Opinion Magazine
Number of visits: 9446281
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માસ્તરો છે, મજૂરો નથી !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 January 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ, ગુજરાતનાં શિક્ષણ મંત્રીઓની, વાઇસરોય જેવી માનસિકતા બદલાતી નથી. આમ તો તેઓ વિનંતીઓ જ કરતા હોય છે, પણ તેનું ‘ગુજરાતી’ હુકમથી થોડુંક જ છેટું રહી જતું હોય છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અધ્યાપક રહી ચૂક્યા છે, પણ સૌથી વધુ અનુદાર તેઓ કદાચ શિક્ષકો પરત્વે છે. રાજ્યમાં 32,000 કાયમી શિક્ષકોની ઘટ તો શિક્ષણ વિભાગ જ બતાવે છે, પણ તે ઘટ પૂરવાને બદલે, મંત્રીઓ, છે તે શિક્ષકોને બીજી જવાબદારીઓમાં જોતરીને, વર્ગશિક્ષણથી દૂર કેમ રાખી શકાય તેની જ વેતરણમાં રહેતા હોય છે. શનિવારના જ સમાચાર છે કે રાજ્યના શિક્ષકો હવે પ્રાકૃતિક ખેતીની પ્રચાર-પ્રસારની કામગીરીઓમાં જોતરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ડિંડોરે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માસ્તરોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે ને એ કામ અંગે તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વિચાર વિમર્શ પણ કર્યો છે. એ બેઠકમાં વિવિધ શિક્ષક સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. આ હોદ્દેદારોને શિક્ષકોના ઉપયોગ સામે કોઈ વાંધો હોય એવું જણાયું નથી, એટલે તેઓ આ યોજનામાં સંમત હશે એવું માની શકાય. બને કે આમાં ‘સંઘ’ જ સંડોવાયો/સંડોવાયા હોય.

આવો જ બીજો ઉપક્રમ થોડા જ દિવસો પર અન્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ યોજ્યો છે. બન્યું એવું કે 2024ની શરૂઆતના પહેલા જ દિવસે દ્વારકાના રાણ ગામની અઢી વર્ષની દીકરી 100 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માત ઊતરી જતાં, પ્રયત્ન છતાં બચાવી ન શકાઈ. એ વાતે વ્યથિત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને ‘ગુરુજન’ કહીને એવો જાહેર વિનંતિપત્ર લખ્યો કે રાજ્યના અઢાર હજાર ગામડાંની ખુલ્લી જગ્યામાં આવેલા બિન ઉપયોગી બોર ખોળી કાઢી એને બંધ કરવાનું કામ ગુરુજનો ઉપાડી લે. આમ તો આ વિનંતી છે, પણ ‘ઉપાડી લ્યો’માં હુકમની ગંધ આવે છે. એ વાત જવા દઈએ ને આ વિનંતી જ હોય તો પણ, એ શિક્ષકોને કરવાની ન હોય, કારણ એ કામ શિક્ષકોનું નથી. બીજી વાત એ કે બોરવેલમાં પડી જવાની અનેક ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, તેનો કાયમી ઉકેલ શોધવાને બદલે, શિક્ષકોમાં એનો ઉકેલ શોધવાનું, કોઈની ગરિમા જાળવનારું પણ નથી. ‘ગુરુજનો’ કહીને વિનંતી કરવાથી કોઈનું અપમાન ન થાય એવું નથી. અંગ્રેજો અપમાનિત કરવા વધુ વિવેકી થતા. કોઈ અતિવિવેકી થઈને કોઈ મંત્રીને, બોરવેલ શોધવાનું ને પૂરવાનું કહે ને એ જેમ, એવું કહેનારને ન શોભે એમ જ શિક્ષણ મંત્રી વિવેકી થઈને શિક્ષકો પાસેથી મજૂરોનું કામ લેવાની વાત કરે એ પણ અશોભનીય છે.

શિક્ષકોનું કાર્ય વર્ગશિક્ષણનું છે. કાયમી શિક્ષકોની ઘટને લીધે વર્ગશિક્ષણ (અ)ખાડે ગયું છે. કેટલી ય શાળાઓ એકાદ શિક્ષકથી જ ચાલે છે, એ સંજોગોમાં હજારો લાયકાત ધરાવતા શિક્ષકો નોકરીની રાહમાં બેઠા હોય ત્યારે, એવા શિક્ષકોને નિમણૂક આપીને વર્ગશિક્ષણ સુધારવાને બદલે શિક્ષણ વિભાગ શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જોતરે એ શિક્ષણના હિતમાં કઈ રીતે છે તે સમજાતું નથી કે પછી ઈતર પ્રવૃત્તિ એ જ શિક્ષણ – એવી કોઈ વ્યાખ્યા નવી શિક્ષણ નીતિએ આપી છે? એવું હોય તો તેનો ખુલાસો શિક્ષણ વિભાગે કરવો જોઈએ.

શિક્ષકોની ઘટ વચ્ચે, વર્ગશિક્ષણ જોખમાતું રાખીને, શિક્ષકોને વધારાની 14 કામગીરીઓની વર્ષોથી ફરજ પડાય છે. શિક્ષકોને એટલા હાથવગા રાખવામાં આવે છે કે ચૂંટણી, વસ્તી ગણતરી, રસીકરણ જેવામાં ગમે ત્યારે ધકેલી શકાય. વચમાં તો મહામારી રોકવા કે તીડ ઉડાડવાં કે વસ્તી નિયંત્રણ અંગેનાં કામોમાં પણ શિક્ષકોને મોકલાતા હતા, પરિણામે વર્ગશિક્ષણ ખોરવાતું રહેતું હતું. આવામાં શિક્ષણ જ સરખું અપાતું ન હોય, ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણની તો વાત જ શું કરવાની? એટલું છે કે શિક્ષકો શિક્ષણેતર કાર્યો કમને કરે છે કે ક્યારેક વિરોધ પણ કરે છે, પણ તેમનું કૈં ઉપજતું નથી. ઉપજતું એટલે નથી, કારણ કે તેમનાં યુનિયનના જ કેટલાક હોદ્દેદારો, ઉપરી અધિકારીઓની રહેમ નજરનો લાભ ખાટવા ઉપયોગ શિક્ષકોનો કરે છે. ટૂંકમાં, શિક્ષકોએ સરકારથી તો ખરું જ, યુનિયનથી પણ ડરવાનું આવે છે. તેઓ એવી ગ્રંથિથી પીડાય છે કે શિક્ષકથી ભણાવાય કે ન ભણાવાય તો પણ, ચૂંટણી, વસ્તી ગણતરી જેવાં કામો તો કરવાનાં જ છે ને ડરના માર્યા તેઓ તે કરે પણ છે.

આમ તો છેક 2003માં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ શિક્ષણેતર કામો શિક્ષકો પાસેથી ન લેવાનો પરિપત્ર કરેલો છે, તે પછી એવો જ પરિપત્ર 2005માં શિક્ષણ વિભાગે પણ કરેલો છે. એ ઉપરાંત 2007થી સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપેલો છે કે વસતિ ગણતરી, ચૂંટણી કે રાષ્ટ્રીય આપત્તિ વખતે શિક્ષકોને ત્યારે જ કામે લગાડવા કે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હોય. રાઇટ ટુ એજ્યુકેશનમાં પણ 2011માં એવી જોગવાઈ હતી કે બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ ન કરવો કે 2014માં સરકારનાં શિક્ષણ વિભાગે પણ બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ ન કરવા અંગે પરિપત્ર કરેલો છે, પણ, હજારો શિક્ષિત બેકારોનો આવાં કામો માટે ઉપયોગ કરવાનો વિકલ્પ હાથવગો હોવા છતાં સરકારને આવાં કામો માટે કેવળ શિક્ષક જ દેખાય છે. વર્ગશિક્ષણની કોઈ ચિંતા શિક્ષણ વિભાગે ભાગ્યે જ કરી છે ને કેટલાક શિક્ષકો પણ એવી ચિંતામાં બહુ પડતાં નથી, પણ જેમને બાળકોનું હિત હૈયે વસે છે તેઓ શિક્ષણેતર કામગીરીથી કચવાય છે ને આનો વિરોધ પણ કરે છે, પણ તેમનું ઉપજતું નથી.

ગયા જૂનમાં જ મોરબી જિલ્લાના શિક્ષકોએ રાજ્ય કારોબારીમાં 24 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમાં આચાર્યોની ઓનલાઈન કામગીરી ઓછી કરવા અંગેની રજૂઆત સિવાય શિક્ષણેતર કામગીરી અંગે બીજી રજૂઆતો થઈ ન હતી. આવું જ થાય છે. શિક્ષકોને અસર કરતી બાબતો અંગે રજૂઆત કરવામાં તેમના સંઘ મોળા પડે છે ને શિક્ષકોને માથે, નોકરીની ચિંતા જ લટકતી રહે છે.

વધારામાં ત્રીજી જાન્યુઆરીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરતમાં એવી ફરિયાદો ઊઠી છે કે મુખ્ય શિક્ષકો પિરિયડ લેવા વર્ગમાં જતાં નથી કે દૈનિક નોંધપોથી પણ લખતા નથી, એટલે શિક્ષણનું ભારણ અન્ય શિક્ષકો પર વધે છે ને એ સ્થિતિમાં તેમણે એક કે એકથી વધુ વર્ગો સંભાળવાનું આવે છે. એની સીધી અસર બાળકોનાં શિક્ષણ પર પડે છે. આમાં ચિત્ર એવું ઊભું થાય છે કે આચાર્યોને જાણે વર્ગશિક્ષણ અનુકૂળ આવતું નથી ને તેમને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જ રસ છે. એ પણ છે કે કેટલાક આચાર્યો ત્રણ પિરિયડ લે છે, એટલે ત્યાં શિક્ષકો પરનું ભારણ ઓછું રહે છે. જો કે, આ બાબતે સમિતિ કે શાસન એઝ યુઝવલ પૂરેપૂરા બેપરવા છે, પરિણામે શિક્ષકો અને આચાર્યો વચ્ચે ચડભડ ચાલ્યા કરે છે. એમ પણ લાગે છે કે શિક્ષકો અને આચાર્યો વચ્ચેનો પૂર્વગ્રહ પણ ક્યાંક ભાગ ભજવતો હોય. આચાર્યો મનમાની કરતાં હોય ને શિક્ષકોને ફરિયાદનું કારણ મળે એ શક્ય છે, બીજી તરફ આચાર્યોની વહીવટી જવાબદારીઓ જ એટલી હોય કે તે પરિપત્રોનો જવાબ આપવામાંથી કે ડેટા ભરવામાંથી જ ઊંચા ન આવતા હોય. પરીક્ષાનું, ઇન્સ્પેક્શનનું, પગાર પત્રક બનાવવાનું, વાલીઓના પ્રશ્નોનાં નિરાકરણનું કામ એટલું પહોંચતુ હોય કે ઈચ્છા છતાં આચાર્યોથી વર્ગમાં જવાતું ન હોય. એ સ્થિતિમાં આચાર્યનો વાંક કાઢવાનું યોગ્ય નથી. એ પણ સાચું કે આવા સંજોગોમાં શિક્ષકોનું વર્ગ સંભાળવાનું કામ પણ વધતું હોય. આવું હોય ત્યાં વધારાનો શિક્ષક સમિતિએ ફાળવવો જોઈએ, એવી જોગવાઈ પણ છે, પણ ખાટલે મોટી ખોડ એ કે કાયમી શિક્ષકોની ઘટ પૂરવાની જ સરકારની દાનત ન હોય, ત્યાં વધારાના શિક્ષકની તો અપેક્ષા જ શું રાખવાની?

આવી સ્થિતિમાં શિક્ષકો ને આચાર્યો કામ જ જેમ તેમ કરતાં હોય, ત્યાં શિક્ષણ મંત્રીઓ પ્રાકૃતિક ખેતીમાં કે બોરવેલ પૂરવામાં શિક્ષકોને જોતરવાની વાત જરા ય સંકોચ વગર કરતા હોય તો એમના વિવેક પર ભરોસો ક્યાંથી બેસે? સાચું તો એ છે કે એ વિવેક જ નથી, બલકે, શણગારાયેલો અવિવેક જ છે. વાસ્તવિક પરિસ્થિતિનો શિક્ષણ વિભાગને શરૂથી જ ખ્યાલ નથી. ખ્યાલ હોય તો કોઈ લવારે ચડે જ શું કામ? એમાં કોઈ શંકા નથી કે આખો શિક્ષણ વિભાગ તુક્કાઓમાં, દીવાસ્વપ્નોમાં ને શોષણમાં રાચે છે. એ દુ:ખદ છે કે ગુજરાતમાં શિક્ષણ અને શોષણ એકબીજાનાં પર્યાય થઈને રહી ગયાં છે ને એનો ભોગ નિર્દોષ બાળકો થઈ રહ્યાં છે. આવામાં ફરિયાદ પણ કોને કરવી, જ્યાં વાડ જ ચીભડાં ગળતી હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જાન્યુઆરી 2024

Loading

8 January 2024 Vipool Kalyani
← જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે, જે ઘડીકમાં છૂટતું નથી
મામા નાથાલાલ દવેનાં સ્મરણો   →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved