Opinion Magazine
Number of visits: 9445958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાન કોને કહેવાય? ઉત્તમ હોય તે કે પરોપકારી હોય તે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2021

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કેન્ડેય કાટ્ઝૂ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે, ક્યારેક ઉચિત કારણોથી, ક્યારેક અનુચિત ટીપ્પણીઓથી. ૨૦૧૨માં, દિલ્હીમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં તેમણે કરેલું એક વિધાન લોકો આજે ય યાદ કરે છે; "નેવું ટકા ભારતીયો બેવકૂફ છે. તમને લોકોને માથામાં દિમાગ જ નથી. તમને ભરમાવા બહુ સરળ છે. તમે કોકના ઈશારે અંદરોઅંદર જ લડ્યા કરો છો, અને તમને તેની સમજ પણ પડતી નથી." એનો બહુ વિવાદ થયો, તો તેમણે કહ્યું હતું કે, "જાતિવાદ, કોમવાદ, પછાતપણા અને અંધશ્રદ્ધામાંથી લોકોને જગાડવા મેં એ કહ્યું હતું."

તેમનું બેબાકપણું લોકોને ખૂંચે છે, કારણ કે તેઓ કોથળીમાંથી પાંચશેરીને બહાર કાઢીને મારે છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થયા તેને કાટ્ઝૂએ 'નૌટંકી' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, "આનાથી આમ જનતાના જીવનમાં શું ફર્ક પડશે? શું મંત્રીઓ બદલવાથી દેશમાં વ્યાપક અને ભયાનક ગરીબી, બેરોજગારી, મોંધવારી, કુપોષણ, સ્વાસ્થ્ય સેવા, સારા શિક્ષણનો અભાવ, ખેડૂતોનું સંકટ, ભ્રષ્ટાચાર, દલિતો અને લઘુમતીઓ પરના અત્યાચાર જેવી સમસ્યાઓ દૂર થઇ જશે? બિલકુલ નહીં. આ નૌટંકી છે."

કાટ્ઝૂ કાણાને કાણો કહેતાં અચકાતા નથી, એ ઘણા લોકોને પસંદ નથી આવતું, પરંતુ તેમની વાત અસ્થાને નથી હોતી. એ જે કહે છે તેમાં સત્યનો અંશ હોય છે, પણ તેમની 'ઉદ્ધત' ભાષામાં એ ખોવાઈ જાય છે. હમણાં ફિલ્મ અભિનેતા દિલીપ કુમારનું અવસાન થયું, ત્યારે તેમણે તેમને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમમાં જવાની એટલા માટે ના પાડી દીધી કારણ કે તેમને તેમના 'મનની વાત' કહેવા મળવાની ન હતી.

મનની વાત શું હતી? કાટ્ઝૂએ કહ્યું કે દિલીપ કુમાર નિઃશંકપણે બહેતર અભિનેતા હતા, પણ 'મહાન' ન હતા. હું તેમની વાત કરતી વખતે તેમને 'મહાન' નહીં ગણાવું. આપણે શબ્દની ગંભીરતાને સમજ્યા વગર ગમે તેને માટે 'મહાન' શબ્દ વાપરીએ છીએ. કાટ્ઝૂએ આ આમંત્રણવાળી વાતને એક લેખમાં લખતાં કહ્યું હતું, "હું તેને મહાન ગણું છું જેણે ઇતિહાસમાં સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડ્યો હોય, જેમ કે – બુદ્ધ, જીસસ ક્રાઈસ્ટ, પયગંબર, લિંકન, લેનિન વગેરે."

તેમણે કહ્યું કે હું લોકે, રૂસો, માર્ક્સ જેવા વિચારકો અને શેક્સપિયર, ડિકન્સ, તોલ્સતોય, વિકટર હ્યુગો, મિર્ઝા ગાલીબ, ફૈઝ, શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા લેખકોને મહાન કહું, પણ દિલીપ કુમારે સમાજ માટે શું કર્યું છે કે તેમને 'મહાન' કહેવા પડે? તેમણે લોકોનું મનોરંજન કર્યું હતું પોતાના માટે પૈસા બનાવ્યા હતા એટલું જ.

દિલીપ કુમારની વાત બાજુએ મુકીએ તો પણ, કાટ્ઝૂએ 'મહાન' શબ્દના ઉપયોગને લઈને જે સવાલ ઉઠાવ્યો છે તે વ્યાજબી તો છે. કાટ્ઝૂની એ વાત તો સાચી જ છે કે આપણે ‘મહાન’ શબ્દને એટલો સસ્તો બનાવી દીધો છે કોઇ પણ સારી, સફળ, લોકપ્રિય વસ્તુ કે વ્યક્તિ માટે ‘મહાન’ શબ્દનો પ્રયોગ કરતાં અચકાતા નથી, આપણને તેની એવી ટેવ પડી ગઈ છે કે આપણે રોજ અનેક જગ્યાએ એ શબ્દને વાંચીએ /સાંભળીએ છીએ અને આપણને એવો પ્રશ્ન પણ થતો નથી કે ગીતા જો મહાન ગ્રંથ હોય, તો પછી એક ફિલ્મ કે એક ટેલીવિઝન સિરિયલ પણ મહાન હોય? બંને વચ્ચે કોઈ ભેદ નહીં?

હકીકતમાં, આપણે ‘ઉત્તમ’ અને ‘મહાન’ વચ્ચે ભેળસેળ કરીએ છીએ. આપણે એક માણસને ઉત્તમ કહીએ છીએ, પછી તેનાથી વધુ ઉત્તમ માણસને મહાન ગણીએ છીએ. દાખલા તરીકે, જર્મનીમાં ઘણા ઉત્તમ નેતાઓ થઇ ગયા, પણ એડોલ્ફ હિટલર એ બધાથી અલગ હતો એટલે આપણે તેને મહાન કહીએ છીએ. મહાનતાનો સંદર્ભ વિશાળતા સાથે છે. સાધારણ અથવા ઉત્તમ માણસો જે ઊંચાઈ, કદ કે માત્રામાં જે કામ કરવા સક્ષમ ન હોય, તેની સાથે આપણે મહાનતાને જોડીએ છીએ.

પરંતુ મહાનતા એટલાથી નક્કી નથી થતી. કોઈ વસ્તુ કે વ્યક્તિ વ્યાપક જનહિતમાં કેટલી કલ્યાણકારી છે તેના પરથી તેની મહાનતા નક્કી થાય છે. જેમ કે, નિકોલસ કોપરનિકસને આપણે મહાન ખગોળશાસ્ત્રી કહીએ છીએ, કારણ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવી શોધ કરીને તેણે આધુનિક ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનની શકલ બદલી નાખી હતી. આપણે ચાર્લ્સ ડાર્વિનને મહાન જીવવિજ્ઞાની કહીએ છીએ કારણ કે તેને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત વિકસાવીને પૃથ્વી પર જીવ સૃષ્ટિના રહસ્યને ઉકેલી નાખ્યું હતું. એ રીતે હિટલર મહાન નથી ગણાતો, કારણ કે તેણે માનવજીવનનું અહિત કર્યું હતું. 

તમિલ મહાભારતમાં પરોપકારી કર્ણની એક વાર્તા છે. તેનું મૃત્યુ થવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ ગરીબ બ્રાહ્મણ બનીને તેની પાસે જાય છે અને વિનંતી કરે છે તેણે આજીવન પરોપકાર કરીને જે ફળ મેળવ્યાં હતાં તે દાનમાં આપી દે. કૃષ્ણનો ઈરાદો એવો હતો કે કર્ણનો જીવ એમાં અટકેલો છે તે છૂટો થાય અને તે મરી જાય.

કર્ણ એ વિનંતીને માન્ય રાખે છે અને પરોપકારનાં ફળ બ્રાહ્મણને દાનમાં આપી દે છે. એ પછી કર્ણનો જીવ છૂટી જાય છે. અહીં ચાલાક કૃષ્ણ અને પરોપકારી કર્ણની મહાનતાનો પ્રશ્ન છે. બંનેમાંથી કોણ મહાન છે? આમાં કબીરની પેલી દુવિધા જેવું છે :

ગુરુ ગોવિંદ દોઉં ખડે, કિસ કો લાગુ પાય
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય

ઉપર મહાનતાની વિશાળતાની વાત કરી તે પ્રમાણે, મહાન એ છે, જે ઉત્તમ લોકોની સીમાથી આગળ જાય છે. મહાન માણસ તેના અંગત સ્વાર્થથી આગળ જઈને વ્યાપક હિતમાં બલિદાન આપે છે. કર્ણને માતાએ, પિતાએ, ભાઈઓએ, ગુરુએ બધાએ ત્યજી દીધો હતો. જેનું કામ તેનું રક્ષણ કરવાનું હતું તે કૃષ્ણએ પણ ચાલાકી કરીને તેને ત્યજી દીધો, પણ પરોપકાર કર્ણની નિયતિમાં હતો. તેણે તો ભગવાનને પણ દાન આપ્યું, અને મહાન દાતા સાબિત થયો.

સાર : સદાચાર તમને ઉત્તમ બનાવે છે, પણ પરોપકાર સદાચારથી એક કદમ આગળ છે, અને એ તમને મહાન બનાવે છે.

સૌજન્ય: રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલ પરેથી સાદર

Loading

30 July 2021 admin
← હળહળતાં જૂઠાણાં બોલતા વડા પ્રધાનને નૈતિકતા જેવું છે કે નહીં ?
જેજુરી →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved