Opinion Magazine
Number of visits: 9485370
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહામારી અને ભેદભાવ : અતીત અને વર્તમાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 August 2021

પ્લેગ, બળિયા, ઓરી, શીતળા, કાળી ખાંસી, ટી.બી., રક્તપિત્ત, મેલેરિયા, ટાઇફોઈડ, યલો ફીવર, ઇંગ્લિશ સ્વેટ, સાર્સ, સ્પેનિશ ફ્લૂ, ઈન્ફલૂએન્ઝા, એચ.આઈ.વી. એઈડસ અને કોવિડ-૧૯ : ઈ.સ. પૂર્વે ૪૩૦થી લગભગ દર સદીએ જોવા મળતી, અને માનવ જાતનો મોટા પાયે ભોગ લેતી, આ કેટલીક મહામારીનાં નામ છે. આ પ્રત્યેક મહામારીમાં હજારો, લાખો, કરોડો લોકોનાં મોત થયાં હતાં. માનવીના અસ્તિત્વ માટે ખતરો બની રહેનારી આ મહામારી માનવીમાં વધુ સમજણ અને માનવતા જગાડે તે અપેક્ષિત હોય છે. જો કે મહામારીમાં પણ માણસ સુધરતો નથી અને તેના પૂર્વગ્રહો, ભેદભાવ તથા અસમાનતા અકબંધ રહે છે.

‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાવાયેલી ચૌદમી સદીની બ્યૂબોનિક પ્લેગની મહામારીમાં સાડા સાતથી વીસ કરોડ લોકોનાં મોત થયાંનો અંદાજ છે. આ મહામારીમાં પણ માનવીના પૂર્વગ્રહો અછતા રહી શક્યા નહોતા. યુરોપમાં બ્યૂબોનિક પ્લેગના ફેલાવા માટે ખ્રિસ્તીઓએ યહૂદીઓને જવાબદાર માન્યા હતા. ખ્રિસ્તીઓએ ખૂબ મોટા પાયે યહૂદીઓને નિશાન બનાવી તેમના પર બર્બર હિંસા આચરી હતી. ઓગણીસમી સદીમાં અમેરિકાના પૂર્વ તટમાં કોલેરાની મહામારી ફેલાઈ ત્યારે ઇંગ્લિશ મૂળના પ્રોટેસ્ટન્ટોએ તેનો દોષ આઈરિશ મૂળના કેથલિક્સ પર ઢોળ્યો હતો. તેવું તે સમયના દસ્તાવેજોના આધારે સાબિત થયું છે.

ભારતમાં ઓગણીસમી સદીના આખરી દાયકામાં પ્લેગની મહામારીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. આશરે બે દાયકા સુધી તેની અસર રહી હતી. એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતમાં જ એક કરોડ લોકોનાં પ્લેગને કારણે મોત થયાં હતાં. ૧૮૯૬માં ચીનમાંથી પ્લેગ ભારતમાં ફેલાયો હતો. મુંબઈ ઈલાકામાં પ્લેગ નિવારણમાં ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યાની ફરિયાદો એ સમયના બ્રિટિશ શાસકો પર ઊઠી હતી. બીજી તરફ શહેરી ગરીબ ઝૂંપડાવાળાઓના લીધે પ્લેગ ફેલાયો હોવાનું માનતા સુખી સંપન્ન લોકોએ ગરીબોની વસ્તીઓ સળગાવી તેમના પર હિંસક હુમલા કર્યા હતા.

જ્યારે સવાસો વરસ પૂર્વે મહારાષ્ટ્રના પૂણેમાં પ્લેગે કાળો કેર વર્તાવ્યો, ત્યારે વોલ્ટર ચાર્લ્સ રૈંડ નામક અંગ્રેજ અધિકારી પૂણેના પ્લેગ નિયંત્રણ અધિકારી હતા. કશા ભેદભાવ વિના તેમણે બે જ મહિનામાં પૂણેમાં પ્લેગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે તેની કિંમત તેમણે પોતાનો જીવ ગુમાવીને ચુકવી હતી. પ્રો. પરિમલ વી. રાવના દલિત દ્રષ્ટિકોણથી કરાયેલા પૂણેના પ્લેગના અભ્યાસમાં જણાવાયા મુજબ પૂણેના આસિસ્ટન્ટ કલેકટર રૈંડે અસ્પૃશ્યો સહિતના તમામ ધર્મના લોકો માટે પ્લેગ હોસ્પિટલ સ્થાપી હતી. પરંતુ લોકમાન્ય ટિળકને તે મંજૂર નહોતું. ટિળકના એક જીવનીકારે નોંધ્યું છે તેમ તેમણે હિંદુ નેતાઓ સાથે મળીને પોતાના ખર્ચે હોસ્પિટલ ઊભી કરી હતી પણ તેમાં અસ્પૃશ્ય હિંદુઓને દાખલ કરતા નહોતા. ટિળકના ‘મરાઠા’ અને ગોપાલકૃષ્ણ ગોખલેના ‘સ્વરાજ’માં અંગ્રેજો પ્લેગની સારવારમાં ભારતીયોની ધાર્મિક ભાવનાનું અપમાન કરી રહ્યાના અહેવાલો પ્રગટ થતા હતા. તેના કારણે જ સાંપ્રદાયિક માહોલ ઊભો થયો હતો અને ચાફેકર બંધુઓએ અંગ્રેજ અધિકારી રૈડ સહિત બે અંગ્રેજોની હત્યા કરી હતી. આ રાષ્ટ્રવાદી કૃત્યનાં મૂળમાં અંગ્રેજોની અસ્પૃશ્યો પ્રત્યેની સમાનતાની અને કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓની ભેદભાવની નીતિ જવાબદાર હતી.

હાલની કોરોના મહામારીમાં આખી દુનિયાની આરોગ્ય સંભાળમાં મહિલાકર્મીઓનો હિસ્સો સિત્તેર ટકા જેટલો છે, પરંતુ મહિલાઓ પ્રત્યેના પૂર્વગ્રહો અને ભેદભાવોને કારણે કોરોના સંબંધી નિર્ણય પ્રક્રિયામાંથી તેમને  બાકાત રાખવાનું વલણ વિશ્વની પિતૃસત્તાનું જોવા મળે છે. દુનિયાના ૧૩૭ દેશોના કોરોના અંગેના જે ૨૨૫ ટાસ્ક ફોર્સ કાર્યરત છે, તેમાં માત્ર ૨૪ ટકા જ મહિલાઓ છે. ૨૬ ટાસ્ક ફોર્સમાં તો એક પણ મહિલા નથી. માત્ર આઠ દેશોના ટાસ્ક ફોર્સમાં મહિલાઓની સમાન ભાગીદારી છે. કોરોના મહામારીના જે ઉકેલો વિચારાયા છે, તેમાં ૩૨ દેશોએ મહિલાઓને ધ્યાનમાં રાખીને કશું જ વિચાર્યું નથી. કોરોનાના ઉકેલના ૨,૨૮૦ સૂચનોમાં ૧૩ ટકા જ મહિલા સંબંધિત છે.  કોરોના મહામારી દરમિયાન લૈંગિક સમાનતામાં મહિલાઓ પાછળ ધકેલાઈ ગઈ છે અને ઘરેલુ હિંસા વધી છે.

કોરોના દરમિયાન મૃત્યુ પામનારા દક્ષિણ એશિયાઈ આરોગ્યકર્મીઓની સંખ્યા ગોરાઓ કરતાં બે ગણી છે. ભારતમાં સુરક્ષાનાં અલ્પ સાધનો સાથે સફાઈ અને આરોગ્ય ક્ષેત્રે સૌથી જોખમી કામોમાં સફાઈ કામદારોને જોતરવામાં આવે છે. કોરોના કામગીરી દરમિયાન રાજધાની દિલ્હીની ત્રણ મહાનગરપાલિકાના કુલ ૯૪ કર્મચારીઓનાં મોત થયાં છે તેમાં અડધોઅડધ એટલે કે ૪૯ સફાઈ કામદારો છે. ભારતના કેટલાંક શહેરોમાં રસીકરણનો આરંભ સફાઈ કામદારોથી થયો હતો. તે સમયે સફાઈ કામદારોની ફરિયાદ હતી કે રસીકરણમાં તેમને પ્રાથમિકતા આપવાનું કારણ સમાજ અને સરકારનો તેમના પ્રત્યેનો પ્રેમ કે લાગણી નથી, પણ રસીની આડઅસરો ચકાસવા માટે તેમને આગળ ધરી દેવામાં આવ્યા છે.

વિશ્વમાં કોરોનાથી બચવા માટેનો એક માત્ર ઉપાય વેક્સિન છે. પરંતુ રસીકરણમાં પણ ભારોભાર ભેદભાવ પ્રવર્તે છે. દુનિયાની કુલ રસીનો એક તૃતીયાંશ ભાગ અમેરિકાએ લઈ લીધો છે. અમેરિકામાં પણ ગોરાઓના મુકાબલે કાળાઓનું રસીકરણ ઓછું છે. અમેરિકા, ચીન, બ્રિટન, ઈઝરાયલ અને ભારત એ પાંચ દેશો રસીકરણમાં મોખરે છે. તો દુનિયાના ૨૯ ગરીબ દેશોના એકે ય નાગરિક સુધી હજુ કોરોનાની રસી પહોંચી નથી. ભારતમાં જ્યાં બદતર આરોગ્ય સગવડો છે તે ગ્રામીણ ભારત અને અંતરિયાળ વિસ્તારો સુધી પણ રસી પહોંચી નથી. એપ્રિલ ૨૦૨૦માં ભારતમાં કોરોના સંક્રમણનો દર શહેરોમાં ૭૦ ટકા અને ગામડાંમાં ૩૦ ટકા હતો. એક વરસ પછી એપ્રિલ ૨૦૨૧માં શહેરોમાં ૬૦ અને ગામડાંઓમાં ૪૦ ટકા છે. પરંતુ ગામડાં પ્રત્યેના ભેદભાવોને લીધે હજુ તેમને રસીકરણમાં કે આરોગ્ય સુવિધાઓમાં પ્રાથમિકતા મળતી નથી.

કોરોનાકાળમાં આર્થિક અસમાનતા અકલ્પનીય હદે વધી છે. ‘ધ ઈનઈક્વાલિટી વાઈરસ’ નામક ‘ઓકસફામ’નો અહેવાલ, ભારતમાં અબજોપતિઓની સંપતિમાં આ ગાળામાં ૩૫ ટકાનો વધારો થયાનું નોંધે છે. ગરીબો અને અમીરો વચ્ચેનું અંતર એ હદે વધતું જાય છે કે અબજોપતિઓની માત્ર વધેલી સંપત્તિ દેશના ૧૩.૮ કરોડ ગરીબોને વહેંચવામાં આવે તો દરેકના ભાગે રૂ.૯૪,૦૪૫ આવે તેમ છે! વિશ્વ અસમાનતા ડેટાબેઝ જણાવે છે કે મધ્યમવર્ગના ૪૦ ટકા લોકોની કુલ આવકમાં હિસ્સેદારી ૪૪ ટકાથી ઘટીને ૩૦ ટકા થઈ છે. તળિયાના ૫૦ ટકાની હિસ્સેદારી ૨૦ ટકાથી ઘટીને ૧૩ ટકા થઈ છે. પણ ટોચના ૧૦ ટકા ધનવાનોની હિસ્સેદારી ૫૨ ટકાથી વધીને ૬૩ ટકા અને તેના ય ટોચના ૧ ટકાની ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થઈ છે. એકલા મૂકેશ અંબાણીની વધેલી સંપત્તિ ભારત સરકારના દસ વરસના મનરેગા કે આરોગ્યના બજેટ જેટલી છે.

ભારતમાં કોરોનાના આરંભે જ દિલ્હીના મરકઝ કે તબલિગી જમાતને દોષિત ઠેરવી દેવાનું સરકારી વલણ હતું. કોરોના દરદીઓના સત્તાવાર આંકડાઓ ખુદ સરકારો ધાર્મિક આધારે તબલિગીઓને જુદા તારવીને આપતી હતી. ગરીબ રાજ્યોના સ્થળાંતરિત કામદારોના પરસેવાથી દેશના જે રાજ્યોનો વિકાસ થયો છે, તેમણે તાળાબંધીમાં તેમને તરછોડી દીધા હતા. તેમના વતન રાજ્યોમાં પણ તેમને કોરોના ફેલાવનારા ગણાવી હડધૂત કરાયા હતા. માનવીમાં રહેલા ભેદભાવ, પૂર્વગ્રહો અને અસમાનતાનું વિકરાળ રૂપ દર્શાવતી કોરોના કંઈ પહેલી મહામારી નથી. સરકારો અને સમાજનું વલણ અને વર્તન શાયદ તેને છેલ્લી પણ નહીં બનવા દે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

4 August 2021 admin
← દુનિયામાં કોલાહલ છે : આપણે આશાના દૂત છીએ
જેઓ ડરતા નથી તેને ડરાવી શકાતાં નથી →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved