Opinion Magazine
Number of visits: 9504778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવી શ્રેષ્ઠ બની શકે, પણ પૂર્ણ તો ઈશ્વર જ છે : પ્રમુખસ્વામી

સોનલ પરીખ|Opinion - Opinion|12 February 2023

આપણું જીવન અનેકના પરિશ્રમથી ટકી રહ્યું છે. તેને યથાશક્તિ પાછું વાળવું જોઈએ. અન્યના ઉત્કર્ષમાં જ આપણો ઉત્કર્ષ છે, અન્યના સુખમાં જ આપણું સુખ છે. મધમાખી ફૂલના રૂપરંગ કે ગંધને નુકસાન પહોંચાડ્યા વિના તેનો અર્ક ખેંચી લે છે અને મધ બનાવે છે. ગુણાતીત સાધુ હોય કે નિષ્ઠાવાન નાગરિક – મધમાખીનો આ ગુણ સૌએ અપનાવવો જોઈએ. 

— પ્રમુખસ્વામી

એક સુંદર પંક્તિ છે, ‘તમે એક નાનકડું ફૂલ પણ તોડી શકો નહીં, એક તારાના કંપન વગર.’ તરણાંથી લઈ નક્ષત્રો સુધીના આ મહાવિરાટ વિસ્તારમાં વ્યાપ્ત તત્ત્વને અધ્યાત્મ ઈશ્વર કહે છે ને વિજ્ઞાની સૃષ્ટિના સર્વોચ્ચ બળ તરીકે ઓળખાવે છે.

આ વાત જુદીજુદી રીતે પહેલા પણ કહેવાઈ છે, પણ જ્યારે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’ વાંચીએ ત્યારે આ સત્યનો એક અલગ જ સ્તર પર સાક્ષાત્કાર થાય છે. આ પુસ્તકમાં કલામ સાહેબે પોતાનાં ટૅક્નૉલૉજિકલ અભિયાનો તેમ જ રાજનૈતિક અને આંતરરાષ્ટ્રીય નિર્ણયોનાં મૂળમાં રહેલા પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના આધ્યાત્મિક અનુબંધને ખુલ્લા મનથી વર્ણવ્યો છે.

બી.પી.એસ.ના વડા ધર્મગુરુ પ્રમુખસ્વામીના શતાબ્દીવર્ષે અમદાવાદમાં ઊભા થયેલા પ્રમુખસ્વામીનગરમાં ભરાયેલો ભવ્ય મેળો 2022ની આખર અને 2023ના આરંભને જોડતો, એક મહિના સુધી દેશની જનતાના આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનો છે ત્યારે વાત કરીએ એક વિજ્ઞાની અને એક ધર્મગુરુ વચ્ચેના અનોખા અદ્દભુત અનુબંધની.

ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ પર પ્રમુખસ્વામીની એવી જબરદસ્ત અસર પડી હતી કે તેમણે રાષ્ટ્રપતિપદ પ્રમુખસ્વામીના આશીર્વાદ સાથે ગ્રહણ કર્યું હતું અને પ્રમુખસ્વામીની જ પ્રેરણાથી પોતાની ટર્મ પૂરી થઈ ત્યારે ફરી વખત એ પદ માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો.

2001માં રાષ્ટ્રપતિ તરીકે વરણી પામ્યા પહેલાં એ.પી.જે. અબ્દુલ કલામ પ્રમુખસ્વામીને પહેલીવાર મળ્યા હતા. પોતાના ‘વિઝન 2020’ના વિચારને સ્વામીજી સામે મૂકતાં તેમણે કહેલું, ‘ભારત એક વિકાસશીલ દેશ છે. આવતાં ત્રીસ વર્ષમાં તેને વિકસિત દેશ બનાવવા માટે અમે પાંચ ક્ષેત્રોમાં પરિવર્તન કરવા માગીએ છીએ : શિક્ષણ-આરોગ્ય, કૃષિ, માહિતી-પ્રત્યાયન, માળખાકીય સુવિધાઓ અને ટૅકનૉલૉજી. પણ સ્વામીજી, આ ક્ષેત્રોમાં પરિવર્તન તો જ થાય જો મૂલ્યનિષ્ઠ નાગરિકો તૈયાર થાય. એ કેમ કરવું?’ સ્વામીજીએ કહ્યું, ‘દેશના ઉત્થાન માટે તમે જે પાંચ ક્ષેત્રો નક્કી કર્યાં છે, તેમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરી દેજો, શ્રદ્ધા અને અધ્યાત્મ થકી લોકોનો વિકાસ. એ વિના તમારું સ્વપ્ન પૂરું નહીં થાય.’ વિદાય વખતે પ્રમુખ સ્વામીએ કલામ સાહેબનો હાથ પકડી કહ્યું હતું, ‘ભૂતકાળમાં ઋષિઓએ આપણને વિજ્ઞાન પણ આપ્યું હતું. તમે એક ઋષિ જ છો. જાઓ અને યુવાધનને વિકાસોન્મુખ બનાવો. દેશનું નેતૃત્વ કરો.’

ત્યાર પછી બરાબર એક વર્ષે ભારતના અગિયારમા અને પ્રથમ વિજ્ઞાની રાષ્ટ્રપતિ તરીકે ડૉ એ.પી.જે. અબ્દુલ કલામની શપથવિધિ થઈ. સમય કપરો હતો. રાજકીય પડકારો, કુદરતી આફતો અને કોમી હુલ્લડો દેશને રોળી રહ્યાં હતાં. યુવાધનને પ્રબુદ્ધ અને કૌશલ્યયુક્ત બનાવવાનું મિશન લઈ કલામ સાહેબ પરિશ્રમ કરતા રહ્યા. પ્રમુખસ્વામીએ વિદ્યામંદિરો સ્થાપ્યાં. 2005માં દિલ્હીમાં દુનિયાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ બન્યું ત્યારે કલામ સાહેબે પૂછ્યું, ‘મંદિરો શા માટે બનાવો છો?’ ત્યારે પ્રમુખસ્વામીએ કહ્યું, ‘મંદિર એ અગોચરનું મૂર્ત સ્વરૂપ છે, માટે. હવે તમે કહો, મંદિરમાં આવનારને કયો સંદેશો મળવો જોઈએ?’ ‘ભારતીય હોવાનું ગૌરવ જાગવું જોઈએ.’ ‘મારો પણ એ જ પ્રયત્ન છે.’ આ હતું બંને મહાનુભાવોનું મનોજગત. 2000માં ભરાયેલી યુનોની મિલેનિયમ વિશ્વશાંતિ પરિષદમા પ્રવચન આપતાં પ્રમુખસ્વામીએ કહ્યું હતું, ‘આપણે ધર્મગુરુઓએ વિશ્વમાં એક જ ધર્મ પ્રસારવાનો ખ્યાલ સેવવાને બદલે એવા વિશ્વનો ખ્યાલ સેવવો જોઈએ જ્યાં બધા ધર્મમાં એકતા હોય.’

એક દિવસ કલામ સાહેબને થયું કે રાષ્ટ્રપતિભવનમાં પ્રમુખસ્વામીની પધરામણી કરવી. સ્વામીજી ત્યારે બીમાર હતા. બોલ્યા, ‘તમે જ્યારે મને યાદ કરો છો ત્યારે હું ત્યાં જ હોઉં છું.’ યુરોપિયન સંસદને સંબોધતી વખતે કલામ સાહેબે રાષ્ટ્રપતિપદ ગ્રહણ કરતાં પહેલા પ્રમુખસ્વામીએ એમને જે શબ્દો કહેલા તેને યાદ કર્યા હતા. આ શબ્દો હતા, ‘ઈમાનદારી, જ્ઞાન, અનાસક્તિ અને શ્રદ્ધાથી કામ કરવું.’

ટર્મ પૂરી થયા પછી કલામ સાહેબને ફરી ચૂંટણી લડવાનો આગ્રહ કરવામાં આવ્યો. વિજયની પૂરી શક્યતા હતી. પ્રમુખસ્વામી કહે, ‘હવે કાર્યભાર લેશો નહીં. પૂરી શક્તિથી લોકોની સેવા કરો.’ પોતાની જે બે સૂટકેસ સાથે પ્રવેશ્યા હતા, એ જ બે સૂટકેસ સાથે કલામ સાહેબ રાષ્ટ્રપતિભવન છોડી ગયા. વિદાયવેળાના વક્તવ્યમાં કહ્યું, ‘જ્યાં ગ્રામ્ય અને શહેરી ભારત વચ્ચેની ભેદરેખા પાતળી હશે, સહુને સમાનપણે ઊર્જા અને સ્વચ્છ પાણી મળશે, જ્યાં ઉદ્યોગો અને સેવાક્ષેત્રો સુમેળથી કામ કરતાં હશે, જ્યાં ગરીબી, શોષણ અને નિરક્ષરતા નહીં હોય, તેવું ભારત મારું સ્વપ્ન છે.’

યુવાનોને તૈયાર કરવાના સંકલ્પ સાથે પછી કલામ સાહેબ ભારતભરમાં ફરતા રહ્યા, ‘સ્વામીજી, હવે હું સાધુની જેમ મુક્ત વિહાર કરું છું.’ ‘મેં નહોતું કહ્યું, તમે એક ઋષિ છો? પ્રાચીન ઋષિઓ વિજ્ઞાની હતા, બ્રહ્મચારી હતા અને હા, લાંબા વાળ પણ રાખતા. તમે તેવા જ છો.’

સ્વામીજી પણ સતત પ્રવાસ કરતા. 17,000થી વધુ ગામડાંની મુલાકાત લીધી હતી. ગરીબ ભક્ત કે મોટા નેતાને સમાનભાવે મળતા. યુવાનોને સાત મુદ્દાની પ્રતિજ્ઞા લેવડાવતા : ધ્યેયેનિષ્ઠા, પરિશ્રમ, નિર્ભયતા, સ્વચ્છતા, ચારિત્ર્ય, પ્રમાણિકતા અને દેશપ્રેમ. તેમના શક્તિશાળી નેતૃત્વે સંગઠન અને સહકારનું બળ સર્જ્યું, આંતરકલહ સામે રક્ષાકવચ પૂરું પાડ્યું.

કલામ કહેતા, ‘જીવન ગમે તેટલું વિપરીત હોય, ઉત્સાહથી જીવો. સંજોગોનો સામનો કરો અને બીજા જેવા બનવાની લ્હાયમાં સમય ન વેડફો. આપણે બીજાના નહીં, પોતાના અનુભવો જીવવા પૃથ્વી પર આવ્યા છીએ.’ સ્વામીજી કહેતા, ‘શ્રેષ્ઠતાને પૂર્ણતા ગણશો નહીં. માનવી શ્રેષ્ઠ બની શકે છે, પણ પૂર્ણતા ઈશ્વરનો જ ગુણ છે.’ કલામે કહ્યું છે, ‘દરિયા પાસેથી હું ઊર્જા અને શિસ્તનો અર્થ શીખ્યો છું.’ સ્વામીજીએ કહ્યું છે, ‘સત્ય અને પ્રેમ માનવીની મૂળભૂત પ્રકૃતિ છે. લાલસા, રિવાજો, અંધશ્રદ્ધા તેના મૂળ સ્વભાવને ઢાંકી દે છે.’

પ્રમુખસ્વામી કહેતા, ‘જે ઈન્દ્રિયો અને મનને તાબે ન થાય પણ તેને નિયંત્રણમાં રાખે, જે કામનારહિત, આસક્તિરહિત અને અહંકારરહિત થઈ પરમતત્ત્વના સંસર્ગમાં રહે તે સત્પુરુષ.’ તેઓ પોતે અને કલામ સાહેબ આવા જ સત્પુરુષો હતા. પ્રમુખસ્વામીને મળ્યા પછી કલામ સાહેબ વિજ્ઞાન અને અધ્યાત્મના સંગમ વિશે વિચારતા થયા. ઊર્જા અને શ્રદ્ધાનું મૂળભૂત બંધારણ એક જ છે.

વેદ ગર્ભમાંથી અગ્નિ સાથે જન્મેલા અસ્તિત્વની વાત કરે છે. પયગંબર ખુદાને એક પ્રકાશ કહે છે. વિજ્ઞાન બિગ બેંગ થિયરી આપે છે. આ બધી મહાવિરાટ વાસ્તવિકતાઓનો મનુષ્ય અત્યંત અલ્પ અંશ છે. એક વિજ્ઞાની સૃષ્ટિનો અભ્યાસ કરે ત્યારે તે મહાવિસ્મયકારક, ગહન અને અત્યંત અદ્દભુત અનુભવ પામે છે. વિજ્ઞાન જેને અંતરીક્ષ કહે છે અને અધ્યાત્મ જેને અનંત તરીકે વર્ણવે છે એ બે એક જ છે.

પ્રમુખસ્વામી માનતા કે આપણું જીવન અનેકના પરિશ્રમથી ટકી રહ્યું છે. તેને યથાશક્તિ પાછું વાળવું જોઈએ. અન્યના ઉત્કર્ષમાં જ આપણો ઉત્કર્ષ છે, અન્યના સુખમાં જ આપણું સુખ છે. મધમાખી ફૂલના રૂપરંગ કે ગંધને નુકસાન પહોંચાડ્યા વિના તેનો અર્ક ખેંચી લે છે અને મધ બનાવે છે. ગુણાતીત સાધુ હોય કે નિષ્ઠાવાન નાગરિક – મધમાખીનો આ ગુણ સૌએ અપનાવવો જોઈએ.

ગ્લૉબલ યુગમાં દરેકે આ વાત શીખી લેવી જોઈએ એમ નથી લાગતું?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 જાન્યુઆરી 2023

Loading

12 February 2023 Vipool Kalyani
← સિસ્ટમ જજોની જ બનેલી હતી અને જજોએ જ તેને નિષ્ફળ બનાવી
યર ઑફ મિલેટઃ અંગ્રેજોને કારણે હાંસિયામાં ધકેલાયા મિલેટ્સ હવે સુપરફૂડનું છોગું મળ્યું →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved