Opinion Magazine
Number of visits: 9448740
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|6 January 2022

૩ : અભ્યાસક્રમ વગેરે :

અધ્યાપકો સામાન્યપણે નિયત અભ્યાસક્રમ પ્રમાણે ભણાવે જ. કોઈ કોઈ હોય એવા, કે અમુક પોર્શન ગુપચાવી જાય. જાગ્રત વિદ્યાર્થીને તરત ખબર પડે. જો કે આજકાલ જાગ્રત કેટલા? માગતા હોય ખરા, કે સાહેબ, આ હજી બાકી છે, ક્યારે પૂરું કરશો?

પૂર્વશરત એ છે કે વિદ્યાર્થી પાસે પણ નિયત અભ્યાસક્રમ હોવો જોઇએ. હું તો વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક કહેતો કે સમગ્ર અભ્યાસક્રમ ઉતારી લેજો; કયા સાહેબ કયો પોર્શન ભણાવવાના છે તે પણ લખી લેજો.

હવે તો અભ્યાસક્રમ ઇન્ટરનેટ પર સર્વસુલભ હોય છે. છતાં, ઍક્ઝામ-પેપર્સ અગાઉના કોર્સ પ્રમાણે નીકળે છે. પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પણ આગળનો કોર્સ સમજીને ગયા હોય છે. આવું કેમ? સવાલ એ થાય કે ભણાવનારાએ કયો કોર્સ ભણાવ્યો હશે. નિયત અભ્યાસક્રમને અનુસરીને ભણાવવાનું હોય, પેપરો કાઢવાનાં હોય, વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની હોય ! સિમ્પલ વાત તો છે !

જુઓ, અભ્યાસક્રમ એક સૅક્રેડ બૉન્ડ છે – પવિત્ર બન્ધન. ઇન્ઍસ્કેપેબલ કૉન્ટ્રાક્ટ – અટળ અનિવાર્ય કરાર. અધ્યાપકે પેપરસૅટરે અને પરીક્ષાર્થીએ એને વશ વર્તવાનું હોય કે નહીં?

પણ સામા છેડાની વાત એ છે કે – શું એટલું જ ભણાવવાનું? નિયત અભ્યાસક્રમની સીમા-મર્યાદામાં આવે એ અને એટલું જ? તો તો અભ્યાસક્રમ પણ એક દીવાલ બની રહે !

ઍન્જીનિયરિન્ગ, મૅડિસિન કે કમ્પ્યૂટર સાયન્સના વર્ગોમાં અભ્યાસક્રમ-ચુસ્તતા આવકાર્ય લાગે છે. પણ હ્યુમેનિટીસમાં યન્ત્રવત્ ભાસે છે. ‘સરરસ્વતીચંદ્ર’-ના ચાર ભાગ તો નિયત ન જ થાય, પણ અન્ડરસ્ટૅન્ડિન્ગ હતી કે અધ્યાપકે બીજા ત્રણની ભરપૂર ચર્ચા તો કરવાની જ. ‘ઑથેલો’ કોર્સમાં હોય, પણ અમને કહેવામાં આવતું કે શેક્સપીયર-રચિત બીજી ત્રણ ટ્રેજેડીઝ વાંચી જજો; અને હું તો વાંચી જતો.

ઍમ.ઍસ.-માં અમારા અધ્યાપકોને નિયત ચૉકઠાંમાં ભણાવવું ન ફાવે. સુરેશ જોષી, પ્રોફેસર કંટક, જે.ડી. દેસાઇ, સાળગાંવકર, અરુણોદય જાની, ઇત્યાદિ એવા સભરેભર્યા વિદ્વાનો હતા. ત્યારે પ્રૉફેસર, લૅક્ચરર અને ટ્યુટર એવી સિસ્ટમ હતી. પ્રૉફેસર પ્રૉફેસ કરે – વિષયવસ્તુનું પ્રતિપાદન. લૅક્ચરર એને લૅક્ચરો કરીને પ્રસરાવે. ટ્યુટર એના ટ્યુટોરિયલ્સ કરાવે – લેસન.

હવેની સિસ્ટમમાં કોઈ લૅક્ચરર નથી, બધા જ પ્રૉફેસરો ! કોઈ ’આસિસ્ટન્ટ’ કે કોઈ ‘ઍસોસિયેટ’. સાઉન્ડ્સ ગુડ ! પણ એઓ શેને આસિસ્ટ કરે છે? શેની જોડે ઍસોસિયેટ થાય છે? રામ જાણે ! અથવા એ લોકો જો કહી શકે.

દીવાલો વિનાની યુનિવર્સિટી-ના સ્પિરિટથી – ભાવભાવનાથી – રચાયેલા ‘સન્નિધાન’-ના શિબિરોમાં અભ્યાસક્રમજડત્વ નથી હોતું. નિયતને કેન્દ્ર ગણીને વ્યાખ્યાતા વિષયનો યથાશક્તિમતિ પરિઘ રચે છે. એક-ના-એક સાહેબ પાસેથી ‘નળાખ્યાન’ પરની એ-ની-એ જ રૅકર્ડ સાંભળવાનો કંટાળો આવે; આવવો જ જોઈએ ! જ્યારે આમાં, બહારનો ઉપલબ્ધ વિદ્વાન કશું રેઢિયાળ નથી લલકારતો. એ સ્પેશ્યલ હોય છે ને એની વાત પણ સ્પેશ્યલ હોય છે. સભાને નવ્ય વિચારોનું ભાથું મળે છે.

સ્પેશ્યલને સાંભળવાથી સ્થાનિક અધ્યાપકને સમ્માર્જનની તક મળે છે. જો કે સ્પેશ્યલ કશું ભળતું ભળાવતો હોય તો ચર્ચા વખતે સ્થાનિક એને ખંખેરી શકે છે. કેમ કે વચ્ચે, ‘કહેવાતી વિદ્વત્તા’-ની દીવાલ નથી હોતી. પ્રેમપૂર્વકના શૅરિન્ગનો ઉલ્લાસ હોય છે. સૌએ અંકે કરી લીધું હોય છે કે સહભાગીતા પણ વિદ્યાવિકાસનું એક જરૂરી રસાયન છે.

આ જ ભાવભાવનાથી પ્રેરાઈને ગુજરાત સાહિત્ય અકાદમીએ યુનિવર્સિટીઓના ગુજરાતી વિષયનાં અધ્યયન-અધ્યાપન સંદર્ભે એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કર્યો હતો – ‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા’. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટીમાં ૧૦-૧૦ વ્યાખ્યાનોની એક એવી ૩ માળાઓ થઇ હતી. દરેકમાં વિદ્યાર્થીઓ અને તેમના અધ્યાપકોની સૉ-સવાસૉ જેટલી સક્રિય હાજરી વચ્ચે વિદ્વાનોએ વ્યાખ્યાનો કર્યાં.

ભૂતકાળમાં ભાવનગર યુનિવર્સિટીના અનુ-સ્નાતક ગુજરાતી વિભાગે અકાદમીના આર્થિક સહયોગથી વરસો લગી વિદ્યાર્થીલક્ષી અભ્યાસ-શિબિરો યોજેલા.

Literary Courses :

Picture courtesy : Waterloo

દીવાલો વિનાની યુનિવર્સિટીનો ખયાલ તમને દેખાડી દે કે ક્યાં ક્યાં દીવાલો છે. એક સાવ અજાણી દીવાલ દર્શાવું : કવિસમ્મેલન, મુશાયરો કે સાહિત્યકૃતિનાં ગાયન-વાદનના કાર્યક્રમોમાં, ધ્યાનથી જોશો તો ઑડિયન્સમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ નહીં દેખાય. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટના હેડ કે ત્યાંના પ્રોફેસરસાહેબો નહીં દેખાય. કાર્યક્રમ ભલે ને અભ્યાસક્રમનિયત સાહિત્યકૃતિના કે તેના સર્જકના ગૌરવગાનનો હોય ! ભલે ને કોઇ અવૉર્ડીના સન્માનનો હોય ! આંગળીનાં વેઢે ગણાય એટલા મળી આવે તો અહોભાગ્ય ! આવું કેમ? હું મન મનાવી લેતો હોઉં કે એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય.

બીજું, આના જેવું જ, પણ અવળું : કૉલેજોમાં કે ડિપાર્ટમૅન્ટ્સમાં યોજાયેલાં વ્યાખ્યાનોમાં કે પરિસંવાદોમાં કવિ, વાર્તાકાર, નાટ્યકાર વગેરે સાહિત્યકારો નહીં દેખાય. મને ઘણી જગ્યાએ મારા વ્યાખ્યાન દરમ્યાન એ ગામના ખ્યાતનામ કવિમિત્ર યાદ આવ્યા જ કરે ! થાય કે સામે બેઠા હોય તો કેવું સારું ! શંકા થાય કે શું એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય …

સાહિત્યના સર્જન અને સાહિત્યના અધ્યયન-અધ્યાપન વચ્ચેની આ દીવાલ આપણા ધ્યાનમાં આવી જ નથી. એને કારણે લિટરરી ફન્કશન્સ ઝાંખાંપાંખાં રહી ગયાં છે. કાં તો, જ્ઞાનતેજ વિનાનાં. કાં તો, ડૉળઘાલુ.

આ તરફના એમ સમજે કે એ તો બધા સમ્મેલનિયા છે. બીજી તરફના એમ સમજે છે કે એ તો બધા માસ્તરો છે, ભણાવ્યા કરે.

વ્યવહારુ નુક્સાન એ થયું છે કે કાર્યક્રમોમાં શ્રોતાઓની હાજરી પાંખી પડી ગઈ છે. માંડ ૬૦-૭૦ જણાં હોય છે. પાછાં એ-ને-એ બીજી સભામાં બેઠાં હોય ! મન મનાવવું હોય તો મનાવી શકાય કે એટલાંને તો એટલાંને, રુચિ-ઘડતરની તકો તો સાંપડે છે ! જ્યારે, કૉલેજો અને ડિપાર્ટમૅન્ટ્સને શ્રોતાના વખા ક્યારે ય નથી હોતા – જેને તાકીદની તીવ્ર જરૂરિયાત છે એવું સાચી ગરજવાળું ઑડિયન્સ.

મેં તો આપણી સાહિત્ય-સંસ્થાઓને ડિપાર્ટમૅન્ટ્સ સાથે અનુબન્ધ રચવાનું વર્ષોથી કહ્યા કર્યું છે. ડિપાર્ટમૅન્ટ્સને પણ અવારનવાર કહ્યું છે કે વિદ્યાર્થીઓને સાહિત્યના કાર્યક્રમોમાં જવા કહો; તમે પણ જાઓ. સમજાતું નથી કે શા માટે આપણે બધું એકરસ નથી થવા દેતા ! અલગાવ ટકાવી રાખીને શું સિદ્ધ કરવા માગીએ છીએ?

ઉમેરું કે દરેક કૉલેજમાં તેમ જ ડિપાર્ટમૅન્ટમાં ‘મીની સન્નિધાન’ રચી શકાય છે. ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ ઊભું કરવાનું અને બહારના સાહિત્યકારોને બોલાવીને અભ્યાસક્રમ-સંલગ્ન કાર્યક્રમો યોજવાના.

ભાષા-સાહિત્ય ભવનના એ મંડળના ઉપક્રમે એક વાર અમે શોભિત દેસાઈને બોલાવેલા. મને ચિન્તા હતી કે નામ જેનું શોભિત, તે ગઝલને કેમ વીસરી શકશે. પણ સાંભળો, શોભિતે હાથમાં એકપણ કાગળ વિના પોતાના એ જ ગઝલ-ટેવાયા મુખેથી ગદ્યના ફકરાઓ પર ફકરાઓની એકપણ શબ્દફેર વગરની અસ્ખલિત રજૂઆત કરેલી. અને સાંભળો, ફકરાઓ હતા સુરેશ જોષીના ‘જનાન્તિકે’ નિબન્ધોના ! અમે સૌ આફરીન પોકારી ગયેલાં. વિદ્યાર્થીઓ રાજીના રેડ તો એટલે હતા કે એ વર્ષે એઓ સુરેશ જોષીને એક ઑથર રૂપે ભણતા’તા !

‘સન્નિધાન’ કે ‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા’ દીવાલો વિનાની યુનિવર્સિટીઓ છે. એમાં આવી અભૂતપૂર્વ છતાં અર્થપૂર્ણ ઘટનાઓ ઘટી શકે છે.

= = =

(January 6, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

6 January 2022 admin
← વાનરોનું ‘માનવીયકરણ’ …
કોઈ પણ પરિસ્થિતિમાં વડા પ્રધાનની સુરક્ષાથી વધારે મહત્ત્વનું બીજું કૈં જ હોઈ શકે નહીં … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved