Opinion Magazine
Number of visits: 9448973
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકસંગીતના બત્રીસ કોઠે દીવા પ્રગટાવનારાં દિવાળીબહેન ભીલ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|21 May 2016

સાદગી અને હૈયાનો વલવલતો ભાવ બેઉ ભેગા મળીને જ્યારે લોકસંગીતનો લિબાસ ઓઢે ત્યારે તેને દિવાળીબહેન ભીલ કહેવાય. તળપદો લહેકો, સ્ફટિકવત્ રણકો, અવાજમાં કરુણા અને આર્દ્રતા એવા લથબથ કે સાંભળનારના રૂદિયાના નગારે જ સીધો ઘા કરે.

થોડા મહિના અગાઉ જૂનાગઢ જવાનું થયું ત્યારે નક્કી જ હતું કે દિવાળીબહેન ભીલને મળવાનું જ છે. જૂનાગઢ પહોંચ્યાને બીજે જ દિવસે પત્રકારમિત્રને ફોન જોડ્યો કે દિવાળીબહેન ક્યાં રહે છે? જવાબ મળ્યો, “ગાંધીગ્રામ વિસ્તારમાં જઈને પૂછશો એટલે કોઈ પણ વ્યક્તિ તેમનું ઘર બતાવી દેશે.” આથમતે ટાણે સાંજે તેમના ઘરે પહોંચ્યો તો આંગણું દિવાળીબહેનથી ઝળહળતું હતું. તેઓ આંગણાંમાં જ બેઠાં હતાં. વાતોનો દૌર શરુ થયો. 

તમે લોકસંગીત કેવી રીતે શીખ્યાં – એવું પૂછતાં જ હસતાં હસતાં દિવાળીબહેન કહે કે “હું  સંગીત શીખી જ નથી. મોંઘી બા એટલે કે મારી બા ખૂબ ગાતાં. તેમને અમે સાંભળતાં. તેમને સાંભળતાં સાંભળતાં હું ય ગાતી. સંગીતનું જે શિક્ષણ કહેવાય એવું તો ક્યારે ય લીધું જ નથી.”

સંગીતનું શિક્ષણ તો જવા દો સાદું મૂળભૂત શાળાકીય શિક્ષણ પણ દિવાળીબહેને લીધું નથી. દિવાળીબહેન કહે છે કે, “મારી બા અભણ ને હું ય અભણ. મને સહી કરતાં ય માંડ આવડે.” દિવાળીબહેન ભીલની ગાયકી ભાવબળકટ ગાયકી છે. લોકસંગીત હંમેશાં ભાવપ્રધાન હોય છે. લોકસંગીતમાંથી જ શાસ્ત્રીય સંગીત અને એની રાગદારીઓ જન્મ્યાં છે. તેથી શાસ્ત્રીય સંગીતનું મૂળ પણ લોકસંગીત છે. 

શાળા-કોલેજનાં શિક્ષણની અનિવાર્યતાને ક્યારે ય નકારી ન શકાય, પણ શિક્ષણની આડઅસરને લીધે વ્યક્તિમાં વ્યાવહારિક ઔપચારિકતા તો આવી જ જાય છે. દિવાળીબહેને સ્કૂલનું શિક્ષણ નહોતું લીધું, તેથી તેઓ બનાવટ વિનાના નખશીખ નક્કર રહી શક્યાં, એવું માનવાનું મન થાય. પોતે ફોક-સીંગર છે, એવી સભાનતા તો તેમનામાં ક્યારે ય રહી જ નથી. તેથી પોતે મહાન ગાયક છે, એવો આછોપાતળો અહમ્‌ પણ તેમના વ્યક્તિત્વમાં ડોકાતો-પરખાતો નથી. વિશ્વના અનેક દેશોમાં જઈને ગાનારાં દિવાળીબહેન જૂનાગઢમાં કોઈ શેરીમાં ગાવાં બોલાવે તો એટલી જ સહજતાથી ગાવાં જાય. 

તમે ક્યા ક્યા દેશમાં જઈ આવ્યાં? એ સવાલનો જવાબ આપતાં દિવાળીબહેન કહે છે કે “હું અમેરિકા ચાર-પાંચ વખત ગઈ છું. એ ઉપરાંત એવા એવા દેશોમાં જઈ આવી છું કે એનાં નામ પણ મને નથી આવડતાં. મને તો ક્યારેક એવું લાગે છે કે સંગીતને બહાને મેં બ્રહ્માંડ ફરી લીધું.”

બ્રહ્માંડ ફરી લીધું પણ ધરી તો જૂનાગઢને જ રાખી. ઘણા કલાકારો નાનાં શહેરો કે ગામમાંથી આવતા હોય, પણ એક વખત સહેજ નામ બને એટલે અમદાવાદ કે મુંબઈ જેવાં શહેરોમાં નિવાસસ્થાન બનાવી લે છે. દિવાળીબહેનને જૂનાગઢ જ સોરવતું. 

દિવાળીબહેન ગાયિકા તરીકે ગુજરાતભરમાં પહોંચ્યાં એનું ઘણું શ્રેય હેમુ ગઢવીને જાય છે. હેમુભાઈનું નામ પડે એટલે દિવાળીબહેન ખૂબ ગળગળાં થઈ જાય છે. તેઓ કહે છે કે, “હું નોરતામાં વણઝારીના ચોકે (જૂનાગઢ) ગરબા ગાવા જતી. એ વખતે મારી ઉંમર 15-16 વર્ષ હશે. ત્યાં હેમુભાઈએ મારો અવાજ સાંભળ્યો. તેમણે પૂછ્યું કે આ કોણ ગાય છે? પછી મારા અવાજમાં ગરબા-ગીતો રેકોર્ડ કર્યાં. ત્યાંથી મારી કલાકાર તરીકેની સફર શરૂ થઈ. હેમુભાઈના પ્રતાપે હું અહીં સુધી પહોંચી છું. એ પછી હું આકાશવાણી રાજકોટમાં પણ રેકોર્ડીંગ માટે નિયમિત જતી થઈ હતી.”

કલ્યાણજી-આણંદજી પણ દિવાળીબહેન ભીલના અવાજ પર ઓવારી ગયા હતા. ઉઘડતી કારકિર્દીએ દિવાળીબહેનને મુંબઈમાં કાર્યક્રમો મળે, એ માટે તેઓ મદદરૂપ થયા હતા. દિવાળીબહેન કહે છે કે, “હું મુંબઈમાં રેકોર્ડીંગ માટે જતી હતી. હું ત્યાં દયારામ દામોદર મીઠાઈવાલાને ત્યાં રોકાઉં. એક દિવસ કલ્યાણજીભાઈએ ભોજન માટે ઘરે બોલાવી. હું તેમને ઘરે ગઈ, પછી તેમણે મારી પાસે ગીતો ગવડાવ્યાં. એ પછી મેં જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી. પચાસેક વર્ષ પહેલાંની આ વાત હશે.”

હેમુભાઈએ દિવાળીબહેનનું હીર પારખ્યું ને તેમને સ્ટુડિયો સુધી લાવ્યાં તો દિવાળીબહેન જાહેર કાર્યક્રમો આપતાં થયાં એમાં કલ્યાણજી-આણંદજી પણ નિમિત્ત બન્યા. 

થોડા વખત પહેલાં દિવાળીબહેનને કરાંચી-પાકિસ્તાનથી તેડું આવ્યું હતું. કરાંચીના કોઈ મુસ્લિમ બિરાદરે ત્યાં તેમને રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ ગીતો ગાવાં માટે આમંત્રણ આપ્યું હતું. દિવાળીબહેને છેલ્લાં કેટલાંક વખતથી કાર્યક્રમો બંધ કરી દીધા હોવાથી કરાંચી જવાની તેમણે ના પાડી દીધી હતી. 

સાંસ્કૃિતક શંભુમેળા જેવું શહેર જૂનાગઢ તેની ગિરનાર-દાતારી તહેઝીબ માટે જાણીતું છે. ભગા ચારણ અને દાસી જીવણનાં ભજનો ગાતાં દિવાળીબહેન મોહર્રમનાં મરસિયા અને રમજાનનાં મુસ્લિમ ગીતો પણ ગાય છે. વાત વાતમાં ગીત સંભળાવે છે …

‘આંગણ માંડવ રોપો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
હાથો મેં મીંઢોળ બાંધો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
લીલી તે ઓઢણી ઓઢો બીબી. હાથોં મેં મેંદિયા લગાવો બીબી
ઇમામ મારે ઘેર આયે, સજન મેરે ઘર આયે.

પચાસેક વર્ષ તમે કાર્યક્રમો આપ્યા. અનેક દેશોમાં ફર્યા. આટલાં વર્ષ પછી પાછું વળીને કારકિર્દીને નિહાળો છો ત્યારે શું વિચાર આવે છે? એવો ટિપિકલ પત્રકારી સવાલ પૂછતાં દિવાળીબહેન કહે છે કે, “મને એવા કોઈ વિચાર આવતા જ નથી. ઇશ્વરની દયાથી બસ ગાયા ંકર્યું.”

વર્ષો પહેલાં વણજારીના ચોકમાં જ્યારે ગાતાં અને જાણીતાં કલાકાર નહોતાં બન્યાં એ વખતનાં દિવાળીબહેન અને ઘેર ઘેર જાણીતાં થઈ ચૂકેલાં દિવાળીબહેન બંને એક જ હતાં. કબીરની ‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા’ની જેમ દિવાળીબહેને આયખું ઇશ્વરને અકબંધ ધર્યું. સાદગી અને સરળતા તેમનાં સંગીતના જ નહીં, સ્વભાવનાં પણ મુખ્ય અંગ હતાં. ગુજરાત દિવાળીબહેનથી રળિયાત હતું. ગુજરાત તેમના સંગીતનું ઋણી રહેશે.

(દિવાળીબહેન ભીલે 19.05.16ના રોજ દેહ છોડ્યો. આ વાર્તાલાપ આજથી છ-આઠ મહિના અગાઉ થયો હતો. દાવો ન થઈ શકે, પણ સંભવતઃ આ તેમનો છેલ્લો ઇન્ટરવ્યૂ હોઈ શકે.)

http://wordswatching.blogspot.co.uk/2016/05/blog-post.html

Loading

21 May 2016 admin
← પછાતવર્ગની અનામતનો પેચીદો પ્રશ્ન
મહિલાઓએ અન્યાય-અત્યાચારનો સામનો કરવો પડે છે ત્યારે ઇલાબહેનનો ‘અવાજ’ યાદ આવે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved