Opinion Magazine
Number of visits: 9449860
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું !

રમેશ સવાણી|Opinion - Opinion|5 August 2025

રમેશ સવાણી

લોકશાહી દેશોમાં બેવકૂફ અને અસંસ્કારી આદમીને સર્વોચ્ચ સ્થાને બેસાડો તો દેશની શું હાલત થાય, એનો અનુભવ આજકાલ જગતના લોકશાહી દેશોને થઈ રહ્યો છે અને એમાં અમેરિકા અગ્ર સ્થાને છે. જગતના સર્વોચ્ચ શક્તિશાળી દેશને સર્વોચ્ચ બેવકૂફ શાસક મળ્યો છે. યથા પ્રજા તથા રાજા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 31 જુલાઈ  2025ના રોજ જાહેરાત કરી કે પહેલી ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. શા માટે? તો કહે, “ભારત અમેરિકન માલની આયાત પર એટલી બધી કસ્ટમ ડ્યુટી લગાડે છે કે અમેરિકનો ભારતમાં નિકાસ કરી શકતા નથી. ભારત-અમેરિકા વેપાર એકપક્ષીય છે જેમાં અમેરિકાને નુકસાન થાય છે. જો ભારત હેવી ટેરિફ લાદીને અમેરિકન આયાતને રોકતું હોય તો અમેરિકા શા માટે ન કરે?”

અમેરિકાને આવો અધિકાર નથી. વિશ્વ વાણિજ્ય સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની બહુરાષ્ટ્રીય સમજૂતી મુજબ કોઈ દેશ બારોબાર ટેરિફ કે વાણિજ્યની અન્ય શરતો બદલી શકે નહીં. 1991થી ‘95નાં વર્ષોમાં અમેરિકા વિશ્વ વાણિજ્ય સમજૂતી પર બધા દેશો સહી કરે એ માટે આતુર હતું અને વિકાસશીલ દેશો પર દબાણ કરતું હતું. સોવિયેત રશિયાનું પતન થયું હતું, જગતભરમાં સામ્યવાદનો લગભગ અસ્ત થયો હતો, ચીન હજુ પહોંચી વળી શકાય એવી અવસ્થામાં હતું અને શીતયુદ્ધનો અંત આવ્યો હતો. અમેરિકાને અને જગતના સમૃદ્ધ મૂડીવાદી દેશોને એમ લાગતું હતું કે સમાજવાદી અંકુશો રહિત મુક્ત વ્યાપારના યુગમાં ગરીબ અને વિકાસશીલ દેશોના માર્કેટ પર અને તેનાં સંસાધનો પર કબજો કરવાનો અવસર આવ્યો છે અને વિશ્વ વ્યાપાર સમજૂતી તે માટેનું માધ્યમ હતું. 

ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આ સમજૂતી સમજૂતી કરાવનારાઓને જ મોંઘી પડી શકે છે. એમાં અમેરિકા તો ક્લીન ડેવલપમેન્ટમાં માનનારો દેશ એટલે પોતાની ભૂમિ અને પર્યાવરણ બગાડે એવા ઉદ્યોગોમાં તેને રસ નહોતો. ડોલરનો સોના સાથેના આર્થિક સંતુલનનો સંબંધ તોડી નાખ્યો હતો એટલે જરૂર પડ્યે ડોલર છાપી લેવાના અને વર્ચસ જાળવી રાખવાનું. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે સમય હંમેશાં સાથ આપવાનો છે અને એમાં તેઓ તુમાખી પર ઉતરી આવે છે. અમેરિકન તુમાખી વિશ્વપ્રસિદ્ધ છે. ડાહ્યા માણસોને જ્યારે વરવી વાસ્તવિકતા સમજાય ત્યારે તેઓ તુમાખી અને દાદાગીરી છોડીને હવામાં ઉડવાની જગ્યાએ જમીન પર ચાલવાનું શરૂ કરે છે. અમેરિકાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું બરાક ઓબામાં. સામ્યવાદી રશિયાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું મિખાઈલ ગોર્બાચેવ. સામ્યવાદી ચીનને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું દેંગ ઝિયાઓપીંગ. ભારતને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું પી.વી. નરસિંહરાવ. આવા માણસો સમય વરતીને દિશાપરિવર્તન કરવાનું કામ કરતા હોય છે. આમાં નવી દિશાને પડકી રાખવામાં અને હજુ વધુ આગળ જવામાં એક માત્ર ચીન સફળ નીવડ્યું, બાકીના દેશો એ ન કરી શક્યા કારણ કે અનુવર્તી શાસકોમાં કેટલાકની સમજ ઓછી હતી, કેટલાક સડેલી વ્યવસ્થાના શિકાર હતા (જેમ કે ડૉ મનમોહન સિંહ), કેટલાક માટે રાષ્ટ્રીય કરતાં પક્ષીય એજન્ડા સર્વોપરી હતા, કેટલાકને ઇતિહાસના હિસાબ-કિતાબમાં રસ હતો અને છે અને કેટલાક સ્વકેન્દ્રીય બેવકૂફ હતા કે છે. ચીનનો આજે જગતમાં દબદબો છે એનું કારણ એણે 1979થી કૃતસંકલ્પ સાથે પકડી રાખેલી દિશા છે. ભારત તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આનું પ્રમાણ છે. ચીનને છેડ્યા પછી ચીને એવો કચકચાવીને તમાચો માર્યો કે હવે ટ્રમ્પ સીધી ચીનના નેતા સાથે વાતચીત કરી રહ્યા છે અને ભારતને અને ભારતના મહાન પ્રતાપી વડા પ્રધાનને સતાવી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ બારોબાર વૈશ્વિક સંધિ તોડી શકે નહીં, પણ આ તો ટ્રમ્પ છે જેની પાસે રહીસહી તાકાત વાપરીને દાદાગીરી કરવા સિવાય બીજી કોઈ આવડત નથી. તેમણે સંધિ તોડીને ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કર્યો. પણ સવાલ એ છે કે અત્યારે કેમ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વાણિજ્ય સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી છે? આ રહસ્ય છે. પણ વધારે મોટું રહસ્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવાના ગુના માટે ભારત પર પેનલ્ટી લગાડી છે. કોણે અધિકાર આપ્યો ટ્રમ્પને ભારત વિષે નિર્ણય લેવાનો? ભારત ગમે તેની સાથે ધંધો કરે તો એ તેનો અધિકાર છે. રશિયા સાથે બીજા દેશો પણ ધંધો કરે છે, ઉર્જાના ક્ષેત્રમાં પણ ધંધો કરે છે પણ એમાંના કોઈને નહીં ને ભારતને જ કેમ દંડે છે? શું ભારત અમેરિકાની જાગીર છે?

ભારત તરફથી તીવ્ર પ્રતિક્રિયા કેમ અપાતી નથી? શેનો ડર છે? અને આવું પહેલીવાર નથી બન્યું. એકધારું બની રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વસેલા નાગરિકોને હાથકડી જ નહીં, પગમાં બેડી પહેરાવીને વીડિયો લેવામાં આવે અને રિલીઝ કરવામાં આવે. મેક્સિકો અને બ્રાઝિલના નાગરિકો સાથે આવો વર્તાવ કરવામાં નહોતો આવ્યો. મેક્સિકોએ તો સંભળાવી દીધું હતું કે અમારા નાગરિકોને લઈને તમારું વિમાન અમારી ધરતી પર નહીં ઉતરે અમારું વિમાન આવીને અમારા નાગરિકોને સ્વમાનભેર લઈ જશે. બીજી બાજુ આપણા વિદેશ પ્રધાને અમેરિકાનો બચાવ કરતા કહ્યું હતું કે “ગુનો કરે એને હાથકડી પહેરાવવામાં આવે એમાં ખોટું શું છે?” એલા ભાઈ, માત્ર હાથકડી નહોતી, પગમાં બેડી પણ હતી  જે ગંભીર ગુનાઓમાં પહેરાવવામાં આવે છે ! જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે કે અમેરિકાના? ઓપરેશન સિંદુર વખતે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કરી હતી. ‘મેં યુદ્ધ રોકાવ્યું’ એવું તેમણે એક વાર નહીં અંદાજે વીસ વાર કહ્યું છે. ‘મેં બન્ને દેશોને કહ્યું હતું જો તેઓ યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા બન્ને દેશોને વાણિજ્યકીય રીતે દંડશે અને જો યુદ્ધ બંધ કરશે તો અમેરિકા વાણિજ્યકીય મદદ કરશે.’ આ અમેરિકામાં નહીં બીજા દેશમાં સાઉદી અરેબિયામાં કહ્યું હતું. 25 ટકા ટેરિફ અને દંડ એ મદદ છે? ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાને ભારતનાં પાંચ વિમાનો તોડી નાખ્યાં હતાં.” ટ્રમ્પે પ્રોટોકોલ બાજુએ મૂકીને પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન પર બોલાવ્યા હતા અને તેના બેમોઢે વખાણ કર્યા હતા ! દેશના વડાને નહીં, લશ્કરી વડાને ! પણ આપણા પ્રતાપી વડા પ્રધાન અને તેમની સરકાર ચૂપ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તો લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ‘ટ્રમ્પનું નામ લઈને કહેવામાં આવે કે ટ્રમ્પનો દાવો ખોટો છે.’ વડા પ્રધાન બોલતા નથી. 

ટ્રમ્પે રશિયા સાથે ઉર્જા વેપાર કરવા માટે માત્ર પેનલ્ટી નથી જાહેર કરી, ભારતના અર્થતંત્રને ‘મરેલાં અર્થતંત્ર’ તરીકે ઓળખાવ્યું છે. “ભાડમાં જાય ભારતનું મૃતપ્રાય અર્થતંત્ર. તે હજુ વધુ મરે તો મને કોઈ ફરક નથી પડતો.” આ ટ્રમ્પના શબ્દો છે. ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાનના ખનીજ તેલના જથ્થાને રિફાઇન્ડ કરવાની સમજૂતી થઈ ગઈ છે અને એક વખત એવો આવશે કે ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે.” જેનાં ઓવારણાં લેતા નરેન્દ્ર મોદી થાકતા નહોતા એ ટ્રમ્પ આવી ભાષા વાપરે છે અને વહેવાર કરે છે અને એ પણ વારંવાર ! હદ તો ત્યારે થઈ કે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા આપણા સાહેબે સીધો પ્રચાર કર્યો. જગતના ઇતિહાસમાં આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. 

શા માટે? લાખ રૂપિયાનો સવાલ આ છે. શા માટે  ટ્રમ્પ નરેન્દ્ર મોદીને વારંવાર નીચા દેખાડે છે? કદાચ કશુક અંગત છે. કદાચ નરેન્દ્ર મોદીનો ઈગો ટ્રમ્પના ઈગોને મેનેજ કરી શકતો નથી. જાગતિક સંબંધોમાં સોડમાં ઘૂસવામાં જોખમ હોય છે એમ મુત્સદીઓ કહેતા ગયા છે. 

ખેર, આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી ટટ્ટાર ઊભા રહે. અમેરિકા સામે, ચીન સામે, ન્યુક્લિયર પાકિસ્તાન સામે, તુર્કી સામે. દેશના ગરીબ મુસલમાનો સામે નહીં ! વિપક્ષો સામે નહીં !

તાકાત નબળાને રંજાડવામાં નથી બળિયાને પડકારવામાં છે, પણ ક્યારે? તાકાત રળીને. અને તાકાત રળવા માટે રાષ્ટ્રીય એકતા જોઈએ, જમીન પર પગ જોઈએ, સાચો નક્કર દેશપ્રેમ જોઈએ, સાચી નિસ્બત જોઈએ, ટેલેન્ટની કદર કરતા આવડવું જોઈએ વગેરે. યાદી લાંબી છે અને તમે એ જાણો છો. મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું ! 

[સૌજન્ય : રમેશ ઓઝા, 3 ઓગસ્ટ 2025. 

કાર્ટૂન સૌજન્ય સંદર્ભ : તમિલ મેગેઝિન, ‘Vikatan-વિકાટન’માં 10 ફેબ્રુઆરી 2025ના રોજ આ કાર્ટૂન પ્રકાશિત થયેલું. 

અમેરિકાએ, ભારતના ‘ગેરકાયદેસર’ નાગરિકો સાથે અમાનવીય વર્તન કરેલું અને મોદીજી ચૂપ રહેલા તેથી તેમને સાંકળમાં બાંધેલી સ્થિતિમાં દર્શાવવેલા. તેથી મોદીજીને માઠું લાગી ગયું હતું. 15 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્ર સરકારે વિકાટનની વેબસાઇટ બ્લોક કરી દીધી હતી !]

04 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

5 August 2025 Vipool Kalyani
← સ્મૃતિમાં  છલકાયું
વક્ત કા હસીન સિતમ – ગુરુદત્તથી ગુરુદત્ત સુધી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved