Opinion Magazine
Number of visits: 9446713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉક ડાઉનના સમયમાં લઘુ ઉદ્યોગોની સ્થિતિ

મુનિ દવે|Opinion - Opinion|3 June 2020

જે લોકો એન્જિનિયરિંગ કંપનીઓ સાથે સંકળાયેલા હોય તેમને ખબર હશે કે આવી કંપનીઓ માટે માર્ચ મહિનો બહુ અગત્યનો હોય. સામાન્ય રીતે એ મહિને વર્ષનું સૌથી વધુ કામ થાય. ઘણી રાતોના ઉજાગરા થાય. એ મહિને સૌથી વધુ માલ રવાના થાય. આમ, માર્ચ મહિનો એ કમાવાનો મહિનો. મને યાદ છે કે આજથી 20 વર્ષ પહેલાં મશીનો મોકલવા અમારે એક મહિના પહેલાં ટ્રકો બૂક કરાવવી પડતી. એક-બે દિવસમાં બહારના રાજ્ય માટે ટ્રક માગો તો ન મળે. તેમાંયે માર્ચનું છેલ્લું અઠવાડિયું તો ભારે વ્યસ્ત હોય. કંપનીના દરેક સ્તરનો કર્મચારી — એન્જિનિયર કે કારીગર, ક્યારે ઘરે જશે તેનું કોઈ ઠેકાણું ના હોય. પછી એપ્રિલનો મહિનો એકદમ આરામનો મહિનો.

આ વર્ષે લૉક ડાઉન માર્ચના લગભગ છેલ્લા અઠવાડિયામાં જાહેર થયું અને તે પણ અગાઉ જાણ કર્યા વગર. તેને કારણે બહુ લોકોનો તૈયાર થયેલો માલ, જેને જલદી મોકલવા ગ્રાહકો ભારે દબાણ કરતા હતા, તે બધો રવાના થયા વગરનો પડી રહ્યો. પછીથી દુનિયાભરની પરિસ્થિતિ જે રીતે બગડી, તેને કારણે એ બધા ઓર્ડરો કેન્સલ થઈ ગયા. આને કારણે મોટા ભાગની કંપનીઓ પાસે લાખો-કરોડો રૂપિયાનો માલ એમ જ પડ્યો રહ્યો. એટલું જ નહીં, તેના પૈસા પણ નહીં આવે. આને કારણે બહુ મોટો આર્થિક ધક્કો લાગ્યો. તેમાંયે કેટલાક મશીનો તો એવાં હોય, જે ગ્રાહકની ખાસ પ્રકારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝઈન થયેલાં હોય. તેના ઑર્ડર જો કેન્સલ થાય, તો બીજું કોઈ એ મશીન લેવા તૈયાર ન થાય. તે બધા પૈસા ડૂબી ગયા સમજી લેવાના.

એક ઉદ્યોગપતિના કહેવા મુજબ એ માત્ર ખાસ પ્રકારનાં મશીનો જ બનાવે છે, જેને સ્પેશ્યલ પરપઝ મશીન – SPM કહેવાય. માર્ચની 23 તારીખે તેમનાં રૂ. 2 કરોડની કિંમતનાં બે મશીન નિકાસ માટે તૈયાર હતા. બેન્કનું ક્લિયરન્સ પણ આવી ગયેલું અને 24મીએ લૉક ડાઉન જાહેર થયું. મશીનોની રવાનગી અટકી પડી. આજે એ બંને મશીનોના ઑર્ડર કેન્સલ થઈ ગયા છે. તે ઉપરાંત તેમની પાસે બીજાં મશીન બનાવવા માટેનો એક કરોડ રૂપિયાનો કાચો માલ ફૅક્ટરીમાં પડ્યો છે. હવેની પરિસ્થિતિમાં એ ઑર્ડર પણ કૅન્સલ થઈ ગયા છે. તે હવે એ ચિંતામાં છે કે આ આર્થિક બોજો કેવી રીતે સહન થશે. તેણે તેના કર્મચારીઓને બે મહિનાનો પગાર તો આપી દીધો, પણ આગળના મહિનામાં પગાર કેવી રીતે આપશે? બહારથી જે માલ 3 મહિનાની ક્રેડિટ પર મળતો હતો, તે બધા હવે રૂપિયાની સામે માલ આપે છે. કારણ કે તેઓ પણ આર્થિક ભીંસમાં જીવે છે. જો આવું એકાદ-બે મહિના ચાલશે તો ફૅક્ટરીને તાળું મારવું પડશે તે નક્કી છે. અલબત્ત, આવા ઉદ્યોગપતિઓ ઓછા છે. વધારે લોકો તો બધાને ચાલે તેવાં મશીન બનાવવાવાળા છે. તેમની પાસે પણ માલનો ભરાવો છે. તે કેટલા મહિના ટકી શકે છે તે જોવાનું રહ્યું. મોટા ભાગના ઉદ્યોગપતિઓ લોન લેવા રાજી નથી. કારણ કે ભવિષ્ય અસ્પષ્ટ છે. આગામી મહિના કેવા હશે તેનો અંદાજ નથી આવતો, તો લોન કયા જોર પર લેવી અને શા માટે વધારે ઊંડા ખાડામાં ઊતરવું?

મારા જાણીતા ઉદ્યોગપતિ, પ્રસાદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના યુવાન ડિરેક્ટર ધ્રુવ શાહે વીડિયો બનાવીને બધા ઉદ્યોગપતિઓને એક સરસ અપીલ કરી છે. ‘સામાન્ય રીતે કોઈ પણ એન્જિનિયરિંગ કંપનીના કુલ ટર્ન ઓવરમાં કર્મચારીઓના પગારનો હિસ્સો 10થી 30 ટકા જેટલો હોય છે. તેમાંયે જે કારીગરો અને હેલ્પરો છે તેમના પગારનો હિસ્સો તો 2થી 3 ટકા જ હોય છે. એ તેમના નફાના 2 ટકા જેટલો જ ભાગ છે. તો જે કારીગરો વર્ષોથી તેમની સાથે છે તેમની સુખાકારી માટે, તેમને દરેક મહિનાનો પગાર આપીને, શું આટલો ભોગ માલિકો ન આપી શકે?’ ધ્રુવની વાત તો એકદમ સાચી અને વાજબી છે. એવા ઘણા હશે જે આપી શકે, પણ તેઓ પોતાના મોજશોખમાં – વિદેશ પ્રવાસો, હૉટેલોના ખર્ચા, ક્લબોના ખર્ચા, દીકરા-દીકરીની મોંઘી સ્કૂલો કોલેજોની ફી વગેરેમાં કાપ મૂકવા માટે તૈયાર નથી. તેમણે આ રીતે વિચારવું જ જોઈએ. પણ એ બધા પાસે ધ્રુવ જેવા સમાજસેવાના કૌટુંબિક સંસ્કારો ન હોય.

બહુ મોટી સંખ્યા એવી પણ છે જે ડૂબવાની અણી પર છે અને ગમે તેટલી ઈચ્છા હોવા છતાં પગાર આપવાની સ્થિતિમાં નથી. એક વાત એવી છે કે દેશમાં કુલ સાતથી આઠ કરોડ MSME (માઇક્રો, સ્મૉલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ) છે. તેમના માટે જે સરકારી પૅકેજ જાહેર થયું છે તે દ્વારા, સરકારના કહેવા મુજબ, 45 લાખ  MSMEને આ લાભ મળશે અને તે પણ લોન તરીકે. તો બાકીના કરોડોનું શું? આ ઉપરાંત ઘણાની બેન્કની લોન ચાલુ છે, જેના હપ્તા ભરવાના છે, ભલે થોડા મોડા, પણ ભરવાના તો છે જ. તે માફ નથી થયા.

કારીગરોના સ્થળાંતર બાબતે એવી વાત વહેતી થઈ છે કે વિરોધ પક્ષ મજૂરોને સમજાવીને, પૈસા આપીને તેમના રાજ્યોમાં મોકલી આપે છે, જેથી આવી અવ્યવસ્થા સર્જાય. ઘણા વર્ષોથી એવી પ્રણાલી પડી છે કે કારીગરોને કૉન્ટ્રાક્ટર દ્વારા રાખવાના. તેમના પગારની જવાબદારી કૉન્ટ્રાક્ટરની. નાની-મોટી બધી કંપનીઓ — માઇક્રોથી માંડીને મુકેશ અંબાણી સુધીની બધી કંપનીઓએ, સરકાર દ્વારા સંચાલિત એસ.ટી. અને બી.આર.ટી.એસ. દ્વારા આ રસ્તો અપનાવવામાં આવ્યો છે. કૉન્ટ્રાક્ટ પર કામ કરતા આ મજૂરો, કારીગરો, ડ્રાઇવરો સરકારના ચોપડે રજિસ્ટર થયેલા જ હોય તેવું નથી. એથી તેમને સરકારના કોઈ લાભ ન મળે. (ગુજરાત સરકારે હાઈકોર્ટને જણાવ્યા મુજબ ‘રાજ્યમાં કુલ 22.5 લાખ મજૂરોની સામે માત્ર 7,512 મજૂરો રજિસ્ટર થયેલા છે. આ ઉપરાંત તે ગુજરાતમાં અમને પૂછીને નથી આવ્યા. આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂર ધારા 1979 મુજબ સરકાર તેમને માટે રેલવેની ટિકિટના પૈસા ભરવા  બંધાયેલી નથી.’)

લૉક ડાઉન જાહેર થયું ત્યારથી કૉન્ટ્રાક્ટરે પગાર આપવાનો બંધ કર્યો. બીજી વાત કે મોટા ભાગના મજૂરો ભાડે રહેતા હોય છે. તે પોતાનું ઘર ખરીદવાના નથી. તે ઉપરાંત તે ભાડું ન આપે તો ઘરધણીએ ઘર ખાલી કરાવ્યું. વડાપ્રધાને હાથ જોડીને અપીલ કરી. તેની કોઈ અસર ન થઈ. આમ તેઓ રસ્તા પર આવી ગયા. મફત ખાવાનું મળ્યું તે પૂરતું ન હતું, તેમને અનુકૂળ પણ નહોતું, તેમના સમયે પણ ન હતું. દરેક શ્રમજીવી સવારે કામે ચડતાં પહેલાં ભરપેટ ખાઈ લે છે. તેને બદલે જો તેને બપોરે બે-ત્રણ વાગ્યે ખાવાનું મળે, તો તે ભૂખનો માર્યો આકુળવ્યાકુળ થઈ જાય તે સ્વાભાવિક છે. લાખોની સંખ્યામાં રહેલા આ મજૂરોને-તેમના કુટુંબોને રોજ સમયસર જમવાનું પહોંચાડવું કોઈ પણ સંસ્થા માટે શક્ય ન બને. આવી રીતે તે કેટલો વખત પરોપજીવી રહી શકે? એક પછી એક લૉક ડાઉન આવતાં રહ્યાં અને તેમની ધીરજ ખૂટતી ગઈ એટલે થાકીને તેમણે વતનની વાટ પકડી. હવે દિવાળી સુધી તો તેઓ પાછા આવે તેવી આશા નથી. આપણે ધારીએ છીએ તેટલો આ પ્રશ્ન સહેલો નથી. બધાને પોતાની આજીવિકાની ચિંતા છે. તેમને ધંધો બંધ કરવો બહુ આકરો પડે છે.

જે સાઠ ઉપરની ઉંમરના છે તેઓ તો નિવૃત્ત થઈ જશે, પણ બાકીનાનું શું? આ બંધ કરીને બીજું કંઈક તો વિચારવું જ પડશે. આ બધા હોંશિયાર છે, સાહસિક છે. તેઓ આપમેળે-સરકારની મદદ વગર પણ રસ્તો કાઢશે. પણ તેને સમય લાગશે. તેમને એ પણ ખબર છે કે જાણીતા, અનુભવી અને વિશ્વાસપાત્ર કારીગર મળવા મૂશ્કેલ છે. વર્ષોના અનુભવ બાદ તેમના કારીગરો તેમની જરૂરિયાતોને, તેમની કામની પદ્ધતિને સાચી રીતે સમજતા થયા છે. તેમને ગુમાવવા પોસાય તેમ નથી. પણ કેવી રીતે રાખવા? કેટલું કામ આવશે? એટલો વખત પગાર કેમ આપવો? આ બધા પ્રશ્નોના જવાબ તેમને નથી મળતા અને કોઈ એ જવાબો આપવાની સ્થિતિમાં નથી. એવા પણ ઘણા છે જે પૂરા આશાવાદી છે કે એક-બે મહિનામાં બધું પાટે ચડી જશે. આપણે ઈચ્છીએ કે તેમનો આશાવાદ સાચો ઠરે.

e.mail : samanvay.sys@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020

Loading

3 June 2020 admin
← બોરસદ પ્લેગનિવારણઃ લોકલક્ષી નેતાગીરીનું યાદ કરવા જેવું પ્રકરણ
ટૃમ્પની આવડત કોડીની નથી અને દેશમાં આડા-ઊભા વિભાજન કરે છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved