Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધ્ય વર્ગનું લશ્કરીકરણ અને વિકલ્પો જોવાની ઘટતી ક્ષમતા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 June 2017

હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે કૉંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે સૈન્યાધ્યક્ષને ‘ગલીના ગુંડા’ કહ્યા પછી થૂંકેલું ચાટી લેવું પડ્યું, એમાં એ જે મુદ્દો મૂકવા માગતા હતા તે પણ ધોવાઇ (હવાઇ?) ગયો. એ કહેવા એવું જતા કે પાકિસ્તાનની માફિયા સેનાની જેમ આપણી સેનાના અધ્યક્ષે (ગલીના ગુંડાની જેમ) બોલ બોલ કરવું ન જોઇએ. સંદીપને આ બોલતા ન આવડ્યું અને પછી માફી માગી લેવી પડી. ફેર ઇનફ.

રાજનૈતિક અથવા તો ઘરેલુ બાબતોમાં સેનાને ઘસીટવાની રાજકારણીઓની સનક એ હકીકતમાંથી આવે છે કે ભારતનો મધ્ય વર્ગ ઉત્તરોત્તર એ માન્યતાને મજબૂત કરી રહ્યો છે કે દેશને પરેશાન કરી રહેલી સામાજિક-રાજકીય સમસ્યાઓનો ઉકેલ માત્ર સેના પાસે જ છે. સેનાધ્યક્ષ બિપીન રાવતે કંઇક આવા જ ભાવ સાથે કહ્યું હતું કે, ‘જે લોકો અમારી ઉપર પથ્થરો ફેંકે છે તે લોકો હથિયારો ચલાવે તો સારું.  એ પછી જુઓ હું શું કરું છું.’

દેશની ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા રોજ આવા ‘યુદ્ધ’ ચલાવતી રહે છે. ઑફિસોમાં, ટ્રેનોમાં, પાર્ટીઓમાં, પાનના ગલ્લાઓ ઉપર એક વાત ઉગ્ર સૂરે સાંભળવા મળતી રહે છે કે દેશને મહાન બનાવવો હોય તો સેનાને છુટ્ટો દોર આપી દેવો જોઇએ. એક બહુ મોટા વર્ગને લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં શ્રદ્ધા નથી, અને એને દરેક પ્રશ્નના સમાધાન હિંસામાં દેખાય છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર સંજય શ્રીવાસ્તવ આને ‘મધ્ય વર્ગનું લશ્કરીકરણ’ કહે છે. બીજી-ત્રીજી પેઢીના ભારતના મધ્ય વર્ગી લોકોને ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’માં સ્વર્ગ જોવાની ટેવ પડી ગઇ છે, (અથવા ટેવ પાડવામાં આવી છે) અને એને લાગે છે કે ભારતે મહાન થવું હોય તો જરી-પુરાણી, દકીયાનુસી સમાજવાદી, ઉદારવાદી અને લોકતાંત્રિક વ્યવસ્થાને તોડી-ફોડીને હથોડાછાપ વ્યવહાર અપનાવવો જોઇએ. યુદ્ધ શું કહેવાય એ લોકોને ખબર નથી. વિશ્વના ઘણા દેશોમાં જે રાજકીય-સામાજિક ચિંતન અને વ્યવસ્થાઓ છે, તે યુદ્ધોની લોહિયાળ વાસ્તવિકતામાંથી ઘડાઇ છે. આપણે ત્યાં યુદ્ધ એ ટેલિવિઝન કે સિનેમાની ફેન્ટસી રહી છે. 

સેનાને પરદા ઉપર કે સોશિયલ મીડિયાના બૉક્સમાં જોવા-ચર્ચવાથી એક પ્રકારનું વીરત્વ તો પેદા થાય, પરંતુ એની વાસ્તવિકતા ખબર ન પડે. કાશ્મીરમાં પથ્થરમારા વચ્ચે ડ્યૂટી કરતા જવાનો કે સિયાચીનમાં હાડ ગાળી રહેલા સૈનિકોની ‘સ્ટોરી’ હોય છે તો દમદાર અને સંમોહક, પરંતુ એ અધૂરી છે. એમાં સરહદ પર દુશ્મનો સામે કે જંગલોમાં વિદ્રોહીઓ સામે લડી રહેલા સૈનિકો ભાવનાત્મક, સામાજિક અને પારિવારિક રીતે કેવા ખુવાર થાય છે, તેની વાત ક્યારે ય નથી આવતી.

ભારતના મધ્ય વર્ગને યુદ્ધની ટ્રેજેડી શું કહેવાય અને સૈનિકોની જિંદગીની વાસ્તવિકતા શું કહેવાય, તે ખબર નથી એટલે બંદૂકો અને બૉમ્બથી બધી સમસ્યાઓના સમાધાન શોધવાનું ફેશનેબલ થઇ ગયું છે. અને એટલે જ કાશ્મીરમાં એક સૈનિક પથ્થરમાર યુવકને જીપ સાથે બાંધે તો મુંબઇમાં એરકન્ડિશન્ડ ફ્લેટમાં બેઠેલા સંસદ સભ્ય પરેશ રાવલને પણ લેખિકા અરુંધતિ રોય સાથે આવો જ વ્યવહાર કરવાની ખૂજલી ઊપડે એ પેલી મધ્ય વર્ગીય લશ્કરીય માનસિકતા છે.

કોઈને જીપથી બાંધી દેવામાં (ફોર ધેટ મેટર, ગોળીએ દેવામાં) આપણને ભલે 56ની છાતીવાળા સની દેઓલનું વીરત્વ દેખાય, હકીકતમાં એક સૈનિક માટે એ સૌથી ટ્રેજિક ઘટના છે. સૈનિકોની પ્રોફેશનલ ટ્રેનિંગમાં શક્ય હોય તેટલા વધુ દુશ્મનોને મારવાનું શિખવાડાય છે પણ જ્યારે એની સામે એના જ દેશના નાગરિકને ‘દુશ્મન’ તરીકે પેશ કરવામાં આવે ત્યારે એની સ્થિતિ મહાભારતના અર્જુન જેવી થાય છે.

ભારતનો મધ્ય વર્ગ આવું વિચારનો નથી, કારણ કે એમાં લોહી કોઇકનું રેડાય છે અને રંગ મધ્ય વર્ગની જિંદગીને ચઢે છે.

વીરત્વનું આ સરળીકરણ એટલા માટે થયું છે કે આપણે જીવનને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોતા થયા છીએ. આપણે સામાજિક દ્વંદ્વને ઇતિહાસના સંદર્ભમાં કે શાસનની નિષ્ફળતાના સંદર્ભમાં જોતા નથી. આપણે એને ‘દુશ્મન’ના અપરાધ તરીકે જોઇએ છીએ. જગતને સારા અને ખરાબ એવા સીધા વિભાજનમાં જોવાની આપણી ટેવને કારણે એના સમાધાન પણ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ ધમાકેદાર અને ફટાફટ જોઇએ છીએ. આપણે જેને દેશની સમસ્યા કહીએ છીએ, એ પારિવારિક બખેડાથી અલગ નથી. એક જ પિતાનાં સંતાનો એકબીજાને પુણ્યાત્મા અને પાપી ગણે એવો આ ઘાટ છે.

ઘરમાં તો આપણે આવા દ્વંદ્વનો ઉકેલ તડજોડથી લાવીએ છીએ, પરંતુ સામાજિક કે વૈશ્વિક સ્તરે આપણે આવી છૂટ આપતા નથી. ત્યાં આપણા માટે જગત બે ભાગમાં, ઇષ્ટ અને અનિષ્ટમાં વહેંચાયેલું છે અને જગતને શ્રેષ્ઠ બનાવવાનો એક માત્ર રસ્તો અનિષ્ટનો સંહાર છે. આ ખતરનાક ધારણા છે. કેટલાક લોકો પ્રાકૃતિક રીતે જ દુષ્ટ છે અને કેટલાક પ્રકૃતિથી જ કલ્યાણકારી છે એવી બ્લેક એન્ડ વ્હાઇટ ધારણા બહુ પ્રચલિત છે. એમાંથી જ યુદ્ધો અને સંઘર્ષો પેદા  થાય છે.

આમાં મુસીબત એ છે કે એકબીજા સામે લડતા બંને પક્ષને એમ લાગે છે કે તેઓ અનિષ્ટ સામે લડી રહ્યા છે. અમેરિકાએ બિન લાદેનને દુષ્ટ ગણાવ્યો અને લાદેન અમેરિકાની કઠોર તાકાત સામે મરી ગયો, પણ એમ તો લાદેનને ય હતું કે એ અમેરિકન અનિષ્ટ સામે લડી રહ્યો છે અને એના મર્યા પછી બીજા લાદેનો પેદા કરી ગયો. જગતને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાની ધારણા પશ્ચિમની છે અને એ અબાધિત છે. મતલબ કે પશ્ચિમમાં પુનર્જન્મની માન્યતા નથી, એટલે દુષ્ટ વ્યક્તિ માટે બીજા જન્મમાં જઇને પાપની સજા ભોગવવાનો વિકલ્પ નથી.

એમાંથી જ ‘અમુક માણસોને આ ધરતી પર રહેવાનો અધિકાર નથી’ એવો વ્યવહાર પેદા થયો છે. કમનસીબે, ભારતીય પરંપરામાં ઇષ્ટ-અનિષ્ટની જે ધારણા હતી તે કાયરતામાં ખપી રહી છે. ભારતીય ચિંતનમાં ઇષ્ટ-અનિષ્ટ એ સાપેક્ષ બાબત છે. મતલબ કે કોઇ બાબત ચોક્કસ સંજોગોમાં સારી હોઇ શકે અને ખરાબ પણ. આધુનિક મનોશાસ્ત્ર જેમ માને છે કે ખરાબ વ્યક્તિમાં અચ્છાઇ હોય છે અને સારી વ્યક્તિમાં બુરાઇ, તેમ હિન્દુ શાસ્ત્રોએ પણ કહ્યું છે કે અચ્છાઇ-બુરાઇની ધારણા મનમાં હોય છે અને આપણને જે અનિષ્ટ લાગે એ બીજાને ન પણ લાગે.

ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એમ કહ્યું છે કે સમગ્ર અસ્તિત્વ દિવ્યતાનું પ્રત્યક્ષીકરણ છે. એટલે કોઇ અસ્તિત્વ દિવ્યતાનો ભાગ ન હોય એવું ન બને. કૃષ્ણની નજરમાં કશું અબાધિત ખરાબ કે સારું નથી. જગતના જેટલા મહાપુરુષો કે સંતો થઇ ગયા એમણે માણસની આ (ઇષ્ટ-અનિષ્ટ) જટિલતાની વાતો કરી છે. આમાંથી જ કેટલાક યુરોપિયન દેશોમાં ‘રેસ્ટોરેટિવ જસ્ટિસ’ પ્રણાલી છે જેમાં ગુનેગારને સજા કરવાને બદલે જે નુકસાન થયું હોય તેને ભરપાઇ કરવાનો પ્રયાસ થાય છે. તમે જો 1971ની રાજેશ ખન્નાની ‘દુશ્મન’ ફિલ્મ જોઇ હોય તો એમાં આ ‘રેસ્ટોરેટિવ જસ્ટિસ’નો પ્રયોગ થયો હતો.

ભારતનો મધ્ય વર્ગ આવા વૈકલ્પિક ન્યાય વિશે વિચારી શકતો નથી, કારણ કે આપણા દેશના રાજકારણીઓ અને મીડિયા જગતને સારા અને ખરાબ એવા બૉક્સમાં જુએ છે અને એમાં ખરાબ માટે, સંહાર સિવાય કોઇ વિકલ્પ પણ નથી. જો દરેક સ્થિતિને યુદ્ધ તરીકે જ જોવામાં આવે તો આપણી વિકલ્પોને જોવાની ક્ષમતા પણ ઘટી જાય છે, અને એ સ્થિતિ યુદ્ધ કરતાં ય વધુ જોખમી છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 25 જૂન 2017

Loading

25 June 2017 admin
← નેતાઓ સવાલોથી કેમ ભાગે છે ?
કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved