Opinion Magazine
Number of visits: 9450742
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી, મતદાન અને સત્તાપ્રાપ્તિ : એક દૃષ્ટિકોણ

કિશોર વિ. ઠાકર|Opinion - Opinion|16 July 2019

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈએ આપણા દેશના શાસન માટે પ્રમુખપદ્ધતિની લોકશાહી અંગે ચર્ચા કરવાનું સૂચન એક વખત કરેલું. કેટલાક લોકોને એ પસંદ પણ પડેલું, પરંતુ એ ચર્ચા  લાંબી ચાલેલી નહિ. એવો અભિપ્રાય જ સ્વીકૃત રહ્યો કે દેશમાં પ્રદેશ, ભાષા, ધર્મ અને જ્ઞાતિ જેવી વિવિધતા જોતાં  સંસદીય લોકશાહી જ  યોગ્ય છે.

૧૯૭૭માં શ્રીમતી ઇંદિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી અને કૉંગ્રેસની સામે જનતાપક્ષ રચાયો. એ વખતે  શ્રીમતી ગાંધીએ જનતાપક્ષને સવાલ કરતાં કે તમારો વડા પ્રધાનપદનો ઉમેદવાર કોણ છે? આ જ પ્રમાણે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં શાસકપક્ષના નેતાઓ મહાગઠબંધનના નેતાઓને તેમના વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે પૂછતા. રાજ્યોમાં પણ જ્યારે એક પક્ષના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નક્કી હોય, ત્યારે સામા પક્ષના નેતાઓને આ પ્રશ્ન પૂછીને રાજકીય લાભ લેવાના પ્રયત્નો થતા આવ્યા છે. આ પ્રકારના રાજકારણમાં સુવિધાપૂર્વક ભૂલી જવામાં આવે છે કે આપણી લોકશાહી સંસદીય પ્રકારની છે, નહિ કે પ્રમુખપદ્ધતિની. પ્રચારની અસર તળે આપણે નાગરિકો પણ પ્રમુખપદ્ધતિની જેમ જ મતદાન કરતા હોઈએ છીએ. અહીં  આપણા રાજ્યબંધારણની લોકસભા અને વિધાનસભાની – ખાસ કરીને લોકસભાની – ચૂંટણીમાં  મતદાન કરવા બાબતે આપણી પાસે શી અપેક્ષા હોઈ શકે, તે અંગે કેટલીક વિગતોને આધારે  એક દૃષ્ટિકોણ રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

દેશના વહીવટ માટે રાજકીય પક્ષોનું અસ્તિત્વ અભિપ્રેત ઉપરાંત અનિવાર્ય લાગતું હોવા છતાં છેક ૧૯૮૫ સુધી આપણા બંધારણે રાજકીય પક્ષ બાબતે મૌન સેવ્યું હતું. ૧૯૮૫માં પક્ષપલટા વિરોધી ધારો આવતા બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ જરૂરી બન્યો, છતાં તેનો ઉલ્લેખ પરિશિષ્ટ ૧૦ના સ્વરૂપમાં જ કરવામાં આવ્યો. આમ કરવા માટેનો બંધારણનો આશય સમજતાં પહેલાં રાજકીય પક્ષ બાબતે જુદી-જુદી વ્યાખ્યા જાણી લઈએ.

પરિશિષ્ટ ૧૦ના સ્વરૂપમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ કરવા છતાં બંધારણમાં કે તેની અંતર્ગત કોઈ કાયદામાં રાજકીય પક્ષની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. ચૂંટણી-કમિશન ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ ધારામાં રાજકીય પક્ષોને તેમની નોંધણી કરાવવાની સૂચના આપતા કહે છે કે ”ભારતના નાગરિકોનું સંગઠન જે પોતાને રાજકીય પક્ષ માને છે, તે પોતાની નોંધણી કરાવવા માટે અરજી કરી શકે છે.” એટલે કે ચૂંટણીપંચ રાજકીય પક્ષને માત્ર નાગરિકોનું સંગઠન જ માને છે.

‘ધી ન્યૂ ઍન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ રાજકીય પક્ષની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે, “રાજ્યવ્યવસ્થા હેઠળ સત્તા પ્રાપ્ત કરવા અને તેનો ઉપયોગ કરવા માટે રચાયેલું જૂથ.” 

આથી એ સ્પષ્ટ થાય છે કે આપણા બંધારણની દૃષ્ટિએ રાજકીય પક્ષ પાસે કોઈ રાજકીય વિચારસરણી કે નીતિવિષયક કાર્યક્રમ હોવો જરૂરી નથી.

ચૂંટણીપંચ જ્યારે ચૂંટણીની જાહેરાત કરે છે, ત્યારે તેના જાહેરનામા મારફત દેશની જનતાને અનુરોધ કરે છે કે “તમે તમારા પ્રતિનિધિઓ નક્કી કરો (ચૂંટીને મોકલો).” અહીં લોકોને સરકાર રચવા માટે કહેવામાં આવ્યું નથી. આપણે જાણીએ છીએ તે મુજબ સરકાર રચવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર નાખવામાં આવી છે.

ઉમેદવારીપત્રનું સ્વરૂપ જોઈએ તો, જે-તે વિસ્તારના મતદારો કોઈ એક વ્યક્તિના નામની દરખાસ્ત કરીને કહે છે કે “અમે આ કે તે વ્યક્તિને અમારા પ્રતિનિધિ તરીકે મોકલવા માગીએ છીએ”. ઉમેદવારની સહી એ તો તેની સંમતિ માત્ર છે. આમ, મૂળભૂત રીતે લોકોને પોતાના પ્રતિનિધિ નક્કી કરવા માટે રાજકીય પક્ષ અનિવાર્ય નથી. આદર્શ સ્થિતિ પ્રમાણે તો ઉમેદવારની પોતાની ચૂંટાવાની તમન્ના કરતાં લોકોની પોતાના પ્રતિનિધિ મોકલવાની જરૂરિયાત જ વધારે હોવી જોઈએ. બિલકુલ સાદા શબ્દોમાં કહીએ તો પ્રજાએ પોતાના વિસ્તારના સૌથી યોગ્ય પ્રતિનિધિને નક્કી કરીને મોકલવા શક્ય તેટલા વધારે પ્રયત્નો કરવા જોઈએ.

પરંતુ એવું જોવા મળ્યું છે કે જાગૃતિના અભાવે મત આપતી વખતે આપણે ઉમેદવારની લાયકાતને બદલે રાજકીય પક્ષને અને વિશેષ કરીને  તેના નેતાને જ  મહત્ત્વ આપતા હોઈએ છીએ. જે રાજકીય પક્ષનો પ્રચાર ઓછો હોય તેના ઉમેદવારના નામની સુદ્ધાં શિક્ષિત (જેમાં સ્નાતક, અનુસ્નાતક કે પીએચ.ડી થયેલા પણ અપવાદ નથી.) મતદારોને પણ ખબર હોતી નથી. રાજકીય પક્ષો પણ પોતાના નેતાના નામે ચૂંટણી લડતા હોય છે. પોતાના પસંદગીના પક્ષને મત આપનારા ક્યારેક તો તેના ઉમેદવારનું નામ પણ જાણતા નથી! વળી, નેતા પણ એવો પ્રચાર  કરતા કહે છે કે તમે ઉમેદવાર સામે નહિ, પરંતુ મને જોઈને જ મત આપજો!! અને આપણે કરીએ છીએ પણ એમજ ને? પરિણામ એ આવ્યું છે કે જેમની સામે ગુનાઓ (જેમાં કેટલાક તો ખૂન જેવા ગંભીર ગુનાઓ પણ છે) નોંધાયા છે, તેવા ૪૩ ટકા (કુલ ૫૪૩માંથી ૨૩૩) લોકોને આપણે છેલ્લી લોકસભામાં ચૂંટીને મોકલ્યા છે! આ આંકડાથી આપણે ચોંકી ન ઊઠીએ તો દેશમાં લોકશાહીનું કોઈ ભવિષ્ય નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી

એથી નાગરિકોએ પોતાની જવાબદારી પોતાના પ્રતિનિધિની તેના ચારિત્ર્ય સહિતની યોગ્યતા જાણવા માટે કેન્દ્રિત કરવી જોઈએ. અહીં સવાલ થશે કે “તો પછી કોઈ ચોક્કસ વિચારસરણી ધરાવતી સરકારને ચૂંટવાની જવાબદારી નાગરિકની નથી?” આના જવાબમાં સામો પ્રશ્ન પૂછી શકાય કે “જેમને આપણે ચૂંટીને મોકલીએ છીએ, તેમની કોઇ, ચોક્કસ રાજકીય વિચારસરણી છે ખરી?” વારે-વારે થતા પક્ષપલટાઓ આનો જવાબ ‘ના’માં આપે છે.

બીજી બાબત એ પણ છે કે રાજકીય પક્ષો ટિકિટ આપતી વખતે ઉમેદવારની વિચારસરણીને ધ્યાનમાં લેવાને બદલે તેની જીતવાની સંભાવના પર જ વધારે ભાર મૂકતા હોય છે. આથી નેતાની પોતાની વિચારસરણી અને ચૂંટાયેલા સભ્યોની વિચારસરણીનો મેળ ખાતો નથી, પરિણામે નેતાની દાનત અને ઇચ્છા ગમે તેટલી હોય, પરંતુ  ચૂંટાયેલા સભ્યોનાં હિત તેની સાથે ટકરાવાને લીધે કાર્યક્રમોનો અમલ થઈ શકતો નથી.

આ બાબતનું નિવારણ મતદારો દ્વારા ઉમેદવારને તેની વિચારસરણી સહિત જાણીને મોકલવામાં છે, પરંતુ આપણે તેમ કરતા નથી અને રાજકીય પક્ષ જેમને પણ ટિકિટ આપે છે, તેમને જેવા ને તેવા સ્વીકારી લઈએ છીએ, પરિણામે સરકાર પોતે સફળ થઈ શકતી નથી, ઉપરાંત જેમના પર ગુનાઓ નોંધાયા હોય તેવા લોકો વિપુલ સંખ્યામાં છેક લોક્સભા સુધી પહોંચી જાય છે. આપણી ફરજ યોગ્ય ઉમેદવાર અંગેની પૂરેપૂરી માહિતી મેળવીને જાણવા પૂરતી સીમિત નથી. એથી આગળ જઈને યોગ્ય ઉમેદવારને શોધી લાવવાની છે. આ માટે મતદારમંડળોનો ખ્યાલ રજૂ થયેલો છે. એ કેટલો અને કેવી રીતે કાર્યાન્વિત અને ઉપયોગી થઈ શકે તે નિષ્ણાતોની ચર્ચાનો વિષય હોઈ શકે  છે.

અહીં રાજકારણમાં કે દેશના વહીવટમાં રાજકીય પક્ષના વજૂદને સરિયામ નકારી કાઢવાનો આશય નથી. ૧૯મી સદી સુધીમાં તો દુનિયાભરમાં  રાજકીય પક્ષોનો  વિકાસ થઈ જ ચૂક્યો હતો અને તેમણે રાજ્ય કે સમાજનાં પરિવર્તનોમાં સકારાત્મક ભૂમિકા ભજવેલી પણ છે. આપણા દેશમાં પણ આઝાદી પહેલાં રાજકીય પક્ષો હતા જ અને આઝાદીની લડાઈમાં તેમણે મોટો ફાળો પણ આપેલો છે, પરંતુ મુદ્દાની વાત મતદાન કરતી વખતે ઉમેદવારની લાયકાત અને ચારિત્ર્યને જરૂરી મહત્ત્વ – કોઈ રાજકીય પક્ષ કે તેના નેતા કરતાં ઘણું વધારે – આપવાની છે. જો આપણે એ પ્રમાણે કરતા થઈશું, તો રાજકીય પક્ષોએ પણ તેને મહત્ત્વ આપવું જ પડશે.

આપણે સૌ કહીએ તો છીએ જ કે લોકશાહીની સફળતાનો આધાર પ્રજાની જાગૃતિ પર છે, પરંતુ આપણે ઉમેદવારને જાણવા જેવી સામાન્ય બાબતે બેદરકાર રહીને જાગૃતિનું પહેલું જ પગથિયું ચૂકી જઈએ છીએ.

દેશના બધા જ લોકો પાસે આ પ્રકારની જાગૃતિની અપેક્ષા રાખવી કદાચ વધુ પડતી લાગતી હોય, પરંતુ જે લોકો પોતાને જાગૃત માને છે અને સોશિયલ મીડિયામાં કે અન્યત્ર રાજકીય ચર્ચાઓ કરતા હોય છે. તેમની પાસે તો આ અપેક્ષા ઓછામાં ઓછી છે. તેમની જાગૃતિની અસર સામાન્ય  માણસ પર વહેલી કે મોડી થયા વગર રહેશે નહિ.  

નોંધ :

૧. આ લેખમાંની કેટલીક વિગતો ‘HOW INDIA VOTES, ELECTION LAWS, PRACTICE AND PROCEDURE’(લેખકો : વી. એસ. રમાદેવી, ભૂતપૂર્વ ગવર્નર, કર્ણાટક અને એસ.કે. મેંદીરત્તા,  ચૂંટણીપંચના ભૂતપૂર્વ  સલાહકાર)માંથી લેવામાં આવી છે

૨. જેમના પર ગુનો નોંધાયો છે, તેવા લોકસભાના સભ્યોની સંખ્યાની વિગત સભ્યોએ પોતાના ઉમેદવારીપત્રમાં કરેલી ઍફિડેવિટના આધારે ‘એસોશિયેશન ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ ઍન્ડ ન્યુ ઇલેક્શનવૉચ’ દ્વારા કરવામાં આવેલા પૃથક્કરણમાંથી લેવામાં આવેલી છે, જે ૨૭મી મે ૨૦૧૯ના ‘ઇંડિયન એક્સપ્રેસ'માં પ્રસિદ્ધ થયેલી  છે

સૌજન્ય : “નિરીક્ષક”, 15 જુલાઈ 2019; પૃ. 09-10

Loading

16 July 2019 admin
← હવે એ દિવસો દૂર નથી
જ્ઞાતિ ગૌરવ અને જ્ઞાતિવાદથી દેશનો વિકાસ નહીં થાય ! →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved