા.

આ વખતે મારાં ધર્મપત્ની જિંજામાં હતાં. પૂ. બાપુના શ્રાદ્ધદિને હિંદીઓ, આફ્રિકનો, યુરોપિયનો અને અન્ય એશિયાવાસીઓ, સૌ નાઈલ નદીને કિનારે ગયા. હજારોની મેદની મળી. નાઈલ નદીનાં પવિત્ર જળમાં પૂ. બાપુના અવશેષો મારાં પત્નીએ પધરાવ્યાં. એ દિવસ યુગાન્ડાના સામાજિક જીવનમાં અપૂર્વ હતો.

પૂ. બાપુનો દેહાન્ત થતાં કીર્તિમંદિરનો વિચાર પાછો આગળ વધ્યો. મકાનો મળી ગયાં હતાં. તેનો પ્લાન બનાવ્યો. પૂ. સરદાર સાહેબે પાસ કર્યો. પોરબંદરના જૂના અનુભવી મિસ્ત્રી પુરુષોત્તમભાઈએ તેની રચના કરી. ઝડપભેર કામ ઉપાડ્યું. બાપુ જેટલાં વર્ષ જીવ્યા તેટલા (૭૯) ફૂટ ઊંચું શિખર બાંધ્યું. પૂ.   બાપુને પ્રિય એવી રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ શકે એવી યોજના કરી. પૂ. સરદાર સાહેબ એના ઉદ્ઘાટન માટે, નાદુરસ્ત તબિયત હોવા છતાં, સૌરાષ્ટ્ર પધાર્યા. નામદાર મહારાણા સાહેબ, નામદાર રાજપ્રમુખ, માનનીય વડા પ્રધાન શ્રી ઢેબરભાઈ, અન્ય પ્રધાનો અને સૌરાષ્ટ્રના સંભાવિત નાગરિકો એ પ્રસંગે હાજર રહ્યા. હજારોની માનવમેદની સમક્ષ પૂ. સરદાર સાહેબે કીર્તિમંદિરનું ઉદ્ઘાટન કર્યું.

એક બાજુ હવેલી, બીજી બાજુ રઘુનાથજીનું મંદિર, સામે કેદારનાથજી; ત્રણે ધર્મસ્થાનોની વચ્ચે દીવાન સાહેબ કબા ગાંધી રહેતા. રઘુનાથજીના મંદિરમાં કથા સાંભળતા. એ મંદિર સુધારી કાયમ રાખ્યું. પૂ.  બાપુને એ સ્થળે ધાર્મિક સંસ્કારો મળેલા. તે નજદીક કીર્તિમંદિરની રચના થઈ. આજે સુદામાપુરીની પેઠે, ભારતવર્ષનાં હજારો નરનારીઓ કીર્તિમંદિરની યાત્રાએ આવે છે અને ભાવપૂર્વક પૂ. બાપુ તથા બાનાં દર્શન કરે છે.

પૂર્વ આફ્રિકામાં પૂ. બાપુના એક સ્મારક રૂપે ગાંધી કૉલેજો બાંધવી એવો વિચાર પૂ. બાપુના દુઃખદ અવસાન વખતે આવ્યો. પૂર્વ આફ્રિકાના હિંદી એજન્ટ પૂ. આપા સાહેબ પંતની પાસે બધી વાત કરી. તેઓ ખુશી થયા અને બધી મદદ કરી. તે કામ માટે બે-ત્રણ વાર આફ્રિકાની સફર કરી. પ્રિ. રમણલાલભાઈ યાજ્ઞિકને ખાસ એ કામ માટે રોક્યા. હિંદી સરકારના શિક્ષણ ખાતાના ઉપમંત્રી હુમાયૂન કબીર પણ ત્યાં જઈ આવ્યા. ત્યાં ગાંધી વિદ્યાપીઠ સ્થાપવી એવી યોજના કરવામાં આવી અને એમાં પાંચ લાખ પાઉન્ડનો ફાળો થયો. તેમાં નાના-મોટા સૌએ મદદ કરી. પૂ. બાપુ માટે હિંદી અને આફ્રિકનોને સરખું માન છે. આ કાર્ય માટે કુલ પાંચ લાખ પાઉન્ડ એકઠા કરવાના છે; જે લગભગ થઈ જવા આવ્યા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારકનિધિમાંથી પંદર લાખ રૂપિયા મળ્યા છે. ઇસ્ટ આફ્રિકા ગવર્નમેન્ટ રૉયલ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ કાઢેલ. તેની સાથે મહાત્મા ગાંધીજીનું નામ જોડાયું છે. તેમાં ત્રણ કૉલેજો (આર્ટ્સ, સાયન્સ ને કૉમર્સ) આપણા તરફથી ચાલે, તેમ લગભગ નક્કી થયું છે. બાકીની ગવર્નમેન્ટ ચલાવશે. બહારના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો બંધાશે. કોઈ પણ પ્રકારના વર્ણ, ધર્મ કે જાતિના ભેદ વિના તેમાં સૌ કોઈ દાખલ થઈ શકશે.

જ્યારે મુસ્લિમ ભાઈઓ — ‘ઓન્લી ફૉર-એશિયન મુસ્લિમ’ માટે પોતાની જુદી કૉલેજ ચલાવે છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધી કીર્તિમંદિરનાં દર્શને આપણા રાષ્ટ્રપતિ પૂ. રાજેન્દ્રબાબુ તથા ભારતના લાડીલા નેતા અને હૃદસમ્રાટ પૂ. પંડિત જવાહરલાલજી પધાર્યા હતા. ઉપરાંત પૂ. બાપુના અનેક ભક્તો અને દેશ-પરદેશના મહાન પુરુષો કીર્તિમંદિરનાં દર્શને પધારતા. તેમનાં દર્શનનો અને પ્રવચનનો અમૂલ્ય લાભ પોરબંદરની જનતાને અને અમને મળે છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધી માર્ગ ઉપર સ્ટેશનથી શહેરમાં પ્રવેશ કરતા પાંચ રસ્તા ભેગા થાય છે ત્યાં કન્યા વિદ્યાલય, બાલમંદિર અને પ્રસૂતિગૃહનાં સુંદર મકાનો આવેલાં છે. એ જગ્યાએ રસ્તાને કાંઠે એક તળાવ હતું. તેમાં પાણીની નિકાસ ન થતી હોવાથી જીવજંતુથી દુર્ગંધ ફેલાતી. એ તળાવ પુરાવી નાખીને, ત્યાં સ્ત્રીઓ તથા બાળકો માટે એક બગીચો બનાવવામાં આવ્યો અને પૂ. બાપુજી, પૂ. સરદાર સાહેબ, તથા પૂ. પંડિતજી ત્રણેનાં બાવલા મૂકવામાં આવ્યાં છે. એની ઉદ્ઘાટનક્રિયા નામદાર મહારાણા સાહેબના હસ્તે કરવામાં આવી. બાગમાં બાળકોને રમવા માટે હીંચકા છે તથા વિશ્રામ માટે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. શહેરના રાજમાર્ગ ઉપર આવેલાં આ ‘રાજ્યમાતા રૂપાળીબા બાગ’ નગરની શોભામાં વધારો કરે છે.

[નાનજી કાલિદાસ મહેતા લિખિત ‘મારી જીવનકથા’માંથી]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 25-28 

Loading

18 March 2020 admin
← સંસ્કૃતિસંઘર્ષ : લેટ્‌સ યુનાઇટ ઍન્ડ ફાઇટ
જગતમાં અત્યારે મરી રહેલા લોકોનાં હત્યારા ઝિંગપીંગ છે →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved