Opinion Magazine
Number of visits: 9448980
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ થવા મળતું હોય ત્યારે માણસાઈ છોડવી શા માટે જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 August 2021

ખરા તો એકચી ધર્મ જગાલા પ્રેમ અર્પાવે

જગી જે હીન અતિપતિત,
જગી જે દીન પદદલિત
ત્યા જાઊન ઉઠવાવે, જગાલા પ્રેમ અર્પાવે

જયાંના ના કોણી જગતી,
સદા તે અંતરી રડતી
ત્યા જાઊન સુખવાવે, જગાલા પ્રેમ અર્પાવે

સમસ્તાં ધીર તો દ્યાવા,
સુખાચા શબ્દ બોલાવા
અનાથા સાહ્ય તે દ્યાવે, જગાલા પ્રેમ અર્પાવે

સદા જે આર્ત અતિવિકલ,
જ્યાંના ગાંજતી સકલ
તયા જાઊન હસવાવે, જગાલા પ્રેમ અર્પાવે

કુણા ના વ્યર્થ શિણવાવે,
કુણા ના વ્યર્થ હિણવાવે
સમસ્તાં બંધુ માનાવે, જગાલા પ્રેમ અર્પાવે

પ્રભૂચી લેકરે સારી
તયાલા સર્વહી પ્યારી
કુણાના તુચ્છ લેખાવે, જગાલા પ્રેમ અર્પાવે

અસે જે આપણાપાશી,
અસે જે વિત્ત વા વિદ્યા
સદા તે દેતચી જાવે, જગાલા પ્રેમ અર્પાવે

ભરાવા મોદ વિશ્વાત
અસાવે સૌખ્ય જગતાત
સદા હે ધ્યેય પૂજાવે, જગાલા પ્રેમ અર્પાવે

અસે હે સાર ધર્માચે
અસે હે સાર સત્યાચે
પરાર્થી પ્રાણહી દ્યાવે, જગાલા પ્રેમ અર્પાવે

જયાલા ધર્મ તો પ્યારા,
જયાલા દેવ તો પ્યારા
ત્યાને પ્રેમમય વ્હાવે, જગાલા પ્રેમ અર્પાવે

(સાચો ધર્મ એ છે જે આખા જગતને પ્રેમ કરતા શીખવાડે. સાચો ધાર્મિક એ છે જે આખા જગતને પ્રેમ કરે. સાચો ધર્મ એ છે જે પદદલિતનાં આંગણે જઈને તેનાં આંસુ લૂછતાં શીખવાડે. સાચો ધર્મ એ છે જે સહ્રદયી બનતા શીખવાડે. સાચો ધર્મ એ છે જે હારેલાને કે નાસીપાસ થયેલાને ધીરજ ધરતા શીખવાડે. સાચો ધર્મ એ છે જે દુઃખીને સાંત્વન આપે. સાચો ધર્મ ક્યારે ય કોઈને સતાવવાની કે હેરાન કરવાની શિખામણ ન આપે. સાચો ધર્મ એમ શીખવાડશે કે આપણે બધાં પ્રભુનાં સંતાન છીએ, પ્રભુને એકસરખાં વહાલાં છીએ અને કોઈ તુચ્છ નથી. જગતના દરેક ધર્મોનો જો કોઈ સાર છે તો એ આ જ સાર છે, માટે જેને ધર્મ વહાલો હોય અને ઈશ્ચર વહાલો હોય તેણે પ્રેમમય બનવું જોઈએ અને જગતને પ્રેમ કરવો જોઈએ.)

https://www.youtube.com/watch?v=bpQuFycSCvk

આ કવિતા સાને ગુરુજીની છે જે મહારાષ્ટ્ર માટે કવિતા નથી રહી, પ્રાર્થના બની ગઈ છે. તેમ એમ પણ કહી શકો કે ‘જન ગણ મન …’ની જેમ મહારાષ્ટ્રનું આ રાષ્ટ્રગીત છે. તમને ભાગ્યે જ કોઈ મરાઠી માણસ મળશે જેને આ પ્રાર્થના કંઠસ્થ ન હોય. સાને ગુરુજીએ મહારાષ્ટ્રને પ્રેમ કરતાં શીખવાડ્યું. સાને ગુરુજીએ મહારાષ્ટ્રને માતૃહ્રદયનું મુલ્ય સમજાવ્યું. 

‘શ્યામચી આઈ’ તેમની જાણીતી કૃતિ છે જેનું ગુજરાતીમાં ભાષાન્તર પણ થયું છે. આચાર્ય અત્રેએ એના પર એ જ નામે મરાઠી ફિલ્મ પણ બનાવી છે. સાને ગુરુજીએ ‘ભારતીય સન્સ્કૃતિ’ નામનું પુસ્તક પણ લખ્યું છે જે ભારતને પ્રેમ કરનારા સાચા દેશપ્રેમીએ વાંચવું જોઈએ. 

હજુ આજે પણ મહારાષ્ટ્રમાં અનેક લોકોના ઘરમાં ગાંધીજી કે તિલકના ફોટો જોવા નહીં મળે, પણ સાને ગુરુજીનો ફોટો જોવા મળશે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ નામની સિરિયલમાં આત્મારામ સીતારામ ભીડેના ઘરમાં પણ એક સમયે સાને ગુરુજીનો ફોટો જોવા મળતો હતો. ગુરુજીની તસ્વીર વિના ભલા મરાઠીનું ઘર અધૂરું લાગતું. પણ હવે સાને ગુરુજીને હટાવીને વિનાયક દામોદર સાવરકરનો ફોટો લટકાવવામાં આવ્યો છે. સિરિયલના નિર્માતાને લાગ્યું હશે કે હવે જ્યારે હિંદુઓ પ્રેમી મટીને દ્વેષી બની રહ્યા છે તો પ્રેમના આઇકનને હટાવીને દ્વેષના આઇકનનો ઉપયોગ કરો.

આમ કેમ બન્યું? શા માટે જે માણસ પ્રેમ કરતો હતો, અથવા કમ સે કમ પ્રેમ કરતાં શીખવું જોઈએ એવું માનતો હતો એ આજે ગર્વથી કહે છે કે અમે દ્વેષી છીએ? એને હવે બીજાની પીડા સ્પર્શતી નથી અને વિધર્મીની તો જરા ય સ્પર્શતી નથી, ઊલટું વિધર્મીનું દુઃખ જોઇને અને કેટલીક વાર દુઃખી કરીને આનંદ અનુભવે છે. આવું કેમ બન્યું? એક સમયે કોઈ મરાઠી યુવક સાને ગુરુજીની ઉક્ત પ્રાર્થના ગાતો કે સાંભળતો ત્યારે તેના મનમાં સવાલ નહોતો થતો કે ઇસ્લામ કે ઈસાઈ ધર્મ આમ કહે છે? મુસલમાનો અને ખ્રિસ્તીઓ આવા બોધમાં માને છે અને કોઈ બોધ આપે તો ગ્રહણ કરશે? આજે તેના મનમાં આવો સવાલ જાગે છે. ટૂંકમાં સાને ગુરુજીથી સાવરકર સુધીની ૧૮૦ ડિગ્રીની અવળી દિશાની યાત્રા કેમ શક્ય બની?

આને માટે હિન્દુત્વવાદીઓએ ખૂબ જહેમત ઉઠાવી છે. તેમના દુશ્મનોએ પણ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ધીરેધીરે હિંમત હાર્યા વિના હિંદુઓના ચિત્તમાં રહેલાં માનવીય ઐક્ય અને પ્રેમનાં તત્ત્વો તેઓ ભૂંસતા ગયા છે. તેઓ હિંદુઓને કહે છે કે, આંખ ખોલીને જુઓ ‘બીજા’ કેટલા નીચ છે અને ‘આપણે’ કેટલા ભોળા છીએ. આપણે રાંક છીએ, નમાલા છીએ, પરાજીત છીએ; કારણ કે આપણે અસંગઠિત છીએ. આપણે આપણા હિંદુ ધર્મનો ઉપયોગ પરલોક સુધારવા માટે અને પુણ્ય કમાવાના ઉદ્દેશ સાથે બને એટલા પરમાર્થ માટે કરીએ છીએ, પણ આલોકમાં આપણા પોતીકા સ્વાર્થ માટે કરતા નથી. ધર્મનો આલોકમાં પોતીકા સ્વાર્થ માટે ઉપયોગ કરતા શીખવું જોઈએ જેમ બીજા કરે છે. આ શક્ય છે જો ધર્મનો રાજકીય ઉપયોગ કરવામાં આવે. ધર્મનો ઓળખ માટે ઉપયોગ કરો. ધર્મનો ‘આપણે’ અને ‘બીજા’ એમ એક જ દેશની એક જ ભાષા બોલતી એક જ પ્રજાને નોખા તારવવા માટે ઉપયોગ કરો. આપણા ધર્મનો ઉપયોગ આપણને ઊંચા દેખાડવા માટે અને બીજાના ધર્મનો ઉપયોગ બીજાને નીચા દેખાડવા માટે કરો.

પણ આયખું એક જ છે અને તે પાછું મૂલ્યવાન છે ત્યારે તેનો ઉપયોગ ધર્મના મર્મની આંગળી પકડીને જીવનને ઉજાળવા માટે કરવાનું કે પછી કોઈના ઘરમાં આવાં ડોકિયાં કરવા પાછળ  ખર્ચવાનું? દરેક માણસના મનમાં આ સવાલ થતો હશે અથવા સ્વાભાવિક ક્રમે થવો જોઈએ. શા માટે આવાં ભૂંડા કામ આપણે કરીએ જ્યારે પ્રેમ અને પરમાર્થ દ્વારા મોક્ષનો માર્ગ હાથવગો છે? માણસ થવા મળતું હોય ત્યારે માણસાઈ છોડવી શા માટે જોઈએ?

આવા સવાલ થવા સ્વાભાવિક છે. આ જગતમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી એમ પ્રત્યેક ધર્મની પ્રત્યેક વ્યક્તિના મનમાં આ સવાલ પેદા થતો જ હશે કે જ્યારે એક જ આયુષ છે અને એમાં જ્યારે ઉત્તમ માણસ તરીકે જીવવા મળતું હોય અને જ્યારે આપણો ધર્મ અને ધર્મપુરુષો પણ આ જ તો શીખવાડીને ગયા છે તો પછી આવા જિંદગી બગાડવાના ધંધામાં શું કામ પડવું? માત્ર હિન્દુત્વવાદીઓને નહીં, દરેક ધર્મના કોમવાદીઓને આ સવાલનો સામનો કરવો પડતો હશે. દ્વેષના ધંધામાં કોઈ જિંદગી શા માટે દાવ પર લગાડે?

આને માટે નક્કર કારણ આપવાં જોઈએ અને તે વિકસાવવામાં આવ્યાં છે. એ સાચાં છે કે ખોટાં એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે તમારી મૂલ્યવાન જિંદગી વિશેનો નિર્ણય તમારે પોતાને લેવાનો છે. તમારે એ પણ વિચારવું પડશે કે તમારી મૂલ્યવાન જિંદગી વિશેનો નિર્ણય તમે પોતે લેશો કે તમારી જગ્યાએ કોઈ બીજા લે અથવા ટોળાં લે અથવા ટોળાંકીય માનસિકતા લે. છેવટે આ નિર્ણય પણ તો તમારે જ લેવાનો છે. જ્યૉં પોલ સાર્ત્ર નામના ફ્રેંચ ફિલસૂફ કહેતા એમ નિર્ણય લેવાથી તો તમે બચી શકવાના જ નથી. તેનાં પરિણામથી પણ તમે બચી શકવાના નથી. એનાં સારાં કે માઠાં જે પરિણામ આવશે એ તમારે અને તમારાં સંતાનોએ ભોગવવાના છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2021

Loading

8 August 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—107
સફળતા દુનિયા માણે છે, જ્યારે સંઘર્ષ વ્યક્તિ પોતે જ જાણે છે… →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved