Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખક ઇલાબહેન ભટ્ટ : એક અંજલિ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 November 2022

ઇલાબહેન ભટ્ટની લોકોત્તર કર્મશીલતાનું એક ઓછું જાણીતું પાસું તેમનું લેખન છે. તેમના નામે બાર જેટલાં પુસ્તકો છે. ‘સેવા’ સંસ્થાએ આજે શ્રમજીવીઓનાં વ્હાલાં ઇલાબહેન ભટ્ટની સ્મરણયાત્રા’નું આયોજન કર્યું છે ત્યારે ઇલાબહેનને અંજલિ તરીકે એમનાં પુસ્તકો વિશે એક નોંધ મૂકી છે.

સહુથી મહત્ત્વનું પુસ્તક એટલે ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં!’ (ગૂર્જર પ્રકાશન,2007). અહીં ઇલાબહેને 17 લાખ 34 હજાર જેટલી ગરીબ સ્વાશ્રયી મહિલાઓનાં સંગઠન ‘સેવા’ના ચણતર-ઘડતર, સંઘર્ષ અને સિદ્ધિઓનો વાચનીય આલેખ આપ્યો છે. તેમાં તેમણે આપણા દેશના વિવિધ પ્રકારના કરોડો શ્રમજીવીઓ, અને તેમાં ય મહિલાઓની દુર્દશા, ક્ષમતા, સંઘર્ષ, શક્તિઓ અને દેશના અર્થતંત્રમાં તેમના સહયોગ વિશે વિપુલ માહિતી આપી છે. સખત સતત મહેનત કરીને કુટુંબની આવક અને દેશના ઉત્પાદનનો મોટો હિસ્સો બનનાર મહિલાઓ વિશે ભારોભાર સંવેદન જગવતું આ પુસ્તક વાચકનો દેશના કરોડો વંચિતો તરફ જોવાનો નજરિયો ધરમૂળથી બદલવાની ક્ષમતા ધરાવે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રસિદ્ધ કરેલાં ઇલાબહેનનાં જ મૂળ અંગ્રેજી પુસ્તક We Are Poor but So Many (2006)નો હિમાંશી શેલતે કરેલો આ પ્રાણવાન અનુવાદ ‘ગરીબ પણ …’ ગુજરાતી ભાષાનું આપણા સમયનું એક વિરલ લોકધર્મી પુસ્તક છે.

આ ઉપરાંત ઇલાબહેનનાં આઠ મધ્યમ કદનાં કે નાનાં મૌલિક પુસ્તકો લખ્યાં છે. તે બધાં સ્વાશ્રયી શ્રમજીવી મહિલાઓની મહેનત અને મહત્તાને કેન્દ્રમાં રાખીને લખાયાં છે. કામદાર બહેનોની સાથે કામ કરતાં કરતાં લખાયેલી સંવેદન કથાઓ આ પુસ્તકોને હૃદયસ્પર્શી બનાવે છે. તેમનાં પુસ્તકો વિશેની ટૂંકી નોંધો અહીં પ્રકાશન વર્ષના ક્રમ મુજબ મૂકી છે (એક અંગ્રેજી પુસ્તક Profiles of Self-employed Women (1974) મળ્યું નથી). તેમના એક વ્યાખ્યાન સંગ્રહનો અને એક સંપાદનનો પણ અહીં સમાવેશ કર્યો છે. 

v  કેળવણીની અસર (પ્રકાશક : ગાંધી મજૂર સેવાલય, અમદાવાદ, પ્ર. વર્ષ : 1971)  

આ પુસ્તકનું પેટાશીર્ષક છે : પછાત કોમની બહેનો પર કેળવણીની અસર – એક તપાસ’. કારકિર્દીના શરૂઆતનાં વર્ષોમાં ઇલાબહેન અમદાવાદના મજૂર મહાજન સંઘ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં. સંઘના ઉપક્રમે શ્રી જમનદાસ ભગવાનદાસ ટ્રસ્ટ સંચાલિત કન્યાગૃહ 1927થી ચાલતું હતું. ‘ગરીબ બાળાઓના વિકાસ’ તેનો ઉદ્દેશ કેટલે અંશે પાર પડ્યો છે તેની તપાસ કરવાનું ઇલાબહેને નક્કી કર્યું. તેમણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ કન્યાગૃહમાં રહી હોય તેવી 60 બહેનોનો અભ્યાસ કર્યો. સમાજાવિજ્ઞાની નીરાબહેન દેસાઈની મદદથી તૈયાર થયેલા અહેવાલના સાઠ પાનાંના આ પુસ્તકના ઉપસંહારમાં અભ્યાસી નોંધે છે : ‘એકંદરે જોતાં તપાસમાં ઉપસેલું ચિત્ર સંતોષજનક જ નહીં, પણ આશાસ્પદ જણાય છે.’

v  ગુજરાતની નારી (માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, 1974)

ઇલાબહેના આ પુસ્તકનો હેતુ ‘સર્વ સામાન્ય વર્ગને ગુજરાતની નારીનું, ખાસ તો આજની આગળ વધતી ગુર્જર નારીનું સુભગ દર્શન કરાવવાનો છે’. પુરાણો અને ઇતિહાસમાં દેખાતી ગુજરાતી નારી વિશે લખ્યા બાદ તેઓ સ્ત્રીઓમાં સાક્ષરતા અને લોકશાહી કેટલે સુધી પહોંચી છે તેની વાત કરે છે. સ્ત્રી કામદારો અને ખેતીમાં બહેનો વિશેનાં પ્રકરણો બાદ શિક્ષણ, સેવા તથા નર્સિંગ ક્ષેત્રે ગુજરાતની મહિલાઓના ફાળાની માહિતી છે. ‘લઘુતામાંથી ગુરુતામાં’, ‘અન્ય ગુજરાતણો’ અને ‘સામાજિક સંસ્થાઓ અને સમાજ કલ્યાણ’ પ્રકરણો બાદ ‘ગુજરાતણના તહેવારો’ વિશે લખીને ઇલાબહેન પુસ્તક પૂરું કરે છે.

v  The Grind of Work ( SEWA, 1989)

ભારત સરકારના National Commission on Self-Employed Women and Women in the Informal Sector એ ફેબ્રુઆરી 1988માં ‘શ્રમશક્તિ’ નામનો એક અહેવાલ બહાર પાડ્યો, ઇલાબહેનના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોની બનેલી ટુકડીએ બહાર પાડેલો આ અહેવાલ શકવર્તી ગણાય છે. અઢાર રાજ્યોના દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતી અનેક પ્રકારની શ્રમજીવી મહિલાઓની મુલાકાતો અને કષ્ટસાધ્ય ક્ષેત્રકાર્ય દ્વારા આ અહેવાલ તૈયાર કર્યો. તેમાં કરોડો શ્રમજીવી ભારતીય મહિલાઓની નિરંતર સખત મહેનત, તેમના જીવતરની દુર્દશા, તેમનું શોષણ, તેમની પરનો અન્યાય, દેશના અર્થકારણમાં તેમના મોટા નક્કર સહયોગનો ઇન્કાર જેવી અનેક બાબતો પર અભ્યાસપૂર્ણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. The Grind of Work પુસ્તિકા આ અહેવાલનું ‘curtain raiser’. હવે પછી નોંધેલી પરિચય-પુસ્તિકાનો આધાર અને ‘ગરીબ પણ…’ પુસ્તકનાં બીજ આ પુસ્તકમાં મળે  છે.

v  આપણી શ્રમજીવી બહેનો (પરિચય ટ્રસ્ટ, 1992)

વિખ્યાત પરિચય-પુસ્તિકા શ્રેણીની આ 799મા ક્રમની આ વિષય પરની ‘ગાગરમાં સાગર’ સમી પુસ્તિકામાં પાયાની હકીકતો અને આધારભૂત વિગતો ઉપરાંત અનેક શ્રમજીવી સ્ત્રીઓની સંવેદનકથાઓ મળે છે : ખેતમજૂર ધેનીબહેન, લુહારીકામ કરનાર કેસરબહેન, ચીંદરીમાંથી  ખોળો સિવનાર કરીમબીબી, કાપડ પર હાથછપાઈ કરનાર રહેમતબીબી, વાંસમાંથી ટોપલાં બનાવનાર રૂપાબહેન, પથ્થરમાંથી કોલસો ખોતરનાર ગિરજાબહેન. તદુપરાંત અહીં પુરુષોએ પકડેલાં માછલાં છોલવાં, સૂકવવા, ભરવા, વેચવા, જાળ બનાવવી જેવાં કામ કરનાર મહિલા વર્ગની પણ જિકર છે. ડેરી અને રેશમ ઉદ્યોગ સાથે સંકળાયેલાં બહેનો અહીં છે. લારી ચલાવનાર અને ગોદીમાં કામ કરનાર મજૂરબહેનોની પણ વાત છે. પુસ્તકને અંતે અનિલાબહેન ધોળકિયાએ લખેલો બહેનોનાં વીતક વ્યક્ત કરી સંગઠનની આહલેક બજાવતો ગરબો લેખકે મૂક્યો છે.

v  દૂસરી આઝાદી ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ‘સેવા’ (નૅશનલ બુક ટ્રસ્ટ, 1998)

આ સચિત્ર પુસ્તક કિશોરવયના વાચકોને ‘સેવા’ના કામનો રોચક શૈલીમાં પરિચય આપે છે. ભૂમિકા પછી સેવા યુનિયન, ઘરખાતા, ફેરી-ટોપલાં, સેવાબૅન્ક, ગ્રામનારીની સાહસિકતા, પૂર્ણ  રોજગાર, આરોગ્ય, બાળસંભાળ,ઘર, સામાજિક સલામતી, સેવા અકાદમી, સંચાર માધ્યમો અને અનસૂયા પખવાડિક, વીડિયો સેવા એમ 1955 થી 1995ના તમામ ઉપક્રમોને આ પુસ્તક આવરી લે છે. પુસ્તકને અંતે ઇલાબહેન લખે છે : ‘હરઘડી ખાડા પૂરતા હોઈએ છીએ, ઘણાંને સપાટી પર પહોંચતા જોઈ, કદીક ફરી પાછા ખાડામાં ગબડતાં ય જોઈએ છીએ, પણ સાચું કહું તો રોજરોજ ‘હૈ…શો’ કરીને માટી નાખવાનો અનુભવ જ મને તો પરમ હિતકારી લાગ્યો છે.’

v  ‘લારીયુદ્ધ (શ્રી મહિલા સેવા અનસૂયા ટ્રસ્ટ, 2001)

ઇલાબહેનની સંભવત: એકમાત્ર સાહિત્યિક સર્જનાત્મક એવી આ કૃતિ એક ‘ઐતિહાસિક નવલકથા’ છે. તેના આરંભે કહ્યું  છે : ‘લારી-ટોપલાયુદ્ધનાં  બીજ  અમદાવાદ  શહેરમાં 1976ના ઑક્ટોબર મહિનામાં બપોરના ત્રણ વાગ્યે નખાયા હતાં એમ ઇતિહાસકાર કહે છે. જ્યારે ભરબજારમાં એક ગલગોટાની લારીને મ્યુનિસિપાલિટીની લાલ બસે જોરથી ટક્કર મારી ત્યારે હસતાં ચમકતાં ગલગોટાનાં ફૂલ લારીમાંથી પડીને રસ્તા પર વેરાઈ ગયાં હતાં અને પગ નીચે ચગદાઈ મર્યાં હતાં.’ મૉક-હિરોઇક શૈલીમાં લખાયેલી આ નવલકથા ઇલાબહેનનું બહુ જ ઓછું જાણીતું પુસ્તક છે.

v  મારી બહેનો સ્વરાજ લેવું સહેલ છે (સેવા અકાદમી, 2011)

ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ની શતાબ્દીના અવસરે સૂરતની ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટ્ડીઝ’ સંસ્થાના ‘અર્થાત્‌’ સામયિકે એક વિશેષાંક કર્યો હતો. તેમાં ઇલાબહેને લખેલો લેખ આ 38 પાનાંની નમણી પુસ્તિકા તરીકે વાંચવા મળે છે. ઇલાબહેન નોંધે છે : ‘મને તો ‘હિંદ સ્વરાજ’ વાંચીને સ્વરાજકાંક્ષી હિંદુસ્તાની, રાષ્ટ્રનો સ્વરાજ પથ અને સ્વરાજનો અનુભવ પામવું એમાં જ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનું જીવનસાર્થક્ય છે તેવું સમજાય છે. અને તેનો તાલ મારી ‘સેવા’ની બહેનો સાથેના મારા અનુભવ સાથે મેળવ્યા વગર રહેવું અશક્ય છે.’ એટલે તેમણે ‘હિંદ સ્વરાજ’નું ગાંધીચીંધ્યું સ્વરાજ ‘સેવા’ની બહેનો સુધી કેવી રીતે પહોંચ્યું તેની વાત કેટલીક બહેનોના અને વિવિધ ઉપક્રમોના રસાળ ઉદાહરણોથી બતાવ્યું છે.

v  મહાત્માની છાયામાં : એક સત્યાગ્રહીની નોંધપોથી (નવજીવન, 2015)

ઇલાબહેને સંપાદિત કરેલું આ પુસ્તક તેમના દાદાજી વિશે છે. સંપાદક લખે છે : ‘મારા સ્વર્ગસ્થ પૂજ્ય દાદાજી ડૉ. શ્રી મણિધરપ્રસાદ વ્યાસનું જીવન એ ગાંધીયુગના એક સત્યનિષ્ઠ સેવકની કથા છે.’ તેઓ આગળ કહે છે : ‘આખી ય રોજનીશીમાં એક નિષ્પાપ અદના માનવી પર પ્રચંડ તેજ:પુંજ સૂર્યનારાયણ સમા મહાત્મા ગાંધીજીના આદર્શોનું એક આછેરું કિરણ પડ્યું ને તે માનવી કેવો સફાળો બેઠો થયો એટલું સમાયેલું છે.’ આ પુસ્તક પુસ્તકની શરૂઆતમાં મિહિર ભટ્ટ એ મતલબનું લખે છે કે આ ‘ગાંધીજીના વિચારોને અનુસરનાર સામાન્ય નાગરિકો’માંથી એકની આ નોંધપોથી છે.

v  અનુબંધ : સો માઇલનો સંબંધ (નવજીવન, 2017) :

‘હું માનું છું કે રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો – ખોરાક, કપડાં, મકાન, તથા સ્વાસ્થ્ય, શિક્ષણ અને બૅન્કિન્ગ સેવાઓને સ્થાનિક રીતે ઘણે અંશે, સો માઇલના ફરતા વિસ્તારમાંથી જ મેળવી શકાય, તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી, શોષણ અને પર્યાવરણીય અવનતીનો આપણે ઉકેલ લાવી શકીએ’ – આ ઇલાબહેનની એક વિશિષ્ટ વિભાવના હતી. તેની ઉપર ‘સેવા’ની એક ટુકડીએ ગુજરાતના ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ-પાંચ ગામોમાં વાસ્તવિક જમીની કામ કર્યું. તેને લગતું આ પુસ્તક છે. તે ઇલાબહેને 2011માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટના ડાયરેક્ટર્સની કૉન્ફરન્સમાં આપેલાં વ્યાખ્યાન પર આધારિત Building Hundred Mile Communities નામના પુસ્તકનો રાજ્યશાસ્ત્રના અભ્યાસી રક્ષાબહેન મ. વ્યાસે કરેલો સુંદર અનુવાદ છે. તેની અર્પણ-નોંધ છે : ‘આ પુસ્તક આપણા માટે અને આપણી ધરતી માટે / આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ખાસ  ગૂજરાત વિદ્યાપીઠના  વિદ્યાર્થીઓને અર્પણ’. પુસ્તકનું પહેલું જ વાક્ય છે : ’ધરતીમાંથી પેદા થાય ધરતીમાં સમાય !’

v  Women, Work and Peace (નવજીવન, 2020)

દેશ અને દુનિયાની માતબર સંસ્થાઓ કે ઉપક્રમોમાં ઇલાબહેને આપેલાં 28 વક્તવ્યોના આ સંગ્રહનું સંપાદન માર્ગી શાસ્ત્રીએ કર્યું છે. સંપાદકે પાંચસો જેટલા વ્યાખ્યાનોમાંથી પસંદગી કરવા ઉપરાંત પણ ઘણી મહેનત કરી છે. કાળક્રમે ગોઠવેલાં દરેક વ્યાખ્યાન પહેલાં તેમણે ઘણાં પાનાંમાં ફેલાયેલાં વ્યાખ્યાનનો પોણા પાનામાં સાર આપ્યો છે, અને  વ્યાખ્યાન પછી ઇલાબહેનના સંવાદના કે તેમના એક પુસ્તકનાં અંશ પણ મૂક્યા છે. ઇલાબહેનના જીવનકાર્યના ત્રણ મહત્ત્વના શબ્દોનો વિસ્તાર કરતાં ભાષણોનું આ પુસ્તક એક ખૂબ મહત્ત્વનો વૈચારિક દસ્તાવેજ છે.

[▪પુસ્તક સૌજન્ય : સુશ્રી તોરલબહેન પટેલ, શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજ ગ્રંથાલય; સુશ્રી અમીબહેન પંડ્યા, સેવા; કિરણ કાપૂરે, નવજીવન ▪ કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી]                                 

07 નવેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

7 November 2022 Vipool Kalyani
← ચૂંટણી ઉર્ફે ચૂંથણી …  
સામે પ્રવાહે તરનાર લેખક મોહમ્મદ માંકડની વિદાય  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved