Opinion Magazine
Number of visits: 9445948
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ પાસે જેમ સમૃદ્ધિ વધે, તેમ તેનામાં કરુણા ઘટે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 December 2023

રાજ ગોસ્વામી

11,000 કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી ટેક્સટાઇલ કંપની રેમન્ડના પરિવારમાં નવો ઝઘડો બહાર આવ્યો છે. કંપનીના 58 વર્ષીય વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાણિયા, અને તેમની 53 વર્ષીય પત્ની નવાજ મોદી વચ્ચે અણબનાવ અને હવે સંપત્તિને લઈને તકરાર ઊભી થઇ છે (નવાજે સંપત્તિમાં 75 પ્રતિશત ભાગ માંગ્યો છે). પત્નીએ સિંઘાણિયા પર મારપીટનો અને ઘરમાંથી કાઢી મુક્યાનો આરોપ મુક્યો છે.

સંપત્તિ અને કંપનીની માલિકીના મામલે અગાઉ ગૌતમ સિંઘાણિયાની જોરજબરદસ્તીનો ભોગ બની ચુકેલા પિતા અને રેમન્ડ જૂથના સ્થાપક વિજયપત સિંઘાણિયા પણ પુત્રવધૂના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં, તેમની વિરાસત પુત્રને આપવાના નિર્ણય બદલ પસ્તાવો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કંપનીનું સુકાન ગૌતમને સોંપ્યું એ તેમની સૌથી મોટી ભૂલ હતી. સિનિયર સિંઘાણિયાનો આરોપ છે કે તે પછી દીકરાએ તેમને કંપની અને ઘર બંનેમાંથી કાઢી મુક્યા છે અને હવે પત્ની સાથે પણ એવું જ કર્યું છે.

અમીર પરિવારોના ઝઘડા પણ ‘અમીર’ હોય છે અને એમાં કોણ સાચું અને કોણ ખોટું તેના તારણ પર આવવું અઘરું હોય છે, પણ એક આમ ધારણા બહુ પ્રચલિત છે કે સામાન્ય લોકો પારિવારિક વિવાદો જેટલી સરળતાથ ઉકેલી શકે છે, અમીર લોકોની મડાગાંઠો વધુ જટિલ હોય છે. એનું કારણ પૈસો હશે? આપણે ત્યાં લોકો કહેતાં હોય છે કે માણસ અમીરીમાં છકી જાય છે. આ સાચું છે? તર્કથી સમજીએ.

તમને એવું પૂછવામાં આવે કે સૌથી વધુ જૂઠું કોણ બોલે, છેતરપિંડી કોણ કરે, ચોરી કોણ કરે – ગરીબ વ્યક્તિ કે સમૃદ્ધ વ્યક્તિ? તો તમારો સહજ જવાબ એવો હશે કે સમૃદ્ધ વ્યક્તિ ન્યાયી વર્તન કરે તેવી સંભવાના વધુ છે, કારણ કે જેની પાસે બધું જ હોય તે બીજાનો વિચાર કરે, પોતાનો નહીં. ઊંધું છે : વ્યક્તિ જેમ જેમ સમૃદ્ધિની સીડી ચઢતો જાય, તેમ તેમ તેની અંદર બીજા માટેની કરુણા ઘટતી જાય.

અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝના સમીક્ષા જર્નલમાં પ્રગટ એક અભ્યાસમાં એવું તારણ આપવામાં આવ્યું હતું કે જેની પાસે સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને શિક્ષણ જેવા સામાજિક પ્રભાવ હોય, તેઓ બીજા લોકોની ભાવનાઓની દરકાર ઓછી કરે છે. મનોવૈજ્ઞાનિકો આવી બાબતોનો અભ્યાસ કરવા માટે રોજીંદા જીવનની ઘટનાઓનું નિરીક્ષણ કરતા હોય છે.

તમને ટ્રાફિકમાં બે નોંધપાત્ર બાબતો જોવા મળશે. લક્ઝરી કારના માલિકને આગળ નીકળી જવાની સૌથી વધુ ઉતાવળ હશે અને એમાં તે સાધારણ વાહનચાલકોની સંપૂર્ણ અવગણના કરશે. એવી જ રીતે, સિગ્નલ કે ટોલ પ્લાઝા પર ભિક્ષુક લોકો સાથેના વ્યવહારને નોંધશો. ભિક્ષુક જો કોઈ સાધારણ વાહન માલિક પાસે જઈને હાથ લાંબો કરશે, તો એવી શક્યતા સૌથી વધુ છે કે તેને પાંચ-દસ રૂપિયા મળી જાય. એ જ ભિક્ષુક કોઈ લક્ઝરી કાર પાસે જઈને ટકોરા મારે, તો એવી શક્યતા સૌથી વધુ છે કે વાહન માલિક, પૈસા આપવાની તો દૂરની વાત છે, તેને હડધૂત કરીને ભગાડી મૂકે.

આવું તમને અન્ય પ્રસંગોએ પણ જોવા મળશે. એકટર શાહરુખ ખાને એકવાર કહ્યું હતું કે, “જે  માણસ વેઈટર સાથે સભ્યતાથી ન વર્તે તે માણસ સભ્ય નથી.” હોટેલ કે રેસ્ટોરન્ટમાં એક વેઈટર સાથે અમીર માણસનો વ્યવહાર એક સાધારણ માણસની સરખામણીએ રુક્ષ હોય છે. એવું જ ચોકીદાર સાથે થાય છે. વ્યક્તિ તેની સામાજિક હેસિયતથી સમાન હોય, ઉપર હોય કે નીચે હોય તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે નોંધજો. તમને ખ્યાલ આવશે કે જે લોકો પ્રતિષ્ઠા કે પૈસામાં ઉપર હશે તેમનામાં ઉદારતા ઓછી હશે.

માત્ર સામાજિક સમાનતા કે અસમાનતાની વાત નથી. વાત સમૃદ્ધિ વ્યક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની છે. પૈસો માણસને બદલી નાખતો નથી. પૈસો માણસના અસલી ચારિત્ર્યને બહાર લાવે છે. જે માણસમાં સહાનુભૂતિ હશે, તે માણસ અમીર બનીને વધુ સહાનુભૂતિ વાળો બની જશે અને જે માણસ સ્વાર્થી હશે, તે વધુ સ્વાર્થી બની જશે.

આપણે ત્યાં કહેવાય છે કે ‘પૈસો હાથનો મેલ છે.’ આ કહેવત ખોટી છે. દુષ્ટતા પૈસામાં નથી, પૈસો જેના હાથમાં છે તેની છે. વાસ્તવમાં, પૈસો નીતિહીન (અમોરલ) છે – એ ન તો અનૈતિક છે કે ન તો નૈતિક. તે નીતિહીન છે એટલે તેનો અર્થ એ થયો કે તે વ્યક્તિમાં જે પણ ગુણ હોય, તેને ધારણ કરે છે. અર્થાત, એક સદાચારીના હાથમાં પૈસો ઇષ્ટ બનશે અને એક ભ્રષ્ટાચારીના હાથમાં પૈસો અનિષ્ટ બનશે. એવી જ રીતે, નૈતિક માણસ નૈતિક રીતે પૈસો બનાવશે અને અનૈતિક લોકો અનૈતિક રીતે.

ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘અનાડી’માં આ જ વાત નૈતિકતા અને નૈતિકતા બંનેના ઉદાહરણથી સમજાવવામાં આવી હતી. ફિલ્મનો હીરો રાજ કુમાર (રાજ કપૂર) એક પ્રમાણિક યુવાન છે. તે શહેરમાં રોજી-રોટી માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક દિવસ તેને રસ્તામાંથી પૈસા ભરેલું એક પાકીટ મળે છે. એ પાકીટ શહેરના અમીર શેઠ રામનાથનું છે.

રાજ એ પાકીટ શેઠને પહોંચાડે છે. રામનાથ તેની પ્રમાણિકતાથી ખુશ થઇ જાય છે, અને રાત્રે તેને પાર્ટીમાં સાથે લઇ જાય છે. પાર્ટીમાં ભેગા થયેલા શહેરના ધનવાન લોકોને પહેલી વાર જોઇને અચંબિત થઇ ગયેલો રાજ શેઠ રામનાથને પૂછે છે, “યે લોગ કૌન હૈ?” ત્યારે રામનાથ માર્મિક રીતે જવાબ આપે છે, “યે વો લોગ હૈ, જીન્હોને બટવે વાપીસ નહીં કીયે થે.”

સવાલ એ છે કે પૈસા આવી જવાથી માણસનો આચાર-વિચાર કેમ બદલાઈ જાય છે? આમ જોવા જઈએ તો જેની પાસે સંશાધનો ઓછાં હોય, તે સ્વાર્થી હોવા જોઈએ અને જેની પાસે બહુ સંશાધનો છે તે ઉદાર હોવા જોઈએ. ફિલ્મનું જ ઉદાહરણ લઇ તો, હીરો રાજકુમાર એટલો ગરીબ છે કે તે પૈસા ભરેલું પાકીટ પોતાની પાસે રાખી લે તો કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ. પરંતુ, શેઠ રામનાથ ગવાહી આપે છે તે પ્રમાણે, જેને પૈસાની જરૂર નથી તેમણે બીજાઓના પૈસા મારી લીધા છે.

કદાચ તેમાં પૈસા હોવા કે ન હોવાનો મામલો નથી. મનોવિજ્ઞાનિકો કહે છે કે સમૃદ્ધિ માણસને સાચા-ખોટા, નીતિ-અનીતિ કે યોગ્ય-અયોગ્યની દુવિધામાંથી આઝાદ કરે છે. સમૃદ્ધિ માણસને બીજી વ્યક્તિ પરની નિર્ભરતામાંથી પણ મુક્ત કરે છે. સમૃદ્ધિ વ્યક્તિને સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે – હું કંઈ પણ કરી શકું છું અને મને કોઈની જરૂર નથી. એટલા માટે “પૈસો હાથનો મેલ છે” તે ગરીબોની કહેવત છે, પણ “પૈસો જ પરમેશ્વર છે” તે અમીરોની કહેવત છે.

બીજી રીતે સમજીએ. એક ગુંડો જ્યાં સુધી પહેલું ખૂન ન કરે, ત્યાં સુધી તેનામાં ખચકાટ હોય છે, પણ બીજા ખૂનથી એ ખચકાટ દૂર થવાની પ્રક્રિયા શરૂ થાય છે અને પાંચ-પંદર ખૂન સુધીમાં તો તે તે સંપૂર્ણપણે નિર્મમ થઇ ચુક્યો હોય છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ “અગ્નિપથ”માં રોહિણી હતંગડીનો એક સંવાદ છે; “ ઇન્સાન ભી પહેલે જાનવર થા, સદિયાં લગી ઉસે જાનવર સે ઇન્સાન બનને મેં … લેકિન તુજે ઇન્સાન સે જાનવર બનને મેં જરા ભી વક્ત ન લગા.”

સમૃદ્ધિની સ્વતંત્રતાનું પણ એવું છે. એકવાર માણસ એની સારા-ખોટાની દુવિધામાંથી અને મને બીજા લોકોની જરૂર પડશે તે ભાવનામાંથી મુક્ત થઇ જાય, પછી તેને નિર્મમ બનતાં વાર લાગતી નથી.

સહાનુભૂતિ અથવા સંવેદના એટલે દુનિયાને બીજા લોકોની દૃષ્ટિએ જોવાની ક્ષમતા. તે ક્ષમતા બીજાનાં દુઃખ-દર્દ માટે કરુણા પેદા કરે છે. તેનાં કારણે આપણે આજુબાજુના લોકો સાથે લગાવ અનુભવીએ છીએ. આ આપણા મગજની એક ન્યુરલ પ્રક્રિયા છે. અમુક અભ્યાસ કહે છે કે વ્યક્તિમાં એકવાર આર્થિક કે સામાજિક શક્તિ આવી જાય, ત્યારે તેની આ ન્યુરલ પ્રક્રિયામાં પરિવર્તન થાય છે અને તેનામાં સંવેદના ઘટે છે. બીજા પર આપણી નિર્ભરતા હોય, ત્યાં સુધી આપણામાં તેના માટે કરુણા હોય. એ નિર્ભરતા ખતમ થાય, તો કરુણા પણ ખતમ થાય.

એ રીતે, વિજયપત સિંઘાણિયા સાચા છે. દીકરાને બધું આપી ના દીધું હોત, તો થોડી કરુણા બચી હોત.

(પ્રગટ : “ગુજરાત મિત્ર”/ “મુંબઈ સમાચાર”; 03 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

4 December 2023 Vipool Kalyani
← ભારતને ભયભીત કરવાના સાર્વત્રિક પ્રયત્નો થઈ રહ્યા છે…
છઠ્ઠી ડિસેમ્બરે ચંદ મિનિટ સીતા સંગાથે →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved