Opinion Magazine
Number of visits: 9483422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટ્ર રિટર્ન્સ : પવારનું પાવર-પોલિટિક્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 April 2023

રાજ ગોસ્વામી

મહારાષ્ટ્રના રાજકારણને જો બોલિવૂડની કોઈ ઉતાર-ચઢાવ, સસ્પેન્સ, કોમેડી, ટ્રેજેડી અને એક્શનથી ભરપુર ફિલ્મ સાથે સરખાવીએ તો, રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી(એન.સી.પી.)ના મરાઠા સેનાપતિ શરદ પવારને એ ફિલ્મના ડિરેકટર સાથે સરખાવી શકાય. ઈશ્વર માટે કહેવાય છે કે તેની ઈચ્છા વગર પૃથ્વી પર એકેય પાંદડું હાલતું નથી. એવી જ રીતે, મહારાષ્ટ્રના રાજકારણમાં પવારની સંમતિ વગર એકેય ખુરશી હાલતી નથી.

82 વર્ષની ઉંમરે, શરદ પવાર એક માત્ર રાષ્ટ્રીય નેતા છે, જેમણે હજુ પણ ખુદની પ્રાસંગિકતા બનાવી રાખી છે. બારામતી હોય કે મુંબઈ, મંત્રાલય હોય કે સાઉથ બ્લોક શરદ પવાર અત્ર-તત્ર-સર્વત્ર હોય છે. પવારની રાજકીય કુનેહ ક્યાં લડવું અને ક્યાં ન લડવું તે નક્કી કરવામાં છે. કાઁગ્રેસના ‘ખજાનચી’ સિતારામ કેસરી જ્યારે પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે શરદ પવારે તેમને ઉથલાવીને સોનિયા ગાંધીને પ્રમુખપદ સંભાળવા આમંત્રણ આપ્યું હતું.

એ જ સોનિયાના ‘વિદેશી મૂળ’નો વિવાદ થયો ત્યારે પવારે કાઁગ્રેસમાંથી કૂદકો મારીને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીની રચના કરી હતી અને બિન-કાઁગ્રેસી પાર્ટીઓને એક સાથે લાવવા પ્રયાસ કર્યો હતો. જો કે 1999ની લોકસભા તેમ જ વિધાનસભાની ચૂંટણીઓ પછી તેમને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એ જ કાઁગ્રેસ સાથે હાથ મિલાવામાં કે 2004માં યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુ.પી.એ.)ની સરકારમાં મંત્રી બનવામાં હિચકિચાહટ થઇ નહોતી.

રાજકીય પ્રતિસ્પર્ધીઓની વાત છે ત્યાં સુધી પવાર જૂના જમાનાના કાઁગ્રેસી છે. એ કોઈની પણ સાથેની રાજકીય હરીફાઈને અંગત શત્રુતામાં પરિવર્તિત થવા દેતા નથી. તેમણે ક્યારે ય ચૂંટણીની રેલીઓમાં રાજકીય હરીફો માટે આકરાં વેણ નથી કાઢ્યાં. હકીકતમાં, ગમે તેટલી ગળાકાપ રાજકીય હરીફાઈ હોય છતાં તેઓ રાજકીય હરીફો સાથે ‘ભાઈબંધી’ જાળવી રાખે છે. આજની તારીખમાં કદાચ એ એક માત્ર નેતા છે જે સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીને વગર નિમંત્રણે મળવા જઈ શકે છે.

મહારાષ્ટ્રમાં, રાજકીય મોરચે શિવસેના અને તેના વડા બાળ ઠાકરે સાથે કટ્ટર હરીફાઈ હોવા છતાં પવારે તેમની સાથે એટલો સુંદર અગંત સંબંધ કેળવ્યો હતો કે 2006માં જ્યારે તેમની પુત્રી સુપ્રિયા સૂલે રાજ્ય સભામાં જવા ઈચ્છતી હતી, તો ઠાકરેએ ફોન કરીને કહ્યું હતું કે, “મેં તેને મારી આંખ સામે નાનેથી મોટી થતી જોઈ છે. આ એના જીવનની મોટી ક્ષણ છે અને મારી પાર્ટી તેનું સમર્થન કરશે.”

તેમની આ કાબેલિયતના કારણે જ 2019માં તેઓ શિવસેના, કાઁગ્રેસ અને એન.સી.પી. વચ્ચે એક એવું અસાધારણ ગઠબંધન કરવામાં સફળ રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને તે હજુ ય ચચરે છે. ભા.જ.પે. તેનો બદલો લેવા માટે પવારના ભત્રીજા અજીત પવારની મદદથી એન.સી.પી.માં ભંગાણ પાડીને શબ્દશ: રાતોરાત દેવેન્દ્ર ફડણવીસની સરકાર ઊભી કરી દીધી હતી, પરંતુ એમાં ય સિનિયર પવારની રાજરમત એવી કારગત નીવડી કે 80 કલાકમાં જ તેઓ કાકા પવારની છાવણીમાં પાછા ફરી ગયા.

ભા.જ.પ.ને એમાં ય સમસમી ગઈ અને છેવટે શિવસેનામાં જ ઊભી ફાચર મારીને એકનાથ શિંદેની મદદથી સરકાર બનાવી. હવે, 10 મહિના જૂની શિંદે સેના અને ભા.જ.પ.ની સરકાર સામે ફરી સંકટનાં વાદળો ઘેરાયાં છે અને ફરી એકવાર પવારનું પાવર-પોલિટિક્સ સક્રિય થયું છે.

એનું કારણ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં કરેલો કેસ છે. શિંદે શિવસેનાને હાઈજેક કરીને ભા.જ.પ.ના ગાડામાં બેસી ગયા પછી અસલી સેના કોણ એવા પ્રશ્ન સાથે ઠાકરેએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા. એ કેસ હવે પૂરો થવાની અણી પર છે અને એવી અફવા ગરમ છે કે ચુકાદો ઠાકરેની તરફેણમાં જશે. એવું થાય તો શિંદે-ફડણવીસની સરકારનું શું? અફવા એવી છે કે શિંદેને જો જવું પડે તો ભા.જ.પ. એન.સી.પી.ના અજીત પવારના ટેકા સાથે સત્તામાં ટકી રહેશે. આવું શરદ પવારની જાણ બહાર કે ઈચ્છા વગર શક્ય છે?

અમુક મોટા-મોટા સંકેત એવું કહે છે કે સિનિયર પવાર 2024ની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. એક તો તેમની પુત્રી સુપ્રિયા સૂલેનું તાજેતરનું એ નિવેદન છે જેમાં તેણે કહ્યું હતું કે આગમી 15 દિવસમાં દેશની રાજનીતિમાં બે મોટા ધડાકા થશે. એમાંથી એક ધડાકો મહારાષ્ટ્રની રાજનીતિમાં થશે અને બીજો કેન્દ્રમાં.

બીજું, રાહુલ ગાંધીના નિશાના પર રહેલા ઉધોગપતિ ગૌતમ અદાણીની શરદ પવારે તરફેણ કરી છે. તેમણે હિડનબર્ગના રિપોર્ટની વિશ્વનીયતા પર સવાલ કર્યો હતો અને રાહુલ ગાંધી જેની માંગણી કરી રહ્યા છે તે સંયુક્ત સંસદીય સમિતિની તપાસને પણ અર્થ વગરની ગણાવી હતી. એટલું જ નહીં, પવારે અદાણી સાથે મુંબઈમાં બે કલાક સુધી બેઠક પણ કરી હતી.

ત્રીજું, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સામે સવાલ ઊભો કર્યો તો પવારે તેના પર પ્રત્યાઘાત આપ્યો હતો કે કોઈની ડિગ્રી કેવી રીતે રાજકીય મુદ્દો બની શકે? તેમણે કહ્યું કે દેશમાં બેરોજગારી, મોંધવારી, કાયદો-વ્યવસ્થા જેવા ઘણા મુદ્દા છે ત્યારે ડિગ્રી જેવો મુદ્દો કેવી રીતે મહત્ત્વનો બંને?

અદાણી અને ડિગ્રીના બંને વિવાદમાં નિશાન મોદી છે અને પવારે તેનાથી અંતર કરીને એક રીતે મોદીનો બચાવ કર્યો હોવાનું કહેવાય છે. શરદ પવારે તો ત્યાં સુધી કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી આજે છે, પરંતુ કાલે હશે કે નહીં તેની ખબર નથી. પવાર કોઈ વાત એમ જ નથી કહેતા. રાજકીય પંડિતો તેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં આવનારા ફેરફારને જોઈ રહ્યા છે.

અજીત પવાર મહત્ત્વાકાંક્ષી છે એ વાત નવી નથી. એન.સી.પી.માં સુપ્રિયા સૂલેનાં ચઢતાં પાણીથી તેઓ નારાજ છે તે વાત પણ નવી નથી. ભા.જ.પે. તેમની એ નારાજગીનો ઉપયોગ કરીને જ એકવાર તો તેમને ખેંચ્યા હતા, પણ બીજી વાર પણ એવું જ થશે? મતલબ કે આ વખતે પણ અજીત પવાર (તેમને 40થી 53 વિધાનસભ્યોનો ટેકો હોવાનું કહેવાય છે) એન.સી.પી. સાથે છેડો ફાડશે કે પછી શિંદેની જેમ આખી એન.સી.પી.ને હાઈજેક કરી જશે? સિનિયર પવારને આ બધી સંભવાનાઓનો અંદાજ ન હોય તે શક્ય નથી.

ત્યાં સુધી કે ઉદ્ધવ સેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યું છે કે શિંદે સરકાર 15 દિવસમાં ગબડી પડશે. તેમણે કહ્યું છે કે શિંદેનું ડેથ વોરંટ જારી થઇ ચુક્યું છે અને બહુ જલ્દી તેના પર હસ્તાક્ષર થઇ જશે. દરમિયાનમાં, ખુદ એકનાથ શિંદે તેમના ગામમાં ત્રણ દિવસની રજા પર ચાલ્યા ગયા છે. જો કે રસ્તામાં મહાબળેશ્વર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ ઘરે નવરા બેઠા છે એટલે અફવાઓ ફેલાવા સિવાય તેમની પાસે કશું કામ નથી.

જો કે, આગ વગર ધુમાડો શક્ય નથી. ત્યાં સુધી કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અમુક ઠેકાણે તો ભાવિ મુખ્ય મંત્રી તરીકે અજીત પવારનાં પોસ્ટર પણ લાગ્યાં છે. શરદ અને અજીત પવાર બંનેએ આ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી. એન.સી.પી.ના કાર્યકરોમાં આટલો બધો ઉત્સાહ માત્ર અફવાઓ આધારિત ન હોય. ખુદ અજીત પવાર પણ મુખ્ય મંત્રી બનવા માટેની ઈચ્છા જાહેર કરી ચુક્યા છે. સવાલ એ છે કે તેઓ કાકાની ઈચ્છા વગર મુખ્ય મંત્રી પદ માટે નિશાન તાકશે?

ભા.જ.પ. મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવી રાખવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે, ખાસ કરીને એક વર્ષ પછી લોકસભાની ચૂંટણી છે ત્યારે એ મહારાષ્ટ્ર ખોવાના મૂડમાં નથી. મહારાષ્ટ્રમાં શિવસેના અને એન.સી.પી.ની સરખામણીમાં ભા.જ.પ. મતદારોમાં એટલી લોકપ્રિય નથી જેટલી, દાખલા તરીકે, ગુજરાતમાં છે. એકનાથ શિંદે ભલે સરકારમાં હોય, પરંતુ આમ જનતા હજુ પણ ઉદ્ધવ સેનાને જ અસલી સેના માને છે. ઉદ્ધવની પાર્ટી કાર્યકરોમાં જે પકડ છે તે ભા.જ.પ. માટે પડકાર છે. સહજ રીતે જ, વોટ માંગવા જતાં પહેલાં ભા.જ.પ. સરકારને મજબૂત કરવાનું ઈચ્છશે. ભા.જ.પે. સેનાને તો ખતમ કરી છે અને હવે તે એન.સી.પી.માં પણ એવું જ કરવાનું સ્વપ્ન જોઈ રહી છે. ફર્ક એટલો છે કે હવે જે થશે તે શરદ પવારની સહમતીથી થશે જેથી 2019નો 80 કલાક વાળો ફિયાસ્કો ન થાય.

ટૂંકમાં, મહારાષ્ટ્રમાં રાજકીય મોસમ સામાન્ય નથી. લોકસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલાં પવાર પરિવારના કાકા-ભત્રીજા વચ્ચે ફાટફૂટ નજર આવી રહી છે. ભા.જ.પ.ના નેતાઓ પવાર સાથે જે રીતે ઇલુ-ઇલુ કરી રહ્યા છે તેનાથી એકનાથ શિંદે ખુશ નથી. મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી. સરકારમાં જ નહીં, ઇવન વિપક્ષમાં પણ કાઁગ્રેસ-એન.સી.પી.-સેનાનો મોરચો અકબંધ રહે તે ભા.જ.પ.ને મંજૂર નથી.

આ ત્રણે બાબતોમાં શરદ પવારની ભૂમિકા મહત્ત્વની બની રહેવાની છે. અનુકૂળ હોય કે પ્રતિકૂળ, દરેક રાજકીય પરિસ્થિતિમાં પોતાની ઉપયોગિતાને ગમે તે રીતે કાયમ રાખવામાં માહેર આ મરાઠા સેનાપતિ, રાજકારણના ફલક પરની આ લેટેસ્ટ ફિલ્મી ટ્વીસ્ટમાં કઈ રીતે તેમની છડી ઘુમાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

લાસ્ટ લાઈન:

“પોલિટિક્સમાં કશું અકસ્માતે થતું નથી, અને જો અકસ્માત થાય તો સમજવું કે તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.”

— ફ્રેન્કલિન રૂઝવેલ્ટ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 April 2023 Vipool Kalyani
← માનુષ અને માટી, આદિવાસી અને અદના માણસોના ચિત્રકારની ગહન ચિંતન કથા  
ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨)  →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved